હાલમાં જ એવા સમાચાર મળ્યા કે દેશના જાણીતા ગીતકાર, કવિ અને લેખક એવા સાહિર લુધિયાન્વીનાં કિંમતી પત્રો, ડાયરી અને કેટલાંક ફોટોગ્રાફ્સ મુંબઈના એક કબાડીવાળાના ત્યાં ભંગારમાંથી મળી આવ્યાં છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક શિવેન્દ્ર ડુંગરપુરે ટ્વિટ કરીને આ વાત જણાવી. સાહિર લુધિયાન્વીના આ અમૂલ્ય 'ખજાના'ને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને કબાડીવાળા પાસેથી માત્ર રૂપિયા 3 હજારમાં ખરીદ્યો અને હવે તેની યોગ્ય જાળવણી કરવામાં આવશે. ભંગારમાંથી મળી આવેલી સાહિર લુધિયાન્વીની આ કિંમતી ચીજવસ્તુઓમાં તેમની રોજનીશીનો સમાવેશ થાય છે કે જેમાં તેઓ ક્યાં ગીત રેકોર્ડિંગ કરવા માટે જવાનું છે અને દરરોજના કાર્યક્રમની વિગતો નોંધતા હતા. આ સિવાય સાહિર લુધિયાન્વીની નઝમ, નોટ અને કેટલાંક ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યાં છે. આ સિવાય અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં લખેલા સાહિર લુધિયાન્વીના પત્રો પણ આ પસ્તીમાંથી મળી આવ્યા. ફિલ્મ અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે આ ખૂબ જ દુ:ખદ સમાચાર કહેવાય કે પ્રસિદ્ધ કવિ અને ગીતકાર સાહિર લુધિયાન્વીના અમૂલ્ય વારસાની આવી ખરાબ હાલત જોવા મળી. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ગીતકાર સાહિર લુધિયાન્વીનો બોલિવૂડમાં એક સમયે એવો ડંકો વાગતો હતો કે ફિલ્મના પોસ્ટરમાં ગીતકાર તરીકે ખાસ તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. ફિલ્મનાં ગીત લખવા માટે તેઓ સંગીતકાર કરતાં પણ વધુ પૈસા લેતા હતા.
સાહિર લુધિયાન્વી (8 March 1921 – 25 October 1980) ભારતીય સિનેમાના જાણીતા ગીતકાર અને કવિ હતા. ગુરુદત્તની ફિલ્મ 'પ્યાસા', 'નયા દોર', 'ફિર સુભહ હોગી', 'ધૂલ કા ફૂલ', 'બરસાત કી રાત', 'કભી કભી', 'તાજમહલ', 'સાધના' અને 'હમ દોનો' જેવી જેવી અનેક બોલિવૂડ ફિલ્મોમાં અમર ગીતોની રચના કરનાર ગીતકાર સાહિર લુધિયાન્વી એક પ્રખ્યાત શખ્સિયત હતા. અબ્દુલ હાયી ગુજ્જરના નામે જન્મેલા ગીતકાર સાહિર લુધિયાનવી માત્ર 24 વર્ષની ઉંમરમાં જ લાહોરમાં મશહૂર થઈ ગયા હતા, કારણ કે તે સમયે તેમનું પુસ્તક 'તલ્ખિયાં (કડવાશ)' બજારમાં આવી ગયું હતું. તેઓ ઉર્દૂ સમાચારપત્ર 'અદબે-લતીફ', 'શાહકાર' અને 'સવેરા'ના સંપાદક બની ચૂક્યા હતા. બાદમાં તેઓ હિન્દુસ્તાન આવ્યા અને 'પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન'માં જોડાયા. 1950-60ના આ દાયકામાં ડાબેરી વિચારધારાથી પ્રભાવિત એવા સાહિર લુધિયાન્વી પર કવિ ફૈઝ અહમદ ફૈઝ અને મજાજનો ખાસ્સો પ્રભાવ પડ્યો. ધનિક પરિવાર સાથે સંબંધ ધરાવતા સાહિર લુધિયાન્વી ખાણીપીણી અને મહેફિલોના શોખીન હતા, હંમેશાં મિત્રોથી ઘેરાયેલા રહેતા સાહિરે મિત્રો પાછળ ખૂબ પૈસા ઉડાવ્યા હતા. તેમના ઘરે આખી રાત જલસા ચાલતા અને તેમાં દેશના જાણીતા કવિઓ, ગીતકાર અને લેખકો હાજરી આપતા. લોકો તેમના વખાણ કરે તે સાહિરને ખૂબ જ પસંદ હતું અને અન્ય શાયરની તેઓ મજાક પણ ઉડાવતા હતા.
જાણીતાં લેખિકા અમૃતા પ્રીતમ પણ સાહિર લુધિયાન્વીના પ્રેમમાં પાગલ હતાં. અમૃતા પ્રીતમે તેમની આત્મકથા 'રસીદી ટિકિટ'માં સાહિર લુધિયાન્વીનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે તેઓ કલાકો સુધી બેસી રહેતા, કશું બોલતા નહીં અને માત્ર સિગારેટ ફૂંક્યા કરતા. તે જતા રહે પછી હું (અમૃતા પ્રીતમ) તેમની પીધેલી સિગારેટના ટુકડા સંભાળતી અને એકલામાં પીતી કે જેમાં મને સાહિરના હાથ અને હોઠનો અહેસાસ થતો હતો. અમૃતા પ્રીતમે સાહિર લુધિયાન્વીની ઘણી રાહ જોઈ પણ તેઓ આવ્યા નહીં. સાહિર લુધિયાન્વી આજીવન અપરિણત રહ્યા. જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં સાહિર લુધિયાન્વીનો પ્રવેશ થયો ત્યારે તેમણે પોતાની શરતો મુજબ ગીતો લખવાનો આગ્રહ રાખ્યો. આ કારણે શરૂઆતમાં તેમણે ઘણી ફિલ્મો હાથમાંથી જવા દીધી, તેમ છતાં પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આખરે વર્ષ 1951માં આવેલી ફિલ્મ 'નૌજવાન'માં સાહિરને ગીતો લખવા માટેનો પ્રથમ બ્રેક મળ્યો. આ ફિલ્મનાં ગીતો હિટ રહ્યા અને તેઓ સફળતાની ગેરંટી બની ગયા. બાદમાં વર્ષ 1975 સુધીનો બોલિવૂડનો સમય સાહિરનાં લખેલા ગીતોથી ગૂંજી ઊઠ્યો. સાહિર લુધિયાન્વીનો ફિલ્મો પર એવો પ્રભાવ હતો કે તેઓ માત્ર તેમના પસંદગીના સંગીતકાર સાથે જ કામ કરવાનું પસંદ કરતા હતા.
બોલિવૂડનો એક જાણીતો કિસ્સો એવો છે કે રશિયન નવલકથાકાર ફ્યોદર દોસ્તોએવસ્કીની નવલકથા 'ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ' આધારિત અને રાજ કપૂર સ્ટારર ફિલ્મ 'ફિર સુભહ હોગી'માં ગીતકાર તરીકે સાહિર લુધિયાન્વીને પસંદ કરવામાં આવ્યા કારણ કે આ ફિલ્મના કેન્દ્રમાં સમાજવાદ હતો. જ્યારે આ ફિલ્મમાં સંગીતકાર પસંદ કરવાની વાત આવી ત્યારે લોકોને એવું લાગતું હતું કે આ ફિલ્મનું સંગીત શંકર-જયકિશન આપશે કારણ કે રાજ કપૂરની મોટાભાગની ફિલ્મોમાં તેઓ સંગીત આપી ચૂક્યા હતા. પરંતુ, સંગીતકાર શંકર-જયકિશનની કોઈ રાજનૈતિક વિચારધારા નહોતી. માટે, ગીતકાર સાહિર લુધિયાન્વીએ કહ્યું કે આ ફિલ્મનું સંગીત શંકર-જયકિશને નહીં પણ કોઈ અન્ય સંગીતકારે આપવું જોઈએ. ત્યારબાદ ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના ડિરેક્ટર રમેશ સાઈગલે નક્કી કર્યું કે ગીતકાર સાહિર લુધિયાન્વી, રાજ કપૂર અને સંગીતકાર ખય્યામની મુલાકાત કરાવવામાં આવે. તેઓ રાજ કપૂરના ઘરે ભેગા થયા અને રાજ કપૂરે ખય્યામને લતા મંગેશકર દ્વારા ગિફ્ટ કરાયેલો તાનપુરો આપતા કહ્યું કે કશું સંભળાવો. તે દરમિયાન બપોરનો સમય હતો, ખય્યામે રાગ પૂરિયા ધનાશ્રી સંભળાવ્યો. રાજ કપૂરે ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના ટાઈટલ પર ધૂન બનાવવાનું કહ્યું અને ખય્યામે ટાઈટલ સહિત કુલ પાંચ ધૂન તૈયાર કરી. આ રીતે ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના સંગીતકાર તરીકે ખય્યામની પસંદગી કરવામાં આવી. સાહિર લુધિયાન્વીએ લખેલાં ફિલ્મ 'ફિર સુભહ હોગી'નાં બધાં ગીતો સુપરહિટ થયાં. અન્ય એક કિસ્સામાં ફિલ્મમેકર યશ ચોપરા તેમની ફિલ્મ 'કભી કભી' માટે સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલને લેવા માગતા હતા પણ સાહિર લુધિયાન્વીના કહેવાથી આ ફિલ્મના સંગીતકાર તરીકે ખય્યામની પસંદગી કરવામાં આવી.
સાહિર લુધિયાન્વીનો બોલિવૂડમાં ગીતકાર તરીકે પ્રવેશ થયો તે પહેલાં રેડિયો પર જે ગીતો વાગતાં હતાં તેમાં માત્ર ગીતના ગાયક અને સંગીતકારનું નામ લેવામાં આવતું હતું. પરંતુ, સાહિર લુધિયાનવીના આવ્યા બાદ રેડિયોનાં ગીતમાં ગીતકારના નામને સ્થાન મળ્યું. આ કારણે ગીતકારોને પણ મ્યુઝિક કંપનીની રૉયલ્ટીમાં હક મળ્યો. સાહિર લુધિયાનવી જે ફિલ્મ માટે ગીતો લખતા હતા તે ફિલ્મના સંગીતકાર કરતાં એક રૂપિયા વધારે મહેનતાણું લેતા હતા. સાહિર એવો આગ્રહ રાખતા હતા કે પહેલાં હું ગીત લખી આપીશ અને બાદમાં તે આધારિત સંગીતકાર તેની ધૂન તૈયાર કરશે.
તારીખ 25 ઓક્ટોબર, 1980ના દિવસે સાહિર લુધિયાન્વીનું માત્ર 59 વર્ષની ઉંમરમાં હાર્ટ-અટેકના કારણે મુંબઈમાં નિધન થયું. સાહિર લુધિયાન્વીના જીવન પર અત્યાર સુધી અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેમની નઝમ, ગઝલ, ગીતો અને કવિતાઓને સંકલિત કરતાં પુસ્તકો પણ બજારમાં ઉપલબ્ધ છે. જે પૈકી વર્ષ 2016માં પ્રકાશિત થયેલા પુસ્તક (સંપાદન – આશા પ્રભાત) 'સાહિર સમગ્ર'માં તેમની સંપૂર્ણ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહિર લુધિયાન્વીના યાદગાર ગીતોમાં ફિલ્મ 'હમ દોનો'નું 'મેં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા', ફિલ્મ 'કભી કભી'નું મેં 'પલ દો પલ કા શાયર હું', ફિલ્મ 'પ્યાસા'ના 'યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે' અને 'જાને વો કેસે લોગ', ફિલ્મ 'ધૂલ કા ફૂલ'નું 'તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા', અને ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના હિટ ગીતોનો સમાવેશ થાય છે.
e.mail : nbhavsarsafri@gmail.com