મેં વિદ્યાધર સૂરજપ્રસાદ ઉર્ફે વિદ્યા નાયપૉલનું સાહિત્ય વાંચ્યું નથી, પરંતુ મને તેમના બિન સાહિત્યિક લખાણોમાં હંમેશાં રસ પડ્યો છે. આપણને ન ગમે પણ વિચારતા કરી મૂકે એવા ધારદાર નિરીક્ષણો હોય. ભાષાના સ્વામી તો હતા જ, એટલે આપણને જે કહેતાં ફકરા જેટલી જગ્યા જોઈએ એટલી વાત એ એક વાક્યમાં કરી દે. આવી બીજી વ્યક્તિ હતી નીરદ ચૌધરી. ચીડ ચડે તો પણ વાંચવા જ પડે એવા. નાયપૉલ અને નીરદ ચૌધરીની સરખામણી કરીએ તો નીરદબાબુ ચડિયાતા લાગે.
નીરદ ચૌધરીનો જન્મ ૧૮૯૭માં પૂર્વ બંગાળમાં થયો હતો અને ૧૦૧ વરસની ઉમંરે બ્રિટનમાં ઓક્સફર્ડમાં તેમનું અવસાન થયું હતું. મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતમાં તેમનો જન્મ થયો હતો, મુસલમાનોની પડોશમાં તેમનો ઉછેર થયો હતો, સરત ચન્દ્ર બોઝના અંગત સચિવ તરીકે તેમણે કૉંગ્રેસીઓને અને કૉંગ્રેસનું રાજકારણ નજીકથી જોયું હતું. બંગાળી ભદ્રવર્ગને બહુ નજીકથી જોયો હતો. બંગાળી અને અંગ્રેજી એમ બન્ને ભાષા પર એક સરખું પ્રભુત્વ હોવાના કારણે તેમ જ વિચક્ષણ મેધા હોવાના કારણે ભારતીય સંસ્કૃિત અને પાશ્ચાત્ય સંસ્કૃિતના દરેક પાસાં તેઓ સારી પેઠે જાણતા હતા. અભિપ્રાય વ્યક્ત કરવામાં કોઈની પરવા ન કરે.
૧૯૫૧માં નીરદ ચૌધરીની ‘ધ ઓટોબાયોગ્રાફી ઓફ એન અનનૌન ઇન્ડિયન’ નામની આત્મકથા પ્રકાશિત થઈ અને દેશમાં દેશપ્રેમનો દેકારો મચી ગયો. તેમણે તેમની આત્મકથા ભારતમાં રહેલા બ્રિટિશ સામ્રાજ્યને અર્પણ કરી હતી. તેમણે પુસ્તક અર્પણ કરતાં લખ્યું હતું કે બ્રિટિશ સામ્રાજ્યએ આપણને રૈયત તો બનાવ્યા, પણ નાગરિકત્વ આપ્યું નહોતું જેના પર આપણો અધિકાર છે. કારણ કે આપણી અંદર જે કાંઈ સારપ છે એ બ્રિટિશ સામ્રાજ્યને કારણે છે. એ પછી તેમની સરકારી નોકરી ગઈ હતી, પેન્શન અને બીજા બેનિફિટ રોકી દેવામાં આવ્યા હતા, લેખક તરીકે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા, વગેરે. નીરદ ચૌધરી ની:સંકોચ કહેતા હતા કે તેઓ બ્રિટીશપ્રેમી (એન્ગલોફાઈલ) છે. ૧૯૮૨માં નીરદ ચોધરી ઓક્સફર્ડ રહેવા જતા રહ્યા હતા અને ૧૯૯૯માં ત્યાં તેમનું અવસાન થયું હતું. દાયકા પહેલાં વટલાયેલા હિન્દુત્વવાદી દેશપ્રેમી અને રાજ્યસભાના સભ્ય સ્વપ્ન દાસગુપ્તા તેમના શિષ્ય હતા. મારું એવું માનવું છે કે જે વિવેક નથી કરી શકતા એવા લોકો એક અંતિમેથી બીજા અંતિમે ફંગોળાતા રહે છે.
આપણે વાત વિદ્યા નાયપૉલની કરી રહ્યા છીએ એની મને જાણ છે. ૧૯૭૭માં ‘ઇન્ડિયા અ વુન્ડેડ સિવિલાઈઝેશન’ પ્રકાશિત થયું અને ઈલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયામાં ખુશવંત સિંહે તેનો રિવ્યુ કર્યો હતો. ખુશવંત સિંહે આકરી ટીકા કરી હતી એવું મને સ્મરણ છે. એ સમયે હું હજુ અણસમજુ દેશપ્રેમી હતો એટલે દેશદ્રોહીઓ સામે ચીડ ચડે એ સ્વાભાવિક છે. એ સમયે લેબલ ચોડવાની અને રસ્તા પર ઊતરી પડીને કાયદો હાથમાં લેવાની અસંસ્કારિતા હજુ વિકસી નહોતી. મને યાદ છે ત્યાં સુધી ખુશવંત સિંહનો રિવ્યુ વાંચ્યો ત્યારે ખબર પડી કે નીરદ ચૌધરીની ‘ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનૌન ઇન્ડિયન’માં આના કરતાં પણ વધારે ભારતની નિંદા કરવામાં આવી છે, અને નાયપૉલનું આ પહેલાં ‘એરિયા ઓફ ડાર્કનેસ’ નામનું પુસ્તક આવી ચૂક્યું છે જે ભારતની નિર્દયી ચિકિત્સા કરનારું પહેલું પુસ્તક હતું અને વુન્ડેડ તો તેની સિકવલ તરીકે લખાયેલું બીજું પુસ્તક હતું.
કેટલાક લોકો પોતાના મૂળને, પોતાને મળેલા સાંસ્કૃિતક પરિવેશને, તેમાં રહેલી મર્યાદાઓને, બીજી સભ્યતાઓની ખૂબીઓ અને ખામીઓને, સભ્યતાઓના સંઘર્ષોને તટસ્થતા અને નિર્દયતાથી જોઈ શકે છે તો કેટલીકવાર બીજા અંતિમેથી પહેલા અંતિમને સમજવાનો પ્રયાસ કરે છે. વી.એસ. નાયપૉલનો જન્મ ત્રિનિદાદમાં ૧૯મી સદીમાં ભારતથી મોકલવામાં આવેલા ગિરમીટિયા પરિવારમાં થયો હતો. મૂળને નામશેષ કરી નાખનારી મૂડીવાદી-સાંસ્થાનિક નિર્દયતા તેમણે અનુભવી હતી. તેમને એટલી જાણ હતી કે તેમનાં મૂળ ભારતમાં છે, પરંતુ તેઓ જ્યારે ભારતીય સભ્યતાને સમજવા મથે છે, ત્યારે તેમને ધ્યાનમાં આવે છે કે એ મૂળ અને તેની અસ્મિતાઓ પણ ક્યાં ગૌરવ લઈ શકાય એવી છે.
નાયપૉલે તેમની ભારત વિશેની શ્રેણીનું ત્રીજું પુસ્તક ‘ઇન્ડિયા: અ મિલિયન મ્યુિટનીઝ નાઉ’ લખ્યું ત્યારે નાયપૉલ આવતા-જતા લગભગ એક મહિનો મુંબઈમાં રહ્યા હશે. હું એ સમયે ‘સમકાલીન’માં હતો અને ચારુદત્ત દેશપાંડે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં રિપોર્ટર હતા. ચારુદત્ત નાયપૉલ માટે હિન્દી અને મરાઠી ભાષાના દુભાષિયા તરીકે મદદ કરતા હતા. નાયપૉલ મુંબઈમાં હોય, ત્યારે રાતે ઘરે જતાં ટ્રેનમાં ચર્ચાનો વિષય નાયપૉલ હોય. એકવાર નાયપૉલ અત્યંત જાણીતા દલિત સાહિત્યકારને મળવા ગયા. માલવણીમાં દોઢ ખોલીના ઘરને જોઇને નાયપૉલે તેમને પૂછ્યું કે ‘આટલી નાનકડી જગ્યામાં પરિવારના સભ્યોની વચ્ચે સેક્સનો સુપૂર્ણ આનંદ કઈ રીતે મળે? માનવીય ગૌરવ માટે જરૂરી પર્યાપ્ત પ્રાઈવસીના અભાવમાં સેક્સની અતૃપ્ત વાસના તમારા સાહિત્ય સર્જનને પ્રભાવિત નથી કરતું?’
એ સાહિત્યકાર માટે આ અનપેક્ષિત પ્રશ્ન હતો, પણ નાયપૉલ માટે સ્વાભાવિક પ્રશ્ન હતો. તેમને એવું લાગ્યું નહોતું કે આવો પ્રશ્ન પૂછીને તેમણે કોઈ બોમ્બ ફેંક્યો છે. પેલા વિદ્રોહી દલિત સાહિત્યકારે પ્રામાણિક ઉત્તર નહોતો આપ્યો. દલિત અને વિદ્રોહી હોવા છતાં. એ પછી ચારુદત્તની સાથે તેઓ એક બીજા વયોવૃદ્ધ મરાઠી સાહિત્યકારને મળવા ચાલમાં આવેલા તેમના ઘરે ગયા હતા. અહીં સવર્ણ સાહિત્યકારની નાનકડી ખોલી જોઇને નાયપૉલે પૂછ્યું હતું કે પ્રત્યેક માણસ માટે હોવી જોઈતી મોકળાશ અને પ્રાઈવસીનો અભાવ તમારી સર્જકતાને પ્રભાવિત કરે છે ખરી અને કરે છે તો કઈ રીતે કરે છે? પેલા સાહિત્યકારે સાદગી, અસંગ્રહ, ઊંચા વિચાર અને ઓછી જરૂરિયાત વિષે ભાષણ આપ્યું હતું.
નાયપૉલને અને નીરદ ચૌધરીને ભારતની આવી દાંભિકતા સામે અણગમો હતો. અભાવને, શંકા અને સવાલ નહીં કરનારી નપુંસકતાને પરંપરાનો કે સંસ્કૃિતનો અંચળો કેમ ઓઢાડી શકાય? હિન્દુત્વવાદીઓ વાંચે ઓછું એટલે નીરદ ચૌધરી અને નાયપૉલનાં પુસ્તકો તેમના ધ્યાનમાં નહીં આવ્યાં હોય, પણ નાયપૉલનું ઇસ્લામ અને મુસ્લિમ સમાજની ચિકિત્સા કરનારું પુસ્તક ‘એમંગ ધ બિલીવર્સ: એન ઇસ્લામિક જર્ની’ જોઇને તેઓ ગેલમાં આવી ગયા હતા. અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા, ત્યારે મુસ્લિમ દેશોમાં ત્રાસવાદ તેની ચરમસીમાએ હતો અને એ અરસામાં જ આ પુસ્તક આવ્યું હતું. હિન્દુત્વવાદીઓ એટલા રાજી થઈ ગયા હતા કે પહેલા પ્રવાસી ભારતીય દિવસના સંમેલનમાં નાયપૉલને બોલાવવામાં આવ્યા હતા. નાયપૉલે તેમના ભાષણમાં હિન્દુત્વવાદીઓને સલાહ આપી હતી કે ‘અતીત અને ઇતિહાસનો વધારે પડતો પ્રેમ મેધાને કુંઠિત કરે છે. ઇતિહાસમાં કેદ થયેલા સમયને શોધવા કરતાં ભવિષ્યના ઊઘડતા જતા સમયને પકડવો જોઈએ. પુરુષાર્થ એમાં છે.’
આપણને વિચારતા કરી મૂકે એવા હચમચાવી દેનારા વિચારનું સ્વાગત કરવું જોઈએ. એવા લોકો આપણને ગમે એવું બોલવાના નથી એટલે ન ગમે એવું સાંભળવાના સંસ્કાર વિકસાવવા જોઈએ.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની દૈનિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 અૉગસ્ટ 2018