તાજેતરમાં એક સ્વજનને ઘરે જવાનું થયું. ત્રણ વર્ષના નીલકાન્તને એક ઓરડામાં રમકડાંના ઢગલા વચ્ચે જોયો. બેઠકખંડમાંથી બે-ત્રણ સાદ પાડવા છતાં બાળક બહાર આવવા તૈયાર નહીં. તેના દાદાએ કહ્યું કે આજે રમકડાંનો આખો કબાટ ખાલી કર્યો છે તેનો ‘વહીવટ’ ચાલે છે. દાદાની દુનિયાનો ‘વહીવટ’ શબ્દ પૌત્રની રમત રમતમાં પવિત્રતા પામ્યો. વહીવટ શબ્દનો આટલો સરળ અર્થ થતો હોત તો ક્યાં કોઈને કશી તકલીફ છે. પણ આ શબ્દ આપણા વર્તમાન વાસ્તવમાં આપણા મનોજગતમાં જુદો જ અર્થબોધ કરાવે છે. સત્યથી જેટલા વેગળા એટલાં વહીવટની નજીક એવા વિષમય અર્થઘટનના આશ્લેષમાં આપણે અનુકૂળ અર્થઘટન કરીને રોડવી લેવાનું હોય છે.
સરકારી પરિભાષામાં કાર્યાલયના સમગ્ર તંત્રનું સંચાલન થતું હોય, તેવી એક વિભાગીય શાખાને વહીવટ કહેવામાં આવે છે. જે-તે વિભાગ સંલગ્ન સામાન્ય નાગરિકો, અરજદારો, લાભાર્થીઓ, સંલગ્ન સેવાસંસ્થાઓ, નોંધણી પામેલા અધિકૃત સભાસદો, પ્રજાજનો, જો શૈક્ષણિક સંસ્થા હોય, તો વિદ્યાર્થીઓ, કરાર દ્વારા જોડાણનું અસ્તિત્વ ધરાવતી વ્યક્તિઓ કે સંસ્થાઓ વગેરે-વગેરે આ વહીવટના કાર્યક્ષેત્રમાં, વર્તુળમાં, પ્રભાવમાં, અસરમાં, પરિણામની ભૂમિકાએ આવે છે. જે-તે સંસ્થાની બંધારણીય જોગવાઈઓનું પાલન થાય તે ધ્યાનમાં રાખીને સંસ્થાએ પોતાની સ્થાપનાના હેતુઓ સિદ્ધ થાય તે માટે સાર્થક દિશામાં પ્રયત્ન કરવાના થાય. તેને સાચી દિશાનો વહીવટ થયો કહેવાય.
પ્રિય વાચક! વહીવટનો સાચૂકલો અર્થ વાંચીને તમને કંટાળો આવ્યો હશે. ચીડ ચડી હશે. સ્વાભાવિક છે કે જગતમાં જે વસ્તુનું કોઈ અસ્તિત્વ જ ના હોય, એવી વાતને એક આદર્શ તરીકે રજૂ કરી સવારસવારમાં અથવા તો તમે જ્યારે પણ વાંચતાં હશો, ત્યારે તમને કંટાળો આપવાનો કોઈ બદઇરાદો નથી. સત્ય વિશેની જાણકારી મેળવ્યા પછી અસત્યનો ભેટો કરવાથી જે ઉઝરડા પડે છે, તે કોઈ ભાગ્યશાળી કે પુણ્યશાળીને જ પડે છે. બાકી બધાંને માત્ર મજા આવે છે અથવા તો નારાજગી થાય છે. કોણ કેવા વહીવટમાં પડ્યા છે, તેના આધારે વહીવટ શબ્દનો અર્થવિસ્તાર તેના વાચકના મનમાં વિવિધ ભાવ જન્માવે છે.
આપણે મૂળ વાત વહીવટની કરતા હતા. પાપ-પુણ્યની કલ્પના અને શાસ્ત્રથી ઊભરાતાં વિશ્વમાં વહીવટનો અલાયદો મુકામ છે. જ્યાંથી બધું ઉદ્ભવે છે, વિસ્તરે છે, લય-વિલય પામે છે, આથડે છે, અથડાવે છે, ટપારે છે, ટકોરે છે, ટકરામણ થાય છે, પાર પડે છે. પાધરું પડે છે અને પડે ત્યારે સઘળું પડે છે. પાપભીરુ માણસ એ વિસ્તારમાં હોવા છતાં જેના પ્રવર્તમાન અર્થથી દૂર રહેવામાં ક્યારેક સફળતા મેળવે છે, ક્યારેક ખરડાય છે. જેને આવડે એને જ આવડે છે, એવા કૌશલ્યનું નામ વહીવટ છે.
થોડા દિવસ પહેલાં એક મોટી સંસ્થામાં અરજી કરનાર યુવાને પૂરી નિર્દોષતાથી માર્ગદર્શનની અપેક્ષાએ આ લખનારને પૂછ્યું કે ‘વહીવટી અનુભવ’ના ખાનામાં શું લખું? બે ઘડી આઘાતમાંથી બહાર આવીને મેં પૂછ્યું, તમે જીવનમાં ક્યારેય જમીનમાપણી કરાવી છે? એન.એ.- એન.ઓ.સી.નો અનુભવ છે? વીજજોડાણ કપાયું હોય, તો પાછું કનેક્શન મેળવ્યું છે? સાત-બારનો ઉતારો કઢાવ્યો છે? કોઈને નોકરીમાં સેટ કર્યા, કરાવ્યા છે? કોઈને નોકરીમાંથી કઢાવ્યા છે? કોઈની બદલીમાં નિમિત્ત બન્યા છો? કોઈને મેમો આપવામાં, અપાવવામાં સહાયક બન્યા છો ? કોઈની કામગીરી પર પાણી ફેરવતાં આવડે છે? પાણી ફેરવ્યા પછી અજાણ્યા બની આશ્વાસન આપતાં આવડે છે? એક સિક્કાની બે બાજુ તરીકે સત્ય અને અસત્યનો ઉપયોગ કરવાની ફાવટ છે? કરવા યોગ્ય કરવા માટેની નિષ્ક્રિયતા અને ન કરવાનું કરવાની તત્પરતા તમારા સ્વભાવમાં છે? કામની વસ્તુ ગૂપચાવવાની અને નકામી વસ્તુ શણગારવાની આદત છે? જાહેરહિતમાં જાહેર કરવા યોગ્ય બાબતોને ગોપનીય ગણીને ચાપલૂસી કરતાં આવડે છે? તમને ન આવડતાં કામ સત્તાની રૂએ બીજા પાસેથી કરાવી લેવડાવી તમે કરેલાં કામ તરીકે રજૂ કરી શકો? કોઈને મુખ્ય પ્રવાહમાંથી હટાવતાં આવડે છે? આટલા બધાં પ્રશ્નો સાંભળીને ડઘાઈ ગયેલા યુવાને અરજી કરવાનું માંડી વાળ્યું. આખરે સ્વચ્છતા-અભિયાનને કેન્દ્રમાં રાખીને આખી થીમ ડેવલપ થાય તે રીતે એક એન.જી.ઓ.ની સ્થાપના કરી અને સ્વનિયુક્ત વહીવટની દુનિયામાં પ્રવેશ કર્યો.
માટે હે આર્યપુત્ર! ભવ્ય ભારતવર્ષમાં ચાણક્યથી લઈ ગાંધીજી – મોરારજી સુધીની વહીવટી પરિભાષાનું જ્ઞાન, પ્રયોગની ભૂમિકાએ અમલમાં, એટલે કે વ્યવહારમાં લાવવાનો તારો અભરખો હોય, તો તેને ઢબૂરી દેજે!
વહીવટ એટલે વહીવટ! બીજું કશું જ નહીં, એટલું સમજાય ત્યારે જાતને સજ્જ કરજે. એક વખત અંતરાત્માનું ઍન્કાઉન્ટર કરવાની આદત પડી જાય, પછી વહીવટ કરવામાં વાંધો આવતો નથી. દેહાવરણ જેવી ચામડી પણ તેની કુમાશ છોડીને આવશ્યક જાડાઈ ધારણ કરી લે છે. કોઈ ગેંડાની ચામડી સાથે સરખાવે, તો હરખાયા વગર પાર્ટી આપી શકાય છે. જયજયકાર કરવા માટે આખી જમાત તૈયાર થઈ જાય છે અને આ જમાતથી જાતને અળગી રાખનાર એકાદ વિરલાને કે વીરાંગનાને એકલા પાડી દેતાં કે મૂરખ સાબિત કરવામાં બહુ વાર નથી લાગતી. અલબત્, આખી કાયનાત એટલેે કે જમાત તેમાં મદદગાર થાય છે.
E-mail : gandhinesamajo@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 12