આ લેખની સાથે એક તસ્વીર છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૩૩મા રાષ્ટ્રપ્રમુખ હેન્રી એસ. ટ્રૂમેનની એ તસ્વીર છે. એ તસ્વીરમાં એક ખાસ વાત છે, પણ એની વાત કરીએ તે પહેલાં થોડીક વાત પ્રમુખ સાહેબની. ૬૮ વર્ષના હેન્રી ટ્રૂમેન, ૧૯૪૫થી ૧૯૫૩ વચ્ચે અમેરિકાના પ્રમુખ હતા. ભારત દેશ આ સમયગાળા વચ્ચે આઝાદ થયો હતો. હિટલરના પાગલપનથી શરૂ થયેલા દ્વિતીય મહાયુદ્ધના અંતિમ ચરણમાં તે અમેરિકાને સફળતાપૂર્વક બહાર લાવ્યા હતા, અને તેમણે અમેરિકાને સોવિયત સંઘ સાથે શીત યુદ્ધમાં સરકતું પણ જોયું હતું.
મિસૌરીના ગ્રામીણ ઇલાકામાં ખેડૂત પરિવારમાં જન્મેલા ટ્રૂમેન બિઝનેસ સ્કૂલમાં ભણ્યા હતા અને લો કોલેજ પૂરી કર્યા વગર ઊઠી ગયા હતા, અને પ્રાદેશિક કોર્ટના જજની ચૂંટણી જીત્યા હતા. ત્યાંથી તેમની ઈમાનદારી અને કાર્યક્ષમતા માટે મશહૂર હતા. ૧૯૩૪માં તે યુ.એસ. સેનેટમાં ચૂંટાયા હતા. દ્વિતીય મહાયુદ્ધ દરમિયાન, ૧૯૪૦માં, અમેરિકન સૈન્યમાં ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતાના આરોપોની તપાસ કરવાની સેનેટ કમિટીના એ વડા બન્યા હતા. તેનાથી તેમને રાષ્ટ્રીય સ્તરે નામના મળી હતી. ૧૯૪૪માં તે પ્રમુખ ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટના નાયબ પ્રમુખ બન્યા હતા. ત્રણ મહિનામાં અચાનક રુઝવેલ્ટનું અવસાન થયું તો ટ્રૂમેને સત્તાની કમાન સંભાળી હતી.
ટ્રૂમેને અત્યંત ઉત્સાહથી તેમનું કામ શરૂ કર્યું હતું. તેમણે હિટલરના જર્મનીને બિનશરતી સમપર્ણ કરવા ફરજ પાડી હતી. જાપાન ત્યારે ગાંઠતું ન હતું. ટ્રૂમેને જાપાનને ચેતવ્યું હતું. ટ્રૂમેનના સલાહકારોને ચિંતા હતી કે જાપાન પર આક્રમણ કરીશું તો ૫,૦૦,૦૦૦ અમેરિકન સૈનિકોનો જીવ જશે. એ અંદાજને ધ્યાનમાં રાખીને ટ્રૂમેને જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ઝીંકવાની પરવાનગી આપી હતી. એમાં ૧,૦૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા. જાપાને હથિયાર નીચે મૂકી દીધાં.
એ અમેરિકાનું સૌથી ઘાતકી અને વિવાદાસ્પદ કૃત્ય હતું, ટ્રૂમેને તેના બચાવમાં ત્યારે કહ્યું હતું, "યુદ્ધની લાંબી યાતનાને ટૂંકાવવા માટે અને લાખો અમેરિકનોનો જીવ બચાવવા એ જરૂરી હતું. જાપાનની યુદ્ધ કરવાની ક્ષમતા ખતમ ન થાય ત્યાં સુધી અમે એ કદમ ભરતા રહીશું." તેમણે આવા ઘણા સાહસિક નિર્ણયો કાર્ય હતા. જેમ કે સામ્યવાદને ખતમ કરવા તેમણે અનેક રાજકીય અને આર્થિક પગલાં ભર્યા હતાં, જેના કારણે તે યુરોપથી આગળ વધી શક્યો ન હતો. સામ્યવાદને અટકવવા માટે જ તેમણે કોરિયન યુદ્ધ શરૂ કર્યું હતું.
ટ્રૂમેન રાજકારણમાંથી નિવૃત્ત થઈને તેમના વતન મિસૌરીમાં સ્થાયી થયા હતા. તેમની ગણના એક એવા રાષ્ટ્રપ્રમુખ તરીકે થાય છે, જે શૂન્યમાંથી શિખર પર પહોંચ્યા હતા. એ અમેરિકાના સૌથી નાજુક દૌરમાં રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તેમના પછી આવેલા તમામ પ્રમુખો પોતાના સાચા-ખોટા કૃત્યોની જવાબદારી ઉઠવવાની ટ્રૂમેનની તૈયારી માટે સરાહના કરતા આવ્યા છે. બીજા કોઈને ખો આપવાને બદલે, ટ્રૂમેન કહેતા હતા – ધ બક સ્ટોપ્સ હીયર. યસ, આપણે પેલી ખાસ વાત આ કરવાની હતી.
હવે એમની તસ્વીરને ધ્યાનથી જુવો. તસ્વીર વ્હાઈટ હાઉસની છે. ટ્રૂમેન સાહેબ ખુરશીમાં બેસીને કોઈની સાથે વાત કરી રહ્યા છે. તેમના ટેબલ પર જમણી બાજુ એક સાઈન બોર્ડ છે, તેના પર લખ્યું છે – ધ બક સ્ટોપ્સ હીયર. તેનો અર્થ થાય છે – તમામ નિર્ણયોનું ઉત્તરદાયિત્વ આ ટેબલનું છે. મતલબ કે રાષ્ટ્રપ્રમુખ તરીકે આ ટેબલ પરથી જે કોઈ નિર્ણયો લેવાય છે અને તેનાં દેશ-દુનિયામાં જે કોઈ સારાં-ખોટાં પરિમાણો આવે છે, તેની જવાબદારી માત્રને માત્ર મારી છે.
ધ બક સ્ટોપ્સ હીયર અંગ્રેજી ભાષાનાં સૌથી લોકપ્રિય વિધાનો પૈકીનું એક વિધાન છે. હેન્રી ટ્રૂમેને તેને તેમના ટેબલ પર સાઈન બોર્ડમાં જડાવીને જગવિખ્યાત બનાવ્યું હતું. મૂળે આ વિધાન, બાવન પત્તાથી રમાતી 'પોકર'ની રમતમાં જે ખેલાડી ડીલર હોય, તેની પાસે 'ડીલર' લખેલું માર્કર હોય, જેને 'બક' કહે છે. આ બક અલગ-અલગ ખેલાડીઓ પાસે ફરતું રહે. જે ખેલાડીને 'ડીલ' ન કરવું હોય, તે આગળના ખેલાડીને બક આપી દે. જેના પરથી રાજકારણમાં કહેવત આવી કે 'પાસ ધ બક.'
આપણે તેને દેશી રમતમાં ખો આપવી કહીએ છે. મોઢેથી બોલીને અથવા ભિલ્લુને માથે કે બરડે અટકીને પાછળથી ખો આપવી તે. તેનો બીજો વ્યવહારિક અર્થ થાય છે, બીજાના માથે જવાબદારી નાખવી અથવા દોષારોપણ કરવું તે. દાખલા તરીકે દિલ્હીમાં ઓક્સિજન ખૂટી ગયો છે તેની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય એક બીજા પર નાખે તેને ખો આપી અથવા પાસ ધ બક કહેવાય.
પાસ ધ બક પરથી ધ બક સ્ટોપ્સ હીયર કહેવત આવી હતી. હેન્રી ટ્રૂમેનના મિત્ર અને મિસૌરી રાજ્યના માર્શલ ફ્રેડ કેન્ફીલે ઓકલાહોમાની જેલના વોર્ડન પાસે ધ બક સ્ટોપ્સ હીયર લખેલું સાઈન બોર્ડ જોયું હતું. આ વોર્ડન પોકરનો ખેલાડી હતો. કેન્ફીલે વોર્ડનને કહ્યું હતું કે પ્રમુખ ટ્રૂમેન માટે આવું બોર્ડ બને? પેલાએ હા પાડી. ૨ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ પ્રમુખ ટ્રૂમેન માટે આવું બોર્ડ બનાવીને મોકલવામાં આવ્યું હતું. તેના આગળના ભાગે 'ધ બક સ્ટોપ્સ હીયર' લખવામાં આવ્યું હતું અને પાછળના ભાગે 'આઈ એમ ફ્રોમ મિસૌરી' લખવામાં આવ્યું હતું.
ટ્રૂમેનની રાજકીય કારકિર્દીનું આ સૂત્ર હતું. તે આ વિધાનમાં માનતા હતા. એ સાર્વજનિક કાર્યક્રમોમાં એનો ઉલ્લેખ કરતા હતા. જેમ કે ૧૯૫૨માં નેશનલ વોર કોલેજમાં આપેલા એક વક્તવ્યમાં તેમણે કહ્યું હતું, “ખેલ પૂરો થઇ ગયા પછી એવું કહેવું કે કોચે આમ કરવાની જરૂર હતી અને તેમ કરવાની જરૂર હતી તેવી સૂફિયાણી વાતો કરવી આસાન છે, પણ જે તે સમયે સ્થિતિની માંગ પ્રમાણે જે કરવું પડે તે કરવાનું જ હોય. મારા ટેબલ પર એક સૂત્ર છે કે ધ બક સ્ટોપ્સ હીયર.” ૧૯૫૩માં, પ્રમુખપદેથી વિદાય લેતી વખતે વક્તવ્યમાં તેમણે કહ્યું હતું, “જે પણ રાષ્ટ્રપ્રમુખ હોય, તેણે ઉત્તરદાયિત્વ સ્વીકારવાનું હોય. એ બીજા કોઈને ખો ના આપી શકે. તેના વતી બીજું કોઈ એ જવાબદારી ન ઉઠાવે.”
સમુદ્રી પરંપરામાં કહેવત છે કે ‘ડૂબતા જહાજ સાથે કપ્તાન પણ ડૂબે.’ નૌસેનામાં કપ્તાન જહાજ છોડીને ભાગી જાય તો તે અપરાધ મનાય છે. એક દેશ હોય, એક જહાજ હોય કે એક કંપની હોય, તેમાં જે પણ થતું હોય તેની જવાબદારી લીડરની હોય છે. એ જવાબદારીથી ભાગી ન શકે અથવા કશું થયું જ નથી તેવો દેખાવ ન કરી શકે. ટીમમાં ઘણા બધા લોકો કામ કરતા હોય, પણ છેવટે તો નૈતિક જવાબદારી લીડરની જ હોય છે. એ ખો ન આપી શકે.
ટૂંકમાં, પૂછવાનું એટલું જ કે ભારતમાં કોરોના વાઈરસની મહામારીમાં આટલા બધા લોકોના જીવ ગયા અને દેશનું અર્થતંત્ર તબાહ થઇ ગયું, તેમાં કોના ટેબલ પર ‘ધ બક સ્ટોપ્સ હીયર’ સાઈન બોર્ડ હશે?
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 23 મે 2021