તું નથી તો નથી કશું જગમાં,
તું જો છે તો છે વિશ્વ રગરગમાં.
કે દીવો આમ તો છે અંધારું,
જે બધું છે તે માત્ર છે શગમાં.
ક્યાંકથી હોય તો દો અંધારું
ગુમ થઈ જાઉં છું હું ઝગમગમાં.
હોય સામે ને તો ય ના ભાળું,
એમ લાગે કે છું હું કળજગમાં.
જો ખબર હો ન ક્યાં ય પ્હોંચાશે,
તો પછી અર્થ શો રહે ડગમાં?
રોજ ઓછો કરે વધારી એ,
ફેર શું શ્વાસમાં અને ઠગમાં?
ના જીવનમાં કે છું મરણમાં હું,
હું હવે છું કદાચ લગભગમાં.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


દીપાવલીનું પર્વ પ્રકાશનું પર્વ છે, આનંદોલ્લાસનું પર્વ છે. આમ તો આનંદની તકો આપણી પાસે ઓછી જ છે. તે એટલે કે આપણી સગવડોએ આપણને કામમાં નાખી દીધાં છે. આપણને નવરાશ જ નથી ને સાચું પૂછો તો ખાસ કામ પણ નથી. આપણી સગવડો વધી, એથી સુખ વધ્યું, પણ આનંદ વધે એવું દરેક બાબતમાં બન્યું નથી. એટલો પૈસો જરૂર વધ્યો કે સુગર ફેક્ટરી નાખી શકાય, એથી સુખ વધ્યું, પણ ડાયાબિટીસને કારણે ખાંડ ન ખાઈ શકાવાથી મીઠાશનો આનંદ ગયો. આપણે સગવડોથી સુખ વધાર્યું ને આનંદ ઘટાડયો એવું નથી લાગતું?