2002માં મનોવૈજ્ઞાનિક થ્રિલર ‘ઇન્સોમેનિયા,’ 2005થી 12 વચ્ચે સુપરહીરો બેટમેન ટ્રીઓલોજી ‘ધ ડાર્ક નાઈટ,’ 2010માં સાયન્સ ફિક્શન ‘ઇન્સેપ્શન,’ 2014માં સાયન્સ-ફિક્શન ‘ઇન્ટરસ્ટેલર,’ 2017માં યુદ્ધ ફિલ્મ ‘ડનકિર્ક’ અને 2020માં સાયન્સ એક્શન થ્રિલર ‘ટેનેટ’ જેવી એક એકથી ચઢિયાતી ફિલ્મો આપનારા ફિલ્મ નિર્દેશક ક્રિસ્ટોફર નોલન નવી કઈ ફિલ્મ લઈને આવશે, તેનો દુનિયા ભરના ફિલ્મ દર્શકોને ઇન્તજાર હતો. એ પૂરો થયો છે. 21મી જુલાઈના રોજ તેમની 12મી અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘ઓપનહેઈમર’ આવી રહી છે.
આ ફિલ્મ કેમ મહત્ત્વાકાંક્ષી છે? કારણ કે એમાં માનવ જાતના એક એવા ઇતિહાસની વાત છે જેનાં, સારાં કે ખોટાં, ફળ આજે પણ આપણે ભોગવી રહ્યાં છીએ અને જ્યાં સુધી પૃથ્વી પર જીવન છે ત્યાં સુધી તે ભોગવતા રહીશું. તમને ઓપનહેઈમરનું નામ ખબર ન હોય તે શક્ય છે, પણ તમને એટમ બોમ્બની તો ખબર હશે જ. કોને ન હોય? ભારત સહિત વિશ્વના 9 દેશો પાસે માનવ જાતને ભસ્મ કરી નાખવાની તાકાતવાળા એટમ બોમ્બ છે. બીજા અન્ય દેશો પણ તેને બનાવાની મથામણ કરી રહ્યા છે.
આ બોમ્બ પેદા કરવાનું ‘પાપ’ ઓપનહેઈમર નામના વિજ્ઞાનીના નામે દર્જ છે. તેમનું આખું નામ જે. રોબર્ટ ઓપનહેઈમર છે. બીજા વિશ્વયુદ્ધના સમયે, અમેરિકાએ ઇતિહાસનો પહેલો એટમ બોમ્બ બનાવવા માટે જે કાર્યક્રમ ઘડ્યો હતો, જેને મેનહટન પ્રોજેક્ટ કહેવાય છે, તેની આગેવાની આ ઓપનહેઈમરે લીધી હતી.
એટમ બોમ્બને તમે કયા દૃષ્ટિકોણથી જુવો છો તે પ્રમાણે તમે ઓપનહેઈમરને આધુનિક ઇતિહાસના મહાનાયક અથવા ખલનાયક તરીકે જોઈ શકો, પણ એક વાત નિશ્ચિત છે કે માનવ ઇતિહાસની કહાની ઓપનહેઈમરની કહાની વગર અધૂરી છે. ક્રિસ્ટોફર નોલને, હોલિવૂડના પડદા પર તેની આ રોમાંચક અને વિવાદાસ્પદ કહાની કહેવાનું બીડું ઝડપ્યું છે.
ઓપનહેઈમરને કેમ મહાનાયક અથવા ખલનાયક નક્કી કરવાનું મુશ્કેલ છે? આ પ્રશ્ન સમજવા માટે, ગ્રીક પુરાણકથાઓના એક નાયક પ્રોમેથિયસની વાર્તા જાણવી જોઈએ.
ગ્રીક પુરાણમાં, પ્રોમેથિયસ નામનો એક યુવાન દેવ સ્વર્ગમાંથી આગને ચોરીને પૃથ્વી પર લાવ્યો હતો અને મનુષ્યોને તેની ભેટ આપી હતી. સ્વર્ગના દેવોને એવો ડર લાગ્યો કે મનુષ્યો આગમાંથી જ્વાળા બનાવશે, જ્વાળામાંથી બત્તીઓ બનાવશે, બત્તીઓમાંથી તેમને સૂર્યની ઉર્જા એકઠી કરવાની પ્રેરણા મળશે અને સૂર્યની ઉર્જાથી તેઓ એટલા પ્રગતિશીલ બની જશે કે ગ્રીક દેવતાઓને ઉથલાવીને ખુદ દેવ બની જશે. પરિણામે, ઝીયસ નામનો દેવ ગુસ્સે થયો અને પ્રોમેથિયસને તેના આ અપરાધ બદલ એક પર્વત પર સાંકળોથી બાંધી દેવાની સજા ફરમાવી, જ્યાં તેને ગીધો આજીવન ચાંચ મારતાં રહ્યાં.
કંઇક આવું જ ઓપનહેઈમરના કિસ્સામાં બન્યું હતું. એક તરફ તેણે પાર્ટિકલ ફીઝિક્સના વિજ્ઞાનનો આધાર લઈને, યુરેનિયમમાંથી એક એવી ઊર્જા છૂટી પાડવાની ટેકનિક વિકસાવી હતી, જેણે મનુષ્યને અમર્યાદિત તાકાત પ્રદાન કરી હતી, અને બીજી તરફ, એ તાકાતે એવી સંભવાનાને જન્મ આપ્યો હતો કે ઘડીના છઠ્ઠા ભાગમાં માનવ જાત તબાહ થઇ જાય.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, 1938માં, જર્મન રસાયણશાસ્ત્રી ઓટ્ટો હાન અને ફ્રિત્ઝ સ્ટ્રાસમેને સૈદ્ધાંતિક રીતે (કાગળ પર) પુરવાર કર્યું હતું કે અણુને તોડીને તેમાંથી મોટી માત્રામાં ઊર્જા છૂટી પાડી શકાય છે. તેનાં પગલે, અમેરિકા, ગ્રેટ બ્રિટન અને કેનેડામાં આવીને વસેલા નાઝી જર્મની અને અન્ય ફાસિસ્ટ રાષ્ટ્રોના રેફ્યુઝી વૈજ્ઞાનિકોને એવો ડર લાગ્યો હતો કે હિટલરનું જર્મની જો એટમ બોમ્બ બનાવશે તો, યુદ્ધ જીતવાનું તો અસંભવ બની જ જશે, પણ હિટલર પશ્ચિમનાં રાષ્ટ્રોને તબાહ કરી નાખશે.
આ વૈજ્ઞાનિકોએ અમેરિકન સરકારને તેમની ચિંતા પહોંચાડી હતી. વિશેષ તો, ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને (જે યહૂદી હોવાના કારણે નાઝીઓના ત્રાસથી અમેરિકા નાસી આવ્યા હતા) 1939માં, રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટને એક પત્ર લખીને ચેતવણી ઉચ્ચારી હતી કે નાઝીઓ એક એવો બોમ્બ બનાવી રહ્યા છે જે સામૂહિક નરસંહાર નોતરશે. પાછળથી જો કે આઇન્સ્ટાઇને આ પત્ર લખવા બદલ અફસોસ થયો હતો.
વૈજ્ઞાનિકોની ચિંતાથી પ્રેરાઈને, રૂઝવેલ્ટના વહીવટીતંત્રએ, યુ.એસ. કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના મેજર જનરલ લેસ્લી ગ્રોવ્સની આગેવાનીમાં મેનહટન પ્રોજેક્ટ (કાર્યક્રમ મેનહટ શહેરની એક લેબોરેટરીમાં હાથ ધરવામાં આવ્યો હતો) માટે પરવાનગી આપી હતી. આ પ્રોજેક્ટના વડા તરીકે ન્યુક્લિયર ફીઝિસિસ્ટ રોબર્ટ ઓપનહેઈમરની નિમણૂક કરવામાં આવી હતી. 1942થી 1946 સુધીમાં અહીં ઇતિહાસનો પહેલો એટમિક બોમ્બ બનાવામાં આવ્યો હતો.
ઓપનહેઈમર, 1904માં, ન્યૂયોર્કના યહૂદી પરિવારમાં પેદા થયો હતો. તે રસાયણમાં હાર્વર્ડ કોલજમાંથી ગ્રેજ્યુએટ થયો હતો. કોલજના વખતથી જ તેને કોલાઇટિસની બીમારી હતી. કોલેજના નિયમ મુજબ, રસાયણશાસ્ત્રની સાથે તે સાહિત્ય, ઇતિહાસ, ફિલોસોફી અને ગણિત પણ ભણ્યો હતો. 1924માં તે ભૌતિકશાસ્ત્રનું ભણવા માટે કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ ગયો હતો. 1926માં તે જર્મનીની ગોટિન્જન યુનિવર્સિટીમાં જોડાયો હતો. અહીં તે પાર્ટિકલ ફીઝિક્સમાં માસ્ટર બન્યો હતો. અમેરિકા પાછા આવીને તેણે ઘણાં વર્ષો સુધી કોલેજોમાં ભણાવાનું કામ કર્યું હતું.
ઓપનહેઈમર ઊંચો, પાતળો અને ચેઈન-સ્મોકર હતો. તે ભણતી વખતે, પ્રયોગ કરતી વખતે લાંબા સમય સુધી ખાવાની ઉપેક્ષા કરતો હતો. કેમ્બ્રિજના તેના પરિચિતો અનુસાર, તેનામાં આત્મનાશી (સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ) વૃત્તિ હતી. તેનામાં ઊંડું ડિપ્રેશન હતું. તેના ભાઈને એકવાર તેણે કહ્યું હતું, “મને મિત્રો કરતાં ફીઝિક્સની જરૂરિયાત છે.
ઓપનહેઈમરને વિજ્ઞાન ઉપરાંત આધ્યામિકતામાં રસ પડ્યો હતો. વિશેષ તો તે સંસ્કૃત ભાષા શીખ્યો હતો (એ તેની આઠમી ભાષા હતી). તેના કારણે જ તેને સંસ્કૃતમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદો વાંચવાનું મન થયું હતું. પાછળથી તેણે કહ્યું હતું તેનું જીવનદર્શન ગીતા વાંચીને કેળવાયું છે.
1940માં, નાઝીઓના હાથે ફ્રાન્સનું પતન થયું પછી મિત્ર-રાષ્ટ્રોમાં ચિંતા પેઠી હતી. ઓપનહેઈમરને પણ એવું લાગેલું કે ફાસિવાદને જો રોકવામાં નહીં આવે તો પશ્ચિમી સભ્યતા ખતમ થઇ જશે. એટલે, અમેરિકાએ યુદ્ધના ધોરણે એટમ બોમ્બ બનાવાનું નક્કી કર્યું ત્યારે, ઓપનહેઈમરે એમાં જોડાવા માટે હામ ભરી હતી. 1945ના જુલાઈમાં, ન્યૂ મેક્સિકોના રણમાં પહેલો બોમ્બ ફોડવામાં આવ્યો. બીજા મહિને, હિરોશીમા અને નાગાસાકી પર બે બોમ્બનો અસલી પ્રયોગ કરવામાં આવ્યો. જાપાન તત્કાળ શરણે આવી ગયું.
પહેલા બોમ્બના પ્રયોગનું સાંકેતિક નામ ‘ટ્રિનિટી ટેસ્ટ’ રાખવામાં આવ્યું હતું. આ ટેસ્ટ ઐતિહાસિક હતો. દુનિયાએ પહેલીવાર આવી વિધ્વંશક તાકાત જોઈ હતી. તેની સફળતાથી ઓપનહેઈમરને તત્કાળ બોમ્બની અસલી તાકાતની ખબર પડી ગઈ હતી. આ ટેસ્ટ સંદર્ભમાં, 1961માં એક ઇન્ટરવ્યૂમાં તેની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો, ઓપનહેઈમરે ગીતાનો એક શ્લોકને ટાંકીને કહ્યું હતું :
“મને હિંદુ શાસ્ત્ર ભગવદ્ ગીતાની એ પંક્તિ યાદ આવે છે જ્યારે વિષ્ણુ રાજકુમાર(અર્જુન)ને મનાવાની કોશિશ કરી રહ્યા છે કે એ તેનું કર્તવ્ય નિભાવે, અને તેને પ્રભાવિત કરવા માટે બહુ-સશસ્ત્ર રૂપ ધારણ કરીને કહે છે – ‘હવે હું મૃત્યુ બની ગયો છું, સંસારને નાશ કરવા વાળો.’ મને લાગે છે કે આપણને સૌને કોઈને કોઈ રીતે આ વિચાર આવતો હોય છે.”
જાપાનની તબાહી જોયા પછી ઓપનહેઈમર શાંતિવાદી બની ગયો હતો અને બોમ્બના નિર્માણને નિયંત્રિત કરવાની વકાલત કરવા લાગ્યો હતો. ઓપનહેઈમરને માણસની આ નિર્દયી તાકાતનો અહેસાસ હતો. 1946માં જ તેણે કહ્યું હતું, “મેનહટન પ્રોજેક્ટ પૂરો થયો ત્યારે, અમને પ્રોમેથિયસની દંતકથાનો, માણસે શોધેલી નવી શક્તિના અપરાધબોધનો અહેસાસ થયો હતો.”
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર