માન્યું કે અતિક અહમદ સદીનો સૌથી મોટો ગુંડો હતો અને એવો કોઈ ગુનો નહીં હોય જે તેણે નહીં કર્યો હોય, પણ પોલીસની હાજરીમાં, મીડિયાની સામે, તેની હત્યા કરવામાં આવે એનો બચાવ કરી શકાય? ફરિયાદ તો એ જ હતી ને કે તે સામાજિક માનમર્યાદા અને દેશના કાયદાઓનું ઉલ્લંઘન કરતો હતો અને પોતે જે કરે તેને કાયદો સમજતો હતો? જો સામાજિક માનમર્યાદાનું પાલન અને દેશના કાયદાઓનો આદર એ સભ્યતાનો માપદંડ હોય અને જગત આખામાં એ જ માપદંડ હોય છે તો ઉત્તર પ્રદેશની સરકારે જે કર્યું એ સભ્યતા હતી? જે યુવકોએ અતિકની હત્યા કરી એ એવા વર્ગમાંથી આવે છે જે દેશી કટ્ટા પણ ખરીદી શકે તેમ નથી તો તેમની પાસે બે બે લાખની કિંમતની પિસ્તોલ આવી ક્યાંથી?
કોઈ પણ ગુંડો, આય રિપીટ કોઈ પણ ગુંડો, ત્યારે જ સામાજિક અને કાયદાકીય મર્યાદાનું ઉલ્લંઘન કરે જ્યારે તેને ખાતરી હોય કે કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. પ્રજાને ડરાવી શકાય છે અને પ્રજાને ડરમૂક્ત કરવાનુ અને રાખવાનું જેનું કામ છે એને ખરીદી શકાય છે. કાયદાનાં રાજની રખેવાળી કરનારું ન્યાયતંત્ર પાગળું છે અને દેશનાં રાજકારણનું ચારિત્ર્ય ભ્રષ્ટ છે. બાબા, બાહુબલી, ધનપતિ અને નેતાઓની ધરી છે. આ જો વાસ્તવિકતા હોય તો એ વાસ્તવ શું ગુંડાઓએ પેદા કર્યું છે? ગુંડાઓ તો તેનો લાભ લઈ રહ્યા છે જેમ બગલબચાં (ક્રોનીઝ) કુબેરપતિઓ શાસકો સાથેની ભાઈબંધીનો લાભ લઈ રહ્યા છે. ખરા ગુનેગાર એ નથી જે વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે, ખરા ગુનેગાર એ છે જે વ્યવસ્થા બદલતા નથી. વ્યવસ્થા સુદૃઢ હોય તો સાચા લોકો લાભ લે અને વ્યવસ્થા ભ્રષ્ટ હોય તો ખોટા લોકો લાભ લે. ઊલટું એવું બને છે કે સડેલી વ્યવસ્થાની કિંમત સાચા લોકોએ ચૂકવવી પડે છે.
પોલીસ દ્વારા કરવામા આવતા એન્કાઉન્ટરનો કે પસંદગીના લોકોની કરવામા આવતી હત્યાઓનો બચાવ કરનારા લોકો કાં નાગરિક તરીકે ગમાર છે અથવા હિંસક મનોવૃત્તિ ધરાવે છે. હત્યારા એ જ નથી કરતો જે પ્રત્યક્ષ હત્યા કરે છે, પણ હત્યારા એ પણ કરે છે જે પસંદગીનાં ધોરણે હત્યાનું સમર્થન કરે છે. આવા લોકોએ હજુ માણસ અને જવાબદાર રાજ્યના પ્રગલ્ભ નાગરિકો બનવાનું બાકી છે. રાજ્ય જો ગુનેગારને અદાલતમાં ગુનેગાર ઠેરવીને સજા ન કરી શકતું હોય તો રાજ્ય નપુંસક છે. નપુંસક રાજ્યનું સમર્થન કરવાનું ન હોય પછી શાસકો આપણા હોય કે આપણને ન ગમતા હોય.
કાયદાનું રાજ માંનાં ધાવણ જેવું હોય છે. આમ કહેતી વખતે હું જરા ય અતિશયોકિત નથી કરતો. ભારતની પ્રજાને નાત જાત વંશ અને ધર્મનો પક્ષપાત ધરાવતા શાસકો પુરસ્કૃત અરાજકતાનો અનુભવ નથી. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં બાપુઓનાં રાજમાં અને અંગ્રેજી રાજ આવ્યું એ પહેલાં મહારાષ્ટ્રમાં પેશાવાઓનાં રાજમાં લોકોને આનો અનુભવ થયો હતો, પણ એ તો સાવ મામૂલી હતો. લોકોએ દીવા પ્રગટાવીને અંગ્રેજી રાજને આવકાર્યું હતું. અત્યારે સુદાન તરફ નજર કરો. પક્ષપાતી શાસકોની રાજ્યપુરસ્કૃત હિંસા અત્યારે અરાજકતામાં ફેરવાઈ ગઈ છે. હાહાકાર મચ્યો છે. આવા બીજા અનેક દેશો હતા અને છે. આજે તમે જેને દુ:શ્મન માનો છો એનું ઢીમ ઢળશે અને કાલે આપણા લાડકવાયાનું પણ ઢીમ ઢળી શકે છે. ગોળી અને પૈસો ધર્મનિરપેક્ષ હોય છે.
અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૨૦૦૭ની વાત છે. ઉત્તર પ્રદેશના અત્યારના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ત્યારે લોકસભાના સભ્ય હતા. એ વખતે તેમના મતદારક્ષેત્ર ગોરખપુરમાં કોમી હુલ્લડો થયાં હતાં અને તે સમયના મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવે યોગી આદિત્યનાથને કોમી દ્વેષ ફેલાવવાના અને દંગાફિસાદ કરવાના આરોપ હેઠળ જેલમાં ધકેલી દીધા હતા. તેમના ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથે લોકસભામાં અક્ષરસઃ રડતાંરડતાં તેમની સાથે કરવામાં આવતા અત્યાચારોનું બયાન કર્યું હતું. ખાતરી કરવી હોય તો યુ ટ્યુબ ઉપર એ કલીપ જોવા મળશે.
લોકસભાના સભ્ય, ગોરખનાથના પ્રતિષ્ઠિત મંદિરના મહંત, વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન સંઘપરિવારના અને ભારતીય જનતા પક્ષના સભ્ય, જે માણસ પોતાની સેના ધરાવે છે એમ દરેક પ્રકારની તાકાત ધરાવનારા યોગી આદિત્યનાથ રડે? અત્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં જે કરી રહ્યા છે એ કરતાં પહેલાં તેમણે ૨૦૦૭ની એ ઘટના અને પોતાનાં લોકસભાના ભાષણને યાદ કરવાં જોઈએ. જવાબદાર રાજ્ય જો તમને વહાલું લાગતું હોય, શ્રેયસ્કર લાગતું હોય તો એ બીજા માટે પણ શ્રેયસ્કર છે. અને સૌથી વધુ તો આપણને શ્રેયસ્કર લાગવું જોઈએ, કારણ મારી, તમારી પાસે ૨૦૦૭માં યોગી આદિત્યનાથ પાસે જે તાકાત હતી એના હજારમાં ભાગની પણ નથી.
માટે કાયદાનું રાજ માનાં ધાવણ જેવું હોય છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2023