સત્ય ખોવાયું છે, શોધી કાઢે તેને એક અબજ રૂપિયાનું ઇનામ! રાજેન્દ્ર દેશપાંડેએ મોકલેલ લઘુ કહાણી ઉપરથી લઘુ લેખ.
− આશા બૂચ
*****
પૂર્વીય પરંપરામાં એક કહાણી પ્રચલિત હતી.
ભગવાને સૃષ્ટિની રચના કરી. તેની સર્જેલી તમામ રચનાઓ માટે દેવોએ કોઈ ને કોઈ નિશ્ચિત જગ્યા શોધી કાઢી, સિવાય કે સત્ય. અને આ મુદ્દાને લઈને એક મુશ્કેલી ઊભી થઇ, કેમ કે ભગવાન આ શાણપણની ભાળ માનવ જાતને તત્કાળ મળી જાય તેમ નહોતા ઇચ્છતા.
અનેક ભગવાનોમાંના એક ભગવાને સૂચવ્યું કે સત્યને ઊંચામાં ઊંચા પર્વતની ટોચ પર મૂકી દેવામાં આવે. બીજાએ તેને દૂર સુદૂરના એક તારલામાં છુપાવી દેવા કહ્યું. ત્રીજા ભગવાને તેને ચંદ્રની અંધારી બાજુ પર મૂકી આવવા જણાવ્યું અને ચોથા ભગવાને તો તેને દરિયાના ઊંડા પેટાળમાં ઢબૂરી દેવાની જ સલાહ આપી.
છેવટ તેઓએ સાથે મળીને સત્યને માનવીના હૃદયમાં મુકવાનો નિર્ણય કર્યો.
ઈશ્વર સત્ય છે અને સત્ય જ ઈશ્વર છે. ઈશ્વર સચરાચરમાં વ્યાપ્ત છે, દરેક જીવનાં હૃદયમાં વસે છે. તો સત્ય પણ દરેક માનવીના હૃદયમાં જ વસે છે. આમ સત્ય અને ઈશ્વર આપણા હૃદયમાં જ વસે છે; આથી જ તો આપણેને એ બંનેની ભાળ નથી મળતી કેમ કે આપણે તેની શોધમાં દુનિયા આખી ફેંદી વળીએ છીએ, જ્યારે એ તો છે આપણા અંતરતમમાં છુપાયેલ.
એક સૂફી સંતે કહ્યું છે : મૈં ઇન્સાનિયત મેં બસતા હું, લોગ મુઝે મઝહબ મેં ઢૂંઢતે હૈં.
આપણે આપણા દિલમાં દૃષ્ટિ કરીએ; સત્ય અને ઈશ્વર બંનેની ભાળ મળી જશે.
e.mail : 71abuch@gmail.com