“હોરમજદની મદદથી આ પુસ્તકનું એક દફતર અતરે ખતમ થયું છે. એ દફતર ૧૦ વર્ષે છપાઈ તથા ૧૭ વર્ષે રચાઈ તૈયાર થયું છે, અને એ પર મેં મારી જિંદગીનો મોટો તથા જવાનીનો બધો વખત રોક્યો છે. એ રોકેલો વખત તથા લીધેલી મહેનત મારી કોમને ઉપ્યોગી થઇ પડી છે એમ જો મારા વાચનારાઓ ધારે તો મારા દીલમાંની મોરાદ અને મહેનતનો બદલો પામી ચુકો છું, એવો હું સંતોષ લઈશ.” ૧૮૮૮ના સપ્ટેમ્બરની ૧૭મી તારીખે આ શબ્દો લખાયા હતા. લખનાર હતા બહમનજી બેહરાંમજી પટેલ.
એ વળી કોણ? તમે પૂછશો. કારણ ગુજરાતી સાહિત્યના ઈતિહાસ, વિવેચન, કે સંદર્ભનું કોઈ પણ પુસ્તક જોઈ જાવ. આ બહમનજીનું નામ નિશાન ક્યાં ય જોવા નહિ મળે. જો એક વાક્યમાં ઓળખ આપવી હોય તો ‘પારસી પ્રકાશ’ નામના દળદાર ગ્રંથના બનાવનાર. જેને અંતે આ શબ્દો છપાયા છે તે પહેલું દફતર (એટલે કે પહેલો ખંડ) ૧૦૬૮ પાનાનું છે, અને તે ય મોટા કદનાં, બે કોલમમાં છાપેલાં પાનાં. એ જમાનાના ચાલ પ્રમાણે (નર્મકોશ અને નર્મ કવિતા જેવાં નર્મદનાં પુસ્તકો પણ આ રીતે પ્રગટ થયેલાં.) પહેલાં ૧૮૭૮થી ૧૮૮૮૮ સુધીમાં પારસી પ્રકાશના ૧૧ ભાગ પ્રગટ થયેલા અને પછી ૧૮૮૮માં એ બધા ભાગ એક પુસ્તકમાં પહેલા દફતર તરીકે પ્રગટ થયેલા. તેવી જ રીતે બીજું દફતર પણ પહેલાં આઠ ભાગમાં છપાયું અને પછી ૧૯૧૦માં એક પુસ્તક રૂપે સુલભ થયું. ૧૮૬૦થી ૧૮૮૦ના વીસ વર્ષના ગાળાને સમાવતા આ બીજા દફતરનું પ્રકાશન બહમનજીનાં બહેન દીનબાઈ બહેરામજી પટેલે કર્યું હતું. કારણ ૧૯૦૮ના સપ્ટેમ્બરની નવમી તારીખે બહમનજી બેહસ્તનશીન થયા હતા.
જો કે આ બીજા દફતરની પ્રસ્તાવના છેક જૂન ૧૮૯૧માં બહમનજીએ લખી રાખી હતી તે પુસ્તકમાં મૂકવામાં આવી છે. તેમાં તેઓ લખે છે: “આ જગોએ હું ફરીથી જણાઉં છું કે આ પુસ્તક રચવામાં મેં એક જ ધોરણે કામ લીધું છે, અને એક ખરેખરી બીનાઓનો સંગ્રહ કરનાર તરીકે જે ખાતરી થઇ શકે એવું મલ્યું તે એકઠું કીધું છે.”
ત્રીજા દફતરની ઘણી સામગ્રી પણ બહમનજીએ તૈયાર તો કરી રાખી હતી, પણ તેને વ્યવસ્થિત પુસ્તકનું રૂપ આપવાનું તેમનાથી બની શક્યું નહોતું. એ કામ કર્યું બહમનજીના મિત્ર, બોમ્બે હાઈ કોર્ટના વકીલ, રુસ્તમ બરજોરજી પેમાસ્તરે. આ દફ્તર પણ ૧૯૨૦માં ગ્રંથ રૂપે છપાતાં પહેલાં ૧૧ ભાગમાં પ્રગટ થયું હતું. તેમાં ૧૮૮૧થી ૧૯૦૦ સુધીની તવારીખ આપી છે. પ્રસ્તાવનામાં પેમાસ્તર જણાવે છે કે આ દફતર માટેની કેટલીક નોંધો પણ બહમનજી તૈયાર કરી ગયા હતા તેમાં સુધારા વધારા કરીને પોતે અહીં રજૂ કરી છે. અલબત્ત, પોતાને યોગ્ય લાગ્યા તેવા કેટલાક ફેરફાર પણ તેમણે સામગ્રીની પસંદગી અને રજૂઆતમાં કર્યા છે. પારસી પ્રકાશનાં કુલ દસ દફતર પ્રગટ થયાં હોવાની માહિતી આ લખનારને મળી છે. દસમું દફતર ૧૯૬૧-૬૨ના વર્ષ આગળ આવીને અટકે છે. પણ ત્રીજા દફતર પછીના ભાગો એક પછી એક આછા અને ઉપરછલ્લા થતા ગયા. સંદર્ભ માટેનાં સાધનો તો વીસમી સદીમાં વધતાં ચાલ્યાં હતાં, પણ તેનો સૂઝ અને સમજ પૂર્વક ઉપયોગ કરી શકે તેવા, બહમનજી જેવા સંપાદકો પછીથી મળ્યા નહિ.
ઓગણીસમી સદીનો મુંબઈ ઇલાકો, તેમાં વસતા પારસીઓ, તેમનાં ધર્મ, ભાષા, સાહિત્ય, છાપાં અને સામયિકો, નાટકો અને રંગભૂમિ, તેમનાં છાપખાનાં, તેમનાં પુસ્તકાલયો, આ બધાં સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ – આ અને આવા બીજા અનેક વિષયો અંગે ખરેખરી લગન અને જહેમતથી સંશોધન, અભ્યાસ, વિવેચન, સંદર્ભ, વગેરે કરનાર માટે પારસી પ્રકાશનાં પહેલાં ત્રણ દફતર સોનાની ખાણ જેવાં છે. પણ કમનસીબે આજ સુધી તેમાંના કોઈએ પારસી પ્રકાશનું એકાદું કિરણ પણ ઝીલ્યું નથી. હકીકતમાં, પારસી પ્રકાશની સહાય વગર લખાયેલું ૧૯મી સદીનાં ગુજરાતી ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, નાટક, રંગભૂમિ, વગેરે વિશેનું કોઈ પણ પુસ્તક અધૂરું જ ગણાય, પણ આપણને આવી તો ઘણી અધૂરપો કોઠે પડી ગઈ છે.
પણ આ પુસ્તકમાં એવું તે શું છે? પહેલા દફતરના ટાઈટલ પેજ પર છાપ્યું છે: “પારસીઓ ઈરાનથી હિન્દુસ્તાન આવ્યા ત્યારથી તે અત્યાર સુધીમાં તેઓના સંબંધમાં બનેલા અગત્યના બનાવોની વર્ષોને અનુક્રમે નોંધ.” ‘અત્યાર સુધી’ એટલે ૧૮૬૦ સુધી. એ જમાનાના ચાલ પ્રમાણે શરૂઆતનાં પાનાં ગુજરાતી તેમ જ અંગ્રેજીમાં છે. પ્રસ્તાવના પણ આ બંને ભાષામાં છે. પારસીઓના આગમન અંગેની થોડી વિગતો શરૂઆતમાં આપી છે. તે પછી પુસ્તકમાં સૌથી પહેલી તારીખ-વાર સાથેની એન્ટ્રી ઈ.સ. ૯૯૯ના ડિસેમ્બરની બીજી તારીખની છે. મુંબઈ પાસે આવેલી કેનેરીની ગુફાઓ જોવા એ દિવસે ૧૭ પારસીઓ આવ્યા હતા. તેમણે પોતાનાં નામ ત્યાં આગળ એક તખ્તી પર કોતર્યાં હતાં. પુસ્તકમાં પાદ ટીપમાં આ ૧૭ નામ પણ આપ્યાં છે. અને આ પહેલી એન્ટ્રીથી જ પુસ્તકની કેટલીક ખાસિયત છતી થાય છે. બધાં દફ્તારોમાની બધી જ માહિતી કાલાનુક્રમે (ક્રોનોલોજિકલ ઓર્ડરમાં) રજૂ થઈ છે. જે બાબતો અંગે તારીખ-વારની ખાતરી ન થઈ શકી હોય, પણ વર્ષ નક્કી થઈ શક્યું હોય તેની માહિતી જે-તે વર્ષને અંતે મૂકી છે. મોટા ભાગની એન્ટ્રીઓની બાબતમાં મૂળ એન્ટ્રી એક-બે લીટીની હોય, પણ તેની સાથેની પાદ ટીપ લાંબી લચક અને વધુ ઉપયોગી હોય તેવું બન્યું છે. ઘણી વાર તો પાદ ટીપ એક-બે પાનાં પણ રોકે છે. પાદ ટીપ વગરની તો આ પુસ્તકમાં ભાગ્યે જ કોઈ એન્ટ્રી જોવા મળે છે. એટલે પુસ્તકનો ઘણો મોટો ભાગ પાદ ટીપો રોકે છે. એક નમૂનો જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે. ભાષા તથા જોડણી મૂળ પ્રમાણે રાખ્યાં છે.
૧૮૪૮. તા. ૬થી સપટેમબર.
આજ દીને “સ્ટુડંટસ લીટરરી એન્ડ સાએનટીફીક શોશાઇટી”ની તરફથી ગુજરાતી તથા મરાઠી ભાષામાં આપણા દેશીઓમા જ્ઞાનનો ફેલાવો કરવાને બે શાખા મંડલીઓ સ્થાપવામાં આવી હતી, અને તેમનાં નામ ગુજરાતી તથા મરાઠી ‘જ્ઞાન પ્રસારક મંડલી’ એ પ્રમાણે રાખવામાં આવ્યાં હતાં. ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડલીમાં મોટો ભાગ પારસી વિદ્યાર્થીઓએ લીધો હતો.
મૂળ એન્ટ્રી તો આટલી જ છે, પણ તેની સાથેની પાદ ટીપ લગભગ દોઢ પાનું રોકે છે. તેમાં જે માહિતી આપી છે તે આ પ્રમાણે છે:
૧. પહેલી કમીટીના પાંચ પારસી સભ્યોના નામ, ત્યાર બાદ એ મંડળીનું કામકાજ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધીની તેની કમિટીના પારસી સભ્યોનાં નામ.
૨. એ મંડળી તરફથી ‘જ્ઞાન પ્રસારક’ નામનું ચોપાનિયું ઈ.સ. ૧૮૪૯ના જુલાઈથી ૧૮૬૭ના ડિસેમ્બર માસ સુધી પ્રગટ થયું હતું તેની માહિતી અને વખતોવખત તેના ‘અધિપતિ’ના સ્થાને રહેલા પારસીઓનાં નામ.
૩. તેને આર્થિક મદદ કરનારાઓનાં નામ અને રકમ.
૪. મંડળી તરફથી યોજાયેલી ઇનામી નિબંધ સ્પર્ધાઓની તથા નિબંધોના પ્રકાશન અંગેની વિગતો.
૫. ૧૮૪૮ના ઓક્ટોબરથી ૧૮૫૮ના ફેબ્રુઆરી સુધીમાં પારસી ગૃહસ્થોએ વાંચેલા નિબંધો અને આપેલાં ભાષણોની વિગતો. (પારસી પ્રકાશ દફતર ૧, પા. ૫૧૨-૫૧૩)
બીજું એક ઉદાહરણ:
૧૮૭૩. ૧૦મી ઓગસ્ટ.
શેઠ બહમનજી ડોશાભાઈ મુનશીએ ઇન્ગ્રેજી, ગુજરાતી, હિંદુસ્થાંની અને ફારસી ભાષાઓની વાક્યાવળીની એક મોટી ચોપડી રચી પ્રગટ કીધી હતી. એ ચોપડીની શરૂઆતમાં એવણે પોતાના બાવા મરહુમ શેઠ ડોશાભાઈ શોહરાબજી મુનશીની જીન્દગીનો થોડોક હેવાલ આપ્યો હતો.
આ એન્ટ્રી સાથેની પાદ ટીપમાં એ પુસ્તકના અંગ્રેજી મુખપૃષ્ઠ પરનું બધું લખાણ આપ્યું છે, જે નીચે પ્રમાણે છે:
A new self-instructing work entitled Idiomatic Sentences, in the English, Gujarati, Hindustani, and Persian languages. The whole in oriental and Roman characters; in seven parts, with notes explanatory and illustrative: to which are added copious vocabularies in military, political, naval, mercantile, fiscal, and medical words and expressions. By Bahmanji Dosabhai, Munshi, with a memoir of the late Mr Dosabhai Sohrabji, Munshi. Bombay: printed at the “reporters Press by Merwanji Nowrojee Daboo, 1873.
આ વાંચતાં એ પુસ્તકનાં સ્વરૂપ અને સામગ્રી અંગેની ઘણી વધુ માહિતી મળી રહે છે.
એ વખતે સરકારી દફતરોમાં, લાયબ્રેરીઓમાં, અંગત સંગ્રહોમાં જે જે હસ્તપ્રતો, પુસ્તકો, સામયિકો, છાપાં, અહેવાલો, દસ્તાવેજો, વગેરે મળ્યાં તેમનો આધાર લેખકે આ પાદ ટીપોમાં આપ્યો છે. એટલે ‘નામૂલમ્ લિખ્યતે કિંચિત’નું આ પુસ્તક એક ઉત્તમ ઉદાહરણ છે. આ પાદ ટીપો બીજા એક કારણસર પણ ખૂબ મહત્ત્વની બની રહે છે. લેખકે જે વર્તમાનપત્રો, સામયિકો, દસ્તાવેજો, વગેરેને અહીં ટાંક્યાં છે તેમાંનાં ઘણાં આજે નાશ પામ્યાં છે, અથવા અત્યંત દુર્લભ બની ગયાં છે.
કેવી છે આ પારસી પ્રકાશમાંની સામગ્રી?
* રતનજી ફરામજી વાછાના પુસ્તક ‘મુંબઈનો બહાર’(આજે અત્યંત દુર્લભ બનેલું પુસ્તક)ને આધારે લેખક જણાવે છે કે ઈ.સ. ૧૬૪૦માં પહેલવહેલો પારસી, નામે દોરાબજી નાનાભાઈ, સુરત પાસેના સુમારી ગામમાંથી પોતાના કુટુંબ સાથે મુંબઈ આવી વસ્યો હતો.
* ગુજરાતી ભાષાનું પહેલું સામયિક ‘વિદ્યાસાગર’ નવરોજી ફરદુનજીએ ૧૮૪૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખે શરૂ કર્યું હતું. આ માસિકના અંકની કિંમત દોઢ રૂપિયો હતી. ૧૮૪૬ના જૂન સુધી નવરોજીએ આ માસિક ચલાવ્યું હતું. તે દરમ્યાન તેઓ જામે જમશેદના તંત્રી પણ હતા. પછી કુંવરજી મોદીએ એ ચલાવવા લીધું, પણ તે જ વર્ષના ડિસેમ્બર અંક પછી તેમણે તે બંધ કર્યું.
* મુંબઈમાં પહેલવહેલું ગુજરાતી નાટક ૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯મી તારીખે સાંજે ગ્રાન્ટ રોડ પરના થિયેટરમાં ભજવાયું હતું. તેનું નામ રુસ્તમ અને સોરાબ. સાથે ધનજી ગરક નામનું ફારસ પણ ભજવેલું. તેમાં જે પારસીઓએ ભાગ લીધો હતો તેમનાં નામ પણ આપ્યાં છે. તેમાં નર્મદ અને કરસનદાસ મૂલજીના મિત્ર અને યુનિયન પ્રેસના માલિક નાનાભાઈ રાણીનાનું નામ પણ જોવા મળે છે. ટેલિગ્રાફ એન્ડ કુરિયર નામના અંગ્રેજી છાપાનો હવાલો આપીને લેખક કહે છે કે “પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટકશાળા તમાસગીરોથી ઉભાઈ ગઈ હતી.”
* આપણી ભાષાનું સ્ત્રીઓ માટેનું પહેલું માસિક ‘સ્ત્રી બોધ’ ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખથી શરૂ થયું હતું. તેનો હેતુ “દેશી સ્ત્રીઓને ફૂરસદને વખતે નીરદોશ રમૂજ અને ઉપ્યોગી જ્ઞાન’ આપવાનો હતો. તેના સંચાલકો માત્ર પારસીઓ જ નહોતા. નાનાભાઈ હરિદાસ જેવા બિનપારસી પણ તેમાં હતા. શરૂઆતમાં સ્ત્રી બોધનું વાર્ષિક લવાજમ માત્ર એક રૂપિયો હતું એટલે ખોટ જતી હતી. એ ખોટ સરભર કરવા માટે ડોસાભાઈ ફરામજી કામાજીએ બે વર્ષ સુધી ૧૨૦૦ રૂપિયાની મદદ કરી હતી. પણ પછી વધુ ખોટ ખમી શકાય તેમ ન હોવાથી ૧૮૫૯થી દફતર આશકારા છાપખાનાના માલિકો બેહરામજી ફરદુનજીની કંપનીને સ્ત્રીબોધ સોંપવામાં આવ્યું. (આ બેહરામજી તે મુંબઈ સમાચારના સ્થાપક ફરદુનજી મર્ઝબાનજીના દીકરા.) ‘સ્ત્રી બોધ’ના પહેલા અધિપતિ (એ વખતે તંત્રી માટે વપરાતો શબ્દ) હતા બેહરામજી ખરશેદજી ગાંધી. તે પછી અનુક્રમે સોરાબજી શાપુરજી બંગાલી, જાંગીરજી બરજોરજી વાછા, નાનાભાઈ હરિદાસ, સોરાબજી જાંગીરજી તાલેયારખાં, કરસનદાસ મૂળજી, નાનાભાઈ રુસ્તમજી રાણીના, નાનાભાઈ નશરવાનજી માસ્તર, વગેરે ‘સ્ત્રી બોધ’ના અધિપતિ બન્યા હતા. ૧૮૭૦થી કેખશરૂ નવરોજજી કાબરાજી તેના તંત્રી બન્યા હતા.
* ‘અમેરિકાની મુસાફરી’ નામનું એક પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયું હતું પણ તેમાં ક્યાં ય તેના લેખકનું નામ છાપ્યું નથી. પણ પારસી પ્રકાશના બીજા દફતરમાં શેઠ પીરોજશાહ પેસ્તનજી મેહરહોમજી તેના લેખક હતા અને લીવરપૂલથી ન્યૂ યોર્ક સુધીની દરિયાઈ મુસાફરી તેમણે દોસ્ત ડોસાભાઈ ફરામજી કામાજી સાથે કરી હતી એમ જણાવ્યું છે. આ પુસ્તક ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે મુંબઈમાં પ્રગટ થયું હતું. પણ આ પીરોજશાહ હતા કોણ? તેનો જવાબ પણ પારસી પ્રકાશમાંથી મળે છે. ઇન્ગ્લંડમાં રહેતા જરથોસ્તીઓની સંખ્યા વધવાથી ત્યાં એક ધર્મનું ફંડ કરવાની જરૂર જણાઈ અને એટલે ૧૮૬૧ના ઓક્ટોબરની ૩૧મી તારીખે લંડનમાં એક સભામાં ‘યુરોપના જરથોસ્તિઓનું ધર્મનું ફંડ’ સ્થાપવામાં આવ્યું હતું. તેની પહેલી કારોબારીના પીરોજશાહ એક સભ્ય હતા. વળી આ જ પીરોજશાહે ૧૮૭૭ના માર્ચની ત્રીજી તારીખે મુંબઈમાં માટીના ‘ઈનેમલ’ કરેલાં વાસણો તથા બીજી શણગાર માટેની વસ્તુઓ બનાવવાનું કારખાનું ‘પીરોજશાહ પોટરી વર્કસ’ નામથી શરૂ કર્યું હતું. એટલે કે આ પીરોજશાહ રહેતા હતા ઇન્ગ્લંડ, પણ મુંબઈ સાથે તેમના વ્યાપારી સંબંધો હતા.
* ૧૮૬૦ સુધીમાં પારસીઓએ કુલ ૨૬ વર્તમાનપત્રો શરૂ કર્યાં હતાં. તેમાંનાં કેટલાંક ઓછાં જાણીતાં: અખબારે સોદાગર, ચીતર ગનેઆન દરપણ, પારસી મીતર, પુણા આબ્ઝરવર, બાગે નશીહત, બેલગામ મેસેન્જર, મુંબઈ દૂરબીન, સુરતના શમાચાર, સૂરીઅ પરકાશ.
* ૧૮૬૦ સુધીમાં પારસીઓએ ૧૭ ‘ચોપાનિયાં’ (સામયિકો) શરૂ કર્યાં હતાં. તેમાંનાં કેટલાંક ઓછાં જાણીતાં: ખોલાસે જાદુ, જગત પરેમી, જગત મીતર, જગત વરણન, વીદેઆ સાગર, શશતી વીદેઆ, સુરતના પરહેજગાર.
* ૧૮૬૦ સુધીમાં પારસીઓનાં બનાવેલાં ૧૭૭ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં કેટલાંક: અફીમના વેપારની તવારીખ, ઇન્ગ્રેજના રાજનું સુખ, દરએક માણસનો વૈદ, દેશીઓની કેલવણી તથા તેના પરીણામ, બચાંઓની સંભાલ વીશે પુસ્તક, બાલક દીકરીની હત્યા બાબત ગ્રંથ, રમુજે શેતરંજ, રાગશથાન પોથી, શરીર શાનતી, હિંદુસ્થાનના બળવાનો ગરબો, જ્ઞાન ગરબી.
પારસી પ્રકાશની એક મુશ્કેલી છે તેમાંની ઢગલાબંધ સામગ્રી. છાપાંઓ, ચોપાનિયાં વગેરેમાંથી જે માહિતી મળી તેમાંથી શું લેવું અને શું જતું કરવું તેનો ઝાઝો વિચાર બહમનજીએ અને પેમાસ્તરે કર્યો નથી. પરિણામે જેનું દસ્તાવેજી મૂલ્ય નહીંવત્ હોય તેવું ઘણું અહીં છે, અને તેમાંથી જરૂરી અને ઉપયોગી સામગ્રી તારવવાનું કામ મહેનત માગી લે તેવું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ અંગે ટકોર કરતાં લખ્યું હતું: Practically the chronicle is confined to the nineteenth century which occupies all its spacious pages with the exception of hardly a hundred devoted to the preceding eight or ten centuries since their arrival in India. The early centuries are dismissed in barely ten pages for paucity of materials available to the compiler, whilst the nineteenth century is treated in such superfluous detail to the extent of some fifteen hundred pages for its first eighty years, because there was plenty of material in the shape of newspapers, and Mr. Patel actually recalled in old files, paying little heed to the intrinsic value of the extracts he printed and their bearing on the growth of the community in his zeal for gleaning information about his people.
તો બીજી બાજુ માહિતીની બહુલતાને ‘સાંજ વર્તમાન’ના અવલોકનકારે આ પુસ્તકની આગવી વિશિષ્ટતા ગણાવી હતી અને કહ્યું હતું:
“ટુંકમાં મુંબાઈ તથા દેશાવરના પારસીઓને લગતી દરેક ધાર્મીક, સંસારીક, અભ્યાસ, કેળવણી, સાહીત્ય, સખાવત વીગેરે અનેક બાબતો, માનઅકરામ, ઓધાઓ, સુધાં જે જે બાબદોથી આપણી કોમના નબીરાઓએ કીર્તી મેળવી હોય યા કોમના પ્રકાશમાં વધારો થયો હોય તે અત્રે વીસતારવામાં આવી છે. એ રીતે કોમની તવારીખ જાહેરમાં લખવાને બની શકે તેને માટે પુરતાં સાધનો અત્રે તૈયાર કરેલાં છે જેનો ઉપયોગ હજી સુધી કોઈ લાયક નરે કીધો નથી તે જોઈ અજાયબી ઉપજે છે.”તો જામે જમશેદના અવલોકનકારે આ ગ્રંથનું મહત્ત્વ સ્વીકારવાની સાથોસાથ તેમાં પારસીઓની માત્ર ઉજળી બાજુ જ બતાવી છે, સાથોસાથ કાળી બાજુ પણ બતાવવી જોઈતી હતી એવી ટકોર કરતાં કહ્યું છે:
“પારસી પ્રકાશ એ પારસી કીરતીનો સંગ્રહ છે, તેમાં કોમને લગતી થોડીક કાળી બાજુ પણ દેખાડી હોય તો તે પણ આગળ જતાં કોમને, લેખકોને, વરતમાનપત્રોવાળાઓ, અને વક્તાઓને ઘણી કામની થઈ પડશે. કોમના મહત્ત્વના સવાલની તપાસ કરવા માટે કોમની statistics એ જ મુખય આધાર છે, અને તે નોંધનારૂં એકલું પુસ્તક પારસી પ્રકાશ છે.”
તો રાસ્ત ગોફ્તારે કૈંક વિચિત્ર શૈલીમાં બહમનજીની મહેનતને બીરદાવી હતી. લખ્યું હતું:
“આ કામ એટલું કંટાળાનું, પુષ્કળ વાંચન અને મેહનતનું છે, કે ખા. બા. બહમનજી પટેલ જેવા જ ઠંડા સ્વભાવના અને ગધ્ધાઈ મેહનતને મેહનત નહિ પણ રમત ગણનારા શોકીન ગૃહસ્થો જ તે ઉપાડી શકે.”
પણ પારસી પ્રકાશનાં પહેલાં ત્રણ દફતરમાં માહિતીનો જે ભંડાર ભર્યો છે તેમાંથી જોઈતી માહિતી શોધવી કઈ રીતે? જે વખતે ‘રિડર ફ્રેન્ડલી’ જેવો શબ્દપ્રયોગ પ્રચારમાં આવ્યો નહોતો ત્યારે વાચક, અભ્યાસી, સંશોધકને અત્યંત ઉપયોગી થાય એવી સૂચિ ત્રણે દફતરને અંતે મૂકી છે. દરેક સૂચિને પહેલાં બે ભાગમાં વહેંચી છે. એક, વ્યક્તિ નામ સૂચિ, જેને ‘આ પુસ્તકમાં આવેલા પારસી નામોનું સાંકાળિયું’ તરીકે ઓળખાવી છે. તેમાં જે-તે વ્યક્તિના મૃત્યુ અંગેની માહિતી જે પાના પર આવતી હોય તે પાનાનો આંકડો બોલ્ડ ટાઈપમાં છાપ્યો છે. બીજું સાંકળિયું છે ‘આ પુસ્તકમાં આવેલી બાબદોનું’ એટલે કે આજની પરિભાષામાં વિષય સૂચિ. વળી તેમાં વિષયોનું ગ્રૂપિંગ કર્યું છે, જેમ કે, પુસ્તકો પારસીઓનાં, ચોપાનિયાં પારસીઓનાં, વ્યવસાયો પારસીઓના, વગેરે. આથી વાચક શોધતો હોય તે માહિતી ઉપરાંત તેની આસપાસની બીજી માહિતી પણ તેને સાથોસાથ મળી રહે તેમ છે. પહેલા દફતરમાં વ્યક્તિ નામોની સૂચિ ૮૮ પાનાં રોકે છે તો વિષય સૂચિ ૪૩ પાનાં. બીજા દફતરમાં વ્યક્તિ નામ સૂચિ ૯૯ પાનાંની છે, તો વિષય સૂચિ ૭૨ પાનાંની. ત્રીજા દફતરમાં બંને સૂચિ કુલ ૨૨૦ પાનાં રોકે છે. આ બધી જ સૂચિઓ બે કોલમમાં છપાઈ છે.
પણ પારસી પ્રકાશના આ ગ્રંથો જોવા ક્યાં મળે? આજે બહુ ઓછાં પુસ્તકાલયોમાં તેની નકલો સચવાઈ છે, અને જ્યાં સચવાઈ છે ત્યાં પણ તે જીર્ણ હાલતમાં છે. મુંબઈમાં કે. આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યૂટ અને જે. એન. પિટિટ લાઈબ્રેરીમાં નકલ જોઈ શકાય. ફાર્બસ ગુજરાતી સભા પાસે બે દફતરની જીર્ણ થઈ ગયેલી નકલ છે. નવસારીની મહેરજી રાણા લાઈબ્રેરીમાં પણ પહેલાં સાત દફતરની નકલ સચવાઈ હોવાની માહિતી મળે છે. પણ ૧૯મી સદીના અભ્યાસી માટે તો આ ગ્રંથનાં પહેલાં ત્રણ દફતર જ મહત્ત્વનાં છે. તેની ડિજિટલ નકલ સીડી/ડીવીડી પર ઉપલબ્ધ છે. અમેરિકાની હ્યુમેનિટીઝ કમ્પ્યુટિંગ લેબોરેટરી પાસેથી તે મેળવી શકાય. વધુ વિગતો માટે આ સરનામે ઈમેલ મોકલવો: rkunst@humancomp.org
આવું ગંજાવર કામ એકલે હાથે કરનાર આ બહમનજી હતા કોણ? મુંબઈના પટેલનો હોદ્દો લાગલાગટ ૧૬૫ વર્ષ સુધી ભોગવનાર દોરાબ પટેલ અને કાવસજી પટેલના ખાનદાનના આ નબીરાનો જન્મ ૧૮૪૯ના ડિસેમ્બરની ૨૮મી તારીખે મુંબઈમાં. ૧૯૦૮ના સપ્ટેમ્બરની નવમી તારીખે મુંબઈમાં જ બેહસ્તનશીન થયા. અંગ્રેજી કેળવણી એલ્ફિન્સ્ટન હાઈ સ્કૂલમાં, ફારસીનું શિક્ષણ મુલ્લાં ફિરોઝ મદરેસામાં. ૧૮૭૧માં જરથોસ્તી ધર્મ વિશેના એક ઇનામી નિબંધથી તેમણે લખવાનું શરૂ કર્યું. એ જ વર્ષે ‘અહેવાલે ફિરદોસી’નો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો. ‘ઈરાનની મુખ્તેસર હકીકત’ નામનું તેમનું પુસ્તક ૧૮૭૨માં પ્રગટ થયું, જેની ચાર આવૃત્તિઓ થઈ હતી. ૧૮૭૧થી જ તેમણે ‘પારસી પ્રકાશ’ માટેની સામગ્રી ભેગી કરવાનું શરૂ કર્યું હતું. તેમના અવસાન વખતે આ સામગ્રીની ૨૦૦ જેટલા ચોપડામાં બનાવેલી ‘સ્ક્રેપ બુક’ તેઓ મૂકતા ગયા હતા. આ સામગ્રી ભેગી કરવા માટે તેમણે અવારનવાર મુસાફરીઓ કરી હતી. છાપાં અને ચોપાનિયાંની ફાઈલો ઉપરાંત જૂના દસ્તાવેજો, લેખો, પત્રો, અહેવાલો, વગેરે જોયાં હતાં. જરૂર પ્રમાણે જુદી જુદી વ્યક્તિઓને મળ્યા હતા. પણ આ બધું તેમને માટે પોથીમાંનાં રિંગણાં જેવું ન હતું. તેમાંની ઘણી માહિતી તેમની યાદદાસ્તમાં પણ સચવાઈ હતી, અને કોઈ જિજ્ઞાસુ તેમને પૂછે તો ઘણી વાર પોતાની નોંધો જોયા વગર યાદદાસ્ત પરથી જ તેઓ જવાબ આપી શકતા.
પારસી પ્રકાશ કરતાં ઓછું જાણીતું, પણ તેટલું જ મહત્ત્વનું અને મહેનતભર્યું તેમનું બીજું પુસ્તક છે ‘પારસી મરત્યુકો.’ મુંબઈમાં અંગ્રેજી અને ગુજરાતી છાપાં શરૂ થયાં ત્યારથી માંડીને ૧૮૬૦ સુધીમાં તેમાં પારસીઓ માટેની જે જે મૃત્યુનોંધો પ્રગટ થઈ હતી તેનું સંકલન આ પુસ્તકમાં કર્યું છે. આવી ૫૫૯ નોંધો અહીં આપી છે. તેમાંની ૪૧૬ ગુજરાતી અને બાકીની અંગ્રેજી છાપાંઓમાંથી લીધેલી છે. ૧૮૭૩થી બહમનજી જ્ઞાન પ્રસારક મંડળી, રાહનુંમાએ માજદીઅસના સભા, અને એન્થ્રોપોલોજિકલ સોસાયટી સાથે નિકટતાથી સંકળાયેલા હતા અને તેમાં તેમણે અવારનવાર નિબંધો લખીને રજૂ કર્યા હતા. મુંબઈમાં પહેલી વાર મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેઓ પારસી વિસ્તારોમાં ઘરે ઘરે ફર્યા હતા અને મરકી અટકાવવાની દવા લેવા માટે લોકોને સમજાવ્યા હતા. તેમની આ સેવાની કદર રૂપે બ્રિટીશ સરકારે તેમને ‘ખાન બહાદુર’નો ઈલ્કાબ આપ્યો હતો, અને ૧૮૮૪માં તેમને ‘જસ્ટિસ ઓફ પીસ’નો માનભર્યો હોદ્દો આપ્યો હતો. ૧૯૦૦-૧૯૦૧માં તેઓ મુંબઈની મ્યુિનસિપાલીટીમાં ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૦૧માં પહેલાં ૨૬ વર્ષની ઉંમરના એકના એક દીકરાનું અને પછી એકના એક ભાઈનું અવસાન થતાં તેના કારી ઘાને પરિણામે બહમનજીની તબિયત લથડવા માંડી. ‘પારસી પ્રકાશ’નું તેમનું કામ કેટલું તો મહત્ત્વનું છે એ વાત ધ્યાનમાં આવવાને લીધે બહમનજીની હયાતીમાં જ તેમની યાદને કાયમ રાખવાના હેતુથી એક ફંડ શરૂ કરવામાં આવેલું.
‘બ.બે. પ.’ની સહીથી જામે જમશેદમાં પ્રગટ થતા તેમના લેખો પણ સારા એવા લોકપ્રિય થયા હતા. સાંજ વર્તમાન’ તેમને અંજલિ આપતાં લખે છે કે “જો કે મરહુમ મી. બમનજી પૈસે તવંગર ન હતા, તોબી દિલે તવંગર હતા. તેઓએ પારસી કોમ માટે જે રંજ ખેંચી હતી તે ઘણાક શ્રીમંત ગૃહસ્થોએ ગોખી રાખવા જોગ દાખલો પૂરો પાડે છે.” ‘રાસ્ત ગોફતાર અને સત્ય પ્રકાશ’ તેમને અંજલિ આપતાં લખે છે: “જાતે સાદા, સ્વભાવે મિલનસાર, ખવાશે ઉમદા હોવાથી મી. બહમનજી પટેલ ઘણું સાંભળતા, ઘણું કરી બતાવતા, પણ થોડું જ બોલતા હતા.” ‘કૈસરે હિંદે’ તેના અંજલિ લેખની શરૂઆત આ રીતે કરી હતી. “પારસીઓને પ્રકાશમાં લાવનાર તારો અસ્ત પામ્યો છે.” આખી જિંદગીની મહેનતના ફળ જેવી પારસીઓ અંગેની બધી જ નોંધો પોતાના મરણ પછી પારસી પંચાયતને આપવાનું તેમણે પોતાના વસિયતનામામાં જણાવ્યું હતું. કુટુંબોના, જ્ઞાતિઓના, ગામ કે શહેરના ઈતિહાસ કે તવારીખનાં પુસ્તકો આપણે ત્યાં છે. પણ એક આખી કોમની આટલી વિગતવાર, સાધાર, સળંગ, લાંબા સમય ગાળાને આવરી લેતી, વિસ્તૃત એવી બીજી કોઈ તવારીખ આપણી ભાષામાં તો લખાઈ નથી જ, પણ દેશની પણ બહુ ઓછી ભાષાઓમાં લખાઈ હશે.
e.mail : deepakbmehta@gmail.com