નહેરુ જયંતી

જુગલબંદી : જવાહર ને સરદારની પરસ્પર પૂરક, ઉપકારક જોડી
સુવાંગ શાસનનાં દસ વરસ પછી અને છતાં બદ્ધેબધ્ધો ગરબડયશ સ્વરાજના સ્થાપક–પિતાઓને જ ધરાર દીધે રાખવાની બચકાના હરકત ધોરણસરની તપાસ માંગે છે : બહુ થયા ઇતિહાસના ‘જો‘ અને ‘તો‘.
લેપિયર – કોલિન્સની, આપણા સ્વરાજસંગ્રામને લગતી લોકપ્રિય કિતાબ ‘ફ્રીડમ એટ મિડ નાઇટ’ પર આધારિત સિરિયલ તરતમાં વહેતી મૂકવાની છે ત્યારે એની આગોતરી ખાટીમીઠી, કહો કે ટીઝર, સોશ્યલ મીડિયા પર જોઈ તમે? કાઁગ્રેસ કારોબારીના વરિષ્ઠ સદસ્યો એકત્ર થયા છે. મૌલાના આઝાદ છ વરસ પછી પ્રમુખપદેથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એમનું (કાઁગ્રેસ પ્રમુખનું) સ્થાન કોણ લેશે એ વિમર્શમુદ્દો છે. સંખ્યાબંધ પ્રાન્તિક સમિતિઓ સરદાર તરફે છે. ટીઝરમાં દર્શાવ્યા મુજબ, ચાલુ વિમર્શે ગાંધી પ્રવેશે છે. દેશને પટેલની જરૂર છે એવો મુદ્દો એ લગભગ અધોરેખિત શૈલીએ કરે છે, અને જવાહરલાલના પ્રમુખપદની ભલામણ કરે છે.

પ્રકાશ ન. શાહ
લ-ગ-ભ-ગ ઇતિ સિધ્ધમ ઢબે આ ખટમીઠું પડદાઊંચક આપણી સામે આવે છે. પણ દેશની તવારીખનો આ તબક્કો કોઈ એકાએક આવી પડેલ કે ઉપરથી ટપકી પડેલ નેતૃત્વનો વાસ્તવમાં નથી. સ્વરાજયાત્રા દરમિયાન 1929ની લાહોર કાઁગ્રેસના વારાથી નવા નેતૃત્વનું સહજ એલાન જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મુકમ્મલ આઝાદીના ઠરાવ સાથે થઈ જ ચૂક્યું છે. પછીનાં વરસો સંગઠનના માણસ તરીકે પટેલ અને લોકમોઝાર નેતૃત્વના અનેરી જુગલબંદીના છે. એમાં સમવિષમ ચડાવઉતાર હોઈ શકે, પણ જુગલબંદી તે જુગલબંદી.
જવાહર-સુભાષ પૈકી ભગતસિંહને આર્થિક સામાજિક કાર્યક્રમને ધોરણે જવાહર સારુ પક્ષપાત છે. હવે જુઓ 1931ની કરાચી કાઁગ્રેસમાં જવાહરના બે પ્રિય મુદ્દા – મૂળભૂત અધિકારો અને નાગરિક સ્વાધીનતા – ઠરાવરૂપે પસાર થઈ પ્રતિમાન સરજે છે ત્યારે પ્રમુખપદે વલ્લભભાઈ છે. 1935ના બંધારણ પ્રમાણે ચૂંટણી લડાય છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટણીજંગમાં ચાવીરૂપ સંકલન દાયિત્વ સંગઠન છેડે પટેલ હસ્તક છે અને દેશ આખામાં ધૂમી વળી જનમતને જીતવો એની જવાબદારી જવાહર બખૂબી પાર પાડે છે. એ દિવસોમાં વલ્લભભાઈએ બાપુને લખેલો પત્ર વાંચો. જવાહરે કેવું ભગીરથ કામ કેટલાં ભોગ સાથે પાર પાડ્યું, એ પ્રશંસાભાવ સાથેના વત્સલ શબ્દોમાં નાનો ભાઈ (સરદાર) મોટા ભાઇ(ગાંધી)ને રિપોર્ટ કરે છે. પોતાનાથી 14 વરસ મોટા વલ્લભભાઈ અને 20 વરસ મોટા ગાંધી સાથે મતભેદ સમેતનો સૌહાર્દ સમ્બન્ધ, કોણ સમજે.
વિભાજનની વિભીષિકા વચ્ચે મોટી વાત દેશજનતાને બાંધતા ઊર્મિવત્સલ એવા અલબત્ત ખરી હૂંટીના અવાજની છે, એવી જ વળી રાજકીય એકમ તરીકેના દૃઢબંધની જરૂર છે. જવાહર ને સરદાર પરસ્પ પૂરક, ઉપકારક, સંસ્કાર (કરેક્ટિવ) એવી દુર્મિળ જોડી તરીકે બોજનું વહન કરે છે. બંનેને એકબીજા વિશે ખબર પણ છે, અને કદર પણ છે. મુંબઈની વિરાટ સભાને નેહરુ-પટેલ સંબોધે છે. પત્રકાર વિન્સેટ શીન આફરીન પોકાર્યાનો ભાવ પટેલ સમક્ષ વ્યક્ત કરે છે. પટેલ સહજભાવે કહે છેઃ મિ. શીન, આ બધું લોક જવાહર સારુ ઊમટ્યું છે.
વિદેશ મંત્રીની નેહરુગાદીએ હાલ બેસતા એસ. જયશંકર વચ્ચે ગતકડું લઈને આવ્યા હતા કે નેહરુની કેબિનેટ યાદીમાં વલ્લભભાઈનું મૂળે નામ જ નહોતું! ભાઈ, નેહરુનો પટેલ પરનો કાગળ ઇતિહાસદર્જ ને ફાઈલબદ્ધ છે. એ લખે છે, મારે તમને ઔપચારિકતા સર નિમંત્રણ આપવું પડે છે, પણ (તમને એની જરૂર નથી, કેમ કે બધા જાણે છે કે) તમે આ નવી રચનાનો આધારસ્થંભ છો. 19 જુલાઈ 1947ના રોજ સત્તાવાર યાદી નેહરુએ લૉર્ડ માઉન્ટબેટન પર મોકલી એમાં ગણેશનામ શું પહેલું જ સરદાર રિપીટ, સરદાર વલ્લભભાઈ પટેલનું છે.
‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં મૌલાના આઝાદે લખ્યું છે કે જો નેહરુનું નામ મૂક્યું એને બદલે પટેલનું મૂકવા જેવું હતું એમ મને લાગે છે. પાછળથી મેં પટેલને પૂછ્યું હતું કે તમે કેમ તમારે માટે આગ્રહ ન રાખ્યો. એમણે કહ્યું કે, 1945માં જેલમાંથી આવ્યો તે પછી શરીર સાવ કોરાઈ ગયેલું છે. ગમે ત્યારે ઢબી પડે એવું છે. (મતભેદો છતાં) અટ્ઠાવનના જવાહર ને બોત્તેરના વલ્લભ વચ્ચે, જે પણ વર્ષો ને સ્વાસ્થ્ય છે તે જવાહર પાસે સ્તો છે.
કેળવવા જોગ પરિપ્રેક્ષ્યનું આ તો એકદશાંશમું ટોચકું માત્ર છે. દસ વરસના સુવાંગ શાસન પછી અગિયારમે પણ નહીં પકડાય તો ક્યારે પકડાશે ? રામ જાણે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 13 નવેમ્બર 2024
![]()



‘હું અને જવાહરલાલ દાયકાઓથી કાઁગ્રેસસાથી રહ્યા છીએ. એક જ પરમ ગુરુ(ગાંધી)ના સમર્પિત અનુયાયીઓ અને સ્વાતંત્ર્યસંગ્રામના સાથી સૈનિકો છીએ. આજે આ વિશાળ દેશના વહીવટ અને સંગઠનનો બોજ પણ અમે સાથે ઉઠાવીએ છીએ.’
1928માં વલ્લભભાઈ બારડોલી સાથે ‘સરદાર’ રૂપે ઉભર્યા છે. ત્રેપનના સરદાર જેમ દેશમાં ધ્યાન ખેંચવા લાગ્યા છે તેમ ચાલીસી વટાવે તે આગમચ જવાહર દેશના યુવજનોમાં પ્રિયમૂર્તિ રૂપે ઉભરવા લાગ્યા છે. યુવાનોને ખેંચતાં બે વ્યક્તિત્વ જવાહર અને સુભાષનાં છે. એ જ મહિનાઓમાં ભગતસિંહે આ બેને વધાવ્યાં છે, અને નજીકની વૈચારિક પસંદગી રૂપે જવાહર પર કળશ ઢોળ્યો છે, ભગતસિંહને લાગે છે કે આદર્શનો યુવા તરવરાટ-થનગનાટ બેઉમાં છે, હણહણતી દેશભક્તિના આસામી બેઉ છે, પણ સુભાષ નકરા ભાવાવેશના જન વધુ છે અને જવાહરનો આર્થિક-સામાજિક વિચારપિંડ બંધાયેલ છે.
મુશ્કેલી એ છે કે ઇતિહાસ સાથે તોડમરોડની હર કોશિશમાં કોઈક તબક્કે ઘાંઘાઈ પ્રગટ્યા વિના રહી શકતી નથી. ગુજરાતમાં એનો ક્લાસિક કિસ્સો હજુ પંદર વર્ષ પર જ ભજવાયો હતો. 1998-2004ના વાજપેયી પ્રધાનમંડળના સભ્ય જસવંતસિંહ 2009માં એક અભ્યાસપૂર્ણ પુસ્તક લઈને આવ્યા હતા – ‘જિન્નાહ (ઈન્ડિયા-પાર્ટિશન-ઈન્ડિપેન્ડન્સ).’ હાલનું કેન્દ્રીય નેતૃત્વ ત્યારે પ્રદેશ સ્તરે વિલસતું હતું અને રાષ્ટ્ર સ્તરે પહોંચું પહોંચું હતું. જસવંતસિંહ ત્યારે ભા.જ.પ. શ્રેષ્ઠીઓની ગુડ બુકમાં નહોતા એટલે પોતાનો રોમ રોમ રૂતબો દાખવવાના જોસ્સામાં ગુજરાતના નેતૃત્વે આ પુસ્તક પર પ્રતિબંધ ફટકાર્યો. ક્યારે પ્રગટ થયું, ક્યારે વંચાયું એવી મામૂલી દરકાર વગર એમણે ક્રિમિનલ પ્રોસીજર કોડની 95મી કલમનો આશરો ઝીંકી જસવંતસિંહની રજૂઆત વાંધાભરી, ગેરરસ્તે દોરનારી અને જાહેર શાંતિને વિરોધી હોવાનું જણાવ્યું. મુદ્દે, ભાગલામાં વલ્લભભાઈનીયે જવાબદારી હોવાનું વિધાન એમાં હતું તે પોતે ખડી કરવા ધારેલ મૂર્તિની સામે જતું હતું.
મનીષી જાની અને મને લાગ્યું કે આપણે સમ્મત હોઈએ અગર અસમ્મત, પણ આવી મનસ્વિતા ને સેન્સરશાહી ચલાવી ન લેવાય. એટલે અમે હાઇકોર્ટની દેવડીએ ગયા, કર્ટસી ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક. હાઇકોર્ટે સરકારી પ્રતિબંધ વાજતે ગાજતે ઉરાડી મેલ્યો. … પણ ખરી વાત તો એ પછી શરૂ થઈ જ્યારે વાજપેયી પ્રધાનમંડળના અરુણ શૌરી પડમાં પધાર્યા. એમણે કહ્યું, બચાડા જસવંત પર શીદને તૂટી પડો છો. સંઘના શીર્ષ અધિકારી હો.વે. શેષાદ્રિનું પુસ્તક જ વાંચો ને. એમણે ભાગલા બાબતે પટેલ સહિત બધાને જે લીધા છે, એ તો જુઓ!
ઇતિહાસ દૃષ્ટિએ આ સાર્ધ શતાબ્દી વર્ષમાં કરવા જેવું પાયાનું કામ એક કાળે સરદાર પરત્વે ડિસ્-યુઝ (નાખો વખારે) જેવું વલણ હતું અને હમણેનાં વર્ષોમાં જે મિસ્-યુઝ (ચઢાવો છાપરે) ચલણ છે, એ બેઉ છાંડીને સમ્યક અભિગમ કેળવવાનું છે. આ સંદર્ભમાં હાલનું સત્તા-પ્રતિષ્ઠાન અને હિન્દુત્વ રાજનીતિ લગરીક પણ જાતમાં ઝાંખી શકે તો જરૂર રૂડું થશે.