અમેરિકામાં અત્યારે લોકઆંદોલનનાં જે દૃશ્યો જોવા મળે છે એ ૧૯૯૧ના ડિસેમ્બર મહિનામાં સોવિયેટ રશિયામાં જોવાં મળેલાં લોકઆંદોલનની યાદ અપાવે છે. એ પહેલાં નજીકના ભૂતકાળમાં ૧૯૮૦ના દાયકામાં પૂર્વ યુરોપમાં સામ્યવાદી દેશોમાં, ૧૯૮૯માં પૂર્વ જર્મની અને ચીનમાં આંદોલનો થયાં હતાં. કારણ એ હતું કે સર્વહારાના કલ્યાણની સામ્યવાદી ફિલસૂફીની બાંધી મૂઠી ખુલ્લી ગઈ હતી. મૂડીવાદના નામે ડરાવી ડરાવીને સામ્યવાદી દેશોમાં શાસકો પોતાનું તાનાશાહી શાસન લોકો ઉપર લાદતા હતા. એક દિવસ પ્રજાની આંખ ઊઘડી ગઈ હતી કે આપણને માત્ર કાલ્પનિક દુશ્મનને નામે ડરાવી રાખવામાં આવે છે, હાથમાં તો કાંઈ આવતું નથી. એ ઉપરાંત તેમને બીજું બ્રહ્મજ્ઞાન એ વાતનું થયું હતું કે રશિયા નામની ‘પ્રચંડ શક્તિશાળી સામ્યવાદી મહાસત્તા’ એક ફસાડ માત્ર છે, અંદરથી રાજ્ય ખોખલું છે. જ્યાં સુધી સત્ય છૂપાવી શકાતું હતું ત્યાં સુધી છૂપાવ્યું પણ છેવટે એક દિવસ એવો આવ્યો કે સત્ય ઊઘાડું પડી ગયું.
કાર્ટૂનસૌજન્ય : મંજૂલ
૧૯૯૧માં જ્યારે આ ઘટના બની ત્યારે અમેરિકાએ એમાં અમેરિકન મૂડીવાદનો વિજય ભાળ્યો હતો. ત્યારે કોઈએ કલ્પના કરી નહોતી કે ત્રણ દાયકા પછી એમરિકાના પણ એ જ હાલ થવાના છે જે સોવિયેત રશિયાના થયા હતા. અમેરિકા નામની ‘પ્રચંડ શક્તિશાળી મૂડીવાદી મહાસત્તા’ એક ફસાડ માત્ર છે અને અંદરથી ખોખલું છે એની હવે જગતને જાણ થઈ ગઈ છે. અમેરિકન પ્રજાને પણ સમજાઈ ગયું છે કે આપણી શ્રીમંતાઈ નોટ છાપીને જાળવી રાખેલી શ્રીમંતાઈ છે, રળતર દ્વારા મેળવેલી નથી. એટલે તો નકલી શ્રીમંતાઈએ પ્રજાની અંદર જે જીવનશૈલી વિકસાવી છે એ કોવીડ સામે ધરાશયી થઈ રહી છે. લોકોને હવે એ પણ સમજાઈ ગયું છે કે આ જે શ્રીમંતાઈનો ઘટાટોપ છે એ ઉધારીનો છે નક્કર કશું જ નથી અને હવે એ ઘટાટોપ તૂટી રહ્યો છે ત્યારે પ્રજાને ડર બતાવવામાં આવી રહ્યો છે. કાળાઓનો ડર, વસાહતીઓનો ડર, ચીનનો ડર વગેરે. ચારે બાજુ કાલ્પનિક દુશ્મનો પેદા કરવામાં આવ્યા છે અને અમેરિકા ફર્સ્ટ, અમેરિકન રાષ્ટ્રવાદ વગેરેને નામે પ્રજાને ઘેનમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સામ્યવાદ મૂડીવાદનો ડર બતાવીને નભતો હતો અને એક દિવસ પરપોટો ફૂટી ગયો. મૂડીવાદ પહેલા સામ્યવાદનો ડર બતાવતો હતો અને સામ્યવાદના પતન પછી રાષ્ટ્રવાદના નામે દેશના અથવા દેશની બહુમતી પ્રજાના ‘કહેવાતા દુશ્મનો’નો ડર બતાવીને નભતો હતો અને હવે એમ લાગે છે કે તેનો પણ પરપોટો ફૂટી રહ્યો છે. અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડ નામના કાળા યુવકનું પોલીસ ઓફિસરે સાત મિનિટ સુધી ગળું દબાવીને મારી નાખવાની ઘટના બની અને એની વીડિયો કલીપ વાઈરલ થઈ એ પછી અમેરિકાનાં ૪૦ શહેરોમાં લોકો રસ્તા ઉપર ઊતરી પડ્યા છે. પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસનો ઘેરાવ કર્યો હતો અને ઘેરાવ એવો પ્રચંડ હતો કે અમેરિકન પ્રમુખને સુરક્ષા ખાતર વ્હાઈટ હાઉસમાંનાં બંકરમાં ખસેડવા પડ્યા હતા. અમેરિકન પ્રમુખનું આનાથી વધારે મોટું અપમાન બીજું કયું હોઈ શકે!
અમેરિકન પ્રજાને સમજાઈ ગયું છે કે આ માણસ ચાર વરસ પહેલાં રાષ્ટ્રવાદને નામે જૂઠું બોલીને અને ખોટા વાયદા કરીને પ્રમુખ બન્યો હતો, પણ આવડતને નામે મીંડું છે. એને નાટક કરતા આવડે છે, બેફામ બોલતા આવડે છે, માણસાઈનો સ્પર્શ નથી, ગ્લાનિ અનુભવતો નથી અને લાજ-શરમ શું કહેવાય એની એને જાણ નથી. અમેરિકન પ્રમુખનાં અશ્વેતપ્રજા વિરોધી નિવેદનોના કારણે એક પોલીસ ઓફિસરે કાયદો હાથમાં લેવાની હિંમત કરી હતી અને એક કાળાને રસ્તા વચ્ચે ગૂંગળાવીને મારી નાખ્યો હતો. કાયદાનો અમલ કરવાની જેની જવાબદારી છે એ કાયદો તોડવા સુધી પહોંચ્યો એ અમેરિકન પ્રમુખ દ્વારા ઓકવામાં આવતા ઝેરનું પરિણામ છે. જો પોલીસ જ પ્રજાને ભરખવા માંડે તો દેશમાં કાયદો અને વ્યવસ્થાનું શું થાય? કાલે આપણા સંતાનનો પણ વારો આવી શકે છે.
કાર્ટૂનસૌજન્ય : ડેવ બ્રાઉન, "ધ ઇન્ડિપેન્ડન્ટ", 03 જૂન 2020
હવે ટ્રમ્પભાઈનું વર્તન જુઓ. વ્હાઈટ હાઉસ ફરતેથી પ્રદર્શનકારીઓને હટાવવામાં આવ્યા એ પછી બંકરમાંથી બહાર આવીને ટ્રમ્પ વ્હાઈટ હાઉસની બાજુમાં આવેલા પાર્કમાં એક હાથમાં લોકો જુએ એમ બાઈબલ રાખીને ફરવા ગયા હતા. એ દ્વારા તેઓ અમેરિકન ખ્રિસ્તી રાષ્ટ્રવાદી હોવાનો દેખાવ કરતા હતા. કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આવા બધા નાટકો કરવા પરવડે એમ છે, પણ મંગળવારે તો એ પણ પરવડ્યું નહીં. પ્રદર્શનકારીઓ જમા થવા માંડ્યા એટલે પ્રમુખે ત્યાંથી જતા રહેવું પડ્યું.
ક્યાં સુધી જૂઠનો આશ્રય લઈને, નાટકો કરીને, પ્રજાને ડરાવીને, કાલ્પનિક દુશ્મનો બતાવીને રોડવશો? એક દિવસ તો સત્ય છાપરે ચડીને પોકારવાનું જ છે. એમ લાગે છે કે અમેરિકન પ્રજાને હવે સમજાઈ ગયું છે કે આ ટ્રમ્પભાઈ પાસે આવડત કોડીની નથી અને દેશમાં ઊભા-આડા વિભાજનો પેદા કરી રહ્યા છે. પણ ખરેખર અમેરિકન પ્રજાને બ્રહ્મજ્ઞાન થયું છે કે નહીં એ તો આવતા નવેમ્બર મહિનામાં ખબર પડશે.
દરમિયાન બુધવારના ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ના તંત્રીલેખનું શીર્ષક નોંધી લો અને વાંચો તો ઉત્તમ. તંત્રીલેખનું શીર્શંક છે : In America Protest is Patriotic. જે વિરોધ કરવા રસ્તા ઉપર ઊતર્યા છે એ દેશભક્ત છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 જૂન 2020