वसंत इन्नु रंत्यो ग्रीष्म इन्नु रंत्य:
वर्षाण्यनु शरदो हेमंत: शिशिर इन्नु रंत्य:।
‘સામવેદ’માં ઋષિ ગાય છે – વસંત રમણીય છે, ગ્રીષ્મ રમણીય છે, વર્ષા-શરદ-હેમંત-શિશિર રમણીય છે. વેદનો આ મંત્ર એટલો સહેલો છે કે નાનું બાળક પણ તેને મોઢે કરી શકે છે. ત્યારે આપણે તો આ મંત્ર મોઢે કરી જ લેવો રહ્યો. પરમેશ્વરની પેદા કરેલી આ બધી ઋતુઓ સુંદર, રમણીય અને સહુ કોઈને સુખ દેનારી છે. આ રીતે બધી ઋતુઓ અનુકૂળ છે, એમ કહેનારો જ ભગવાનનો સાચો ભક્ત છે. ‘જે હરિ કરશે, તે મમ હિતનું’ – એવી ભક્તની અવિચલ નિષ્ઠા છે. પરમેશ્વરની નિર્માણ કરેલી આ ઋતુ અનુકૂળ છે. મારા માટે કોઈ પણ ઋતુ પ્રતિકૂળ ન હોઈ શકે. મારે ઋતુને અનુકૂળ બનવાનું છે.
સૃષ્ટિમાં આ જે વિવિધતા છે, તે ભેદ નથી, તે તો સૌંદર્ય છે, વૈભવ છે. એક જ ચન્દ્ર, પરંતુ તેનાં કેટલાં રૂપ! એટલે જ સ્તો કવિને અનેરી પ્રેરણા આપે છે. એક જ સમુદ્ર, પણ એમાં દરેક ક્ષણે નવી લહર ઊઠે છે અને શમે છે. એવી જ રીતે એકત્વના ચૈતન્ય સમુદ્રમાં જે લહેરો ઊઠે છે, તે વિવિધતાનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, પ્રકારો છે. આ વિવિધતાને કારણે એકત્વ દ્રઢ અને રુચિકર બને છે. સમુદ્રને જોતાં માણસ ક્યારે ય ઊબાઈ જતો નથી કેમ કે તેનામાં વિવિધતા છે, નિત્યનૂતનતા છે. સામવેદના ઋષિ ‘વસંત રમણીય છે, ગ્રીષ્મ રમણીય છે …..’ કહીને વિવિધ ઋતુઓની રમણીયતા ગાય છે. પ્રત્યેક ઋતુની પોતાની અલગ અલગ રમણીયતા છે. તે વિવિધ રમણીયતાનો આનંદ લૂંટવાની કળા માણસે આત્મસાત કરવી જોઈએ એવો આ મંત્રનો સંદેશ છે.
અથર્વવેદનું આવું જ એક સૂક્ત છે. તેમાં પૃથ્વીનું વર્ણન કર્યું છે – नानाधर्माणां पृथिवीં विवाचसम्। આનો ભાવાર્થ છે : ‘હે પૃથ્વી માતા, તું અનેક ધર્મોથી સંપન્ન છે, અનેક ભાવોથી સંપન્ન છે, તારામાં ભિન્ન ભિન્ન વાણીઓ છે – એવી તું અમારા લોકોની માતા છે, તું અમારા ઉપર પ્રસન્ન થા!’ ‘નાનાધર્માણામ્' એટલે હિન્દુ-મુસ્લિમ ઇત્યાદિ આજના જુદા જુદા ધર્મોની ભાવના નથી, પરંતુ તે વખતે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ ચાલતી હશે, અનેક પ્રકૃતિના લોકો હશે એમની વાત છે. અને ‘વિવાચસમ્’ એટલે વિવિધ ભાષાઓ બોલનારા લોકો હશે. યાને આ વૈદિક ભૂમિમાં વેદકાળથી જ અનેક પ્રવૃત્તિઓ, પ્રકૃતિઓ, ધર્મો, ભાષાઓ વગેરેનો સમન્વય કરવામાં આવ્યો છે. વળી, વિચારમાં સહેજે ય સંકુચિતતા નથી. નામ પણ ભારતનું નથી લીધું, પૃથ્વીનું લીધું છે – ‘પૃથિવીં વિવાચસમ્’. આ ભૂમિના વિચારવાન અને જ્ઞાની લોકોએ ક્યારે ય પોતાના-પરાયાનો ભેદ નથી રાખ્યો, પૃથ્વીની જ વાત કરી છે. ‘માતા ભૂમિ: પુત્રો અહં પૃથિવ્યા:’ – આ સમસ્ત ભૂમિ મારી માતા છે અને હું આ ભૂમિનો પુત્ર છું. કેટલું પ્રાણવાન વાક્ય છે! આ જે ભારત ભૂમિ છે, તે સમસ્ત પૃથ્વીનું એક દર્શન છે. સમસ્ત પૃથ્વી માટે જે વાત વૈદિક ઋષિએ કહી છે તે ભારત ભૂમિને ય એટલી જ લાગુ પડે છે. ‘ભારત’ એટલે સહુ કોઈનું ભરણ કરનારો, એ જ આ ભારત ભૂમિનો મહિમા છે. જે સમસ્ત પૃથ્વીનો વૈભવ છે, તે થોડામાં ભારત ભૂમિને પણ પ્રાપ્ત છે. આ રીતે ભારતની દરેક વાત પાછળ વૈદિક પૃષ્ઠભૂમિ છે કેમ કે તેમાંથી જ આખી ભારતીય સંસ્કૃિત નિર્માણ થઈ છે.
આપણી આ ભારતભૂમિ પ્રેમની અને સમન્વયની ભૂમિ છે. બધી જમાતોને આ ભૂમિએ સ્થાન આપ્યું છે. એટલું જ નહીં, બલકે પ્રેમથી નોતરી છે, આવકારી છે. ભારભૂમિ એક સર્વધર્મી સંમેલન છે. વ્યાપક, વિશાળ, સર્વ સમાવેશક. અહીં સમન્વયની પ્રક્રિયા સતત ચાલુ રહી છે. દુનિયાભરની માધુરીનું સંમેલન અહીં થયું છે, અને તેને લીધે જ દુનિયા આખી ભારત પાસે આશા રાખે છે. ત્રણ હજાર વર્ષ પહેલાં મનુએ લખી રાખ્યું છે – ‘એતદ્દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્રજન્મન:. સ્વં સ્વં ચરિત્રંશિક્ષેરન્ પૃથિવ્યાં સર્વ માનવા:’ − આ દેશમાં પેદા થયેલ ઉત્તમ પુરુષો પાસેથી દુનિયાના બધા લોકો પોતપોતાનું ચરિત્ર કેવું હોવું જોઈએ તેનું શિક્ષણ મેળવશે. એટલે કે દુનિયા આખી માટે ભારતનું આચરણ આવું ઉદાહરણ રૂપ બનશે એવી અપેક્ષા મનુ વ્યક્ત કરી ગયા. ભારતીય સંસ્કૃિતએ મનુની આ અપેક્ષા પૂરી કરવાની છે. અહીંની સમન્વયની પ્રક્રિયા આખા વિશ્વમાં ફેલાવવાની છે. આપણા લોકોની હૃદય-શુદ્ધિ પર તેની ગતિ નિર્ભર છે.
સહુને સમાવી લેવામાં, આત્મસાત્ કરવામાં, સહુનું સામંજસ્ય કરવામાં બહુરસતાનો આનંદ મળે છે અને એકરસતાની શક્તિ પણ. ભારતીય સંસ્કૃિતએ અનેકવિધ વિવિધતાઓને પચાવી લીધી છે. આપણે ત્યાં આ જે અનેક જાતિઓ દેખાય છે, તે એક રીતે જોઈએ તો ભારતીય સંસ્કૃિતનો ગુણ છે, ભારતીય સંસ્કૃિતની સમન્વય-પ્રક્રિયાનું અનિવાર્ય પરિણામ છે કેમ કે અહીં ભિન્ન ભિન્ન પ્રદેશના લોકો આવ્યા, ભિન્ન ભિન્ન સંસ્કાર લઈને આવ્યા. એમની સાથે લડવા- ઝઘડવાને બદલે ભારતે કોઈ ને કોઈ રીતે એમની વ્યવસ્થા કરી. બહારના લોકોને પોતાના સમાજમાં સમાવતા જ ગયા, સમાવતા જ ગયા. તે લોકોની અલગ અલગ જાતિઓ રહી, એટલે કે ખીચડી બની, પણ એકરસ ખીચડી બની. તે બધાને એકરસ કરવાની, આત્મસાત્ કરવાની પ્રક્રિયા સતત ચાલતી રહી. આ રીતે બિલકુલ અલગ અલગ જાતિઓને એકત્ર કરવાનું જે કામ થયું, તે બહુ મોટું કામ થયું, બહુ સારું કામ થયું. આજે હવે આ જાતિભેદ આપણે તદ્દન ભૂંસી નાખવો છે એ ખરું. ખરું જોતાં તો એક ભવ્ય એવી સમન્વયની પ્રક્રિયાનું જ આ એક નિવારી ન શકાય એવું પરિણામ છે. આપણે હવે આજના જમાનાને અનુરુપ આ જાતિભેદને નિર્મૂળ કરવાનો છે. પૂર્વજોનાં જ કામને હજી આગળ વધારવાનું છે. ભારતીય સંસ્કૃિતની વિશેષતાને ધ્યાનમાં રાખીને આ કરવાનું છે. એ ભૂલવાનું નથી કે અનેકાનેક સંસ્કૃિતઓને પચાવતાં પચાવતાં આપણી આ ભારતીય સંસ્કૃિત પાંગરી છે. ભારતીય સંસ્કૃિતની શાન છે તેની સહિષ્ણુતામાં, સહિષ્ણુતાપૂર્વક સહુને પોતાનામાં સમાવતા રહેવામાં અને સામંજસ્યપૂર્વક વિવિધતામાં એકતા સાધતા રહેવામાં.
હમણાં હમણાં ‘કો-એક્ઝિસ્ટન્સ’ – સહ અસ્તિત્વની બહુ વાત થાય છે ને? એટલે કે ભિન્ન ભિન્ન સંસ્કૃિતના લોકો એક સાથે જીવે, એમનું સહજીવન ચાલે, કોઈની જીવનપદ્ધતિનું બીજા કોઈની જીવનપદ્ધતિ ઉપર આક્રમણ ન થાય. આપણે ત્યાંની અનેક જાતિઓનું ઉદ્દગમ સ્થાન જોવા જઈએ તો તે આ સહ અસ્તિત્વની મથામણમાં જ મળશે. આચરણની દ્રષ્ટિએ બિલકુલ એકબીજાની વિરુદ્ધ આચાર-વિચાર ધરાવનારાનોય સમાવેશ લગભગ દરેક ગામે કરી લીધો. ક્યાંક ક્યાંક જુદાં જુદાં ગામ જ વસાવી લીધાં, તો ક્યાંક એક જ ગામમાં ભિન્ન ભિન્ન ફળિયાં બનાવી દીધાં. આજે જોવા જઈએ તો આ બધું સંકુચિત લાગે, જાતિભેદનું વરવું રૂપ લાગે. પરંતુ સેંકડો-હજારો વરસ પહેલાંના જમાનાનો ખ્યાલ કરીએ તો ધ્યાનમાં આવશે કે ભારતીય સંસ્કૃિતની આ કેવડી મોટી સિદ્ધિ છે! બીજી સભ્યતાનું આપણા ઉપર આક્રમણ ન થાય, પ્રેમથી એકબીજાની નજીક આવતા જઈને, એકબીજાનાં દિલ જીતીને ‘એસિમિલેટ’ – એકરૂપ થતા જવાય એવી આ એક સજીવ પ્રક્રિયા છે. તેમાંથી જ આ જાતિભેદ આપણે ત્યાં રહ્યા છે. આજે હવે તે સાવ કાળબાહ્ય થઈ ગયા છે અને તેને તદ્દન નિર્મૂળ કરી નાખવાના છે. તે આપણી સંસ્કૃિતને બેહદ નુકસાન પહોંચાડી રહ્યા છે. આજે તો હવે સંપૂર્ણપણે એકરસ એવો સમાજ આપણે ઊભો કરવાનો છે. વિવિધતામાં એવી એકતા સિદ્ધ કરવામાં જ ભારતીય સંસ્કૃિતની વિશેષતા છે.
તાત્ત્વિક વિચારભેદ અને પાર વિનાના આચારભેદ સહન કરી લેવાની અદ્દભુત શક્તિ ભારતીય સંસ્કૃિતએ દાખવી છે. બ્રાહ્મણ-શૂદ્ર આદિ વર્ણ ભેદ, ગૃહસ્થાશ્રમ-બ્રહ્મચર્ય આદિ આશ્રમ ભેદ, શૈવ-વૈષ્ણવ આદિ દેવતા ભેદ, દ્વૈત-અદ્વૈત આદિ દર્શન ભેદ, કબીર-નાનક આદિ પંથ ભેદ, તીર્થ ક્ષેત્ર આદિ સ્થળ ભેદ એવા અનેકાનેક વિચારભેદ તેમ જ આચારભેદ પોતાનામાં સમાવી લઈને એક અનેરું સાંસ્કૃિતક ઐક્ય અહીં સાધવામાં આવ્યું છે. અહીંનો આખો જીવન વિકાસ જ સમન્વયની પ્રક્રિયાથી થયો છે. એ જ આપણી મુખ્ય શક્તિ છે. આને લીધે જ આપણી સંસ્કૃિત ઉત્તરોત્તર વિકસિત થતી ગઈ છે, સંપન્ન થતી ગઈ છે. સમન્વયનું તત્ત્વ ભારતીય સંસ્કૃિતમાં રોમેરોમમાં રસાયેલું છે. તેના પરિણામે સ્તો કન્યાકુમારીથી કાશ્મીર સુધી આખા દેશમાં એક જ સભ્યતા, એક જ સંસ્કાર, એક જ ભાવના વ્યાપેલી જણાય છે. આખા દેશનું પગપાળા પરિભ્રમણ કરતાં આ મેં મારી નજરોનજર જોયું છે, અનુભવ્યું છે.
આજે હવે એ સમજવાની જરૂર છે કે સમન્વયના આ તત્ત્વની આજે જેટલી જરૂર છે જેટલી ક્યારે ય નહોતી, કેમ કે આજે આ સમન્વયની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થયો છે. આ અગાઉ જે સમન્વય થયો તે અહીં જ પાંગરેલી વિચારધારાઓનો થયો. પરંતુ ત્યાર બાદ જે વિચારધારાઓ આવી તે અલગ સંસ્કૃિત લઈને આવી, અલગ ધર્મપ્રણાલીઓ લઈને આવી. તેમની વચ્ચે સમન્વય કરવો હજી બાકી છે. આપણે ઇસ્લામના સંપર્કમાં આવ્યા, ખ્રિસ્તી ધર્મના સંપર્કમાં આવ્યા. આ બધી વિવિધ સંસ્કૃિતઓનોયે સમન્વય થાય તો તે માત્ર આપણા દેશની દ્રષ્ટિએ જ નહીં, દુનિયા આખીની દ્રષ્ટિએ પણ અત્યંત જરૂરી છે. અને આવો સમન્વય જો આપણે ભારતમાં સાધી શકીશું, તો આખા વિશ્વમાંયે સાધી શકાશે. કેમ કે ભારત એ વિશ્વની જ પ્રતિકૃતિ છે. જેટલી વિવિધતા દુનિયામાં છે તેટલી ભારતમાં ય છે.
આપણે સમજવું જોઈએ કે આ આપણી ખામી નથી, ખૂબી છે. આપણે ત્યાં જે અનેક ધર્મો, પંથો, જાતિઓ વગેરે છે, તે આપણો વૈભવ છે. રવીન્દ્રનાથ ઠાકુરે આને માનવોનો એક મહાસાગર કહ્યો. સંગીતના સાત સ્વરો હોય છે. સાતે ય મળીને બહુ સુંદર સંગીત નીપજે છે. પણ એ જ સૂરો જો બેસૂરા થઈ જાય, એકરાગ ન રહે તો તેમાંથી વિસંવાદ જન્મે છે. તેમાં મજા નથી રહેતી. એવી જ રીતે માત્ર એક જ સ્વર હોય તો તેમાં ય મજા નથી. સ્વર તો વિવિધ હોવા જોઈએ અને તેમની વચ્ચે સંવાદ સધાવો જોઈએ. સંવાદ હશે, તો જ તેમાંથી મધુર મીઠું સંગીત નિપજશે. સંગીતમાં આ જે કળા છે, તે જ સમન્વયની પ્રક્રિયામાં છે. આ સમન્વયની પ્રક્રિયા હવે વિશાળ ફલક પર સાધવાની છે. ભારતમાં આપણે વૈદિક સંસ્કૃિતની અંતર્ગત જ નહીં, પણ બહારની આવેલી બધી સંસ્કૃિતઓ સાથેનોયે સમન્વય કરી બતાવવાનો છે. તેમાં જ ભારતીય સંસ્કૃિતની ખરી ખૂબી નીરખવાની છે. સહુની જુદી જુદી ખૂબીઓને ગ્રહણ કરી લઈને ભારતીય સંસ્કૃિતને આપણે વધુ પુષ્ટ બનાવવાની છે.
કોઈ એમ ન માને કે અહીં મુસલમાન, ખ્રિસ્તી અને બીજાઓ આવ્યા અને આપણે એમની ભિન્ન સંસ્કૃિતઓના સંપર્કમાં આવ્યા, તેને લીધે આપણને કે એમને નુકસાન થયું. બલકે મારું તો માનવું એમ છે કે આવો સંપર્ક થાય છે ત્યારે આરંભમાં કાઈક સંઘર્ષ, ખેંચાતાણી, ગેરસમજ વગેરે થાય છે. પરંતુ છેવટે તો આનાથી ભલું જ થાય છે અને જીવન કાઈક સમૃદ્ધ બને છે. આપણે જો એક જ ધર્મ, એક જ સંસ્કૃિત કે એક જ સભ્યતામાં ઉછરીએ છીએ તો બીજા ધર્મો, સંસ્કૃિતઓ અને સભ્યતાઓથી અળગા જ રહીએ છીએ અને તેથી કશુંક ગુમાવીએ છીએ. તેને લીધે આપણામાં કાઈક સંકુચિતતા પણ આવી જાય છે. આપણને આપણા દોષોનું ભાન નથી થતું. પરંતુ જ્યારે બીજી સંસ્કૃિત અને સભ્યતા સાથે આપણો સંપર્ક થાય છે, ત્યારે આપણને દોષ-નિરસન અને ગુણ-ગ્રહણનો ય મોકો મળે છે. અને તેને લીધે જીવન સમૃદ્ધ થાય છે અને વિચારો વ્યાપક બને છે. એટલે આવા સંસ્કૃિત-સંગમ તો બહુ જ ઉપકારક છે. તેથી આવા બૃહદ સાંસ્કૃિતક સમન્વય માટે આપણે અવશ્ય મથવું રહ્યું.
[સંકલિત]
સહયોગ : “ભૂમિપુત્ર”, 01 જૂન 2016; પૃ. 01-02 & 17
મુદ્રાંકન સૌજન્ય : આશાબહેન બૂચ