ચૂંટણી ટાણે જોવા મળતી કેટલીક મોસમી ચીજોમાંની એક છેઃ મતદારજાગૃતિઝુંબેશ.
એકંદરે આ પ્રવૃત્તિ નિર્દોષ છે, પણ છાપાં મતદારોને મત આપવાનાં ‘પબ્લિક ઇન્ટરેસ્ટ કેમ્પેઇન’ ચલાવે ત્યારે તે દંભી લાગે છે. કારણ કે-
• છાપાં માટે આ બધી ઝુંબેશો મુખ્યત્વે ‘બ્રાન્ડ બિલ્ડિંગ’નો જ હિસ્સો હોય છે. ‘એ બહાને લોકો આપણી નોંધ લે અને આપણે સમાજની કેટલી ચિંતા સેવીએ છીએ તેનાથી પ્રભાવિત થઇને આપણા છાપા વિશે જાણે- કદાચ ખરીદે પણ ખરા.’
• સાચીખોટી હસ્તીઓ (સેલિબ્રિટી) પાસે ઉપદેશના બે શબ્દો બોલાવીને, ‘કૉઝ’ના બહાને એમની પાસે પોતાની બ્રાન્ડનું મફતીયા મોડેલિંગ કરાવી શકાય.
• છાપાં પોતે જાગૃતિનું મહત્ત્વનું અને અસરકારક માધ્યમ છે. તેની મુખ્ય કામગીરીમાંની એક સમાજમાં જાગૃતિ ફેલાવવાની છે. એ કોઇને કરવી નથી. ચૂંટણી આવે ત્યારે ફૂટપટ્ટીએ માપી માપીને રાજકીય પક્ષો ને ઉમેદવારો પાસેથી જાહેરખબરના ભાવે સમાચારના રૂપિયા ખંખેરનારાં કે બીજી રીતે ફાયદા વસૂલનારાં પ્રસાર માધ્યમો મતદારોની જાગૃતિની ઝુંબેશો ચલાવે (કે ન પણ ચલાવે) તેનો શો મતલબ?
• મતદાન અંગેની જાગૃતિ સામાજિક-રાજકીય જાગૃતિ કરતાં અલગ ન હોઇ શકે, એટલું પણ આ કહેવાતા ઝુંબેશકારો સમજવા માગતા નથી? ઇન્ડિયન એક્સપ્રેસ જેવું અખબાર એકંદરે ધોરણસરના ચૂંટણી સમાચારો અને લેખો છાપતું હોય, પછી તેને અલગથી જાગૃતિઝુંબેશ કરવાની જરૂર રહેવી જોઇએ નહીં. પણ એક બાજુ ‘ઉંઘૃતિ’ (જાગૃતિનું વિરોધીઃ-) ફેલાવવાના ધંધા આદરનારા, લોકોની આંખમાં ધૂળ નાખવા કે તેમને મૂરખ બનાવવા મતદારજાગૃતિની ઝુંબેશો ચલાવતા હોય એવું લાગે છે.
કોઇને થશે, આ તો ‘સંદેશ’ અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’નાં કેમ્પેઇનની વાત છે.
હા. છે. પણ માત્ર એમની કંપનીગત કે એમનાં કેમ્પેઇનની જ વાત નથી. કાલે ઉઠીને બીજાં છાપાં કે ચેનલો આ ધંધામાં પડે અથવા ભારતના બીજા હિસ્સામાં તે પડી ચૂક્યાં હોય, તો પણ સચ્ચાઇ આ જ રહેવાની છે. સિવાય કે તેમણે પોતે પોતાનું કામ પ્રામાણિકતાથી કર્યા પછી વધારાના પગલા તરીકે જાગૃતિની ઝુંબેશ ઉપાડી હોય.
પબ્લિક ઇન્ટરેસ્ટ એડ કેમ્પેઇન કરવાનાં મુખ્ય ત્રણ કારણ હોય છે (સ્વાભાવિક છે કે તેમાં ‘પબ્લિક ઇન્ટરેસ્ટ’નો સમાવેશ થતો નથી) : છાપું પોતાની બ્રાન્ડ વિશે આશ્વસ્ત ન હોય. ‘બેસ્ટ એડ કેમ્પેઇન’ના નેશનલ-ઇન્ટરનેશનલ એવોર્ડ જીતવા હોય કે પૂરતા પ્રમાણમાં જાહેરખબરો ન મળતી હોવાથી જગ્યા બગાડવાનું પોસાણ હોય.
હવે તમે આવું કોઇ કેમ્પેઇન જુઓ ત્યારે ઉપર જણાવેલાં કારણમાંથી કયાં કારણ લાગુ પડે છે તે વિચારી જોજો.
(શીર્ષકપંક્તિ: કહીં પે નિગાહેં, કહીં પે નિશાના…ધીમે, ઓ જાલિમ, બનાઓ ના દીવાના)