નિર્દેશક રામ ગોપાલ વર્માનો હિન્દી સિનેમામાં સિતારો ચમકતો હતો ત્યારે, 2003માં તેમણે અંતરા માલી નામની યુવા એક્ટ્રેસને લઈને ‘મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં’ નામની ફિલ્મ બનાવી હતી. તે વખતે માધુરી દીક્ષિત એટલી મોટી સ્ટાર હતી કે ભારતનાં ગામડાઓમાંથી અનેક છોકરીઓ તેની દીવાની હતી અને તેના દેખાદેખી સ્ટાર બનવાનાં સ્વપ્ન લઈને મુંબઈ આવતી હતી. વર્માએ એ સ્ટારડમને અંજલિ આપવા માટે માધુરીના નામ પર ફિલ્મ બનાવી હતી.
આવું પહેલીવાર નહોતું થયું. હિન્દી સિનેમામાં વખતો વખત મોટી એક્ટ્રેસના નામ પર ફિલ્મો બની હોય તેવા અનેક દાખલા છે. જેમ કે, 1977માં પ્રમોદ ચક્રવર્તીએ ફિલ્મી મેગેઝીનોમાં ડ્રીમગર્લ તરીકે ખ્યાતિપ્રાપ્ત સુપરસ્ટાર હેમા માલિનીને લઈને એ જ ટાઈટલથી ફિલ્મ બનાવી હતી.
પોતાના જ નામ પરથી ફિલ્મ બની હોય તેની શરૂઆત નરગિસથી થઇ હતી. 1946માં, ડી.ડી કશ્યપ નામના નિર્દેશકે તે વખતે એક મોટી સ્ટાર તરીકે સ્થાપિત થઇ ચુકેલી નરગિસના નામને વાપરીને ‘નરગિસ’ નામની ફિલ્મ બનાવી હતી. ડેવિડ અબ્રાહમ અને રહેમાન સાથેની આ ફિલ્મ વાર્તાની દૃષ્ટિએ આમ તો યાદ રાખવા જેવી નહોતી, પરંતુ નરગિસનો સિક્કો બોક્સ ઓફિસ કેવો ખનકતો હતો તે પુરવાર કર્યું હતું.
ચાર વર્ષ પછી આવી જ એક બીજી ફિલ્મ આવી. આ વખતે નરગિસની સમકાલિન અને હરીફ મધુબાલાનો વારો હતો. રણજીત મૂવીટોન ફિલ્મ સ્ટુડીઓના બેનર હેઠળ, પ્રહ્લાદ દત્ત નામના નિર્દેશકે તે વખતની સ્ટાર મધુબાલાના નામને બોક્સ ઓફિસ પર વટાવવા માટે ‘મધુબાલા’ નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મ તદ્દન ભંગાર હતી અને તેણે મધુબાલાની કારકિર્દીને ફાયદો કરવાને બદલે નુકસાન કર્યું હતું. દેવ આનંદ સાથે મધુબાલાની આ બીજી ફિલ્મ. ત્રણ મહિના પહેલાં જ બંનેની ‘નિરાલા’ ફિલ્મ આવી હતી. એ પછી બંનેએ બીજી છ ફિલ્મોમાં કામ કર્યું હતું.
‘મધુબાલા’ એક જ કારણસર યાદ રહે તેવી છે : આ ફિલ્મ તેણે રણજીત મૂવીટોનના માલિક ચંદુલાલ શાહના ભત્રીજા રતિભાઈ શેઠનું અહેસાન ઉતારવા માટે કરી હતી. એ અહેસાનની વાર્તા દિલચસ્પ છે. મધુબાલા અત્યંત ગરીબ પરિવારમાંથી આવી હતી. મુમતાઝ જહાં બેગમ દહેલવી તરીકે દિલ્હીમાં પાંચમા નંબરે જન્મેલી (એ પછી એને બીજાં છ ભાઈ-બહેન થયાં હતાં) મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાનની નોકરી જતી રહી એટલે તેમનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. અહીં, 8 વર્ષની મુમતાઝે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું. એ પછી તે આખી જિંદગી એક માત્ર કમાઉ દીકરી તરીકે તેના વિશાળ પરિવારની સંભાળ રાખવાની હતી.
બોમ્બે ટોકીઝના જનરલ મેનેજર રાય બહાદુર ચુન્નીલાલની ભલામણથી બેબી મધુબાલાને 1942માં આવેલી ‘બસંત’ ફિલ્મમાં દોઢસો રૂપિયાના પગારે કામ મળ્યું હતું. એ ફિલ્મ સફળ રહી અને બેબી મધુબાલા સૌના ધ્યાનમાં આવી, પણ પછી કામ ન મળ્યું એટલે પરિવાર પાછો દિલ્હી જતો રહ્યો. 1944માં, બોમ્બે ટોકીઝની માલિક દેવિકા રાણીએ ખાનને કહેણ મોકલ્યું કે તેમને (દિલીપ કુમારની) ‘જ્વાર ભાટા’ ફિલ્મમાં મધુબાલાની જરૂર છે. એ ફિલ્મ પણ હાથમાંથી નીકળી ગઈ, પણ આ વખતે ખાન પરિવારે નક્કી કર્યું કે હવે મુંબઈમાં જ રહીને ચંપલ ઘસવા છે.
એમાં રણજીત મૂવીટોનના ચંદુલાલ શાહે મહિનાના 300 રૂપિયાના પગારે મધુબાલાને નોકરી આપી. ચંદુલાલ શાહ મૂળ જામનગરના હતા અને મુંબઈની સિડનહામ કોલેજમાં ભણ્યા હતા. તેમના એક ભાઈ જે.ડી. શાહ ધાર્મિક ફિલ્મો લખતા હતા. ચંદુલાલ ઢંગની નોકરી શોધતા હતા ત્યારે સમય પસાર કરવા માટે ભાઈને મદદ કરતા હતા. એમાંથી તેમને ફિલ્મોનો નાદ લાગ્યો અને ધીમે-ધીમે આગળ એવા વધ્યા કે 1929માં ખુદનો રણજીત સ્ટુડિયો ઊભો કર્યો. આ સ્ટુડિયો વર્ષે છ ફિલ્મો બનાવતો હતો અને તેમાં 300 લોકો કામ કરતા હતા.
રણજીત મૂવીટોનની બધી ફિલ્મોમાં મધુબાલાએ બેબી મુમતાઝ નામથી કામ કર્યું હતું. એટલી નાની ઉંમરે એ ઘરનો ‘કમાઉ દીકરો’ હતી. મધુબાલા 13 વર્ષની હતી ત્યારે, 1946માં, તેની માતા આયેશા બેગમ પેટથી હતી ત્યારે ગંભીર રીતે બીમાર પડી અને તેને હોસ્પિટલમાં ખસેડવી પડી. ડોકટરે સર્જરી કરવાની ભલામણ કરી, પણ સમસ્યા પૈસાની હતી. મધુબાલાનો પગાર 300 રૂપિયાનો હતો અને સર્જરીનો ખર્ચો 2,000નો હતો.
પિતા અને પુત્રી રણજીત સ્ટુડિયોના માલિક ચંદુલાલના ભત્રીજા રતિભાઈ શેઠ પાસે ગયા અને મદદ માગી. તેમણે તાબડતોબ 2,000 રૂપિયાની વ્યવસ્થા કરી આપી. મધુબાલાએ તેને યાદ કરીને વર્ષો પછી કહ્યું હતું, “તેમણે અમને થેંકયુ કહેવાનો પણ સમય આપ્યો નહતો. પૈસા આપીને તરત જ હોસ્પિટલ તરફ દોડવા કહ્યું હતું.”
મધુબાલાનો એ ચઢતો સિતારો હતો અને થોડાં જ વર્ષોમાં એ મોટી સ્ટાર બની ગઈ. એ વર્ષોમાં તેની ત્રણ મોટી ફિલ્મો આવી હતી; 1947માં રાજ કપૂર સાથે ‘નીલ કમલ’ અને ‘દિલ કી રાની,’ અને 1949માં અશોક કુમાર સાથે ‘મહલ.’ તે વખતે તેની ફી એક લાખ રૂપિયા હતી. બીજી બાજુ, ચંદુલાલ શાહના રણજીત સ્ટુડિયોની પડતી શરૂ થઇ હતી અને તેને પાછો બેઠો કરવા માટે રતિભાઈ શેઠે મધુબાલાનો સંપર્ક કરવાનું નક્કી કર્યું જેનું નામ તેમના ડૂબતા જહાજને બચાવે તેવું હતું.
મધુબાલાએ તેને યાદ કરીને કહ્યું હતું, “તેમની વિનંતી આવી ત્યારે મારે અમુક મોટી ફિલ્મો જતી કરવી પડે તેમ હતું અને અમુકને તો પૈસા પણ પાછા આપવા પડે તેમ હતા. મારી તકલીફના સમયમાં તેમણે મને મદદ કરી હતી અને હવે મારો વારો હતો. મેં એમનું મારું નામ પણ વાપરવા દીધું.”
રણજીત સ્ટુડિયોએ મધુના સ્ટાર-પાવરનો ઉપયોગ કરવા ‘મધુબાલા’ નામથી જ ફિલ્મ બનાવાનું નક્કી કર્યું હતું. મધુબાલાએ માત્ર ભૂતકાળના અહેસાન હેઠળ જ આ ફિલ્મ કરી હતી. દેવ આનંદનો સિતારો પણ ત્યારે ચઢતો હતો. તેની ઉપરા-છાપરી બે ફિલ્મો, જિદ્દી અને વિદ્યા, હિટ સાબિત થઇ હતી. તેમને જ્યારે મધુબાલા સાથે રણજીત સ્ટુડિયોની ફિલ્મ કરવાની ઓફર મળી તો તરત જ સ્વીકારી લીધી.
બદનસીબે, ‘મધુબાલા’ થિયેટરોમાં પીટાઈ ગઈ. એમાં મધુ કે દેવનું તો ખાસ નુકસાન ન થયું, પણ ચંદુલાલના સ્ટુડિયોના પતનમાં ઔર ગતિ આવી. થોડાં જ વર્ષોમાં સ્ટુડિયો ખતમ થઇ ગયો અને જુગાર તેમ જ રેસિંગના રવાડે ચઢી ગયલા ચંદુલાલ બેસ્ટની બસોમાં ફરતા થઇ ગયા.
‘મધુબાલા’ની સમીક્ષામાં, તે વખતના તેજાબી પત્રકાર બાબુરાવ પટેલે તેમના ‘ફિલ્મઇન્ડિયા’ સામયિકમાં લખ્યું હતું, “રણજીતે એકલા હાથે જેટલા સ્ટાર્સની કતલ કરી છે એટલી છ સ્ટુડિયો ભેગા થઇને પણ નથી કરી. આ વખતે તેણે ભારતની વીનસ (શુક્ર) કહેવાતી મધુબાલાની કતલ કરી છે. નિર્દેશક પ્રહ્લાદ દત્ત પર ફિલ્મો બનાવવાનો પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.”
ફિલ્મ એક એવી છોકરી (મધુ) વિશે હતી જેને પિતાના લખલૂટ દોલત અને હૃદયની બીમારી વારસામાં મળી છે. એ હવાફેર માટે ગામડાંમાં રહેવા જાય છે જ્યાં તે અશોક (દેવ) નામના યુવાનના પ્રેમમાં પડે છે. બંને શહેર પાછાં આવે છે ત્યારે કાલીચરણ (જીવણ) મધુની દોલત માટે કાવતરાં ઘડે છે.
યોગાનુયોગ, મધુબાલાને અસલ જીવનમાં પણ જન્મથી જ, જેને આપણે હૃદયમાં કાણું કહીએ છીએ તે, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડીફેક્ટ નામની બીમારી હતી અને તેમાં જ તેનું અવસાન થયું હતું. આજના કોઈ ફિલ્મ સર્જકે 1950ની ફિલ્મ ‘મધુબાલા’ ફિલ્મમાં સુધારા-વધારા કરીને રીમેક કરવી જોઈએ.
પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 17 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર