દસમા અને બારમાનાં બોર્ડનાં પરિણામ જાહેર થઇ ગયાં. ‘દસમું’ અને ‘બારમું’ જેવા શબ્દો વાંચીને અશુભ વિચારો આવતા હોય, તો છેક અસ્થાને નથી. કારણ કે બોર્ડની બન્ને પરીક્ષાનાં પરિણામ થોડા વિદ્યાર્થીઓ અને ઘણા વાલીઓ માટે અશુભ સાબીત થતાં હોય છે. ખરૂં જોતાં, સેલ્ફ ફાઇનાન્સ્ડ કોલેજના સંચાલકો સિવાય બહુ થોડા લોકો માટે એ પરિણામ શુભ હોય છે.
પરીક્ષાનાં પરિણામ સટ્ટાના નંબર યા લોટરી જેવાં નથી કે તે સાવ અડસટ્ટે ખુલે. લોટરી ખરીદનાર કેટલો હોંશિયાર છે, તેણે કેટલી મહેનત કરી છે, એ બાબતને લોટરીનો કયો નંબર ખુલશે એની સાથે કશી લેવાદેવા હોતી નથી, જ્યારે પરીક્ષાના પરિણામનો મોટો આધાર પરીક્ષાર્થીએ પેપરમાં જે બોળ્યું કે ધોળ્યું, બાફ્યું કે ઉકાળ્યું હોય તેની ઉપર રહે છે.
ઉપર લખેલાં વિશેષણો-બોળ્યું, ધોળ્યું, બાફ્યું, ઉકાળ્યું- વિદ્યાર્થીઓને અન્યાય કરનારાં છે. કારણ કે તે હોંશીલા માતાપિતાના અભિપ્રાય રજૂ કરે છે. વિદ્યાર્થી વડીલોની હોંશ પ્રમાણે નહીં, પણ પોતાની હોંશિયારી પ્રમાણે ટકા લાવે છે. એમાં હોંશિયારી સિવાયનાં પરિબળો પણ કામ કરે છે. એ બઘું લક્ષમાં લીધા વિના, પોતે ધારેલા ટકા ન આવે એટલે વાલીઓ વિશેષણબાજી પર ઉતરી આવે છે.
ટકા ધારવા એ પરીક્ષાર્થીઓ માટે ત્રાસદાયક અને તેમના વાલીઓની પ્રિય પ્રવૃત્તિ છે. જૂના વખતમાં રાજા યુદ્ધે ચડ્યો હોય, ત્યારે રાણી પોતાની ખાસ દાસીને તાકીદ કરતી હતી કે ‘મહારાજના વિજયના સમાચાર લઇને જ આવજે.’ મોટા ભાગના વાલીઓ રાણી જેવી મનોદશા ધરાવે છે. તેનાથી રણે ચડેલો વિદ્યાર્થી મૂંઝાય છે. પેપર આપીને આવ્યા પછી તે સાચો જવાબ આપે તો પણ દુઃખ અને ગોળગોળ કહે તો પણ વાંધો.
વિદ્યાર્થી ઘરે આવીને કહે કે ‘પેપર ઠીક ગયું.’ તો ઉત્સાહી વડીલો, એક ત્રાસવાદીને ઘેરી વળતા પચીસ તપાસ અધિકારીઓની જેેમ તેની પર તૂટી પડશે.‘ઠીક એટલે સારૂં ને?’ ‘ઠીક એટલે સોમાંથી નેવુ કે પંચ્યાસી?’ ‘તારી તૈયારી (અને અમે ખર્ચેલા રૂપિયા) જોતાં ઠીક એટલે સોમાંથી એંસી તો ખરા ને!’ આવા સંવાદોથી વિદ્યાર્થીના ‘ઠીક’ને ગુલાબી રંગનો ઢોળ ચડાવવામાં આવે છે. માનસિક રીતે થાકીને આવેલો વિદ્યાર્થી પકડાયેલા ત્રાસવાદી જેવી જ- ઘેરાઇ ગયાની અને લાચારીની- લાગણી અનુભવે છે અને હથિયાર હેઠાં મૂકતો હોય તેમ ‘ઠીક’ના એકાદ વિકલ્પ પર ટીક કરીને જાન છોડાવે છે.
કેટલાક વાલીઓને ‘સારૂં’, ‘ઠીક’, ‘ઠીક ઠીક’ એવા ટૂંકાક્ષરી જવાબથી સંતોષ થતો નથી. એમનો બીજો પ્રશ્ન હોય છે,‘કેટલા માર્ક ધાર્યા છે?’વિદ્યાર્થી સહેજ ઘૂંધવાઇને વિચારે છે,‘હું પરીક્ષા આપવા ગયો હતો કે માર્ક ધારવા?’ પણ આમન્યાને કારણે તે એવું કહી શકતો નથી. એટલે શરૂઆતમાં તે ગર્લફ્રેન્ડ (કે બોયફ્રેન્ડ)નું નામ પૂછાયું હોય એમ શરમાઇને જવાબ ટાળે છે. પણ ‘કેટલા માર્ક ધાર્યા છે’ એનો જવાબ આપ્યા વિના કાર્યવાહી આગળ નહીં વધે, એવું લાગતાં એ વિદેશ મંત્રાલયનાં નિવેદનો જેવો ગોળગોળ જવાબ આપવા પ્રયાસ કરે છે. ‘આમ તો…એવા કંઇ..ધાર્યાબાર્યા નથી…લખ્યું તો બઘું જ છે…બસ પેલો ચાર માર્કનો સવાલ છૂટ્યો હતો..’
તરત ઉત્સાહી વાલી અર્થઘટન સાથે કૂદી પડે છે,‘એમ કહે ને કે ૯૬ માર્કનું લખ્યું છે! આ તો રોકડીયો વિષય છે અને હવે તો ઢગલાબંધ માર્ક આવે છે. લોકોના નેવુ-પંચાણું ટકા આવે છે…’
વિદ્યાર્થી અસ્પષ્ટ ગણગણાટ સાથે કહેવા ઇચ્છે છે કે ‘હા, લોકોના પંચાણું ટકા આવે છે, પણ હું ‘લોકો’ નથી. અને બધાના પંચાણું ટકા આવશે તો તમે ખુશ પણ નહીં થઇ શકો. કારણ કે તમને મારા રીઝલ્ટમાં નહીં, બીજાની સરખામણીએ મારા રીઝલ્ટમાં રસ છે.’ પણ એ વખતે વડીલો સાથે શાસ્ત્રાર્થમાં ઉતરવાની માનસિકતા હોતી નથી- અને પરિણામ આવ્યા પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહેતો નથી.
પહેલાંના વખતમાં બોર્ડની પરીક્ષાની મુખ્ય ચિંતા ‘નીકળી જવાશે કે નહીં’ એ રહેતી હતી. પરિણામ જાહેર થાય ત્યારે ત્રણમાં ઉડ્યા કે બેમાં, એની ચર્ચા મોટા પ્રમાણમાં સાંભળવા મળતી હતી. હવે ઢગલામોઢે ખુલી ગયેલી સેલ્ફ-ફાઇનાન્સ્ડ કોલેજોના સંચાલકો બિચારા રસ્તા પર ન આવી જાય, એટલે પરિણામો ઉંચાં ને ઉંચાં આવી રહ્યાં છે. ક્યારેક તો એવી બીક લાગે કે બોર્ડમાં કોઇ વિદ્યાર્થીના ૧૦૦માંથી ૧૦૫ માર્ક આવી ન જાય!
માર્ક અંગે વિદ્યાર્થીની ધારણાનું મહત્ત્વ પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી હોય છે. પણ પરીક્ષા અને પરિણામો વચ્ચેનું અંતર હોઠ અને પ્યાલા વચ્ચેના અંતર કરતાં ઘણું વધારે હોય છે. એ સમયગાળામાં પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય વિશે હોંશીલાં માતાપિતાનાં ભવ્ય આયોજનો સાંભળીને ૧૦૦માંથી ૬૦ માર્કનું લખી આવેલો વિદ્યાર્થી પણ માનતો થઇ જાય છે કે મારાં માતાપિતા આટલી દોડધામ કરે છે, તો કદાચ મારા ૧૦૦માંથી ૮૦-૯૦ આવી પણ જાય. કંઇ કહેવાય નહીં!
બજાર ઊંચું જશે કે નીચું, કોંગ્રેસ જીતશે કે ભાજપ એવી બધી આગાહી કરનારા જ્યોતિષો આગાહી ખોટી પડે પછી કોઇ પણ પ્રકારનો ક્ષોભ અનુભવ્યા વિના બીજી આગાહી કરવામાં લાગી પડે છે. કંઇક એવા જ જુસ્સાથી, પોતાના સંતાનના ટકા વિશેની ધારણા ન ખોટી પડતાં, માતાપિતા આશ્વાસનો શોધી કાઢે છે અને સેલ્ફફાઇનાન્સ્ડ કોલેજમાં સંતાનના પ્રવેશ માટે કમર કસે છે ને બૂટ ઘસે છે. મનુષ્ય નામના પ્રાણીની આ જ ખાસિયત છે. કોઇ પણ પરિસ્થિતિમાં તે આશ્વાસન જ નહીં, અનુકૂલન શોધી અને સાધી લે છે.
બોર્ડનાં પરિણામ પછી સંતાનની ટકાવારી પ્રમાણે વાલીઓ દ્વારા સાધવામાં આવતાં કેટલાંક આશ્વાસનઃ
૯૦ ટકાની ઉપરઃ મેડિકલમાં મળે છે કે નહીં, જોઇએ. આમેય એને ચીરફાડ ગમતી નથી. એટલે મેડિકલમાં નહીં મળે તો પછી કમ્પ્યુટર લાઇનમાં મુકીશું. જોકે, એને અમેરિકા જવું નથી. એટલે અહીં રહેવા મળતું હોય ને સારો પગાર મળતો હોય એવા કોઇ કોર્સમાં મુકવાનો પણ વાંધો નથી.
૮૦ થી ૯૦ ટકાઃ એડમિશનના પ્રશ્નો તો છે જ, પણ અમારા બન્નેમાંથી કોઇના બોર્ડમાં ૬૦થી ઉપર ટકા આવ્યા ન હતા અને અમારી બેબી ૮૨ ટકા લાવી. એટલે અમારા રૂપિયા વસૂલ છે. હવે બીએસ.સી. માઇક્રોમાં કે બીબીએમાં તો મળી જ જશે!
૭૦ થી ૮૦ ટકાઃ કોઇ બી પૂછે કે કેટલા ટકા આવ્યા, એટલે અમે કહી દઇએ છીએઃ ‘ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન.’ લોકો પણ સમજુ છે. એટલે ‘ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન’ માં કેટલી ગીરદી છે, એ વિશે કોઇ પૂછતું નથી.
૫૦ થી ૭૦ ટકાઃ ટકા-બકા ઠીક છે. અસલી પરીક્ષા તો જિંદગીની છે. એમાં ત્રણ કલાકના દેખાવથી અને એક વારના ઓછાવત્તા ટકાથી બહુ દુઃખી ન થવું. દસમું કે બારમું ધોરણ અભ્યાસનું છેલ્લું નહીં, પહેલું પગથીયું છે. હજુ ઘણું ભણવાનું બાકી છે.
૫૦ થી ૭૦ ટકા માટે અહીં લખ્યું છે એવું આશ્વાસન લેનારા સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન. કારણ કે એ ફક્ત આશ્વાસન નથી. સચ્ચાઇ પણ છે.