નિસબત
આંખે પડળ તો ચડે, વારંવાર દૃષ્ટિ ઝાંખી થવાની. એ પડળ દૂર કરીને સમયાંતરે નજરને સાફ રાખવાનું કામ સર્જકનું. એ શબ્દ સાથે કામ કરે કે પીંછી સાથે, રંગમંચ સાથે હોય કે ફિલ્મ સાથે, એનું કામ એક જ, સત્યને ઢાંકતો પડદો ખસેડી આપવાનું.
મહાશ્વેતાદેવીએ એ કરેલું. એમની અનેક કૃતિઓ આ હકીકતની સાબિતી આપશે. પરંતુ એમણે જ્યારે “દ્રૌપદી” નામની અમર વાર્તા રચી ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે એના નાટ્યરૂપાંતરનું આવું વરવું અર્થઘટન કોઈ કરી શકે. હરિયાણા યુનિવર્સિટી (મહેન્દ્રગઢ) ખાતે ૨૧ સપ્ટેમ્બરે ત્યાંના અંગ્રેજી વિભાગે ‘દ્રૌપદી’નું નાટ્યરૂપાંતર રજૂ કર્યું. નકસલવાદી આંદોલન દરમિયાન બળવાખોરોને પકડવા લશ્કર શું કરતું એ વર્ણવવાનો અહીં આશય નથી. ‘દ્રૌપદી’માં એક આદિવાસી સ્ત્રી પાસેથી બાતમી કઢાવવા એના પર સૈનિકો કેવો અત્યાચાર કરે છે, અને એ પછી સ્ત્રી એનો કઈ રીતે પ્રતિકાર કરે છે એની વેધક, જલદ કથા આલેખાઈ છે. આખીયે ઘટનાના સમય અને પરિસ્થિતિ ધ્યાનમાં લીધા વિના લશ્કરી સિપાહીને આ રીતે બતાવી જ ન શકાય, અને આવી રજૂઆત સૈનિકોની તાજેતરની શહાદતનું અપમાન છે, એમ સમજી આક્રમક ટોળાંઓ આસપાસથી થોડા બળિયાઓનો સાથ લઈ યુનિવર્સિટીના પ્રાંગણમાં ધમાલ આદરે છે. સાહિત્ય સર્જન સાથે અને મહાશ્વેતા દેવી એમની કૃતિઓ જેને સ્પર્શે છે તે મુદ્દા સાથે જેમને બિલકુલ સંબંધ નથી એવાં ટોળાં નાટકની રજૂઆતને ‘દેશદ્રોહ’ની ચિઠ્ઠી ચોંટાડે છે ! સાહિત્યકૃતિના આવા સંકુચિત અને વિકૃત અર્થઘટનના માઠા દિવસો ટકોરા મારી રહ્યા છે બારણે, અને આપણી પાસે તો પ્રતિકારનીયે એવી તાકાત ક્યાં છે ?
આમ તો વિશ્વવિદ્યાલયોનાં તેજ વિલાયાંને ઠીકઠીક સમય વહી ગયો છે. પ્રખર પંડિતો અને જ્ઞાનના ઉપાસકો જ્યાં સાધના કરતાં એ પ્રાંગણમાં ઝાંખીપાંખી, પડછાયા જેવી અને સત્તાને લળી લળી નમન કરતી આકૃતિઓ હરતી ફરતી જોવા આપણે ટેવાતાં જઈએ છીએ. છતાં એમાં હરિયાણાની આ યુનિવર્સિટી તો શિરમોર. ત્યાંના સૂત્રધારો નાટક ભજવવાની પરવાનગી આપવા બદલ પ્રથમ તો ક્ષમાયાચના ધરે છે. પછી બનાવની તપાસ માટે સમિતિઓ રચે છે, અને નાટક ભજવવામાં પહેલ કરનારાં પેલાં બે અધ્યાપકો સામે ફરિયાદોયે થવા માંડી છે, દેશદ્રોહની! વિશ્વવિદ્યાલયો સત્યશોધન માટે હોય છે એમ કોણે કહ્યું ?
સમાજને સૈન્ય માટે, અને સૈનિકોનાં બલિદાન માટે આદર હોવો જોઈએ, એમાં બે મત નહીં. પરંતુ જે બની ગયું છે, જેના દસ્તાવેજી પુરાવાઓ છે, એ કમનસીબ બનાવોને શી રીતે નકારીશું? મણિપુરમાં આફસ્પ (આર્મડ્ ફોર્સીસ સ્પેશ્યલ પાવર્સ ઍક્ટ) દ્વારા જે અત્યાચારો થાય હતા એનું શું કરીશું? આસામ રાઇફલ્સના સૈનિકોએ મનોરમા નામની યુવતી પર ગુજારેલા ત્રાસની, અને એ બનાવને પગલે લશ્કરની છાવણી સામે મણિપુરની મહિલાઓ નિર્વસ્ત્ર બનીને જે દેખાવો કરેલા, એ આઘાતજનક ઘટનાનું શું ? એ સમયે ઇમ્ફાલમાં પણ દ્રૌપદીનું નાટ્યરૂપાંતર ભજવાયું હતું, અને પ્રેક્ષકો સ્તબ્ધ બન્યા હતા. બનાવટી એન્કાઉન્ટરની કેટલીયે દારુણ ઘટનાઓ બાદ તો જસ્ટીસ હેગડે કમિશનની જરૂર પડી હતી! આ સઘળું ઇતિહાસનો ભાગ, સાચેસાચું અને ટકોરાબંધ એ વાસ્તવિકતાને નકારીને કશુંયે સાબિત નથી થવાનું.
સાહિત્યસર્જન કોઈ સભારંજન નથી, કે નથી એ તાળીઓ ઉઘરાવવાનો ખેલ કે નથી. સત્તાધીશોને રાજી રાખવા સાહિત્ય રચાતું નથી. પ્રજા વૈચારિક રીતે રાંકડી થતી જતી હોય અને સમાજને મોટો ભાગ નિર્માલ્ય થતો જતો દેખાતો હોય ત્યારે કલમે સાબદાં થવું પડે.
– પણ કલમ તો અત્યારે અપરાધીના ચોકઠામાં હડસેલાતી દેખાય છે. સાચું જોવાની અને બોલવાની તાકાત ખોઈ બેઠાં પછી પ્રજાનો કોઈ વિકાસ હોય ખરો ? સત્યદર્શનનો અજંપો અને બેચેની તો મોટી કમાઈ છે, એવી, જેનું ગૌરવ હોય. ટોળાંના આક્રમણથી વિદ્યાલય ઝંખવાય, પાછું પડે, કે નાકલીટી તાણે, ત્યારે સમસ્ત પ્રજાનું વૈચારિક અવસાન નજીક ગણાય, અને મૌનનો આધાર સર્જકો માટે સામૂહિક આત્મહત્યા.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 20