જે ચશ્માંથી
બાપુએ
ભારતને નિહાળ્યું
તે આજે પડ્યાં છે
મ્યૂઝિયમના ખૂણામાં
બાપુની લાઠી
વપરાઈ રહી છે
હડતાળિયાઓના
મોરચા વિખેરવામાં અને
જે પ્યાલીમાં
બાપુએ
બંગાળનાં તોફાનો પછી
પારણું કર્યું’તું તેને વાપરે છે
એમના અનુયાયીઓ
થૂંકદાની માટે!
બસ હવે કદાચ બચી છે
પેલાં ભૂલકાંએ આપેલી
અઢી ઇંચની પેન્સિલ …..
જેને હું શોધી રહ્યો છું
સવાર-સાંજ
ક્યાંક
એ પેન્સિલની અણી પરથી
સત્ય
બટકી તો નથી ગયું ને!!!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 02