ગુરુવાર, નવેમ્બરની ત્રીજી તારીખે (કાર્તિક સુદ દસમ) ત્રણેક વાગ્યે ગિરનાર તળેટી પહોંચ્યા અને માનવ મહેરામણ જોઈને લાગ્યું કે આ વખતે પરિક્રમામાં ભારે ભીડ હશે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ તો હજુ આવતી કાલે – દેવઊઠી અગિયારસ – પ્રબોધિની એકાદશ – ચોથી નવેમ્બરની રાતે થશે. સામાન્ય રીતે લોકો નાના સમૂહમાં આઠમ કે નોમે પરિક્રમા શરૂ કરી દેતા હોય છે, પણ આ વરસે પ્રશાસને લોકોને અંદર જવા માટે ગેટ ત્રીજી તારીખે સવારે જ ખોલ્યો છે. જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં આશરે બે લાખ જેટલા માણસોએ તો પરિક્રમા પૂરી પણ કરી દીધી છે.
આ વખતે અમે સાત જણા છીએ – સુરેશ, રમેશ, ભોળાભાઈ, રમેશ (વકીલ), વિજય તથા મનોજ. વિજયે છેક સુધી ઇનોવા ગાડી ચલાવી છે પણ તેમને સહેજે થાક નથી. તેઓ પોલીસ ફોર્સમાં છે અને જીમમાં જઈને નિયમિત રીતે વ્યાયામ કરે છે. ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિસર્ચ કરવાની સાથે સાથે મનોજ નિયમિત ક્રિકેટ રમે છે તેમ જ તેનું કોચિંગ પણ લે છે. તે અમારા સહુની વ્યવસ્થા માટે તત્ત્પર હોય છે. બંને યુવાનો અમારા મોટા ભાગના કામ સરળ બનાવી રહ્યા છે. સુરેશ ગુજરાત એગ્રોમાં છે અને સતત વ્યવસ્થા કરતા રહેવું તેમના સ્વભાવમાં છે. તેમનો થાક્યા વગર વાગતો રહેતો મોબાઇલ ફોનનો અવાજ તળેટીમાં પહોંચીને અચાનક બંધ થઈ ગયો છે. અમારા માટે લાકડી તથા ટોર્ચની ખરીદી દરમ્યાન તેમના ખિસ્સામાંથી કોઈક ચાલાકીથી ફોન તફડાવી ગયું છે. રમેશ પોલીસ ફોર્સમાં છે, ખડતલ છે, ખેતરનું કામ નિયમિત રીતે કરે છે અને કોઈ પણ કામ કરવું કે ઉપયોગી થવું તેમને સહજ રીતે ગમે છે. સુરેશ તથા રમેશે અગાઉ સાતેક વાર પરિક્રમા કરી છે. ગિરનારની મારી આ બારમી પરિક્રમા થશે. ભોળાભાઈ જી.એન.એફ.સી.માં હતા અને બે વર્ષ અગાઉ સેવામાંથી નિવૃત્ત થયા છે. રમેશ વકીલાતના વ્યવસાયમાં છે. બંને અમારી સાથે પહેલી વાર જોડાયા છે. મેં જોયું કે બંનેને ધાર્મિક તથા આધ્યત્મિક વિષયમાં ઊંડો રસ છે. બંને મિત્રોને ચઢાણ વિશે ચિંતા રહે છે. જે રીતે બંને પોતાના શરીરને સાચવે છે તે જોતાં તેમને કોઈ તકલીફ પડે તેમ લાગતું નથી. મનસુખ સાવલિયા આ વખતે અમારી સાથે નથી જોડાઈ શક્યા પણ મેસેજ દ્વારા સમાચારની આપલે કરી રહ્યા છે.
ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન કરી, રૂપાયતન પાસે થઈ, ઇંટવાની ઘોડી (પર્વત) તરફ ચાલ્યા. સહેજે પવન નથી શરૂઆતમાં આ ઘોડી પરનું ચઢાણ હંફાવે છે પણ સાથે સાથે શરીરને પછીના આકરા ચઢાણ માટે તૈયાર કરે છે. ઇંટવાની ઘોડીની ઊંચાઈ ખાસ નથી અને તેના ચઢાણ પછીના ઢાળ પર વનવિભાગે લાઇટો પણ મૂકી છે. અગાઉ ૨૦૧૬ની પરિક્રમા દરમ્યાન જોયું હતું કે વનવિભાગ આ ક્ષેત્રમાં એકલદોકલને ચાલવા નહોતા દેતા કેમ કે ત્યાં દિપડાનો રંજાડ છે. ચઢાણ કે ઢાળ પર લિસ્સી થતી જતી માટીના કારણે લપસી પડાતું હોય છે. આ વખતે ઢાળ પર સિમેન્ટ-ક્રોંકીટનું તળિયું છે, જેના કારણે લપસી તો નથી પડાતું પણ ચાલવામાં ઘૂંટણ તથા પંજા પર વધારે ભાર આવે છે.
ધીમે ધીમે ચાલીને, વચ્ચે વિસામા લઈ, એકાદ વાર રસ્તાની બાજુમાં રીતસરના આડા પડી જઈને થાક ઉતારતા ઉતારતા કાળકા માતાના વડલા પાસે આવી, ઝીણા બાવાની મઢી પહેલાં ડાબી બાજુએ આગળ જઈ, લગભગ ચૌદેક કિલોમીટર ચાલ્યા પછી એક સ્ટોલના મંડપમાં લંબાવ્યું. સાથી મિત્રો ઝીણા બાવાની મઢી તથા મંદિરના દર્શને ગયા. મઢીની અંદર રામનાથ મહાદેવનું મંદિર અને ઝીણાબાવાનો ધૂણો છે. બાજુમાં મુંબઈથી આવેલા સંઘના લોકો સૂઈ રહ્યા છે. તેઓ પણ દર વર્ષે પરિક્રમામાં જોડાય છે. આસપાસ દૂર દૂર સુધી તાપણાં દેખાય છે. રસોઈ માટેનાં તાપણાંનો મોડી રાતે ઉપયોગ ઠંડી ઉડાવવા માટે પણ થશે. જો કે ગિરનારના આ ભાગમાં રાતે ઠંડી નથી લાગી રહી. ક્યારેક હળવો પવન વર્તાય છે. રાતે ક્યારેક જાગીને જોઈએ તો ઠરતાં જતાં તાપણાંમાંથી અંગારા ઉડતા દેખાય છે.
વહેલી સવારે ત્રણેક વાગ્યે સરકડિયા હનુમાનની ઘોડીનું ચઢાણ શરૂ કર્યું. ઝીણાબાવાની મઢીથી બે રસ્તા ફંટાય છે. એક રસ્તો માળવેલાની ઘોડી તરફ અને બીજો રસ્તો સરકડિયા હનુમાનની ઘોડી તરફ. મોટા ભાગના લોકો માળવેલાની ઘોડી તરફ જાય છે. સરકડિયા હનુમાનની ઘોડી લાંબી છે, આકરી છે, અને ક્યારે તેનું ચઢાણ પૂરું થશે તેનો ખ્યાલ જ નથી આવતો. આગળ ઉપર જતાં એક જગ્યાએ રસ્તામાં મોટી શિલા છે. તેની બાજુમાંથી માત્ર એક જ માણસ જઈ શકે અને તેની જમણી બાજુએ ખાઈ છે ! આ ભાગ ભયજનક છે. આગળ ઉપર જતાં લિસ્સી માટી લપસાવે છે. ઘણી બધી વાર આગળ બાજુએ નમીને જ ચાલવું પડે છે. ચઢાણ લગભગ પૂરું થવા આવ્યું છે. ધીરે ધીરે અને મક્કમ રીતે ચાલીને ઉપર જઈ એક બાજુએ અમે સહુ આડા જ પડી ગયાં. ઉપર આકાશમાં ટમટમતા તારા, આસપાસ મૌન ધારણ કરીને ઊભેલા પહાડો, ઠંડો ઠંડો મંદ મંદ પવન, વૃક્ષોનાં પાંદડાંનો અવાજ અને નીચે દૂર દૂર દેખાતો હસનાપુર ડેમ. ક્યારે આંખ મિંચાઈ ગઈ તેની ખબર જ ના રહી. હળવે હળવે આંખો ખૂલી અને જોયું તો જમણી બાજુના પહાડના માથા પરથી સૂર્યના કિરણો આસપાસમાં ફેલાઈ રહ્યાં છે. રમેશ પોતાનાં ખેતરમાંથી લીમડાનાં દાતણ લાવ્યા છે અને અમને સહુને આપી રહ્યા છે.
થોડુંક ઉપર ચઢી, ટોચ પર થોડીક વાર ઊભા રહી, ઢાળ ઉતરવા માંડ્યા. આજે શુક્રવારે મોડી રાતે અથવા શનિવારે વહેલી સવારે ગિરનાર તળેટી પહોંચી જવું છે એટલે આજે લગભગ પચીસેક કિલોમીટર ચાલવું જ પડશે. સરકડિયા હનુમાન મંદિરમાં દર્શન કર્યા. મંદિરની આસપાસની જગ્યામાં થતું નવું બાંધકામ જોઈ આશ્ચર્ય પણ થયું. માથા પર તાપ આવી રહ્યો છે અને આ વર્ષે બપોરનો તાપ આકરો લાગી રહ્યો છે. માળવેલા જતા રસ્તામાં વહેળાને જોઈને મન રોકી ના શકાયું. માળવેલાની જગ્યામાં મહાકાળીમાતા, શાંતિનાથ મહાદેવ તથા ભૈરવનાથનું મંદિર છે. પુરાણોમાં એવા ઉલ્લેખ છે કે પરશુરામનો આશ્રમ અહીં હતો તથા રામગંગાનું વહેણ અહીં છે. બપોર આકરો બને તે પહેલાં નળ પાણીની ઘોડી પસાર કરી બોરદેવીની જગ્યામાં પહોંચી જવું છે, જેથી થોડોક આરામ કરીને મોડી રાતે ભવનાથ તળેટી પહોંચી શકાય.
નળ પાણીની ઘોડીના ચઢાણ પહેલાં વિજયે મારો થેલો ઊંચકી લીધો છે અને તેના કારણે મને રાહત છે. ટોચ પર પગથિયાંને કારણે ચઢવામાં રાહત છે. અગાઉ આ જગ્યાએ લિસ્સી માટીને કારણે લોકો લપસી પડતા. ભીડ સતત વધી રહી છે અને એકદમ ધીમે ધીમે આગળ વધી શકાય છે. અહીં ટોચ પરના ટાવરમાં વનકર્મીઓ પરિક્રમામાં જોડાતા લોકોની ગણતરી કરે છે. ટોચ પર ચઢીને તરત જ ઉતરવાના પગથિયાં શરૂ થઈ જાય છે આ ભાગ સાંકડો થઈ જાય છે અને લોકોની ધીરજ પણ ખૂટતી જાય છે. આ બાબત ક્યારેક જોખમી બની શકે છે.
બોરદેવીની જગ્યામાં પહોંચતા અંધારું થઈ ગયું. અહીં આડા પડેલા થડ પર બેઠા. બાજુમાં એક યુવાન તેના કેમેરાથી ફોટા પાડી રહ્યો છે. થોડી વારે તેણે પૂછ્યું, “તમે સંજય ચૌધરી ને ?” પછી તો નિરાંતે વિસ્તારથી વાત થઈ. શ્યામ ખંભોળજા વલ્લભવિદ્યાનગર સ્થિત બી એન્ડ બી પોલિટેકનીકમાં ફિઝીક્સના અધ્યાપક છે. તેમની આ પહેલી પરિક્રમા છે. તેમણે પરિક્રમા પૂરી કર્યા પછી તેમણે તૈયાર કરેલો કલાત્મક વીડિયો મોકલ્યો છે. જે અહીં મેં મૂક્યો છે. તેઓ ફેસબુકમાં એક્ટિવ નથી અને ઇન્ટાગ્રામમાં તેમની આઈ.ડી. છે – Shyam3n
રાતે બોરદેવી માતાના દર્શન કરી, થોડોક આરામ કરીને વહેલી સવારે ભવનાથ તળેટી તરફ ચાલ્યા. ખાસ ભીડ નથી એટલે ઘૂળ પણ ઉડતી નથી. તળેટી પહોંચી ગયા ત્યારે સવારના લગભગ ત્રણ વાગ્યા હતા. આસપાસના મંદિરોમાં ભજનો ગવાઈ રહ્યા છે. ભવનાથ મંદિરે મહાદેવના દર્શન કરીને ઘોરાજી નીકળી ગયા. ગિરનાર પરિક્રમા દરમ્યાન થયેલા અન્ય અનુભવો વિશે વિસ્તારથી લખવું છે.
રમેશભાઈની ભાણેજ કોમલ તથા ભાણેજજમાઈ પીયૂષ ધોરાજી રહે છે. પીયૂષ સર્વ શિક્ષા અભિયાનમાં નોકરી કરે છે. કોમલ નાનપણમાં તેના રમેશમામાને ત્યાં બાપુપુરા રહેલી એટલે અમારાથી થોડીક પરિચિત પણ છે. પીયૂષની સાથે તેમના પડોશી મિત્ર શૈલેશભાઈ બાલધા તથા તેમના બે દીકરા પરિક્રમામાં અમારી સાથે જોડાયેલા અને ઝડપથી ચાલતા તેથી અમારી આગળ રહેલા. કોમલ – પીયૂષના ઘરે આરામ કરી સવારે નવેક વાગ્યે સહુ તૈયાર થઈ ગયા.
તેમની બે દીકરીઓ કેયા તથા જીસાનો પણ પરિચય થયો. જીસા દોઢેક વર્ષની છે. તેને શરૂઆતમાં અમારા સહુમાં રસ નહીં પડેલો. પછી તેણે તેની ભાષામાં અમારા સહુ સાથે સંવાદ શરૂ કર્યો. ભલે અમને તે સમજાતું નહોતું પણ તેમાં સૂર તો પૂરાવતા રહ્યા.
શૈલેશભાઈને દોરી બનાવવાની ફેકટરી તેમ જ વાડી પણ છે. તેમનાં પત્ની સોનલબહેન ઘોરાજીમાં કોર્પોરેટર છે. નીકળતી વખતે કોમલ તથા તેનાં સાસુએ અમે સોમનાથથી વળતી વખતે તેમના ઘરે ભોજન માટે આવીએ તે માટે ખાસ આગ્રહ રાખેલો. મહેમાનોની આગતા સ્વાગતા માટે તત્ત્પર આ કુટુંબના સહુ સભ્યો તેમ જ તેમના પડોશીઓના ચહેરા ખાસ યાદ રહેશે.
સોમનાથ પહોંચ્યા અને તે જ વખતે થતી આરતીનો લાહવો મળ્યો. આરતી પછીના સુંદર અને સ્પષ્ટ મંત્રોચ્ચાર મનને અપૂર્વ શાંતિનો અનુભવ કરાવે છે. સામે સમુદ્ર હિલોળે ચઢ્યો છે. ઇચ્છા તો થાય કે ત્યાં જ બેસી રહીએ. સોમનાથદાદાના દર્શન કરી અમે સહુ નીકળ્યા. ભાઈ વિજયે થાક્યા વગર સરસ રીતે ઇનોવા ચલાવી રવિવારે વહેલી સવારે અમદાવાદ પહોંચાડી દીધા. ગિરનારની પરિક્રમા પૂરી કરીને આવીએ એટલે ઘરમાં થોડાક દિવસ માટે ચેન નથી પડતું. તે સ્થળ જ એવું છે તથા તેનું મહાત્મ્ય જ એવું છે કે તે સતત યાદ આવ્યા જ કરે.
જય ગિરનારી.
સૌજન્ય : સંજયભાઈ ચૌધરીની ફેઇસબૂક દીવાલેથી સાદર