દરેક વખતે વડાપ્રધાનના નક્કરતા કે ઠોસ મુદ્દા વગરના ‘વાયુ’પ્રવચન પછી એકની એક વાત લખવાનો કંટાળો આવે છે, પણ દરેક વખતે તે બાળબોધી તુકબંધીઓ ને ચિંતનિયા લેખો જેવો શબ્દાડંબર અચૂકપણે ઠાલવે છે. એટલું જ નહીં, ઉલ્લેખવા જરૂરી એવા મુદ્દા ધરાર ગુપચાવે છે. સામસામા છેડે રહીને પણ એક બાબતમાં તેમના પ્રેમીઓ અને ટીકાકારો સંમત છેઃ વડાપ્રધાનનાં આવાં સંબોધનો પ્રેરણાદાયી પ્રવચન જેવાં હોય છે — મુગ્ધોને તે ‘સ્વીટ નથિંગ’નો (ઠાલેઠાલો ગળપણનો) અહેસાસ કરાવનારાં લાગે છે, જ્યારે તેમની કામગીરીના વિશ્લેષકો-ટીકાકારોને તે પોલાં ને સામગ્રીમાં બજારુ ઇન્સ્પિરેશનલ-પૉઝિટિવ થિંકિંગની રેંકડી જેવાં.
આ માણસ, જે ભારતના વડાપ્રધાન છે, તેમનો લોકોની સામાન્ય બુદ્ધિ વિશે કેવો નીચો અભિપ્રાય છે, એ તેમનાં આવાં દરેક પ્રવચનમાં ઝળકે છે. લૉક ડાઉનના દોઢ-બે મહિના પછી પણ, સરકારના કુશાસન-મિસમૅનેજમૅન્ટને લીધે ઊભી થયેલી શ્રમિકોની સમસ્યા ઉકલી નથી. પરંતુ ‘વીર બાલ્કનીવાળા’ વડાપ્રધાનનાં આયોજનોમાં તો ઠીક, વિચારોમાં ને ભાષણમાં પણ શ્રમિકોની પીડાને સ્થાન મળતું નથી. દેશદુનિયા જ્યારે આરોગ્ય અને અર્થતંત્રની બેવડી કટોકટીમાંથી પસાર થઈ રહ્યાં હોય, ત્યારે વડાપ્રધાન આવે અને બુઢ્ઢીના બાલ જેવી ગળચટ્ટી વાતોનો ખડકલો કરીને, કામની એકેય વિગત આપ્યા વિના જતા રહે ત્યારે વધુ એક વાર સ્પષ્ટ થઈ જવું જોઈએ કે કરોડો લોકોની સમસ્યા તેઓશ્રી માટે પોતાની ઇમેજના મૅનેજમૅન્ટથી વિશેષ હોય એવું લાગતું નથી. તેમણે કહી તો દીધું કે જી.ડી.પી.ના દસ ટકા એટલે કે રૂ. વીસ લાખ કરોડનું આર્થિક પૅકેજ અપાશે. તેમાં અગાઉ જાહેર થયેલું પૅકેજ ગણાશે કે નહીં, બજેટમાં ઑલરેડી જાહેર કરાયેલી રકમોને નામ બદલીને નવાં મથાળાં સાથે આ પૅકેજમાં સામેલ કરાશે કે નહીં, પૅકેજના મુખ્ય લાભાર્થીઓ રાબેતા મુજબ વેપારધંધાવાળા જ હશે? દેશના અર્થતંત્રને પાટે ચડાવવાના અને તેની પર વિકાસના એન્જિનને દોડતું કરવાના મહાકાર્યમાં ભોગ શ્રમિકોએ જ આપવાનો આવશે? બીજા શબ્દોમાં, શ્રમિકોને તો એ પાટા પર અને એ એન્જિન નીચે જ સુવાનું આવશે? મજૂરોના હિતરક્ષણને લગતા કાયદાઓને રાજ્યો અર્થતંત્ર માટે અવરોધરૂપ ગણીને જે રીતે અભરાઈ પર ચઢાવી રહ્યાં છે, એ જોતાં તો એવું જ લાગે છે.
વડાપ્રધાને ચોથું લૉકડાઉન હળવું થવાનો સંકેત આપ્યો છે. (હા ભાઈ, એ તો કવિ છે. એ સંકેત જ આપે. તમારે ઉકેલી લેવાના) ત્યારે બીજો મોટો મુદ્દો રાજ્યોને વધુ સ્વાયત્તતા આપવાનો છે. ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશમાં એક માણસ ઉપરથી બધા માટે એક જ પ્રકારનાં પગલાં નક્કી કરી નાખે તે યોગ્ય તો નથી જ, વ્યવહારમાં પણ નુકસાનકર્તા છે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય