મુદ્દાની વાત એ છે કે જનતાએ ક્યારેક જેમને લોકશાહી વિકલ્પ તરીકે પસંદ કર્યા હશે હવે ધરાર લોકશાહીના વિકલ્પે આગળ વધવાની ફિરાકમાં છે

પ્રકાશ ન. શાહ
આજે સત્તરમીએ સંજવારી વેળાએ અને ઊતરતી રાત્રિએ દિલ્હીથી માંડી દેશ આખો દીવડે ઝળહળાવવાનો પક્ષના સરનશીનનો આદેશ છે; કેમ કે વડા પ્રધાનનો જન્મદિવસ છે અને ગુજરાતથી એ હોદ્દે ચઢ્યા એ વિશ્વઘટનાને અધધધ પચીસ વરસનાં વહાણાં તરતનાં અઠવાડિયાંમાં વાશે એના શોરઉજવણાં ખાસા મહિનો માસ ચાલશે. જશનને ઝભલું પણ રૂડું ચઢાવ્યું છે – સેવા સંકલ્પ અભિયાન. એમનાં મોમાં સાકરશેલડી, સાહેબો, સાકરશેલડી.
સવાલ કમબખ્ત એ છે કે દોમ દોમ દીવડાના ઝગ ઝગ ઝગારામાં જરી અંજપો ઓસરતે શું શું દેખાશે. પાછળ નજર કરતાં શરૂના ગાળાનું પ્રચારધુમ્મસ હટતાં જૂન 2024ની વિજયહાંફ અને એથી પણ સવિશેષ તો હમણેની જંતરમંતર ઝંઝા વરતાશે. એ ઝંઝામાં બને કે પેલા દીવડા બુઝાતા પણ માલુમ પડે. જો કે એ ઓર બુઝાય તે પહેલાં જેન ઝી અને ઝેન આલ્ફાની મશાલો પ્રજ્વલિત થતી દેખાય અને ધનુષ્યભંગ સાથે પરશુરામને બદલે રામનું સ્થાપિત થવું એ વાલ્મીકિનું રામાયણ દર્શન પણ જુદેસર અંગડાઇ લઇ ઉઠે. ભાઈ, યે તો અંગડાઇ હૈ, આગે ઓર લડાઈ હૈ એ મતલબનો નેહા બોરાનો ટંકાર બલકે રાહુલનો રંગ રણકાર પણ છાત્રોંકી ગુંજ સાથે સહસા સ્ફોટ કરતો વરતાય.
મુદ્દે એક નવી જ નસલ આવી છે ચિત્રમાં : ખરાખોટા જૂના જખ્મો બાબતે ટાંકાતોડ ટેભામરોડ વિચારધારાકીય આથા અમળાટના કળણમાં નહીં ખૂંપતા એ વાસ્તવિક સવાલોનાં, એ સવાલો બાબતે હુક્મરાનોની કામગીરીનાં લેખાંજોખાં લેવા ચહે છે. દેશભક્તિનાં ગર્જનતર્જનની રાજનીતિની આરપાર દેશ માટેની સાચુકલી પ્રીતિપૂર્વક એ કથિત વિકાસનો વાંસો જોયો નહીં જોયો નથી કરતી. કોક્રોચ કર્મશીલોએ શાળાઓની તપાસ હાથ ધરી તે એમના રચનાત્મક અભિગમની એક સાહેદી આપતી બીના છે, સરસ તો એ બન્યું કે એમણે વિપક્ષી હાથા તરીકે ભા.જ.પ. શાસિત રાજ્યોમાં પોતાની તપાસ સીમિત નહીં રાખતાં કૉંગ્રેસ, ઝામુમો, આપ રાજ્યોમાં પણ પ્રયાસ કર્યો. રાતવરત રીલ ઉતારી પ્રતિસાદ આપવાની કોશિશ પછી અને છતાં ભા.જ.પ. નેતૃત્વે પોતાનાં રાજ્યોમાં તપાસકોશિશને ધુત્કારી કાઢી જ્યારે ઈતર રાજ્યોએ ટીકા સહિતનાં તપાસતારણો વિશે કોક્રોચ ટીમ સાથે દિલખુલાસ વાતચીતનો રવૈયો અપનાવ્યો.
ભા.જ.પી. પૉર્ન પૅડલર અમિત માલવિયાના ખેલને ખતમ કરી ડિજિટલ દુનિયામાં સુવાંગ સ્વતંત્ર અખત્યાર ધરાવવા લાગેલ જેન ઝી અને જેન આલ્ફા 2029ની લોકસભા ચૂંટણીમાં ખાસો મોટો મતદારસમૂહ હોવાનો છે. 2014 અને 2019ની વિકાસવાર્તા કે કોમી પેચપવિત્રાની કરી પૂર્વવત ચાલવાની નથી. સંઘસ્થાનોમાં ઉછરેલી પેઢીઓ ઘરઆંગણે જેન ઝી અને જેન આલ્ફા સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરવાની સ્થિતિમાં નથી.
ઘડીભર થાય છે કે હું આ ચર્ચા શીદ લંબાવું છું. લોકશાહી વિકલ્પની આપણી શોધમથામણ આજે ખુદ લોકશાહીના વિકલ્પ ભણી ધસમસી રહેલ છે. 1974-75માં એક તબક્કે આવો ભય વરતાયો હતો અને જે.પી. પ્રતાપે દેશજનતાએ એનો જવાબ પણ રૂડો આપી જાણ્યો હતો. પણ ત્યારે એક સુખ હતું એમ આજના અનુભવે સમજાય છે. એ સુખ નામકે વાસ્તે પણ બંધારણીય સુધારાની રીતે અંજીરપાંદ ચેષ્ટાનું હતું. એની સામે લડીને આજે વારસાઇનો ખેલ પાડતા હાકેમોએ અઘોષિત કટોકટીનો ઘોર બંધારણીય અંચળો અસ્ત્રીબંધ રાખવાની મહારત હાંસલ કરી છે.
લોકમાં સત્તાનું સ્થાપન ને સંગોપન એ લોકશાહીનો સહજ ધર્મ છે. જેન ઝી અને જેન આલ્ફા એની ઉપાસના કાલીઘેલી પણ ઝંખે છે. આજના હાકેમો ‘પાવર ઈન પીપલ’ને બદલે ‘પીપલ ઈન પાવર’ની ધરાર ફિરાકમાં છે. મતાંકન (સર), સીમાંકન (ડિલીમીટેશન) અને વન નેશન-વન ઇલેકશન એ પદ્ધતિએ હાથ ધરાયેલ કારવાઈ એ જ દિશામાં છે. દીવાઓના અંજાપા અને એથી અંધાપામાં આ ન દેખાય તો પણ જંતરમંતરદીધી ઇતિહાસમશાલ તો છે.
16 સપ્ટેમ્બર 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

