સલાહ રૂપે કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં ‘ઍપિક ટેનર’ હોવી જોઇએ.
આજે, એ અંગેનું મારું મન્તવ્ય રજૂ કરું :
આ સલાહ થોડીક ગૂંચ ઊભી કરે છે. આપણે સૌ જાણીએ છીએ એમ ઍપિક એટલે નાયકનાં વીરોચિત પરાક્રમોનું દીર્ઘ કથાકાવ્ય – પ્રબન્ધ, પણ ટેનર?
પુખ્ત વયના પુરુષના કંઠને, સ્વરને, સંગીતમાં ટેનર કહે છે. સંગીતમાં કાઉન્ટરટેનર, આલ્ટો, બારિટોન એમ જુદા જુદા સ્વરોની વાત આવે છે.
અલંકારશાસ્ત્રમાં જેને આપણે ઉપમેય અથવા પ્રસ્તુત કહીએ છીએ તેને ટેનર કહેવાય છે, જેમ કે, શકુન્તલાનું મુખ; જેને ઉપમાન કહીએ છીએ તેને વ્હીકલ કહેવાય છે, જેમ કે, ચન્દ્ર જેવું.
ટૂંકમાં, સંગીત કે અલંકારશાસ્ત્રમાં જે ટેનર છે તેની અહીં વાત નથી.
આ ટેનર, ઍપિક ટેનર બને અને એને ટૂંકીવાર્તા સાથે જોડીએ તો શું થાય? જુઓ, ઍપિકનો નાભિનાળ સમ્બન્ધ મૌખિક પરમ્પરા સાથે હતો. એનો મતલબ એ કે ટૂંકીવાર્તા પણ મૌખિક પરમ્પરામાં આવે છે તેથી એમાં પણ ટેનર ક્હૅતાં, સ્વરનું મહત્ત્વ છે.
આપણે અનુભવીએ છીએ કે ટૂંકીવાર્તામાં કથકનો સ્વર, એનો વૉઈસ, એનો અવાજ, એનો કણ્ઠ, ખૂબ જ મહત્ત્વની ચીજ છે. પણ ક્યારે? જ્યારે એ કથા કથતો હોય ત્યારે. આજકાલ વાર્તા કથનારા તો છે જ ક્યાં? વિરલ છે. હવે તો ટૂંકીવાર્તા લખાયેલી કે છપાયેલી મળે છે. છતાં, સલાહ એમ છે કે વાર્તામાં લેખકે કથકનો એક સ્વર ઊભો કરવો જોઈશે. એ સ્વરનું વહન કથક કરતો હશે. પરિણામે આપણાથી કથનસૂર અનુભવાશે. એથી આપણને કથકનો વૉઇસ સંભળાશે, અને વૉઇસ સંભળાશે એટલે કથકનું મન્તવ્ય પકડાશે. છેલ્લે એ મન્તવ્ય પરોક્ષપણે વાર્તાકારનો પૉઇન્ટ ઑફ વ્યૂ હશે.
હું વાર્તાકારમિત્રોને હમેશાં કહેતો હોઉં છું – લખો ભલે પણ કહેતા હોવ એમ લખો. લખો ભલે પણ લખેલું સંભળાય એવું કરો કેમ કે વાર્તા સાંભળવા માટે છે. વાચકે પણ વાંચતાં વાંચતાં વાર્તાને સાંભળવાની હોય છે.
હોમર-પ્રણિત ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ કે વર્જિલ-રચિત ‘ઇનીડ’ મૌખિક પરમ્પરાનાં કથાકાવ્યો છે. આપણાં મહાકાવ્યો અને તેમાં સમાવેશ પામેલાં ઉપાખ્યાનો મૂળે તો મૌખિક રૂપે જ રજૂ થતાં હતાં. પરન્તુ સમયાન્તરે નવલકથાને પણ ઍપિકનો દરજ્જો અપાવા લાગ્યો. તૉલ્સતોયની નવલ ‘વૉર ઍન્ડ પીસ’-ની કે સર્ગેઇ આઇન્સ્ટાઇનના ‘ઇવાન ધ ટૅરિબલ’ નામના મોશન પિક્ચરની પણ ઍપિકમાં ગણના થવા લાગી. ફરતી ફરતી વાત ટૂંકીવાર્તા વિશે પણ સ્થિર થઈ.
પણ હું અંગતપણે આ સલાહને અતિ મહત્ત્વાકાંક્ષી ગણું છું. ટૂંકીવાર્તા પ્રબન્ધ કે મહાકાવ્યની રસમ પ્રમાણે શ્રવણગુણ ધરાવે ત્યાં લગી બરાબર છે. કોઈ ટૂંકીવાર્તામાં ટેનર વ્યંજના બનીને વિસ્તરી શકે ત્યાં લગી પણ બરાબર છે. બાકી, 'ઍપિક ટેનર' કહેવાથી ખાસ કશું કહેવાતું નથી.
હા, પૂરી થયા પછી વાર્તા સામા માણસના ચિત્તમાં આગળ ચાલે એવી હોય તો સારું, એમ કહીએ છીએ એનો અર્થ જ એ કે રચનાથી સરવાળે કશુંક વ્યંજિત થવું જોઇએ. કેમ કે ખાલી વારતા કહી જવાનું તો માત્ર દાદીમાને પરવડે ! કેમ કે એમાં વ્યંજના નહીં પણ ઊંઘ લક્ષ્ય હોય છે – કાં તો દાદી પહેલી ઊંઘી જાય, કાં પોતરી કે પોતરો.
મારી સર્જકતાને આ વ્યંજકતાનો અનહદ આગ્રહ હોય છે, કેમ કે તીર-તુક્કા જેવું કશું પણ નિર્માલ્ય લખી પાડવાનો કશો અર્થ નથી. એ માટે હું મારા સમગ્ર સારસ્વત શીલને ખડે પગે હાજર રાખું છું.
એક વાર વિદ્યાનગરમાં મેં ‘પાક્ષિકી-પર્વ’ના ઉપક્રમે ‘દત્ત અને અર્જિત વચ્ચેની લડાઇ’ શીર્ષકથી વ્યાખ્યાન આપેલું. વ્યાખ્યાનમાં મેં મારી વાર્તાકૃતિ ‘એ અને ટૅરિટોરિયલ બર્ડ્ઝ’ના અનુલક્ષમાં કૅફિયત રૂપે કેટલીક વાતો કરેલી. એમાં એ વાર્તાની વ્યંજના વિશે બે વાત કરેલી, એ ટૂંકમાં આ પ્રમાણે હતી :
“ટૅરિટોરિયલ પ્રશ્નો પહેલેથી છે. ભૂમિભાગને માટે યુદ્ધો અને નિર્દોષોની હત્યા જેવો અમાનુષી રંજાડ પરાપૂર્વથી છે. પ્રવર્તમાન આતંકવાદનાં મૂળિયાં વિચારકને બે વિશ્વયુદ્ધો લગી દોરી જાય. એટલે, મનીષ શાહને જે રોષ થયો એ ભાવભાવના અસ્વાભાવિક નથી. તેમ છતાં, વાર્તાકાર તરીકે મને સંતોષ નહીં થયો હોય. કદાચ એમ લાગ્યું હશે કે એટલીક વ્યંજના તો સર્વસાધારણ ગણાય — મેં શી ધાડ મારી?
“એટલે, એ દરમ્યાન મારા ચિત્તમાં એક જુદું જ સત્ય પ્રગટ્યું હશે કે એવી ભાવભાવનાને માણસના મનના અણજાણ ખૂણેથી સાવ જ તાકીને જોનારું કોઇ તટસ્થ સાક્ષીજન હમેશાં બેઠું હોય છે. એ તટસ્થ સાક્ષીજન તે પેલું બદામી સસલું.
Picture courtesy : NicePNG
“એથી મને સમજાયું હશે કે વાર્તાના સમગ્ર સંકેતને અવળી દિશાનો આમળો જે ચડ્યો – એમ કે સસલું મનીષને એમ સૂચવતું છે કે દુષ્ટ દુનિયા નથી બદલાવાની, કશું વળશે નહીં, રોષને ધોઇ નાખ. એટલે કે, એની પેલી ભાવભાવનાનો ઇનકાર. એ કદાચ એને એમ લલચાવતું છે કે તું અને બેના અમારી ભેગાં સંતાઇ જાવ ને કુદરતના ખૉળે કોતેડામાં ! એટલે કે, ડહાપણભર્યું સમાધાન. અથવા લાચારીભર્યું પલાયન. આવો આમળો મને ગમ્યો હશે.
“દેખીતું છે કે વ્યંજનાના દ્રવ્ય વિના લેખન, માત્રલખવું કહેવાય, કલા નહીં …”
= = =
(September 20, 2021: USA)