પરમ આદરણીય મોરારિબાપુ,
નમસ્કાર!
કેદારનાથ ખાતે થયેલ રામકથા – માનસ શંકર(મે ૨૦૧૭)માં આપશ્રીએ કરેલાં અમુક વિધાનોથી અમોને આશ્ચર્ય અને આઘાત લાગ્યા છે. છતાં પણ આપશ્રીને ભારતના એક નાગરિક તરીકે, આમ કરવાનો અધિકાર છે.
આપશ્રીએ હાલનું ભારત સરકારનું ત્રણ વર્ષનું શાસન શ્રેષ્ઠ હોવાનું અને કૌભાંડો અને ભ્રષ્ટાચારમુક્ત હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું તેના સંદર્ભમાં એક નાગરિક તરીકે આ પત્ર લખવા પ્રેરાયો છે.
૧. હું જયપ્રકાશ નારાયણના ૧૯૭૪ના ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાંથી તૈયાર થયેલ વ્યક્તિ છું. જયપ્રકાશ નારાયણની વિચારધારા, ગાંધી-સર્વોદયની વિચારધારા અને ફિલોસોફર એમ.એન. રૉયની વિચારધારાને છેલ્લા ચાળીસ વર્ષોથી પચાવેલી છે. તેથી હાલના કોઈ પણ રાજકીય પક્ષ કે તેની વિચારધારાથી સંમત થઈ શકાતું નથી. આ ચોખવટ કરવાની જરૂર એટલા માટે છે કે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે આ પત્ર લખાતો નથી.
૨. આપશ્રી છેલ્લાં ત્રણ વર્ષમાં કોઈ જ કૌભાંડો, કે ભ્રષ્ટાચાર કે નાણાંકીય ગોલમાલ થઈ નથી એવું કહ્યું છે તે સંદર્ભમાં મારું એમ કહેવું છે કે આ બધું શોધવા માટે બંધારણમાં જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે કોમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (કેગ), વિજિલન્સ કમિશનર, પબ્લિક એકાઉન્ટ્સ કમિટી, જાહેર સાહસ સમિતિ અને ઇન્ફર્મેશન કમિશનરની ભૂમિકાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધી ઍજન્સીઓ ખણખોદ કરીને ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગોલમાલની તપાસ કરતી હોય છે. હવે આપને ભારત સરકારનાં શાસન વિષે જણાવવાનું કે આ બધી ઍજન્સીઓને સંપૂર્ણ સત્તા આ ત્રણ વર્ષમાં આપવામાં આવી નથી કે તેમાં જરૂરી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી નથી. ખાસ કરીને ‘કેગ’ના અહેવાલ ઉપર દૃષ્ટિપાત કરવામાં આવે તો ઘણી બધી વાતો સપાટી ઉપર લાવવાનું કામ કર્યું છે. ટૂંકમાં, ઉપર જણાવેલી બધી ઍજન્સીના આ ત્રણ વર્ષના અહેવાલો વાંચશો તો સ્પષ્ટપણે જણાઈ આવશે કે દેશમાં સુશાસન નથી.
૩. અમારાં જેવા નાગરિક સ્વાતંત્ર્ય અને માનવ અધિકારના કાર્યકર્તાઓનું સ્પષ્ટપણે માનવું રહ્યું છે કે ૧૯૭૭માં મેળવેલી ‘નઈ આઝાદી’ ફરીથી જવાની અણી ઉપર છે. લોકશાહી મૂલ્યો, મૂળભૂત અધિકારો, બોલવા-લખવાની અને અખબારી આઝાદી અને સ્વતંત્રતા ધીમે ધીમે ખતમ થઈ રહી છે. નાગરિક સ્વતંત્રતા, મૂળભૂત અધિકાર અને માનવ અધિકાર છેલ્લાં ત્રણ વર્ષમાં ક્યાં ય દૃષ્ટિગોચર થતાં નથી. શાંતિમય, અહિંસક, સંગઠિત સામનો કરવાની કે દેખાવો કરવાની સ્વતંત્રતા પણ પોલીસ દમન દ્વારા ઝૂંટવી લેવામાં આવી છે. દલિતો, સમાજનાં નબળાં, કચડાયેલા અને વંચિત સમૂહોના વિવિધ માનવ હક્કોનાં હનન અને ભંગની સમસ્યા આ સમયગાળા દરમિયાન ગંભીરતાથી જણાઈ આવી છે. મહાત્મા ગાંધીએ આ માટે જીવનભર સંઘર્ષ કર્યો છે તે તો વિદિત છે. ગાંધીજી અને જયપ્રકાશ નારાયણ એમ કહેતા કે સ્વાતંત્ર્ય વિના માણસનું જીવન અપૂર્ણ છે, અપંગ છે, એકાંગી છે. આજના શાસકોએ પ્રજાને સ્વાતંત્ર્ય આપ્યું નથી. લઘુમતીઓના હક્કની તો વાત કરવા જેવી નથી. એટલે આને સુશાસન કઈ રીતે કહી શકાય?
૪. સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ વર્ષ ૨૦૧૦થી લોકપાલની નિમણૂક માટે દિલ્હી ખાતે એક મોટું આંદોલન ચલાવ્યું હતું અને તેના આધારે ૧૬-૧-૨૦૧૪ના રોજ લોકપાલનો કાયદો ઘડાયો હતો. આ કાયદાના સમર્થનમાં હાલના શાસકો સંપૂર્ણ ટેકા સાથે ઊભા રહ્યા હતા પણ એન.ડી.એ.ની સરકાર આવ્યા છતાં ત્રણ વર્ષ થયે પણ લોકપાલની નિમણૂક થઈ નથી. શાસકો માની રહ્યા છે કે લોકપાલ કે લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે તો પોતાની સત્તા ચાલી જશે અને ભ્રષ્ટાચાર બહાર પડી જશે. સરકાર આ બંનેની નિમણૂક કરે તો ભ્રષ્ટાચાર અને નાણાકીય ગોલમાલ ઉજાગર થાય. આ બાબતે સુપ્રીમ કોર્ટે સરકારને સૂચના આપવી પડી.
આ સરકાર વિશે ઘણું બધું લખી શકાય કે ઉજાગર કરી શકાય તેમ છે પણ પ્રાથમિકતાએ છ મુદ્દા અગત્યના જણાય છે.
• રોજગારી અંગેના સર્વે પગલાં નિરાશાજનક. એક કરોડની રોજગારીના વચન સામે વર્ષ ૨૦૧૬માં માત્ર ૨.૧૩ લાખ રોજગારી સર્જાઈ છે.
• મહિલા સુરક્ષામાં સંપૂર્ણ નિષ્ફળતા.
• મોંઘવારીને કાબૂમાં લેવામાં અસફળતા. મધ્યમ વર્ગ અને ગરીબો માટે ખાદ્ય સામગ્રી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો.
• વિદેશનીતિમાં સંપૂર્ણ નિષ્ફળતા. પાકિસ્તાન, ચીન અને અન્ય દેશોની આડોડાઈ.
• કાશ્મીરમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળતા.
• નોટબંધીના હેતુમાં નિષ્ફળતા. કાળું નાણું, ભ્રષ્ટાચાર, આતંકવાદ નાબૂદી, ખોટી-નકલી નોટો વગેરે પ્રશ્નો હતાં તે તો ત્યાં ને ત્યાં જ છે.
ઘણું બધું લખાઈ ગયું છે પરંતુ આ બધી વાતની ખરાઈ વિદ્વાન એવા રાજકીય સમીક્ષક નગીનદાસ સંઘવી (નગીનબાપા), જેઓ આપની સાથે છે, તે કરી આપશે. કાંઈ અજુગતું લખાઈ ગયું હોય તો ક્ષમા કરશો.
આપનો,
ગૌતમ ઠાકર
(૨૯-૫-૨૦૧૭ના રોજ પાઠવેલ પત્ર)
E-mail : gthaker1946@gmail.com
સૌજન્ય “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 01-02