શહીદ ભગતસિંહનું ઘર પંજાબના નવાં જિલ્લાના ખટકર કલા ગામમાં આવેલું છે. ઈ.સ. ૨૦૦૮માં તેમની જન્મ-શતાબ્દીના પ્રસંગે તત્કાલીન સરકારે જિલ્લાનું નામ નવા શહેરમાંથી બદલીને શહીદ ભગતસિંહ કર્યું હતું. જો કે, આજે પણ નવા શહેર નામ જ ચલણમાં છે. પંજાબમાં તેને ટૂંકમાં એસ.બી.એસ. (શહીદ ભગતસિંહ) જિલ્લો લખાય છે, આને કારણે જિલ્લાનું નામકરણ કરવાનો ઉદ્દેશ જ માર્યો ગયો છે.
જિલ્લા મુખ્યમથકથી શહીદ ભગતસિંહનું ગામ ખટકર કલા, લગભગ તેર કિલોમીટરના અંતરે આવેલું છે. મુખ્ય સડકથી આપણે જેવા ગામ તરફ વળીએ, ત્યાં જ શહીદ ભગતસિંહ સ્મારકનું વિશાળ પરિસર આવેલું છે. અહીંના ભવનમાં ભગતસિંહ જ નહીં, પરંતુ દેશના દરેક રાજ્યના શહીદોનાં ચિત્રો અને વિગતો તેમ જ સ્મૃિતચિહ્નો મુકાયેલાં છે. આની બરાબર સામે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો ગજવતા ભગતસિંહની આદમકદની પ્રતિમા નજરે ચડે છે. આ પ્રતિમાનું અનાવરણ ઈ.સ. ૧૯૮૦માં થયું હતું. જો કે, સ્મારક હજુ અધૂરું પડ્યું છે. સ્મારકના દરવાજામાં પ્રવેશતાં જ સામે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ધાતુમાંથી બનાવાયેલી વિશાળ ચહેરાવાળી મૂર્તિઓ જોવા મળે છે.
સ્મારકની ડાબી તરફથી અંદર જતાં જ દીવાલો પર શહીદો અને તેમના પરિવારોનાં ચિત્રો પ્રદર્શિત કરાયાં છે. આમ તો દરેક રાજ્યના શહીદોનાં ચિત્રો છે, છતાં પંજાબ, બંગાળ અને ઉત્તર પ્રદેશના શહીદોનાં ચિત્રોનું પ્રમાણ વધારે છે. શહીદ સ્મારકની દીવાલોના મધ્ય ભાગમાં કાચનાં મોટાં-મોટાં શો-કેસ છે, જેમાં શહીદો દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ અને પુસ્તકો વગેરે પણ પ્રદર્શિત કરાયાં છે. ભગતસિંહના હાથે લખાયેલા પત્રો અને લેખ વગેરે અહીં જોવા મળે છે. અહીં ભગતસિંહ અને તેમના સાથીઓએ ઍસેમ્બલીમાં ફેંકેલા બે બૉમ્બ પણ જોવા મળે છે. દીવાલો પર શહીદોનાં ચિત્રોની સાથે-સાથે એ સમયે અખબારોમાં શહીદો અંગેના છપાયેલા સમાચારો પણ પ્રદર્શિત કરાયા છે. આ બધી વસ્તુઓમાં શહીદોને ફાંસી અપાયા પછી જારી કરાયેલા શહીદોનાં મૃત્યુનાં પ્રમાણપત્ર મનને બહુ વિચલિત કરી દે છે. આ પ્રમાણપત્રોમાં, જલિયાંવાલા બાગ હત્યાકાંડના સૂત્રધાર જનરલ ડાયરને ઇંગ્લૅન્ડ જઈને ભરઅદાલતમાં ગોળી મારી દેનારા શહીદ ઉધમસિંહના મૃત્યુનું પ્રમાણપત્ર પણ છે. મૃત્યુનું સૌથી વધારે વિચલિત કરનારું પ્રમાણપત્ર ભગતસિંહનું છે. તેની ભાષા અત્યંત અમાનવીય છે. તેમને નિર્ધારિત સમય કરતાં વહેલા, સાંજે ફાંસી આપી દેવાયેલી અને રાતોરાત શહીદોના શરીરને પોલીસવાળા દ્વારા સતલુજ નદીના કિનારે અગ્નિદાહ આપી દેવાયેલો.
આ પ્રમાણપત્રમાં લખ્યું છે, ‘અહીં ખરાઈ કરવામાં આવે છે કે ભગતસિંહને મૃત્યુની સજા ફરમાવાઈ હતી, જેનું યોગ્ય રીતે અમલીકરણ કરી દેવાયું છે અને ભગતસિંહને કાયદા મુજબ જ્યાં સુધી મોત ન થયું ત્યાં સુધી ગળેથી લટકાવાયા હતા. લાહોર સેન્ટ્રલ જેલમાં સોમવારે ૨૩ માર્ચના દિવસે, ૧૯૩૧માં સાંજે સાત વાગ્યે શરીરને એક કલાક સુધી લટકાવાયેલું રખાયું હતું. મેડિકલ ઑફિસરે જીવ બચ્યો નથી, એવું પ્રમાણિત ન કર્યું, ત્યાં સુધી તેના શરીરને નીચે ઉતારાયું નહોતું. કોઈ દુર્ઘટના, ભૂલ અને કોઈ બીજી અણધારી ઘટના નથી થઈ.’ આ પ્રમાણપત્ર અંગ્રેજીમાં ટાઇપ કરેલું છે. વળી, એમાં જેલના સુપરિન્ટેન્ડન્ટે ખાલી જગ્યામાં નામ અને તારીખ વગેરે ભર્યું છે અને નીચે પોતાના હસ્તાક્ષર કર્યા છે.
આ સ્મારકભવનમાં શહીદ-સ્મારકના બનનારા ભવનની એક પ્રતિકૃતિ પણ રાખવામાં આવી છે. નિર્માણાધીન સ્મારકનું બે માળનું અધૂરું ભવન ઊભું છે, જેમાં લોખંડની ભવ્ય ડિઝાઇન બનાવાયેલી છે. મને લાગ્યું કે આ અધૂરું ભવન આપણા દેશના અધૂરા સપનાં જેવું જ નથી? આ સપનું કોઈ પણ પક્ષનું ચૂંટણીનું વચન નથી બનતું.
ભગતસિંહના ગામમાં પ્રવેશતાં જ બગીચામાં પથ્થરનો પગથિયાંવાળો મંચ અને શ્રોતાઓને બેસવા માટેની વ્યવસ્થા જોવા મળે છે. આ જગ્યાએ દેશભરના લેખક, કલાકારો અને નાટ્યકર્મીઓ શહીદ ભગતસિંહના જન્મદિવસે કાર્યક્રમોનું આયોજન કરે છે.
ખટકર કલા ગામના છેવાડે સૌથી પહેલાં શહીદ ભગતસિંહનું ઈંટોથી ચણાયેલું ઘર દેખાય છે. આ ઘરની સામે એક બહુ મોટું બૉર્ડ લગાડેલું છે, જેમાં ગુરુમુખીમાં શહીદ ભગતસિંહના પરિવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરના પ્રાંગણમાં પ્રવેશતાં જ એક નાનું બૉર્ડ મળે છે, જેના પર ગુરુમુખીમાં લખેલું છે – શહીદ ભગતસિંહ કા જદ્દી ઘર, એટલે કે પૈતૃક ઘર. ઘરના મુખ્ય દરવાજાની સામે એક નાનકડી કૂઈ કે નાનકડો કૂવો છે. ઘરના વચ્ચેના મોટા ખંડમાં લાકડાનો એક નવ ખાનાંવાળો પુસ્તક રાખવાનો કબાટ રખાયેલો છે. આ વિશાળ ખંડમાં કાથી અને જાડા સૂતરમાંથી ગૂંથેલી ખાટલીઓ પણ રાખેલી છે, સાથે-સાથે થોડાં જૂના સમયમાં વપરાતાં ઘરકામનાં વાસણો પણ રખાયેલાં છે. મોટા ખંડની ડાબી અને જમણી બાજુ બીજા બે ખંડ છે, જેમાં પણ રસોડાનાં જૂના જમાનાનાં પિત્તળ અને તાંબાનાં વાસણો રાખેલાં છે. મોટા ખંડની જમણી બાજુના ખંડમાં લોખંડનું એક મોટું ટબ છે, જેની બન્ને બાજુ હૅન્ડલ લગાવાયેલાં છે. તથા લોખંડની બાલટી વગેરે રખાયેલા છે. આ ત્રણેય ખંડ પછી ઉપર ધાબે જવા માટેનાં ઇંટનાં પગથિયાં નજરે પડે છે.
અહીં ઘર-ગૃહસ્થીની અતિ જરૂરી વસ્તુઓ સિવાયની કોઈ દેખાડાની વસ્તુઓ ઘરમાં નથી. સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે, ઘરમાં પુસ્તકોનાં ત્રણ કબાટનું હોવું. આજે કેટલાના ઘરે પુસ્તકો ભરેલાં કબાટ જોવા મળે છે? ભગતસિંહને શહીદ ભગતસિંહ બનાવનારી શક્તિ આ કબાટોમાં રહેલાં પુસ્તકોમાં જ ક્યાંક છુપાયેલી છે. તેમણે જેલવાસ દરમિયાન પણ વાચન-લેખન છોડ્યું નહોતું. આ વાત તેમણે પોતાના પિતાને લખેલા પત્રોમાંથી સ્પષ્ટ થાય છે.
આઠમી એપ્રિલ, ૧૯૨૯માં ઍસેમ્બલીમાં બૉમ્બ ફેંકાયા અને બૉમ્બ ફેંક્યા પછી કોઈ પણ વિરોધ કર્યા વિના પોલીસને ગિરફ્તારી આપી દીધેલી. દિલ્હી જેલમાંથી પોતાના પિતાજીને ૨૬ એપ્રિલ, ૧૯૨૯ના રોજ મોકલેલા પત્રમાં લખ્યું છે, ‘‘તમે જો મળવા આવો, તો એકલા જ આવજો, બેબે જી(માતા)ને સાથે ન લાવતા. વગર કારણે તે રડી પડશે અને મને પણ થોડું દુઃખ થશે. ઘરની તમામ બાબતોની તમારી સાથેની મુલાકાતથી જાણ થઈ જશે. હા શક્ય હોય તો ‘ગીતારહસ્ય અને નેપાલિયનની જીવનગાથા’, જે તમને મારાં પુસ્તકોમાંથી મળી જશે અને એ ઉપરાંત અંગ્રેજીની અમુક સારી નવલકથાઓ લઈ આવજો.’’
શહીદ ભગતસિંહના ઘરથી પાછા ફરતાં દેશપ્રેમની ભાવના પણ આપણી સાથે-સાથે આવે છે. આપણા દેશમાં ધાર્મિક પ્રવાસો વધી ગયા છે. શું દેવ-દેવીઓના આ ધાર્મિક પ્રવાસોમાં દેશપ્રેમ અને ક્રાંતિકારી શહીદોનાં સ્મારકોને પ્રવાસમાં સામેલ ન કરી શકાય?
શહીદ ભગતસિંહે ફાંસી પર ચડવાના થોડા સમય પહેલાં લખ્યું હતું કે ‘‘જ્યારે અટકાવની સ્થિતિ લોકોને પોતાના સકંજામાં જકડી લે છે, ત્યારે કોઈ પણ પ્રકારનાં પરિવર્તન કરતાં તેઓ ખચકાય છે. આ જડતા અને નિષ્ક્રિયતાને તોડવા માટે એક ક્રાંતિકારી સ્પિરિટ (સાહસ) પેદા કરવાની જરૂર હોય છે. નહિતર પતન અને બરબાદીનું વાતાવરણ છવાઈ જતું હોય છે. લોકોને ભરમાવતી પ્રતિક્રિયાવાદી શક્તિઓ લોકોને ખોટા માર્ગે લઈ જવામાં સફળ થાય છે, આનાથી માણસની પ્રગતિ અટકી જાય છે અને તેમાં અટકાવ આવી જાય છે. આ સ્થિતિને બદલવા માટે જરૂરી છે કે ક્રાંતિની ભાવના તાજી કરવામાં આવે, જેથી માણસાઈના આત્મામાં એક હરકત પેદા થાય.’’
(સપ્રેસ)
(ડૉ. કશ્મીર ઉપ્પલ નિવૃત્ત પ્રાધ્યાપક છે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 16-17