પુસ્તકનું નામ : ઇન્ડિયા ડિસેન્ટ્સ, સંપાદક : અશોક વાજપેયી, સ્પીકિંગ ટાઇગર પબ્લિકેશન, પ્રકાશન વર્ષ : ૨૦૧૭.
એક ફિલ્મને લઈને તેના કલાકર તેમ જ દિગ્દર્શકને જે રીતે શિરચ્છેદની ખુલ્લેઆમ ધમકીઓ અપાઈ રહી છે, એ સમયગાળામાં જ એક સુંદર રીતે સંપાદિત પુસ્તક હાથમાં આવ્યું છે. પુસ્તકનું નામ છે – ‘ઇન્ડિયા ડિસેન્ટ્સ’ અને એના સંપાદક છે પ્રસિદ્ધ હિંદીકવિ અને કળામર્મજ્ઞ અશોક વાજપેયી.
લગભગ સાડા પાંચસો પાનાંના આ પુસ્તકમાં છેલ્લાં ત્રણ હજાર વર્ષોનાં સમયગાળાનાં મહત્ત્વનાં – અસહમતી, તર્ક અને દલીલના ભારતીય વિચારોનું સંપાદન કરવામાં આવ્યું છે. આ સંપાદનમાં ઋગ્વેદનાં નાસદીય સુક્તથી શરૂ કરીને, બૌદ્ધ અને જૈનપરંપરાનાં ચિંતન તેમ જ ભર્તૃહરિ, બિલ્હાન, બસવાના, પ્રાચીન તમિળકવિઓ, તુલસીદાસ, લાલદેવ, ભક્તિપંરપરાના કવિઓ, ગુરુનાનક, અમીર ખુશરો, બુલ્લે શાહ અને અન્ય સૂફી સંતો, દારા શિકોહ, પ્રાચીન તેલુગુ-કવિઓ, મીર તાકી મીરથી ગાલિબ સુધીનાંની રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકની ભૂમિકા બાંધતા અશોક વાજપેયી નોંધે છે કે, હિંદુધર્મના શરૂઆતનાં ગ્રંથોમાં પૂરતાં પ્રમાણો છે કે ભારતીય સભ્યતા તર્કના પાયા પર ઊભી થયેલી સંસ્કૃિત છે. વિવિધતા જ આપણી સંસ્કૃિતની ખરી ઓળખ છે. બુદ્ધ, મહાવીર અને નાનકે કર્મકાંડો અને રૂઢિવાદી હિંદુધર્મથી અલગ આધ્યાત્મિક, તત્ત્વમીમાંસા અને મુક્તિની શોધના પોતીકા માર્ગો અપનાવ્યા હતા.
શાસ્ત્રાર્થની ઊજળી ભારતીય પરંપરા કે જેમાં શૈવ અને વૈષ્ણવો, શંકરાચાર્ય, હિંદુઓ અને બૌદ્ધો, બૌદ્ધો અને જૈનો તર્ક અને દર્શનનાં પોતાના મતમતાંતરો જાહેરમાં ચર્ચતા હતા. વાજપેયી નોંધે છે કે મહાકાવ્ય રામાયણનાં વિધવિધ રૂપાંતરો થયાં છે. સંથાલીમાં આદિજાતિનું રામાયણ તો કન્નડ રામાયણ અને વળી હિંદીનું રામચરિતમાનસ આનાં પ્રમાણ છે. મહાયાન અને હિનયાન તેમ જ શ્વેતાંબર અને દિગંબરમાં વિભાજિત થયેલા બૌદ્ધ અને જૈનધર્મો ભિન્ન મતમતાંતરોને અપનાવવાની મૂળ ભારતીય સભ્યતાનાં દર્શન કરાવે છે.
અશોક વાજપેયી પ્રસ્તાવનામાં નોંધે છે કે, ભક્તિયુગના કવિઓનું એક મોટું યોગદાન એ રહ્યું કે તેમણે ધર્મને એક ચોક્કસ વર્ગના આધિપત્યમાંથી છોડાવીને સામાન્ય માણસ સુધી પહોંચાડ્યો. ભક્તિયુગના મહત્ત્વના કવિઓ શોષિતવર્ગોમાંથી આવતા હતા, જેમ કે કબીર, ચેન્હૈયા, રવિદાસ, નામદેવ વગેરે એમની રચનાઓએ બ્રાહ્મણવાદના એકાધિકાર સામે અસહમતીનો અવાજ બુલંદ કર્યો હતો. આ કવિઓ આજના સમયમાં પણ લોકહૈયે અને લોકકંઠે વસેલા છે. પૂર્વપીઠિકામાં જ આગળ વાજપેયી લખે છે કે, વીસમી સદીની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ અસહમતી અને પ્રતિરોધને – સવિનય કાનૂનભંગ, સત્યાગ્રહ અને અસહકાર નામની તદ્દન નવી જ સંજ્ઞાઓ દ્વારા જનજન સુધી પહોંચાડ્યો. જ્યારે સમગ્ર વિશ્વ સશસ્ત્ર-ચળવળો અને યુદ્ધોમાં લિપ્ત હતું, ત્યારે મહાત્માએ સત્ય અને અહિંસારૂપ અસહમતિની એક નવી કેડી કંડારી હતી. પોતાના કટ્ટર આલોચક આંબેડકરને ગાંધીએ, નેહરુની કૅબિનેટમાં મહત્ત્વનું સ્થાન અપાવવાની સાથે ભારતીય સંવિધાન-નિર્માણનું અતિ મહત્ત્વનું કામ પણ સોંપ્યું. અસહમતીને અવકાશ અને સન્માન આપવાની ઊજળી ભારતીય પરંપરાનું આ ઉદાહરણ છે.
રામમોહન રૉય, ફૂલે દંપતી, બાળગંગાધર ટિલક, મહાત્મા ગાંધી, ટાગોર, કાન્ત નસરુલ ઇસ્લામ, પેરિયાર, ભગતસિંહ, આંબેડકર, બોઝ, ઇસ્મત ચુગતાઈ, મન્ટો અને ક્રિષ્ણ ચંદરનાં વિચારો અને કૃતિઓનું સૂઝપૂર્વકનું સંપાદન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
પુસ્તકના બીજા ભાગ – ડિસેન્ટ ઍન્ડ ડેમોક્રસી-માં સંવિધાન નિર્માણની દલીલોથી માંડી કૃપાલાની, બાપુરાવ જગતાપ, રઘુવીર સહાય, સંત રામઉદાસી, પાશ, બલરાજ સહાની, જયપ્રકાશ નારાયણ, નિર્મલ વર્મા, નામદેવ ઢસાળથી લઈને ઉમાશંકર જોશી, અમર્ત્ય સેન, ઇરોમ શર્મિલા જેવા નેતાઓ, કલાકારો અને કવિઓનાં ભાષણો, વિચારો, પત્રો અને કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્તમાન સમયના કવિઓ જેમણે સામાન્ય જનની જઠરાગ્નિ અને સાંપ્રત સમયસ્યાઓને પોતાની રચનાઓમાં આલેખી છે, એવા ગદ્દર, નવનીતા દેવ સેન, રૉબિન નાનગોપી અને કાનજી પટેલનાં કાવ્યો પણ આ પુસ્તકમાં સ્થાન પામ્યાં છે. ગુજરાતી ગાંધીવાદી ચિંતક પ્રકાશ ન. શાહના ૨૦૦૨ના વર્ષ પછી તુરંતમાં લખાયેલા લેખથી માંડીને રોહિત વેમુલાના અંતિમ પત્ર અને રવીશકુમારના આ વર્ષે કુલદીપ નાયર પત્રકાર- સન્માન-સ્વીકાર વખતે અપાયેલાં ભાષણ સુધીનાં અસહમતી અને પ્રતિરોધના અવાજોને આ પુસ્તકમાં અક્ષરદેહ આપવામાં આવ્યો છે.
આઝાદીના સૂર્યોદયકાળે ગાંધીવધથી લઈને ઇંદિરાના આપાતકાળના દુઃસ્વપ્નથી પસાર થઈને બૌદ્ધિકોની હત્યા સુધીના સાંપ્રતસમયને રેખાંકિત કરતા અશોક વાજપેયી નોંધે છે કે કવિઓ, લેખકો, કલાકારો અને દાર્શનિકોએ ભારતીય અસહમતી અને તર્કની મશાલ કપરાકાળમાં પણ પ્રજ્વલિત રાખી છે. સ્વતંત્રતા અને સમાનતાના આપણા સાંસ્કૃિતક અને બંધારણીય વારસાને રચનાત્મક અને બૌદ્ધિક પ્રતિરોધ થકી જીવંત રાખવાનો આશાવાદ પણ વાજપેયીના સૂરમાં છે.
અંતમાં રવીશકુમારના જ શબ્દોમાં સમાપન કરીશ કે બને ત્યાં સુધી સંભાવનાઓને બચાવીને રાખવી. આપણા સમયને આશા કે નિરાશાનાં ચશ્માંથી જોવાને બદલે એ જોવું રહ્યું કે, આપણે એ પથ પર ઊભા છીએ કે જ્યાં રેલવેનું એન્જિન એકદમ ધસમસતું આવી રહ્યું છે. આશા કે નિરાશા આપણને બચાવી નહીં શકે. આશા એ છે કે રેલગાડી મને નહીં કચડે અને નિરાશા એ છે કે એ તો કચડી જ નાખશે. સમય બહુ ઓછો છે અને રેલગાડીની ઝડપ બહુ જ વધારે છે. વડોદરા
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 14