“અરે! આ શું? આને તું આલુ પરાઠા કહે છે? આમાં તને ક્યાં ય આલુ દેખાય છે?”
“કેવી વાહિયાત વાત કરો છો? કશ્મીરી પુલાવમાં તમને કશ્મીર દેખાય છે કદી? ચૂપચાપ ખાઈ લો.”
પતિ-પત્ની વચ્ચેના સંવાદનો આ છે તો સાવ ઘસાઈ ગયેલો ટુચકો, પણ ટુચકા વાસ્તવિકતા બને એના જેવી કરુણતા બીજી એકે નહીં. ચીન દ્વારા સરહદે કરાતી અવળચંડાઈઓને પગલે ચીની બનાવટની ચીજ-વસ્તુઓના બહિષ્કારનું મોજું આવ્યું. લદ્દાખના સંશોધક ઈજનેર સોનમ વાંગચૂકનો, પોતાના ફોનમાંથી તમામ ચીની એપ તેમ જ અન્ય કાર્યક્રમોને કાઢી નાખવાની અપીલનો વીડિયો સંદેશ ફરતો થયો. તેમણે બહુ તાર્કિક રીતે તબક્કાવાર ચીની ચીજવસ્તુઓનો ઉપયોગ બંધ કરતા જવાની અપીલ કરી. ચીન સાથેની તંગદિલી વધી, ભારતીય જવાનો શહીદ થયા. એ વખતે અતિ ઉત્સાહમાં આવી ગયેલા એક કેન્દ્રીય પ્રધાને ‘ચાઈનીઝ ફૂડ’નો બહિષ્કાર કરવાની અપીલ કરી. આવા તંગ, કંઈક અંશે ચિંતાજનક વાતાવરણમાં પણ તેમણે ઠીક રમૂજ પૂરી પાડી.
કોઈ રમૂજ અને એ પણ આવી સરળ, બાળબોધી રમૂજ, આમ તો સમજાવવી પડે તો એમાંનું તત્ત્વ ગાયબ થઈ જાય. છતાં વર્તમાન સમયની તાસીર ધ્યાનમાં રાખીને એ જણાવવું જરૂરી બની રહે છે કે ‘ચાઈનીઝ ફૂડ’ તરીકે ઓળખાતી ચીની વાનગીઓ ખરેખર તો સ્થાનિક હોય છે. તેનું એટલી હદે સ્થાનિકીકરણ કરવામાં આવેલું હોય છે કે જે પ્રાંત કે દેશના નામે તેની ઓળખ હોય ત્યાંના લોકો પણ એને ઓળખી ન શકે. આપણે ત્યાં બનતી ઈટાલિયન, ચાઈનીઝ, મેક્સિકન કે એવી અન્ય દેશીય નામધારી વાનગીઓ શું ખરેખર જે તે દેશમાંથી મંગાવવામાં આવે છે? પણ હોય, દેશપ્રેમના પ્રદર્શનના અતિરેકમાં આવું બોલાઈ જાય ! આપણે મંત્રીશ્રીના શબ્દોને નહીં, તેની પાછળ રહેલા ભાવને સમજવાનો છે. અલબત્ત, બેએક મહિના અગાઉ આ જ મંત્રી મહાશયે એક સભામાં ‘ગો કોરોના, ગો!’ મંત્રનો જાપ કર્યો ત્યારે ય તે હાંસીને પાત્ર બન્યા હતા. ત્યાં પણ તેમના શબ્દો પાછળ રહેલા ભાવને જ પકડવો રહ્યો.
ચીનને સબક શીખવવા માટે આપણા નેતાઓ જનતાને પાનો ચડાવે અને ચીની ચીજવસ્તુઓના બહિષ્કારની અપીલ કરે ત્યારે કેટલીક વાસ્તવિકતાઓ નાગરિક તરીકે આપણે જાણી લેવી જોઈએ. અગાઉ 2017માં, એક નવી, દેશી કંપની ‘એસ.એમ.પી.પી. લિમિટેડ’ને કુલ 1.86 લાખ બુલેટપ્રૂફ જૅકેટ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. એ માટેનો કાચો માલ ચીનથી આયાત કરવાનો હતો. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સંસદમાં જણાવ્યું હતું કે ચીનથી આયાત કરવામાં આવતા કાચા માલ પર કોઈ પ્રતિબંધ નથી. અલબત્ત, હવે બદલાયેલી પરિસ્થિતિમાં આ અંગે પુનર્વિચાર કરવાની જરૂર છે એમ નીતિ આયોગના સભ્ય અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના ભૂતપૂર્વ વડા વી.કે. સારસ્વતે જણાવ્યું હતું. રક્ષણાત્મક સાધનો બનાવવામાં તેમ જ ટેલીકોમ જેવા ક્ષેત્રે આની ખાસ જરૂર હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.
બુલેટપ્રૂફ જેકેટ માટે સામાન્ય રીતે વપરાતું ‘હાઇ પરફોર્મન્સ પોલિઇથિલીન’ (એચ.પી.પી.ઇ.) ચીનથી મંગાવવામાં આવે છે. રક્ષાત્મક ઉપકરણો બનાવતા તમામ ઉત્પાદકો મોટે ભાગે ચીનથી જ તેની આયાત કરે છે. આ ઉપરાંત બોરોન કાર્બાઇડ તેમ જ અન્ય જરૂરી સામગ્રી પણ ચીનથી આયાત કરવામાં આવે છે. આનું મુખ્ય કારણ કિફાયતી કિંમત છે. કાનપુરસ્થિત ‘એમ.કે.યુ.’ના મેનેજિંગ ડિરેક્ટર નીરજ ગુપ્તાના જણાવ્યા અનુસાર, અન્ય આંતરરાષ્ટ્રીય દરની સરખામણીએ ચીની બનાવટનો કાચો માલ 60થી 70 ટકા સસ્તો હોય છે. આ તમામ આયાત બંધ કરવી હોય તો સૌ પહેલાં દેશમાં તેનો સબળ વિકલ્પ વિકસાવવો પડે.
‘કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ’ દ્વારા ચીની બનાવટની પાંચસો ચીજોની યાદી બહાર પાડવામાં આવી છે કે જે બહિષ્કારને લાયક છે. આ યાદીમાં કપડાં, રમકડાં, પગરખાં, રસોડાની ચીજોથી લઈને વિવિધ પ્રકારની ચીજોનો સમાવેશ થાય છે. ભારત સરકારે વિવિધ કામો માટે ચીની કંપનીઓને કંત્રાટ આપ્યા હોય એ અલગ. સરકારના વાણિજ્ય વિભાગના આંકડા અનુસાર રમતગમતનાં સાધનોમાંની અડધા કરતાં વધુ આયાત ચીનથી થાય છે અને તેનું કારણ માત્ર કિફાયત કિંમત નથી, બલકે ગુણવત્તા પણ ખરી. આથી સૌ પ્રથમ આવાં ઉત્પાદનો દેશમાં બનાવવા માટે, તેની ગુણવત્તા જાળવવા માટે માળખું ઊભું કરવું પડે. આવેશ કે દેશપ્રેમના નામે કરાયેલા બહિષ્કારથી એ થઈ ન શકે. આવા ટાણે નાગરિકોને દેશપ્રેમનો પાનો ચડાવનાર નેતાઓ પોતે શેનો બહિષ્કાર કરે છે એ તેઓ જણાવતા નથી.
એ હકીકત છે કે સૈનિકો, શહીદો અને સૈન્ય આપણા નેતાઓના પ્રિય મુદ્દા રહ્યા છે. આ બાબતે રાજનીતિ ન રમવાની અપીલ તેઓ વખતોવખત કરતા રહે છે, પણ આ મુદ્દે તેમનાથી વધુ રાજનીતિ બીજું કોણ રમતું હશે એ મોટો સવાલ છે. દેશવાસીઓની ભાવનાને દેશપ્રેમ કે રાષ્ટ્રવાદના ઓઠા હેઠળ ભડકાવવી એક વાત છે અને ખરેખરાં, નક્કર પગલાં લેવાં એ બીજી વાત છે. ભલે આવેશમાં, પણ આ રીતે કરાયેલા બહિષ્કારથી ચીની અર્થતંત્રને વિપરીત અસર થતી હોય તો, પોતાને સોંપાયેલા વધુ એક ટાસ્ક લેખે પણ મોટા ભાગના નાગરિકો એ હોંશે હોંશે કરશે. તેની સામે, જેમણે ખરેખર કરવાનું છે એવા નેતાઓ જ્યાં અને જે કરવાનું છે એ યોગ્ય રીતે કરે એ અપેક્ષિત છે. અત્યાર સુધી તો એવાં કોઈ લક્ષણ કળાયાં નથી. હવે તો એમ લાગે છે કે બીજું કશું કરવામાં ન આવે અને વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં આવે તો એ પણ નાગરિકો પર કરાયેલો મોટો ઉપકાર હશે. ઉત્સાહના અતિરેકમાં ‘ચાઈનીઝ ફૂડ’ની લારીઓ કે રેસ્તોરાં તે પરાણે બંધ ન કરાવે તો એ પણ દેશસેવા જ ગણાશે.
એટલું ખરું કે હવે સત્તાધારી પક્ષ પોતાની જૂની રીતરસમ મુજબ ‘સરહદ પર સૈનિકો મરતા હતા ત્યારે તમે ક્યાં હતા?’ એમ કોઈને પૂછીને ચૂપ કરી શકે એમ નથી.
e.mail : bakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 04-05