સતત સદંતર ફૂંકાતા બણગા,
પ્રફુલ્લ છાતી, પ્રગટ છે જંઘા.
બધું અનાવૃત થઈને રહેશે,
જુગારી જૂગટે ચડ્યા અઠંગા
ચઢે છે નેવાંનાં પાણી આભે,
જટાથી દરિયે વહે છે ગંગા.
ક્યાં ભાગ્ય છે ને ક્યાં છે વિધાતા?
તલાશે ગુજરાત, ખોજે બંગા.
અશક્ત દૈવત ને દુર્ગ દારુણ,
પધારો શાકંભરી ઓ દુર્ગા!
ઓગસ્ટ -સપ્ટેમ્બર 2022
* શાકંભરી: દુર્ગ નામના રાક્ષસનો નાશ કરવા પાર્વતીએ શિવની આજ્ઞાથી રૂપ ધર્યું હતું. દુર્ગ અથવા દુર્ગમાસુર એણે તપ કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યું કે મને સંપૂર્ણ વેદ આવડે. બ્રહ્મદેવે તથાસ્તુ કહેતાં જ એને સઘળા વેદ આવડી ગયા અને બ્રાહ્મણ માત્રને વેદની વિસ્મૃતિ થઈ. એમ થવાથી યજ્ઞાદિ કર્મ બંધ થઈ ગયાં. દેવોને હષિર્ભાગ મળતો બંધ થવાથી તેમની શક્તિ ક્ષીણ થઈ. તેથી પૃથ્વી ઉપર અનાવૃષ્ટિ થઈ. દુર્ગમે સઘળા દેવોનાં સ્થાન લઈ લીધાં. દેવોએ આદિશક્તિની આરાધના આરંભી. સઘળા દેવો આગળ શક્તિ પ્રગટ થઈ અને વર માગો એમ કહ્યું, પરંતુ અશક્તપણાને લીધે કશું બોલાયું જ નહિ. શક્તિએ પોતાની શતાવધિ આંખોથી દયા ભરેલી દૃષ્ટિએ દેવતાઓ સામે નિહાળ્યું અને પોતાને હાથે તેમને અનેક વનસ્પતિ ખવરાવી તેમની ગ્લાનિ દૂર કરી. આ ઉપરથી શક્તિનું નામ શાકંભરી પડ્યું. પછી શક્તિએ દુર્ગનો વધ કર્યો, એ ઉપરથી શક્તિનું નામ દુર્ગા પડ્યું.