દિવાળીના દીવા પ્રગટ્યા છે. શેરીમાં, ઘેર ઘેર, ગોખલે, ટોડલે, એટલે કે છજાની કે વરન્ડીની કિનારે કોડિયાં ઝગમગે છે. નાના છોકરાઓની ટોળી ઊંચા રાખેલા હાથમાં જ્યોત ટમટમતા મેરાયા લઈને ઘર ઘર ઘૂમવા નીકળે છે. લલકારતી જાય છે :
આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી,
મેઘ મે…ઘ રાજા, દિવાળીના બાજરા…તાજા
સવારે કુંભારને ત્યાંથી મેરાયું લાવી, કપાસિયા ભરી, વાટ ગોઠવી, તેલ પૂરીને સૌએ તૈયાર રાખ્યું હોય. દિવાળીની બધી ધામધૂમ, ઝાકઝમાળ ને રીતરસમોની વચ્ચે આ હતો માત્ર નાના છોકરાઓનો પોતાનો જ નાનકડો ઉત્સવ. ધનતેરસ (કે ધણતેરશ)ના બમ્બૂડા ફેરવવામાં તો મોટા છોકરા પણ ભળે. શેરીના દરેક ઘરે મેરાયું પૂરાવવા જવાનું. આશીર્વાદ પણ શરતી આપવાનો :
ઘી પૂરે એને ઘેટ્…ટા, તેલ પૂરે એને ટેટ્…ટા
મેરાયામાં ઘી પૂરનારાને ત્યાં બેટો ને તેલ પૂરનારાને ત્યાં બેટી આવવાનું આ વરદાન!
નવા વરસને – બેસતા વરસને મળસ્કે બોદા માટલાના ઠબઠબાટ ને થાળીના ધણધણાટ પથારીમાં પડ્યા પડ્યા ઉપરાઉપરી સાંભળ્યા કરવાની અમને કેટલી ઉત્સુકતા રહેતી! ઘરનું દળદાર કાઢવાના ને લખમીજીને નોતરવાના લોકવિધિથી નવા વરસના શ્રીગણેશ થતા. એ વિધિ માટે રાખી મૂકેલું ખોખરું હાંડલું કે એવું કોઈ ભંગાર વાસણ વેલણથી ઠપકારતી ગૃહિણીઓ એક પછી એક ઘરમાંથી નીકળે. ટાઢનો ચમકારો, ક્યાંક ટમટમતાં કોડિયાંનો આછો ઉજાસ. શેરીના ચોકમાં જઈને ઠોબરું ફોડે. ઘરે પાછી વળતાં એ ઠમ ઠમ થાળી વગાડતી આવે. જતી વેળા ગણગણતી જાય :
અડઘો ફોડું, દડઘો ફોડું, કુંવારો ઘર છે એને માથે ફોડું.
બિચારો કુંવારો! પરણી ન શક્યો, ને ઘરઘી પણ ન શકે! ને વળતી વેળાએ જપતી આવે :
અળશ જાય, લખમી આવે, અળશ જાય, લખમી આવે.
− હરિવલ્લભ ભાયાણી
(જન્મ : 26 મે 1917 − અવસાન : 25 માર્ચ 2006)
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 20 અૉક્ટોબર 2014
![]()


મુદ્રણને પગલે ગુજરાતીના લેખનની રીતમાં કેટલાક ફેરફાર ધીમે ધીમે થયા. અગાઉ હસ્તપ્રતોમાં શબ્દો છૂટા પાડયા વગર સળંગ લખાણ લખાતું હતું. આને પરિણામે લખાણ ઉકેલવામાં તથા તેનો અર્થ બેસાડવામાં કેટલી મુશ્કેલી પડે છે તે હસ્તપ્રતોના અભ્યાસીઓ જાણે છે. અંગ્રેજી મુદ્રણ જોઈને ગુજરાતી મુદ્રણમાં શબ્દોને છૂટા પાડવાનું પહેલેથી જ શરૂ થયું. જો કે શબ્દોને છૂટા પાડવા માટે શરૂઆતમાં અંગ્રેજી કરતાં જુદો રસ્તો અપનાવ્યો હતો. ૧૭૯૭ની બોમ્બે કુરિયરની જાહેર ખબરોમાં તેમ જ ફરદુનજી મર્ઝબાજીએ શરૂઆતમાં છાપેલાં પુસ્તકોમાં બે શબ્દો વચ્ચે મધ્યરેખાબિંદુ (ઇન્ટર પોઇન્ટ) મૂકીને શબ્દો છૂટા પાડયા છે. પ્રાચીન લેટિનમાં આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ જોવા મળે છે. બહેરામજી છાપગર કે ફરદુનજી મર્ઝબાનજી પ્રાચીન લેટિનથી પરિચિત હોય એવો સંભવ નથી. તેમણે આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ કયાંથી અપનાવ્યો હશે એ જાણવાનું આજે શક્ય નથી. જો કે થોડાં વર્ષો પછી શબ્દોને છૂટા પાડવા માટે ઇન્ટર પૉઇન્ટને બદલે ખાલી જગ્યા-સ્પેસ-નો ઉપયોગ શરૂ થઈ ગયો હતો.
(ગયા સોમવારે [06 અૉક્ટોબરે] મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા ‘દીપનિર્વાણ’ની નાયિકા સુચરિતાની વાત રજૂ કરતી એકોક્તિનો પૂર્વાર્ધ રજૂ કર્યો હતો. આજે એનો ઉત્તરાર્ધ, જન્મશતાબ્દી ટાણે દર્શકને આદરાંજલિ સાથે. વીણાવાદિની યુવતીનું રાજા રવિ વર્માનું ચિત્ર અહીં કેવળ પ્રતીકાત્મક રીતે રજૂ કર્યું છે તેની નોંધ લેવા વિનંતી.)