બીજી મેની ધોમધખતી બપોરે દોઢ વાગ્યાની આસપાસ કોલકાતાથી અંતરા-દેવસેનનો મૅસેજ આવે છે કે, ‘ભાલો ખેલા હોલો’. દેશદુનિયાની જેના પર નજર હતી એ બંગાળ વિધાનસભાનાં પરિણામો આવવા માંડ્યાં હતાં. મમતા બેનરજી સતત ત્રીજી વાર અને પહેલાં કરતાં વધારે બહુમતીથી બંગાળમાં સરકાર બનાવવા જઈ રહ્યાં હતાં. બંગાળમાં ‘ખેલા હોબે’નો નારો લોકજીભે હતો અને હરકોઈ ખેલા જોવા આતુર હતું. આ પરિણામો દેશની દશા-દિશા પર ઘેરી અસર કરવાનાં હતાં એ સૌ કોઈ જાણતું હતું.
કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષે બંગાળમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવું જોર લગાડ્યું હતું. યોગ્ય ઉમેદવારો ન મળતાં સાંસદોને, સાંસદપદું ત્યાગીને પરાણે ધારાસભ્ય બનવાની હોડમાં ઉતારવામાં આવ્યા. બહુચર્ચિત નંદીગ્રામ વિધાનસભા ક્ષેત્રમાંથી તૃણમૂલના જ સાંસદને દીદી સામે હરીફ બનાવવામાં આવ્યા. એકંદરે મામલો ‘અભી નહીં તો કભી નહીં’-નો હતો.
ત્રીજો મોરચો વામદળોનો પણ હતો જેમના માટે દીદી જોડે જૂના હિસાબો ચૂકતે કરવા એ જ એક માત્ર ધ્યેય હતું. કદાચ પહેલી વાર બન્યું કે કોઈ વડા પ્રધાને ભારત બહાર જઈને ભારતના કોઈ એક રાજ્યની ચૂંટણી માટે પ્રચાર કર્યો હોય. બાંગ્લાદેશના મટુઆ જાતિના લોકો કે જેમની સારી એવી વસ્તી પશ્ચિમ બંગાળમાં પણ છે, એમને આકર્ષવાનો આ પ્રયાસ હતો.
આ ચૂંટણીમાં ચૂંટણી પંચના નિર્ણયો ખાસ્સા વિવાદમાં રહ્યા. એમ પણ કહેવામાં આવ્યું કે કેન્દ્રીય સત્તાધીશો બંગાળની વણખેડી ધરતીના ખૂણેખાંચરે જઈને પ્રચાર કરી શકે એટલે આઠ ચરણોમાં ચૂંટણી વહેંચવામાં આવી છે જે કોરોનાનાં કપરા કાળમાં ટાળી શકાયું હોત. દીદી પર ચોવીસ કલાકનો પ્રચાર માટે બેન લગાવવામાં આવ્યો, જે એકંદરે સહાનુભૂતિમાં પરિણમ્યો. ટૂંકમાં ખેલા બરાબર જામ્યો હતો.
બીજી પણ ઘણી રાજનૈતિક વાતો થઈ શકે એમ છે. પરંતુ વાત મારે સાંસ્કૃતિક પરિબળોની કરવી છે. બંગાળને અને ત્યાંનાં લોકોને હું જેટલો નજીકથી જાણી શક્યો છું એના ઉપર આ અભિપ્રાયો આપી રહ્યો છું. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નેજા હેઠળ ચૂંટણીમાં ઊતરતો પક્ષ બંગાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોનાં કારણે ભોંય ભેગો થયો છે એ જાણવું રસપ્રદ રહેશે.
પ્રારંભથી વાત માંડીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રીએ શાંતિનિકેતનની મુલાકાતથી ચૂંટણીપ્રચારની શરૂઆત કરી. પોસ્ટર્સમાં ટાગોરથી મોટા ફોટા નેતાઓના મૂકવામાં આવ્યા. ટાગોર બંગાળનાં લોકો માટે એક પ્રતીક માત્ર નથી. પરંતુ એમના જીવનનો એક ભાગ છે. વિવાદ થતાં પોસ્ટર્સ હટાવવામાં આવ્યાં, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા ઘાટ થયો. વડા પ્રધાનને બંગાળ માટે ટાગોરનું શું મહત્ત્વ છે, એનો સુપેરે ખ્યાલ હતો, એથી એમણે ચૂંટણીપ્રચારના ભાગ રૂપે ટાગોરનો વેષ પણ ધારણ કર્યો. એ વાત પણ બંગાળના લોકોને ટાગોરના અપમાન જેવી જ લાગી. ગુજરાતથી ઊલટું બંગાળના કલાકારો અને લેખકો પોતાનો રાજનૈતિક લગાવ-અલગાવ જાહેરમાં વ્યક્ત કરે છે. બંગાળના લોકોના માનસ પર એની અસર પણ જણાતી હોય છે. ચૂંટણીપ્રચાર દરમિયાન નામી લેખકો અને કલાકારોના બહુ મોટા જૂથે કેન્દ્રના શાસકો વિરુદ્ધ પોતાની લાગણી જોરશોરથી મૂકી હતી. કોલકાતામાં અડ્ડા કલ્ચર બહુ જાણીતું છે. અહીં વિવિધ વિચારધારાના સમર્થક બૌદ્ધિકો, વિદ્યાર્થીઓ, કલાકારો ચર્ચા-વાદવિવાદ કરતાં હોય છે. કૉલેજ સ્ટ્રીટના કૉફીહાઉસ અડ્ડા પર પહેલી વાર પોસ્ટર્સ ફાડવાની અને ઉગ્ર નારાબાજી થવાની ઘટના બની જેની વિદ્યાર્થીઓના બહુ મોટા વર્ગ પર અસર પડી. બંગાળ પહેલાથી જ વિચારોના ખુલ્લાપણાની ભૂમિ રહી છે. કહેવાય છે કે બંગાળ જે આજે કરે છે એ દેશ આવતી કાલે કરે છે.
કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષની હારનું એક બહુ મોટું કારણ જો કોઈ ઘટના બની હોય તો વડા પ્રધાન દ્વારા જાહેર સભાઓમાં બંગાળનાં મહિલા મુખ્ય મંત્રીને ‘દીદી ઓ દીદી’ તરીકે કટાક્ષના લહેજામાં મશ્કરી રૂપે સંબોધવું – દુર્ગાના દેશમાં મહિલાઓનો બહુ મોટો વર્ગ કે જે અગાઉથી દીદીનો સમર્થક રહ્યો છે તે આ કૅટ-કૉલ(છેડતીરૂપ ઉદ્બોધન)થી ભારે નારાજ હતો. ભાષાનું અજ્ઞાન અહીં ભારે પડ્યું.
સતત ચાર દાયકા સુધી વામદળોએ બંગાળમાં શાસન કર્યું હતું, પરંતુ આ ચૂંટણીઓમાં બંગાળે એમના પર સંપૂર્ણપણે ચોકડી મૂકી દીધી. મારી મિત્ર શાયરાના પતિ ફાઉદ હાલીમ (બંગાળ વિધાનસભામાં સૌથી લાંબો સમય સ્પીકર રહી ચૂકેલા હાશીમ હલીમના પુત્ર) જેઓ ખૂબ જાણીતા તબીબ પણ છે, તેઓ બેલીગંજ વિધાનસભા ક્ષેત્રથી વામદળ અને ત્રીજા મોરચાના સંયુક્ત ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. તેઓ તૃણમૂલના ઉમેદવાર સામે પરાજિત થયા.
જાન્યુઆરી ૨૦૨૦માં ‘ધ બંગાલ’ અને કોલકાતા પોલીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત સન્માન-સમારંભમાં જવાનું બન્યું હતું. જાણીતા ચિત્રકાર જોગેન ચૌધરી અને આશિષ નંદી ત્યાં ઉપસ્થિત હતા. મારું બહુમાન જેમનાં હાથે થયું હતું તે જાણીતા ફૅશન ડિઝાઇનર અગનમિત્રા પોલ સાથે સમારંભના અંતે રાત્રિભોજ પર બંગાળની સંસ્કૃતિ વિશે ઘણી વાતો થઈ હતી. અગનમિત્રા આ ચૂંટણીઓમાં આસનસોલ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાઈ આવ્યાં છે.
અંતે વાત આ સમગ્ર ખેલામાં સૌથી અનોખા ઉમેદવાર મનોરંજન બ્યાપારી વિશે. એમની જીવનયાત્રા એક ચમત્કારથી ઓછી નથી. મનોરંજન બ્યાપારીનું બાળપણ અત્યંત ગરીબીમાં ફૂટપાથ અને ચાની લારી પર વાસણ ધોતાં પસાર થયું છે. શાળામાં જવાનું તો સ્વપ્નમાં પણ શક્ય નહોતું. યુવાનીમાં આંદોલનકારી તરીકે જેલવટો ભોગવવાનો આવ્યો. કાળા અક્ષરો જોડે પહેલી વાર પનારો પડ્યો. જેલમાં જ જાતે શિક્ષિત થયા. વાંચવાનું-લખવાનું શરૂ કર્યું. જેલમાંથી છૂટ્યા બાદ દાયકાઓ સુધી કોલકાતાની સડકો પર પેદલ રીક્ષા ખેંચવાનું કામ કર્યું. એક દિવસે એમની પેદલ રીક્ષામાં જે સવારી આવી એણે મનોરંજન બ્યાપારીનું જીવન જડમૂડળથી બદલી નાંખ્યું. તે સવારી એટલે જ્ઞાનપીઠ પુરસ્કૃત જગવિખ્યાત લેખિકા મહાશ્વેતાદેવી. તેઓ હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ફરિસ્તા સમાન હતાં. એમણે મનોરંજનની વાતો સાંભળીને લખવા માટે પ્રેરિત કર્યા. મહાશ્વેતાદેવીએ એમની વાર્તાઓ અને લેખો છાપવા માંડ્યાં. જોતજોતાંમાં બંગાળભરમાં સાહિત્યકાર તરીકે એમની ખ્યાતિ વધવા માંડી. એમનાં ઘણાં પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદિત થયાં, ચર્ચિત બન્યાં અને મનોરંજન બ્યાપારીની ખ્યાતિ બંગાળના સીમાડાઓ ઓળંગી ગઈ. એમની આત્મકથાના અંગ્રેજી અનુવાદ ‘ઈન્ટરોગેટિંગ માય ચાંડાલ લાઇફ’ને ૨૦૧૯નું બહુ પ્રતિષ્ઠિત ‘ધ હિન્દુ લિટરરી’ સન્માન મળ્યું. મમતા બેનરજીએ સૌ પ્રથમ વાર બંગાળ દલિતસાહિત્ય અકાદમીનું ગઠન કર્યું ત્યારે મનોરંજન બ્યાપારીને એના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા. આ ચૂંટણીમાં એમનો રાજકારણમાં પ્રવેશ થયો. તૃણમૂલના ઉમેદવાર તરીકે બાલાગઢ વિધાનસભા ક્ષેત્રથી ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા. મનોરંજન બ્યાપારી જેવા ‘માટીર માનુષ’ ઉમેદવારનું ચૂંટાવું ભારતીય લોકશાહીમાં આપણી આસ્થાને મજબૂત કરે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 07