ચારેક દાયકા પર ચુનીકાકા થકી એમનો પરિચય થયો, અને યથાપ્રસંગ કિશનભાઈના વિચારઘોડા તેમ કાર્યવલણોની હણહણાટીને પગરવ (ને કંઈક કર્ણમંત્ર) એવો એ તાંતણો હમણાં લગણ વણતૂટ્યો ચાલ્યો. છેલ્લે, ઘણું કરીને ફેબ્રુઆરીમાં એમનો ફોન આવ્યો ત્યારે મુદ્દો એમણે વિચારેલ મરણોત્તર આયોજનનો હતો. વચલાં વરસોમાં એક તબકકે ‘નિરીક્ષક’ તંત્રી કને કોઈ નિયમિત આવકસ્રોત નથી એ લક્ષમાં આવતાં એમણે પ્રતિમાસ વ્યક્તિગત માનધનની વિચારણા કરી મને પૂછ્યું પણ હતું. મેં વિનયસર અસ્વીકાર કરી વળતું સૂચવ્યું હતું કે ઠીક લાગે તો અને અનુકૂળતા હોય ત્યારે ‘નિરીક્ષક’ની કિંચિત્ બાલાશ જાણશો તો જરૂર ગમશે. બીરેનભાઈએ એમની જીવની પર કામ કરેલું છે. એમની કલમે લખાયેલો આ નાનો શો અંજલિલેખ, વાચકોની સેવામાં.
— તંત્રી, “નિરીક્ષક”
મુંબઈના ’દોસ્તી બિલ્ડર્સ’ના સ્થાપક, ’સદ્ભાવના સંઘ’ના પ્રણેતા કિશનભાઈ ગોરડિયાએ ૬ એપ્રિલ, ૨૦૨૧ની વહેલી સવારે, ૮૮ વર્ષની વયે વિદાય લીધી. તેમની જીવનસફર બહુ વિશિષ્ટ બની રહી હતી.
ચુનીલાલ ધરમશી ગોરડિયા અને ચંદ્રભાગાબહેનનાં કુલ છ સંતાનોમાં કિશનભાઈ ચોથા ક્રમે હતા. ચાવંડ અને મહુવામાં બાળપણનાં આરંભિક વરસો વીતાવ્યાં પછી પોતાની પાંચ-છ વર્ષની ઉંમરે પરિવાર સાથે કિશનભાઈને મુંબઈ આવી જવાનું બન્યું. માતાની તબિયત નરમગરમ રહ્યા કરતી હતી. કિશનભાઈની બાર વર્ષની વયે માતાનું અવસાન થતાં ઘરની જવાબદારીનો અહેસાસ તેમને તીવ્રપણે થયો. પિતાજીની તબિયત પણ અસ્થિર રહેવા લાગી. કિશનભાઈને જાણ થઈ કે પિતાજીને માથે દેવું થઈ ગયેલું છે.
આ દેવું ચૂકતે થઈ શકે એ માટે કિશનભાઈએ મેટ્રિક પાસ થયા પછી આગળ અભ્યાસ કરવાનો વિચાર માંડી વાળ્યો. પોતાને માર્ગદર્શન આપે એવું કોઈ હતું નહીં. તેમણે જાતે જ એ નિર્ણય લીધો અને નોકરી શોધવા લાગ્યા. એક સર્જિકલ કંપનીમાં નોકરી મળી.
એ પછી તેમનાં નોકરીનાં ક્ષેત્ર બદલાતાં રહ્યાં. તેમણે શિક્ષક તરીકે કામ કર્યું, વળી પાછા સર્જિકલ કંપનીમાં આવ્યા. બિલકુલ આ જ રીતે તે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સના ક્ષેત્રે આવ્યા. આ સમયગાળા દરમિયાન તેમનો પરિચય ગાંધીસાહિત્ય અને સર્વોદયસાહિત્ય સાથે થતો ગયો અને તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમનો જીવ આ ક્ષેત્ર તરફ પ્રબળ ખેંચાણ અનુભવતો હતો, પણ પારિવારિક સંજોગો તેમને એ તરફ જતાં રોકતા હતા. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સનું કામ તેમણે સ્વતંત્રપણે શરૂ કર્યું ત્યારે એ ક્ષેત્રે રહેલા ફરજિયાત ભ્રષ્ટાચારનો તેમને ખ્યાલ આવ્યો. એવે વખતે કેદારનાથજીએ તેમને સમાધાન સૂચવ્યું.
એ જ રીતે કિશનભાઈએ સાબુનું એક કારખાનું સંભાળ્યું. જેમ જેમ તે વ્યવસાયના ક્ષેત્રને છોડીને સેવામાર્ગે જવા વિચારતા એમ એવા સંજોગો ઊભા થતા રહ્યા કે તેમણે વ્યાવસાયિક બાબતોમાં ઊંડા ઉતરવું પડતું. ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમણે વડાલામાં એક જમીન રાખી અને પહેલવહેલું બિલ્ડિંગ તૈયાર કરાવ્યું. વડાલામાં રહેવા આવી શકાય એવું ત્યારે વિચારી શકાય એમ જ નહોતું, પણ કિશનભાઈએ હિંમત કરી. આ એક એવો પાયો હતો કે જેના પર આખી ભાવિ ઈમારત તૈયાર થવાની હતી. આગળ જતાં કિશનભાઈના પુત્ર દીપકભાઈએ ‘દોસ્તી બિલ્ડર્સ’નું સુકાન સંભાળ્યું અને પોતાની સૂઝ વડે તે મુંબઈના શ્રેષ્ઠ દસ બિલ્ડરોની હરોળમાં બિરાજ્યા.
કિશનભાઈનું ખેંચાણ પહેલેથી સામાજિક કાર્યો પ્રત્યે હતું. તેમણે હવે એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. જો કે, સામાજિક કાર્યોમાં તેમનું મુખ્ય લક્ષ્ય નાગરિકોના ઉત્થાન પ્રત્યે વિશેષ હતું. એ અંગેનાં વિવિધ કાર્યો તે કરતા રહ્યા. કટોકટી દરમિયાન અનેક કાર્યકર્તાઓને તે મદદ કરતા રહ્યા હતા. સર્વોદયને લગતી પ્રવૃત્તિઓમાં તે ઘણા સક્રિય રહેતા અને કાર્યકરોના હિતની સતત ખેવના કરતા રહેતા.
૨૦૦૬માં તેમણે ‘સદ્ભાવના સંઘ’ની સ્થાપના કરી અને આ કાર્યો માટે નક્કર આયોજન કર્યું. ‘સદ્ભાવના’નો અર્થ કેવળ કોમી સદ્ભાવનાને બદલે તેમણે ઘણો વ્યાપક રાખ્યો હતો. એ અનુસાર નાગરિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો તે યોજતા હતા. ‘સદ્ભાવના સંઘ’ના મૂળમાં વિનોબાજીએ આપેલી આચાર્યકુળની વિભાવના હતી, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સંકળાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે એ ખ્યાલ મુખ્ય હતો. કિશનભાઈ પોતે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસરતા હતા, જેમાં પોતે પોતાની સંપત્તિના માલિક નહીં, પણ ટ્રસ્ટી હોવાની ભાવના હતી. પોતાની સંપત્તિ તે સમાજને અર્પણ કરવા ઇચ્છતા હતા અને એ અંગે વિવિધ લોકો સાથે તે અવારનવાર ચર્ચા કરતા. પોતાનો પૂર્ણ સમય તે ‘સદ્ભાવના સંઘ’માં જ આપતા હતા. છેલ્લે છેલ્લે શારીરિક વિપરીતતા હોવા છતાં તે ‘સદ્ભાવના સંઘ’માં લગભગ નિયમિત આવતા.
છેલ્લાં ચારેક વર્ષથી તેમની જીવનકથાના આલેખન માટે મારે તેમની સાથે ગાઢ સંપર્કમાં રહેવાનું બનેલું. ૨૦૧૬માં તેમની જીવનકથા આલેખવાનું સૂચન વડીલમિત્ર રમેશ ઓઝાએ કર્યું ત્યારે ખુદ કિશનભાઈ પોતાની જીવનકથા લખાવવા બાબતે ખચકાતા હતા. અમે એક મુલાકાત ગોઠવી. એમાં મેં જીવનકથાના આલેખન અંગેની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તે માન્યા. એ પહેલી મુલાકાતમાં તેમના વ્યક્તિત્વની કેટલીક લાક્ષણિકતાઓ મારા ધ્યાનમાં આવી, જે સાચી હોવાની પ્રતીતિ દરેક મુલાકાત વખતે થતી રહી. તેમની વિશ્લેષણ શક્તિ અને મૂલ્યાંકનક્ષમતા એવાં તીવ્ર હતાં કે પોતાની જાતનું પણ એ તદ્દન નિષ્ઠુરપણે વિશ્લેષણ કરતા. તે બોલવાનું શરૂ કરે એટલે અસ્ખલિતપણે બોલતા. કોઈ સવાલનો જવાબ વિસ્તારથી આપતાં તે ફંટાઈ જાય તો તેમને ખ્યાલ આવી જતો અને પછી જાતે જ કહેતા, ’હું બીજી વાત પર જતો રહ્યો, નહીં?’
અમારી કાર્યપદ્ધતિ એવી ગોઠવાયેલી કે અગાઉથી મુલાકાત નક્કી કરીને હું મુંબઈ બે યા ત્રણ દિવસ માટે જતો. બપોરથી સાંજ સુધી તેમની સાથેની વાતચીતનો કાર્યક્રમ વડાલાના ’સદ્ભાવના સંઘ’ ખાતે રહેતો. ખરી મઝા એ પછીની હતી. તેમનું નિવાસસ્થાન નેપિયન સી રોડ પર, જ્યારે હું પેડર રોડ પર મારા કાકાને ત્યાં ઉતરતો. આથી સાંજે વડાલાથી તે મને તેમના વાહનમાં લઈને નીકળતા અને સહેજ ફરીને મને પેડર રોડ પર ઉતારીને આગળ વધતા. આ કલાક-સવા કલાક દરમિયાન અમારી વચ્ચે અનેક પ્રકારની નિખાલસ વાતચીત થતી. આને કારણે એક વિશિષ્ટ આત્મીયતા અમારી વચ્ચે થઈ ગયેલી.
તેમની જીવનકથાનું આલેખન ક્યારનું પૂરું થઈ ગયું હતું. ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં ખાસ ત્રણ દિવસ એમણે ફાળવ્યા. આ ત્રણ દિવસ દરમિયાન મેં એમની જીવનકથાનું વાંચન એમની સમક્ષ કર્યું. સાથે વર્ષાબહેન (વિદ્યા વિલાસ) જેવા તેમનાં જૂનાં સાથીદાર ઉપસ્થિત હતાં. એ બેઠકમાં અમે જરૂરી સુધારાવધારા કરતા ગયા. એક યા બીજાં કારણોસર તેના પ્રકાશનમાં વિલંબ થતો રહ્યો, છતાં અમારો ટેલિફોનિક સંપર્ક ચાલુ હતો.
વચ્ચે તેમની તબિયત લથડી ત્યારે તેમણે ડૉક્ટરને સ્વસ્થતાપૂર્વક પૂછેલું કે પોતાની પાસે કેટલો સમય રહ્યો છે. અમારી વાતચીતમાં તેમણે એક વાર જણાવેલું કે પોતે દોઢ વર્ષનું આયોજન કરેલું છે. આ સમજતાં મને અડધી સેકન્ડ થયેલી અને એ પછી રીતસર એક લખલખું પસાર થઈ ગયેલું. કોઈ માણસ આ હદની હેતુલક્ષિતાથી પોતાના વિશે વાત કરી શકે?
ગયે વરસે કોવિડની સ્થિતિ દરમિયાન ફોન પર અમારી વાતચીત થઈ ત્યારે તેમણે એ જ રીતે કહેલું, ‘મારા બિલ્ડિંગમાં એક પછી એક એમ બે જણનાં મૃત્યુ થયાં. હવે સૌથી મોટો હું જ છું એટલે મારો વારો છે.’ મેં હસીને કહેલું, ‘પુસ્તક પ્રકાશિત કર્યા વિના અમે તમને જવા નહીં દઈએ.’
તેમની જીવનકથાનું શીર્ષક પણ વાતવાતમાં સૂઝેલું. એક વાર અમારી વળતી મુસાફરી દરમિયાન એ કહે, ’આજે ‘ભોમિયા વિના ભમવા’તા મારે ડુંગરા’ કવિતા મેં વાંચી. મને લાગ્યું કે એ કવિતા મને જ લાગુ પડે છે.’ મેં સૂચવ્યું, ’તો આપણે એની પરથી જ શીર્ષક વિચારીએ ને!’ એ રીતે અમે ’ભોમિયા વિના ભમ્યો હું ડુંગરા’ શીર્ષક નક્કી કરેલું. અલબત્ત, આ જીવનકથાનું પ્રકાશન ઠેલાતું રહ્યું હતું.
૨૨ માર્ચે કિશનભાઈને કોવિડ-૧૯ને કારણે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોતાનો દેહ સમાજનાં કાર્યો માટે ઉપયોગી બની રહે એ બાબતે સતત સભાન રહેતા કિશનભાઈ અનેક શારીરિક તકલીફોનો સામનો એક યોદ્ધાની જેમ કરતા આવ્યા હતા. પણ આ યુદ્ધ જીવન સાથેનું તેમનું અંતિમ યુદ્ધ બની રહ્યું. આખરે ૬ એપ્રિલના રોજ વહેલી સવારે તેમણે દેહ છોડ્યો.
તેમનાં પત્ની રસિકાબહેન, પુત્ર દીપકભાઈ, પુત્રવધૂ સેજલબહેન, પુત્રી સાધનાબહેન, જમાઈ નૈમિષભાઈ અને તેમનાં સંતાનો – એમ સમસ્ત ગોરડિયા પરિવાર કે ‘સદ્ભાવના સંઘ’નાં સભ્યો તો ખરા જ, પણ કિશનભાઈના સંપર્કમાં આવ્યાં હોય એવા સહુ કોઈને એક વડીલ-મિત્ર – શુભચિંતક ગુમાવવાની લાગણી કિશનભાઈની વિદાયથી અનુભવાશે.
E-mail : bakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 11-12