કહું, મને કટેવ
સૌરાષ્ટ્રમાં ‘અબખે પડી જવું’ એક સૂચક શબ્દપ્રયોગ છે. એનો અર્થ થાય છે કે કોઈ ભાવતી વાનગીને પણ વારંવાર આરોગવામાં આવે કે આગ્રહ સાથે એને વારંવાર પીરસવામાં આવે, તો એક તબક્કે એ ભાવતી વાનગી પણ ‘અબખે’ પડવા માંડે છે. લોક એનાથી મોં ફેરવી લે છે. એ પ્રિય વાનગી પણ એ રીતે મોંએથી વિનાવાંકે જાકારો પામે છે. (‘અબખે’ એ ‘અકારી’ કે ‘અણગમા’ જેવો પણ એની થોડી ઓછી માત્રા અને ભિન્ન અર્થચ્છાયા ધરાવતો શબ્દ છે.) આ એક માનસિક પ્રત્યાઘાત (Bouncing back) છે. સ્ક્રૂને માપસર પીલવાથી એ લાકડામાં ફિટ થઈ જાય છે, પણ વધુ પડતો પીલવાથી એ લાકડાને ફાડી નાખે છે, એવી કંઈક આ વાત છે.
એવું પોતાની પૂર્વજસ્તુિતનું છે. એનું અતિ, અતિ અને અતિ સામેનામાં એનો પ્રતિકાર પ્રગટાવે છે. પ્રતાપી પિતા કે દાદાના કોઈ કોઈ ગરવાં સંતાનો પિતા કે દાદાના અમૂલ્ય પ્રદાનને પછીની પેઢી સુધી પહોંચાડવાના સુભગ, સંયમિત, સાહિત્યિક રસ્તાઓ અપનાવે એ તો બહુ સરાહનીય વાત થઈ. એનો ઉત્તમ દાખલો મહેન્દ્ર મેઘાણી છે. (એ તો પિતા સિવાય બીજાનું સાહિત્ય પણ પ્રસારે છે) પણ કોઇ કિસ્સામાં કોઈ એક વારસદાર પોતાના પૂર્વજો નામે જયંતીઓ-ઉત્સવો-જલસાઓની શ્રેણીઓ યોજ્યા કરે અને પછી એ સિલસિલાને અનંતકાળ સુધી અતિરેકપૂર્વક દોહરાવ્યા કરે, ત્યારે પેલા દિવંગત મહાપુરુષના અબખે પડવાનો ‘સિંડ્રોમ’ પેદા થાય છે. લોકો પછી સદ્દગતના નામથી પણ મોં ફેરવી લેતા થઈ જાય છે.
કોઈનાં નામ આપીને અહીં કોઈ વિવાદને નોતરવાનો મારો ઇરાદો નથી. પણ વરસો પહેલાં સૌરાષ્ટ્રના એક ભડવીર પિતાના પુત્રે સ્વ. મેઘાણી સાથે-સાથે પોતાના પિતાજીના નામને સાંકળીને આ બાબતે ભારે તહેલકો મચાવ્યો હતો. એમના નામે ફિલ્મ ઉતરાવવાની પેરવીમાં પણ એ કામયાબ રહ્યા હતા. એ સિંહ સમાન વડવા (બિચારા) એમની લોકસેવાલક્ષી બહાદુરીથી ઇતિહાસમાં ખરેખર અમર થઈ ગયા હતા જ, પણ આ પુત્રરત્ને એમની તેજસ્વી માનસિક છબી ઉપર ‘સિંથેટિક’ શબ્દરોગાનના એવા તો કૂચડા ફેરવવા માંડ્યા કે પછી તો એ છબી પણ ચિત્ર મટીને ચિતરામણ જેવી થઈ ગઈ ! પિતૃસ્મૃિતના એમના બહુરંગી કાર્યક્રમોમાં કેવળ ઉપહાર અને ઉપાહારપ્રેમી શ્રોતાઓ જ દેખાવા માંડ્યા. એમના નામે પછી તો પૂંઠાના ચંદ્રકો પણ વહેંચવાનું એમણે શરૂ કરી દીધું. એટલે પછી એમાં ઉપહાસ પણ ભળ્યો. ઉપકૃત ચંદ્રકધારકોને એ પિતૃસિંહના કાર્યક્રમો યોજવા અંશતઃ આર્થિક સહાય પણ કરતા. પછી તો એમાં એમણે જાદુના ખેલો પણ ભેળવ્યા, જેથી પ્રેક્ષકો છેવટ શ્રોતાના અંચળામાં પણ આવે તો ખરા! કાર્યક્રમો ખેલ જેવા બની રહ્યા. એ ચોક્કસ વડવાના જાહેર ‘અબખીકરણ’ના આવા અનેક કાર્યક્રમો મેં મારી જુવાનીમાં બહુ જોયા છે.
હજુ પણ એ ચોરાનો વંશ આથમ્યો નથી. કોઈ અમર કલાકાર, કોઈ અમર ગાયક, કોઈ અમર સાહિત્યકાર, અરે, કોઈ અમર સેવાલક્ષી સરકારી અમલદાર, કોઈ જ્ઞાતિરત્ન, કોઈ જ્ઞાતિના કોઈ ચોક્કસ ‘એકડા’ના તારણહાર, કોઈ જ્ઞાતિના કોઈ ગોળના ગોળાલંકાર, કોઈ કુળાલંકાર, કોઈ પરિવારમણિ, કોઈ ધર્મધુરંધર, કોઈ ઉદ્યોગસમ્રાટ, કોઈ વિદ્યારત્ન, કોઈ બ્રહ્મર્ષિ, કોઈ કરુણાસાગર, કોઈ અધમોદ્ધારક, કોઈ .. કોઈ … કોઈ … અતિરંજિત ઉપાધિઓથી વિભૂષિત એવા એ બધાં .. આ બધાં ‘કોઈ’ઓએ ખરેખર, ખરેખર, ખરેખર સ્મરણસન્માનને પાત્ર કાર્યો કર્યાં જ હશે, પણ એમની માપ-સાઇઝના બહુમાનને પાત્ર એવી એમની સિદ્ધિસંપદાને એનાં ફોતરાં ઊપટી જાય, ત્યાં સુધી ઘૂંટી ઘૂંટીને, એને અબખે પાડી દેવાનો પૂર્ણસમયનો પુરુષાર્થ આ પૂર્વજઘેલા પણ પ્રમાણભાન વગરના વારસદારો કરી રહ્યા હોય છે. આ વાત ખરેખરી મહાન પ્રતિભાઓને કિસ્સે પણ લાગુ પડે છે .એમના પણ કેટલાક નાદાન વારસદારોને પ્રમાણભાન રહેતું હોતું નથી. કોઈક તો વળી વિદેશ બેઠાં બેઠાં અહીં દોરીસંચાર કરી રહ્યા હોય છે. કોઈ કોઈ મામલે તો એ વારસદારો પોતે જ ૮૫-૯૦ના ઉંબરાને આંબી ગયા હોય છે. (જો કે સમયદેવતા માત્ર ઉંમર વધારી આપે છે, આપણે એથી વધુ અપેક્ષા ના રાખવી જોઈએ, એ પણ ખરું.) એવડાં વયસ્ક વારસરત્નો પણ એમ જ માની રહ્યાં હોય છે કે પોતે તો વડવાઓના શિલાલેખ ઊંડા કરી રહ્યા છે, પરંતુ હકીકતે એ કૃત્ય તો એના આલેખને ખોતરી-ખોતરીને અવાચ્ય-લપટો કરી મેલવાના ઉદ્યમસરખું જ પુરવાર થાય છે. સ્મરણનો ઓવરડોઝ એની અંદરના મીઠા મલિદાને ધીરે-ધીરે ખાટો કરી નાખે છે અને પછી પેલી ‘અબખે’ પડવાની પ્રક્રિયા શરૂ થાય છે.
અમુક વારસદારો તો સમગ્ર કાર્યક્રમોમાં એવા તો છવાઈ રહેતા હોય છે કે એમના કાર્યક્રમોમાં પ્રસ્તુત વડવાનો અલ્પ અને આ આયોજક વારસદારનો ગુણાનુવાદ વધુ થતો હોય છે. એક જગ્યાએ તો અટકસામ્યને કારણે સ્વર્ગસ્થ વડીલને આપવાનું બહુમાન ભૂલથી મંચસ્થ વારસદારને અર્પણ થવા જતું હતું. પણ એન મોકા પર એક વૃદ્ધ મંચસખાએ આપનાર ‘વરદહસ્ત’ નેતાને રોક્યા અને સ્વર્ગસ્થ વડીલની પ્રતિમા ભણી ઇંગિત કર્યું ! અને એમ એમના સમયસરના સાંધાવાળા કર્મે કરીને પ્રસ્તુત બહુમાન પાટો બદલતાં માંડ બચ્યું !
E-mail : rajnikumarp@gmail.com
“નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2018; પૃ. 16