લગભગ દાયકા પૂર્વે, મુંબઈના વરલી સી ફેસના ફ્લેટમાં બેઠે બેઠે, દિવાલના માપની બારીમાંથી દેખાતા અખૂટ સમુદ્રની સાક્ષીએ, હ્રદયસ્થ એવા ધનવંતભાઈએ એક વિધાન ઉચ્ચારેલું, 'રમજાન, તારા જીવનમાં સજ્જનતાનો સરવાળો થતો રહેશે.' કોઈ એવી વિરલ ક્ષણે ભાવસભર હૈયે બોલાયેલા આ શબ્દો ક્રમશઃ સાચા થતાં હું અનુભવતો રહ્યો છું. જ્યારે પણ કોઈ ઉમદા વ્યક્તિ સાથે નિકટનો ઘરોબો કેળવાય છે, ત્યારે પ્રિય ધનવંતભાઈએ વગર માંગે આપેલું આ વરદાન ફરી ફરી સાચું પડતું અનુભવું છું. આવો જ અનુભવ મને થયેલો, જ્યારે હું પ્રિય એવા તરલાબહેન શાહના સંપર્કમાં આવ્યો ત્યારે.
આમ તો અમે ફેસબૂકિયા ભાઈબંધ. ઉંમરના હિસાબે એમને મારા વડીલ બહેનપણી કહી શકાય. ગાંધી-વિનોબા મને ગમતા, એમની વાતો ને વિચાર ગમતા; પણ મને ગાંધી-વિનોબાના અભ્યાસ માટે કોઈએ પ્રેર્યો એમ કહેવું હોય તો તેમાં તરલાબહેનનું જ નામ લેવું પડે. સ્વ.બાબુભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે તેમણે મને પોતાની કુશાગ્ર બુદ્ધિથી સમજાવીને ગાંધી અને વૈષ્ણવજન વિશે વાત કરવા મનાવી લીધેલો. એ વાત કરવા વાલોડ પહોંચ્યો ત્યારે પ્રથમ વખત મને એમના દર્શનનો લાભ મળ્યો હતો.
સફેદ સાડીમાં સજ્જ એક પાતળી દેહયષ્ટિ ને ભાલની કરચલીઓ વચ્ચેથી દેખાતી-પરખાતી તેમની આંતરિક તેજસ્વિતા. મારા જેવા એક છોકરડાને ગાંધીની વાત કરવા આવેલો જોઈ લગભગ વડીલોના મોતિયા મરી ગયેલા, પણ હું જોઈ શક્યો કે કોઈએ તરલાબહેનને એમ કહેવાની હિંમત ન કરી કે આ કોને ઉપાડી લાવ્યા છો ! એમના નિર્ણય પ્રત્યેની સૌની અદબ પરથી સૌના દિલ પરના એમના પ્રેમાળ આધિપત્યનો ખ્યાલ મને ત્યારે આવી ગયેલો.
કોઈ પણ જાતના દેખાડા વિના એમણે પોતાની લાગણી વ્હાવ્યા કરી. સભા દરમિયાન મંચ પર નહિ પણ સામે બેસીને મારું બળ વધાર્યા કર્યું. એમની જે અપેક્ષા હોય તે પણ મારી વાતની કોઈ ટીકા ટિપ્પણી તેમણે ન કરી કે ન તો સભા પૂરી થયે રાજી થતા વર્તુળમાં પોતાનો વટ પડાવ્યો. બંને સ્થિતિમાં તેમનું મંદ સ્મિતભર્યું અડોલ ગાંભીર્ય મને તેમના ભણી વધુ ઝુકાવતું રહ્યું.
કાર્યક્રમ બાદ તેમનાં ફૂલછોડથી છલકાતાં ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે તેઓ આટલા ફૂલગુલાબી કેમ લાગતા હતા ! ફૂલોની ભાઈબંધીનો આ પરતાપ હતો. ગણી ન શકાય તેટલાં નાના મોટા કુંડાઓમાં તેમની લીલીછમ સંપત્તિ મલકાતા ચહેરે આવનારનું અભિવાદન કરતી હતી. નાનકડા હોલની એક સાઈડમાં મજાનો હીંચકો નાગરી ઠાઠ માઠની ગરજ સારતો હતો. ઘરમાં બહુ ઝાઝું રાચ-રચીલું ન્હોતું પણ જે હતું તે કલાત્મક સજાવટને લીધે એટલું સુંદર લાગતું હતું કે બસ જોયા જ કરીએ ! ધીરેધીરે સંપર્ક વધતાં જણાયું કે એમણે જીવતરને પણ એ જ રીતે સજાવ્યું હતું.
કચ્છના પ્રભુલાલભાઈ ધોળકિયા જેવાં સાધુચરિત પિતાના તેઓ પુત્રી હોવાને લીધે ગાંધી અને વિનોબાના વિચારો તો એમને ગળથૂથીમાં જ મળેલા. માતા પિતાની તાલીમ અને સદનવાડીથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠ સુધીની કેળવણી પામીને તેમનું પોત એવું તો ઘડાયું કે જીવતરના આઠ દાયકા વીતવ્યા પછી પણ એનો રંગ સહેજ પણ ઝાંખો પડ્યો નથી.
કામ પણ આજીવન એમના જીવન ગુરુઓને ગમે એવું જ કર્યું. મગનભાઈ સોની આદિ દ્વારા વાગડમાં ચાલતી વાંઢશાળામાં ભણાવ્યું, બીજે પણ ભણાવ્યું. મોટી ગણાતી નોકરીઓની માયા છોડી એમણે કોઈના જીવન ઘડતરમાં મહત્ત્વની એવી શિક્ષકની નોકરી થઈ શકી એટલો વખત કરી પતિ બાબુભાઈના કામમાં જોડાઈ ગયાં. એમનું કામ શું એવું કોઈ પૂછે તો તેનો એક શબ્દ કે વાક્યમાં જવાબ ન આપી શકાય. સમાજમાં જે પ્રકારના કામની માંગ હોય તે કરવું એ બાબુભાઈની સાદી સીદી સમજ. પતિના પગલે ચાલેલા તરલાબહેને આજીવન એમ જ કુદરતે સોંપેલ કાર્યને સ્વધર્મ સમજીને કર્યા કર્યું ને હજુ કરી રહ્યાં છે.
એમને વ્યક્ત થવાનો ભારે સંકોચ થાય. કેટકેટલું વાંચે પણ આપણે કહીએ કે આના વિશે બોલો ને; તો મને એવું ન આવડે કહીને પોતાની જાતને ખસાવી દે. આમ પણ ક્યાં ય કેન્દ્રમાં રહેવું કે દેખાવું એમની પ્રકૃતિ જ નહિ. ‘બરાબર … બરાબર … ' એવું બોલીને બધું બરાબર કરી લે. એમની નિશ્રામાં ચાલતી વનસ્થલી જેવી એકાદ નિશાળ જ જોવાનું મને તો સદ્ભાગ્ય મળ્યું છે પણ એ એક અનુભવે હું એટલો પ્રભાવિત થયો છું કે ન પૂછો વાત !
એમની સાથે વાત કરવાની બહુ જ મજા આવે. એક તરફ જબરદસ્ત સેન્સ ઓફ હ્યુમર અને બીજી તરફ ભારોભાર સંવેદનશીલતા. એક નાનકડો પિંડ કેટકેટલું સાચવીને બેઠું છે. પ્રેમાળ હૃદયથી છલકાતાં આવા તરલાબહેનને જન્મદિને એટલું જ કહેવું છે કે તમે છો ને તો બહુ સારું લાગે છે !
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર