અમદાવાદમાં વધતા કોરોના-કેસ સંદર્ભે કેટલાક નિષ્ણાત તબીબોને આગળ કરીને એવું કહેવામાં આવે છે કે આવી સ્થિતિમાં ગમે તેટલાં સરકારી સાધન હોય તો પણ તે ટાંચાં પુરવાર થાય. હાલના સંજોગોમાં કોરોના-પૉઝિટિવ દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાથી ‘આરોગ્યસેવાઓ પર બિનજરૂરી ભારણ’ વધે છે. માટે, એવા લોકોને ઘરે રાખવા અને જે સામાન્ય દવા-સારવાર તેમને હૉસ્પિટલમાં અપાય છે, તે ઘરે આપવી. એટલું જ નહીં, તેમનું વીડિયોથી મૉનિટરિંગ કરવું.
આ બધું સૂચવવા પાછળનો આશય ‘આરોગ્યસેવાઓ પર બોજ હળવો કરવાનો’ છે, એમ પણ કહેવાયું. સામાન્ય સંજોગોમાં અને સરકારી તંત્ર પ્રામાણિક હોય ત્યારે આ પ્રકારના તર્ક કે સમજાવટને અવકાશ હોઈ શકે. હા ભાઈ, આપણે આવી કઠણ સ્થિતિમાં સરકારને મદદ ન કરી શકીએ તો કંઈ નહીં, કામ તો ન વધારીએ. સરકારનું કામ ન વધારવાની એક રીત એટલે સાવચેતી રાખીને સાજા-સલામત રહેવું. તેમાં બીમાર પડ્યા પછી પણ ઘરે રહેવાની રીત દાખલ કરવા માટે વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો સંબંધ હોવો જોઈએ. માહિતીનું પ્રામાણિક આદાનપ્રદાન થવું જોઈએ.
વહીવટી તંત્રે પોતાની સાધનસામગ્રીની મર્યાદાઓ કે આરોગ્યકર્મીઓની અછત જ નહીં, જેટલું ઉપલબ્ધ છે, તેને અસરકારક રીતે ગોઠવવામાં કેવી કચાશ રહી તેની વાત પણ કરવી પડે. પરંતુ આરોગ્ય સચિવ બધું ફૂલફટાક દેખાડતા હોય અને વહીવટી તંત્ર તો જાણે નમૂનેદાર કામ કરી રહ્યું છે, એવો દેખાવ રાખતાં હોય ત્યારે સરકાર પ્રત્યે કૂણું વલણ ધરાવતા કે સરકારી કર્મચારી એવા નિષ્ણાત તબીબો કોરોના-ચેપગ્રસ્તોને ઘરે રહેવાની શાણપણભરી સલાહ આપે, તે ચિંતાજનક છે. કેમ કે, તેમની આ સલાહમાં દરદીઓના હિતરક્ષણ કરતાં કોરોના-અસરગ્રસ્તોને સારવાર આપવામાં સરકારી તંત્રની મસમોટી ખામીઓ ઢાંકવાની વૃત્તિ વધારે જણાય છે.
આવા કપરા સમયમાં દરેક નાગરિકે વહીવટી તંત્રને બનતી મદદ કરવી જોઈએ. પણ સામે પક્ષે, વહીવટી તંત્રે પહેલાં નાગરિકોને વિશ્વાસમાં લેવાની દરકાર લેવી પડે. સરકારી હૉસ્પિટલમાં દાખલ થયેલા દરદીઓની સારવારનાં ઠેકાણાં નથી હોતાં, ત્યાં વીડિયોથી તેમની દેખરેખ રાખવાની વાત કોના ગળે ઉતરશે? નાગરિકોનો સહકાર જોઈતો હોય તો નાગરિકોને સાચી માહિતી આપવી પડે, નિષ્ફળતાઓ સ્વીકારીને નમ્રતા કેળવવી પડે અને વીડિયો કૉન્ફરન્સોમાં બડી બડી વાતો બંધ કરવી પડે. નાગરિકોએ વહીવટી તંત્રની મર્યાદાઓ પણ ફરિયાદ કર્યા વિના વેઠવાની અને મૂરખ પણ બનવાનું?
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 મે 2020