આજે જાણે આખું વિશ્વ મુખ્યતઃ લોકશાહી અને સરમુખત્યારશાહી એમ બે શાસન પ્રણાલીમાં વિભાજીત થઇ ગયું છે. લોકશાહીને સહુથી વધુ પ્રજા કલ્યાણકારી, ન્યાયી અને સમાનતામૂલક રાજ્ય પદ્ધતિ માનવામાં આવે છે. તેના પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર – અથવા કહો કે તેનાથી મળતા ફાયદાઓ ભોગવનાર સત્તાધીશો તો તેના પ્રચારના નામે એ શાસન પ્રણાલીને અન્ય દેશો પર ઠોકી બેસાડવાની તહે દિલથી કોશિશ કરે છે, એટલું જ નહીં, એ બહાને બીજા દેશો સાથે લડાઈ કરવા તત્પર પણ થાય છે. પણ જરા જાતને પૂછી જોઈએ, લોકશાહી એ ખરેખર કઈ બલા છે?
એક જમાનો હતો જ્યારે દુનિયાના મોટા ભાગમાં રાજાશાહી શાસન પ્રણાલી પ્રચલિત હતી. તેમાં વંશપરંપરાગત સત્તા અને ધનની પ્રાપ્તિ થતી, રાજા, તેના મંત્રીઓ અને નગરશ્રેષ્ઠીઓના ધન ભંડારો હિલ્લોળા લેતા હોય ત્યારે સામાન્ય પ્રજાજન પાસે જૂજ મિલકત રહેતી, તેથી એ પ્રથાને સ્થાને અન્ય રાજ્ય પદ્ધતિ લાવવાનો પવન ફૂંકાયો. નવીન વિચારધારાઓનો પ્રાદુર્ભાવ, અનેક ક્રાંતિઓ અને સંઘર્ષોનાં પરિણામ સ્વરૂપ સામ્યવાદ, સમાજવાદ, લોકશાહી અને સરમુખત્યારશાહી જેવી પ્રથાઓ ઠેર ઠેર અસ્તિત્વમાં આવી.
કોઈ દેશ સૌથી જૂની લોકશાહી હોવાના બણગાં ફૂંકે, તો કોઈ વળી સૌથી મોટી લોકશાહી હોવાનું ગૌરવ કરે, કોઈ દેશ પોતાને સહુથી વધુ સફળ લોકશાહી ગણાવી બીજા દેશને અસફળ લોકશાહી પૂરવાર કરે એવો તાલ જોવા મળે છે. તો, આ ‘લોકશાહી’ છે શું એમ પૂછીશું તો મોટા ભાગના લોકો કહેશે, અમને ખબર જ છે, વળી. કેમ, લોકો માટે, લોકો વડે અને લોકો વતી બનેલી સરકાર તે લોકશાહી! ખરેખર? ખરેખર આપણે લોકશાહી શાસન પ્રણાલી વિષે સાચી અને પૂરેપૂરી જાણકારી ધરાવીએ છીએ?
કોઈ પણ શાસન પ્રણાલીમાં બદલાવ આવવાની જોડે જોડે તેના વહીવટ અને શાસિતોના દરજ્જામાં પણ ધરખમ બદલાવ આવે છે. રાજાશાહીમાં જેઓ રૈયત તરીકે ઓળખાતા તેઓ લોકશાહીમાં નાગરિક બન્યા. બંનેના અધિકારો અને ફરજોમાં ફર્ક છે. નાગરિકો પાસેથી તેમના અધિકારો અને ફરજોનું જ્ઞાન અને સમજ તેમને હોય તેવી અપેક્ષા રહે, સાથે સાથે સરકારનું સ્વરૂપ કેવું હોય તે પણ જ્ઞાત હોવું જરૂરી મનાય છે. લોકશાહીની વિભાવના સાથે જ મતાધિકાર અને નાગરિકતાના ખ્યાલોનો વિકાસ થયો એમ કહી શકાય. ખરું પૂછો તો લોકશાહી અને નાગરિકત્વના વિવિધ અર્થઘટનો જાણવા મળશે.
જરા વિચાર કરીએ, જે શાસન પ્રણાલી માટે આપણે આટલું બધું ગૌરવ લઈએ છીએ એ લોકશાહી ખરેખર શું લાભદાયી છે? રાજકારણ હવે આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. જે રીતે આપણું શિક્ષણ તંત્ર અને વ્યાપાર ચાલે છે, જે રીતે આપણા વ્યવસાયો વિકસે છે, જે પ્રમાણે આપણે મુસાફરી કરીએ છીએ; અરે જે રીતે આપણે આપણી જાતને પિછાણીએ છીએ તે બધાનો આધાર કોઈને કોઈ રીતે રાજકીય નિર્ણયો પર એક યા બીજી રીતે હોય છે. લોકશાહી દેશોમાં ચૂંટણીઓ થાય, રાજકીય પક્ષો એક બીજા સાથે હરીફાઈ કરે, નાગરિકો મત આપે, અને વધુ મત મેળવી જીતનાર પક્ષ આપણા પર રાજ્ય કરે એ પ્રથા રૂઢ થઇ છે. પરંતુ ક્યારે ય આપણે પોતાની જાતને ઢંઢોળીને પૂછ્યું છે: લોકશાહી પદ્ધતિ શું ખરેખર લાભદાયી છે? સારી શાસન પ્રણાલી માટે બીજો કોઈ માર્ગ છે?
આપણે સહજપણે માની લીધું છે કે લોકશાહી એ જ સારી વહીવટી વ્યવસ્થા છે અને તે જ એક ઉત્તમ રાજકીય માળખું પણ છે. હવે, કેટલાક લોકો માને છે કે લોકશાહીમાં વધુ પડતી ચર્ચા અને વિવાદો થાય છે, કોઈ પણ કાર્ય પર પાડવા માટે વધુ પડતો વિલંબ થાય છે અને લોકોને પોતાના લાભમાં નિર્ણય જોઈતો હોય તેથી સામા પક્ષ સાથે ભાવ તાલ કરવા પડે કે સમાધાન કરવું પડે તેથી હંમેશ સાચો નિર્ણય નથી પણ લેવાતો હોતો. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ વિન્સ્ટન ચર્ચિલે કહેલું, “લોકશાહી એ સરકારનું સહુથી વધુ દુષ્ટ સ્વરૂપ છે. તે સિવાયની બીજી તમામ પદ્ધતિઓનો અખતરો કરી જોવામાં આવ્યો છે.” અહીં કહેવાનો મતલબ એ છે કે લોકશાહી ઘણી રીતે એક અપૂર્ણ રાજ્ય વ્યવસ્થા છે પરંતુ તેનાથી બહેતર બીજો કોઈ વિકલ્પ નથી.
લોકશાહી જ એક માત્ર ઉત્તમ રાજ્ય વ્યવસ્થા છે એવું ન માનનારાઓ પાસે બીજી કઈ રાજ્ય વ્યવસ્થાઓ વિકલ્પ રૂપે છે? આપણે જોઈએ છીએ કે સરમુખત્યારશાહી, કે જેમાં એક સત્તારૂઢ આદમી કે ઔરત બાકીની તમામ જનતા પર શાસન કરે, અને તેનો જ નિર્ણય માન્ય ગણાય. એક એવી દલીલ થાય છે કે જો તે એક વ્યક્તિ ખરેખર બીજા તમામ લોકો કરતાં વધુ ગુણવત્તાવાળી હોય તો સરમુખત્યારશાહીમાં શું ખોટું છે? પણ આપણે ચડિયાતા હોવું એટલે શું અને માનો કે તે એક સત્તાધારી વ્યક્તિ કોઈ બે ચાર બાબતોમાં ચડિયાતી હોય તેથી શું તેને સર્વસત્તાધીશ માની લેવો વ્યાજબી છે તે વિષે વિચારવું રહ્યું. બીજો વિકલ્પ છે ધાર્મિક સત્તા હેઠળ જીવવાનો. કેટલાક મુલકમાં ધાર્મિક આગેવાનોની સત્તા સર્વોપરી ગણાય છે. જો ધાર્મિક સંસ્થાઓ જ આપણને નૈતિક માર્ગદર્શિકા પૂરી પાડતી હોય, સત્યાસત્યનું ભાન કરાવનારી હોય તો આપણે શા માટે સામાન્ય નાગરિકોને મત આપવો જોઈએ? શા માટે આપણે આપણો અવાજ ઉઠાવવો જોઈએ? એવા સંયોગોમાં આપણને માત્ર ધર્મગુરુઓની જરૂર પડે, જે આપણને બાઇબલ, ગીતા અને કુરાન આપણી પાસે શી અપેક્ષા રાખે છે તે કહે અને આપણે તેને અનુસરીએ. શું આવી ધર્મનિયુક્ત રાજ્ય વ્યવસ્થા જે તે દેશના તમામ નાગરિકો માટે ઉપયુક્ત બની રહે? નિષ્ણાતો દ્વારા ચાલતું રાજ્ય એ ત્રીજો વિકલ્પ છે. આધુનિક જીવન ઘણું ક્લિષ્ટ બનતું જાય છે, તો જે નિષ્ણાતો આ તમામ પ્રકારની ક્લિષ્ટ બાબતો સમજી શકે તેઓ જ આપણા વતી નિર્ણયો લે તે આપણા જેવા અજ્ઞાની લોકો મત આપે તેના કરતાં વધુ હિતાવહ નથી? અરાજકતા એટલેકે રાજ્યના અસ્તિત્વનો ઇન્કાર એ પણ એક અંતિમ વિકલ્પ ગણાય છે. કેટલાક તો એટલી હદે જાય છે કે તેઓને મન આ પદ્ધતિસરની સરકારો અને રાજકારણની કશી જરૂર નથી. બધાને સ્વત્રંતપણે વર્તવાની છૂટ હોવી જોઈએ એમ તેઓ માને છે. જરૂર પડ્યે લોકો પોતાના અને જેની સાથે તેઓ જીવે છે તેના લાભમાં હોય તેવા નિયમો ઘડી કાઢી શકે, સરકારે તેમણે શું કરવું તે કહેવાની જરૂર નથી. લોકશાહી રાજ્ય વ્યવસ્થાઓમાં ભલે ઘણી ત્રુટીઓ હશે, પરંતુ ઉપર કહી તેમાંની એક પણ રાજ્ય પદ્ધતિ આજે મોટા ભાગના રાષ્ટ્રોને માન્ય નથી તેમાં શકે નથી.
મોટા ભાગના લોકશાહી રાજ્ય વ્યવસ્થાને અનુસરનારા દેશોમાં પુખ્ત વયના તમામ નાગરિકોને મતાધિકાર સાંપડયા છે. તેઓ પોતાને યોગ્ય લાગે તેવા ઉમેદવારોને ચૂંટીને મોકલે જેઓ મતદારો વતી વહીવટ કરે, કાયદાઓ ઘડે અને તેઓ અમલ કરાવે તેવી વ્યવસ્થા છે. અબ્રાહમ લિન્કને તેથી જ લોકશાહીની વ્યાખ્યા આપતાં કહેલું, ‘લોકો દ્વારા, લોકો વતી અને લોકો માટે શાસન’. જો લોકશાહી ખરેખર એટલી સુંદર વ્યવસ્થા હોય તો નાગરિકો માત્ર ઉમેદવારો ચૂંટે છે, પણ રાજ્યની નીતિઓ ઘડવામાં તેમનો કોઈ હિસ્સો કેમ નથી હોતો? કેટલાક દેશોમાં નાગરિકો પોતે ચૂંટેલા પ્રતિનિધિઓની હારોહાર પોતે પણ સરકારી નીતિઓ નક્કી કરવામાં ભાગ લે છે. પ્રાચીન ગ્રીસ – એથેન્સમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થાનો ઉદ્દભવ થયો, ત્યારે આવા પ્રકારની સીધી લોકશાહી પદ્ધતિ અસ્તિત્વમાં હતી જેમાં નાગરિકો પોતાના ગણરાજ્યની નીતિઓ વિષે રૂબરૂ ચર્ચા કરવા અને નિર્ણય લેવા ભેળા મળતા (જો કે તે સમયે સ્ત્રીઓ, ગુલામો અને વિદેશીઓને નાગરિક તરીકેના અધિકારો નહોતા અપાતા). આધુનિક યુગમાં સ્વીત્ઝર્લેન્ડ સીધી લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. જો કે હજુ આદર્શ સ્થિતિ તો ત્યારે આવી ગણાશે કે જ્યારે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ પોતાની ફરજોમાંથી ચ્યુત થાય ત્યારે મતદારો તેમને સામાન્ય ચૂંટણીના સમય પહેલાં પદભ્રષ્ટ કરી બીજા લાયક ઉમેદવારને સત્તાસ્થાને બેસાડી શકશે.
લોકશાહી રાજ્ય વ્યવસ્થાને અન્ય રાજ્ય પદ્ધતિ કરતાં વધુ યોગ્ય માનવા પાછળ ઘણાં પરિબળો છે. તેમાંનું એક પરિબળ છે કે એ રાજ્ય વ્યવસ્થામાં લોક – જનતા – પ્રજાને પોતાના પ્રતિનિધિ પસંદ કરવાની મુક્તિ છે, તેમના વતી ઘડાતા નિયમો અને કાયદાઓ વિષે પોતાનો મત – અભિપ્રાય આપવા સ્વતંત્રતા છે. સવાલ એ થાય કે લોકો શું દરેક મુદ્દા અને વિષય પર સાચો જ મત ધરાવતા હોઈ શકે? આમ પ્રજા પર કેટલે અંશે ભરોસો મૂકી શકાય? જેમ કે ફાંસીની સજાની તરફેણમાં ચુકાદો આપનાર પ્રજાના મતને માન્યતા આપવી યોગ્ય ગણાય? તો બીજો પ્રશ્ન એ ઊઠે કે કયા મુદ્દાઓ પર પ્રજાનો મત અને અભિપ્રાય સ્વીકારી શકાય? કોણે કોણે અને કેટલો કર ભરવો, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંરક્ષણ પર કેટલું ખર્ચ કરવું, વીજશક્તિ અણુશક્તિ, સૂર્ય ઊર્જા કે ગેસથી ઉત્પન્ન કરવી કે નહીં તેવા વિષયો પર જનતા સીધો મત આપી શકે તેને લોકશાહી રાજ્ય વ્યવસ્થા કહેવાય?
આજે કોઈને પણ પૂછશો કે લોકશાહી એટલે શું? તો પટ્ટ દઈને જવાબ દેશે, ‘કેમ, બધાને મત આપવાનો અધિકાર તે વળી.’ એ મતદાતાઓ પોતાના ઉમેદવાર વિષે કે તેઓ આપણા વતી જે મુદ્દાઓ પર ચર્ચા કરી નિયમો અને કાયદાઓ ઘડવાના છે, એ વિષે તેમને પૂરતી માહિતી હોય છે? લોકશાહીમાં તો જનતાના જીવનને સ્પર્શતા આવા મુદ્દાઓ અને તેના ઉકેલ માટે ઉપલબ્ધ માર્ગો વિષે તટસ્થ માહિતી આપવી અને ચર્ચા કરવી એ જ મહત્ત્વનું બની રહે છે. મતાધિકાર પ્રાપ્ત થવો તે એક વાત છે, પણ વ્યક્તિ, કુટુંબ અને સમાજને લગતા વિષયો અંગે સમજણ કેળવવી અને તેને આધારે પોતાના મત અને અભિપ્રાય કારણો સહિત સમજી-સમજાવી શકવાની ક્ષમતા કેળવવી તે એક અલગ બાબત છે. એ જાગૃત લોકશાહીનાં ચિન્હ છે. તે સિવાય આપેલ મતની શી કિંમત છે? ખુલ્લા દિલથી અને તર્ક સહિત કરેલી ચર્ચાઓ જ મતદાતાઓની સમજણનું ખરું માપ કાઢે છે. ભારતમાં તો ઉમેદવારો સામા પક્ષના ઉમેદવારોની ત્રુટિઓના બે ચાર ગોખી કાઢેલા વાક્યો અને પોતાના અને પોતાના પક્ષના મોઢે કરેલાં સૂત્રો પોકારી, લાંબા લાંબા ભાષણો કરી, મતદાતાઓને ચા-ભજિયાંની પાર્ટીથી માંડીને મોબાઈલ ફોનની ભેટ આપીને ચાલતી પકડવામાં જ સમજ્યા છે.
લોકશાહી એવી ચીજ છે જેનો અમલ જ તેની ઓળખ છે. એ જો કે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો માત્ર એક શબ્દ છે, પણ ઘણો શક્તિશાળી શબ્દ છે કેમ કે સહુ માને છે કે લોકશાહી ઉત્તમ શાસન પદ્ધતિ છે. રાજકારણમાં રસ ધરાવનાર માને છે કે લોકશાહી તેમના પક્ષમાં છે, તેમના વિરોધીઓના નહીં. બહુસંખ્યક પ્રજાના મત મેળવીને સત્તારૂઢ થયેલ પક્ષનું રાજ ચાલે અને લઘુમતીઓના હક્કોની રક્ષા થાય તેનું નામ લોકશાહી. પરંતુ મોટા ભાગે આ બંને વચ્ચે સમતુલા જાળવવી કઠિન હોય છે.
હાલની લોકશાહી શાસન પદ્ધતિ મુજબ નાગરિકોને પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને તેમના દ્વારા રાજનીતિ ઘડવાની પસંદગી હોય છે. પરંતુ સામાન્ય નાગરિકો નથી એટલા સુશિક્ષતિ હોતા, નથી તેમને રાજકીય બાબતોમાં એટલી દિલચસ્પી હોતી, નથી તેમની પાસે એટલો ચર્ચા કે વિવાદો કરવા માટે સમય હોતો કે નથી તેઓ તેમાં પારંગત હોતા કે જેથી સારા રાજકીય નિર્ણયો લઇ શકે. આ સ્થિતિનો ઉપાય એ છે કે લોકોની ભાગીદારી સાથે નિષ્ણાતોની વિવેકબુદ્ધિનો વિનિયોગ થાય. નાગરિકો રાજ્યવ્યવસ્થાને લગતા મુદ્દાઓ માટે પોતાના હિતમાં હોય તેવા માર્ગોનું નિદર્શન કરે, પણ તેનો અમલ કરવાની પદ્ધતિ, અગ્રતાક્રમ અને સાધનો જુટાવવાનું કાર્ય એ વ્યવસાયમાં પડેલ વિશેષજ્ઞોના હાથમાં છોડે. હવે, આ પદ્ધતિ સફળ નથી થતી તેવું મોટા ભાગના દેશોના નાગરિકોને લાગે છે, તેનું કારણ એ છે કે નથી તો નાગરિકો એટલા સબળ વિચારધારા ધરાવનારા હોય છે કે પોતે પોતાના – એટલે કે સમગ્ર દેશના હિતમાં શું છે તે સમજી શકે અને તેના કરતાં ય મોટી ઉપાધિ એ વાતની છે કે તેમણે ચૂંટેલા પ્રતિનિધિઓ પોતપોતાના વિષય ક્ષેત્રમાં પારંગત નથી હોતા કે નથી તેમની પ્રજા પ્રત્યેની નિષ્ઠા હોતી. વળી એક બીજી મુશ્કેલી એ છે કે લોકશાહી બહુમતીના મત પર નિર્ણય લેવામાં માનતી હોવાથી એમ દર્શાવવામાં આવે છે કે દરેક પ્રકારના સરકારી નિર્ણયો અને પગલાં દેશના મોટા ભાગના લોકો માટે કલ્યાણકારી છે, અને તેમના આદેશથી જ તેનો અમલ કરવાની પરવાનગી સરકારી હોદ્દેદારોને અપાઈ છે, જ્યારે ખરું પૂછો તો 51% લોકોએ જે મુદ્દાની તરફેણમાં મત આપ્યો હોય તેના અમલથી 49% લોકો વિરોધમાં હોય તો એ કોને માટે ન્યાયી ઠરે? 1990ના દાયકા બાદ જે રીતે વૈશ્વીક બજારનું તૂત ઊભું થયું છે, તેનાં પરિણામે તો સ્પષ્ટ જણાય છે કે નાગરિકોના મત કે સરકારની નીતિઓ કરતાં મલ્ટીનેશનલ કંપનીઓ અને બજારોની પ્રજા પર વધુ સીધી સારી-માઠી અસરો થવા લાગી છે. તો પછી જ્યાં સરકાર કંપનીઓના હાથમાં કઠપૂતળીની માફક નાચતી હોય, ત્યાં નામની લોકશાહી શાસન પદ્ધતિનું ગાણું ગાવાની શી જરૂર? આના વિકલ્પે સીધી લોકશાહી શાસન પદ્ધતિ વિકસાવવી એ તો સ્વપ્નવત્ છે.
દુનિયાના વધુ નહીં તો છેલ્લાં સો વર્ષના રાજકીય ઇતિહાસ પર નજર નાખતાં ખ્યાલ આવે કે લોકશાહીને નામે ઘણું ઘણું બનવા પામ્યું. સાચા-ખોટા નિર્ણયો લેવાયા, સંગઠનો બન્યાં અને વિખેરાયાં, લડાઈઓ ફાટી નીકળી. સરકારો, જનતા અને સરમુખત્યારો બધાએ પોતપોતાની રીતે આ સ્થિતિને વ્યાજબી ઠેરવી. દરેક રાજકારણી અને સામાન્ય લોકે પોતાને લાભ કરે તેવો આ શબ્દનો અર્થ કર્યો. તો શું આ છે લોકશાહી?
1999માં ચૂંટાયેલ સરકારના વડાપ્રધાન નવાઝ શરીફને ઉથલાવી પાડીને સત્તા પર આવનાર જનરલ પરવેઝ મુશર્રફનું બયાન હતું કે તેઓ તો માત્ર લોકશાહીનો બીજો રાહ લઇ રહ્યા છે, એ કઇં માર્શલ લૉ નથી. એમનું કહેવું હતું, સશસ્ત્ર દળ લોકશાહી સારી રીતે સ્થાપિત થઇ જાય તેનાથી વધુ એક પણ દિવસ પણ સત્તા પર નહીં રહે. દુનિયાએ જોયું, તે પછી શું શું થયું. શું મુશર્રફે સાચી લોકશાહી પાકિસ્તાનની પ્રજાને આપી? એક મહાસત્તાનું બિરુદ પોતાની જાતને આપી બેઠેલ દેશ અમેરિકાનું ઉદાહરણ લઈએ. રીપબ્લિકન પાર્ટીના જ્યોર્જ બુશ અને ડેમોક્રેટ પાર્ટીના આલ ગોર તદ્દન ઓછા મતથી એક બીજાની લગોલગ આવી ગયેલા. ફ્લોરિડા રાજ્યમાં જે જીતે તે સ્ટેટના બધા ઇલેક્ટ્ર્લ કોલેજના મત જીતે એટલું જ નહીં પ્રેસિડન્ટ પણ બને એવી ત્યાં પ્રથા છે. જ્યોર્જ બુશને વિજયી ઘોષિત કરવામાં આવ્યા, ત્યારે ફ્લોરિડા વાસીઓને મત આપવાની સમાન તકો હતી, મશીનની મતોની ગણતરી સાચી હતી, કે ફરી વખત હાથથી ગણવાની જરૂર હતી વગેરે જેવા વિવાદોના વાદળો ઘેરાયેલ, જે સૂચવે છે કે હાલના સમયની લોકશાહી રાજ્ય પદ્ધતિ આપણે માનેલી તેટલી સફળ, નિષ્પક્ષ, સુરક્ષિત કે અસરકારક નથી. બહુ ચર્ચિત બ્રેકઝિટ વિષે કહેવાની જરૂર નથી કે લોકશાહીની વિફલતાનું આથી મોટું બીજું કોઈ ઉદાહરણ મળી નહીં આવે.
ઉપલાં ઉદાહરણો પરથી સવાલ ઊઠે, શું આ ખરી લોકશાહી છે? આપણે તો લોકશાહીને એક નૈતિક રીતે સબળ અને સહુથી સારી ઉપલબ્ધ રાજ્ય પદ્ધતિ છે એમ માનેલું કે જે સારાયે દેશના તમામ લોકોના લાભાર્થે તેમના વતી કામ કરે. થયું છે તેનાથી ઉલટું. છેતરપિંડી, આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને પ્રજાને મૂર્ખ બનાવવાની તરકીબો અજમાવાય છે, અમે જે સાચું માનીએ છીએ તે કરવાનો અમને અબાધિત અધિકાર છે એમ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માની રહ્યા છે અને મત મેળવવા ગમે તેટલી હીન કક્ષાએ પ્રજાનું શોષણ કરતા આવ્યા છે. શું આ લોકશાહીનાં સ્વપ્ન આપણે જોયેલાં? તેને માટે આટલી યાતનાઓ વેઠેલી?
ખરા અર્થમાં લોકશાહી તેને કહેવાય જ્યાં જનતા રાજકીય અને સામાજિક બાબતોમાં સુશિક્ષિત હોય, જાગૃત હોય અને પરિણામે વધુ સંખ્યામાં મત આપતી હોય અને ચૂંટણીઓ ન્યાયી અને નિષ્પક્ષ રીતે થતી હોય. આવી રાજ્ય પદ્ધતિમાં વ્યક્તિની ખાસ પક્ષપાતી વલણ વિના જનતાની પસંદના ઉમેદવાર તરીકે વરણી કરવામાં આવી હોય, લોકનો સરકારી નીતિ ઘડવામાં હિસ્સો હોય, સ્થાનિક વિકેન્દ્રિત સત્તા દ્વારા નીચેથી ઉપર તરફ ગતિ કરતો સરકારી વહીવટ હોય અને નાના નાના સંકુલોનું સ્વયં સંચાલન થતું હોય. દેશ આખાનો સવાલ હોય કે ગ્રામ્ય સ્તરનો, સરકારની નીતિઓ વ્યાપારી કે મોટા ઉદ્યોગો પર આધારિત ન રહેતાં લોકહિત આધારિત હોય જેમાં લોકોનો અવાજ મુખ્યત્વે સંભળાતો હોય. હવે, કોઈ કહેશે કે આવા આદર્શો ભારતની લોકશાહી પદ્ધતિમાં જોવા મળે છે?
લોકશાહી શાસન પદ્ધતિની વિભાવના ચાહે પુરાતન ગ્રીસના સમયની હોય કે ત્યાર બાદ નવસંસ્કરણ પામેલ એકવીસમી સદીની લોકશાહીની વાત કરતા હોઈએ, એક વાત તો સ્પષ્ટ છે કે એ એક એવી સરકાર રચવાનો અધિકાર આપે છે, જેમાં પ્રજાને અંતિમ અને સર્વાધિક અધિકાર મળેલ હોય છે. એ સત્તા પ્રજા પોતે સીધી રીતે કે તેમણે ચોંટેલ પ્રતિનિધિઓ દ્વારા ભોગવતી હોય છે. સરકારી પ્રતિનિધિ બનવા માટે દરેકને સમાન અધિકાર છે, વંશ પરંપરાગત કે બીજા કોઈ પ્રકારના પક્ષપાત વિના કે ખાસ લાભ મેળવ્યા વિના સહુને સરકાર રચવાનો અને તેમાં હોદ્દા ગ્રહણ કરવાનો અધિકાર મળે. હવે, આ થઇ પોથીમાંનાં રીંગણાની વાત. હકીકત શું છે તેનો અનુભવ ભારત જ માત્ર નહીં, દુનિયાના મોટા ભાગના દેશોમાં થઇ ગયો છે. રાજ્યની સરકાર પ્રજાના હિતમાં કામ કરે તેનું નામ લોકશાહી શાસન પદ્ધતિ, એ આદર્શ ગંગામાં ડૂબકી મારીને અલોપ થઇ ગયો! બન્યું છે એવું કે પૈસાને જોરે બની બેઠેલા નેતાઓની કાન ભંભેરણી કરાયેલ કહેવાતી ભણેલી પ્રજા સાવ ભૂલા પડેલ ઘેટાંની માફક નેતાઓ પાછળ માથું નીચું રાખીને જીવનની ઘટમાળમાં ચાલ્યા કરે છે.
લોકશાહીનો પાયો લોક અને તેમના વતી વહીવટ ચલાવનારાઓ વચ્ચે થતા વિચારોના આદાન-પ્રદાન પર હોવો જોઈએ, નહીં કે કોઈ પ્રકારના દબાવ નીચે લેવાયેલા કોઈ એક સમૂહ વિશેષના લાભને ધ્યાનમાં રાખીને લેવાતા નિર્ણયો પર. ત્યાં વંશ પરંપરાગત સત્તા ભોગવવાનો તો કોઈ અવકાશ જ નથી. પણ ભારતની પ્રજા હજુ એ પ્રકારની માનસિકતાથી મુક્ત થઇ શકી નથી. આફ્રિકાના આદિવાસીઓમાં કોઈ મુખિયો હોય કે ન હોય, તેઓનો વહીવટ સમાનતા અને ચર્ચા વિચારણા પર આધારિત હતો એ શું સૂચવે છે?
જો આજની લોકશાહી લોકહિત જાળવવા માટે ખરી ન ઊતરી હોય તેમ લાગતું હોય તો સવાલ એ થાય કે તો પછી કેવા પ્રકારની લોકશાહીનું નિર્માણ કરી શકાય અને કેવી રીતે તેના આદર્શોને અમલી બનાવી શકાય? માનો કે કોઈ એક દેશની પ્રજા ધર્મ, ભાષા, રાજકારણ અને સંસ્કૃિતને આધારે વિભાજીત છે. જૂથ અ 45% લોકોનો બનેલ છે, જૂથ બ 35% લોકોનો અને જૂથ ક 20% લોકોનો. તેઓ બધા મોટે ભાગે સાથે રહે છે અને કામ કરે છે, પરંતુ એ ત્રણેય જૂથો વચ્ચે એક પ્રકારનો તણાવ છે અને પરસ્પર માટે શંકિત રહેતા હોય છે. એવા દેશની લોકશાહી પદ્ધતિ પર આધારિત સરકારી નીતિઓ કેવી રીતે ઘડી શકાય? બહુમતીના મત પ્રમાણે નીતિઓ ઘડવી અને લઘુમતીને વિષાધિકારોને અનામત બેઠકો આપવાથી સમાનતા સ્થાપી શકશે એ ભ્રમ હવે ભારતનો ભાંગી ગયો હોવો જોઈએ. હર નાગરિકને સમાન અધિકારો અને સમાન તકો આપીને પોતપોતાની ક્ષમતા મુજબ વિકાસ પામવાની સુવિધા કરી આપી હોત, તો આજે આ ચર્ચાને સ્થાન જ ન હોત. મત મેળવવાને એટલું બધું મહત્ત્વ અપાઈ ચૂક્યું છે કે તમામ પ્રકારની બદીઓ તેમાંથી જ જન્મી હોવાનું ભાસે છે. શા માટે લોકોના મતને આટલું મહત્ત્વ અપાય છે? લોકશાહીને સફળ કરવા માટે મત આપવો તે જરૂરી કે સ્વાભાવિક તંત્ર નથી. હા, તેની સાથે માનવ અધિકાર, રંગ, લૈંગિક અને અન્ય અસમાનતાઓ જોડાયેલી હતી તેથી વૈશ્વીક મતાધિકાર આપવો જરૂરી હતો. સમજવાનું એ છે કે માત્ર મતપેટીમાં મત ‘નાખવા’થી ફરજ પૂરી થતી નથી, એ તો માત્ર એક ઔપચારિકતા છે. ખરું જોતાં દરેક મુદ્દા માટે નાના નાના સમૂહોમાં વાર્તાલાપ, ચર્ચાઓ થવી જોઈએ અને બને તો સામૂહિક નિર્ણયો જાહેરમાં લેવાય તે ઉત્તમ, નહીં તો અસહમત થવા માટે સહમત થઈને કાર્યો આગળ ધપાવવાં એ વધુ અસરકારક વહીવટી પ્રથા બની રહે.
હાલના સમયની આવી કદરૂપી પ્રતિમા જોતાં જરૂર વિમાસણ થાય છે, શું લોકશાહી ખરેખર મૂલ્યવાન છે? શું એ જ એક ઉત્તમ પ્રકારની શાસન પદ્ધતિ ઉપલબ્ધ છે? લોકશાહીને નામે આપણને કયા વિચાર કે સિદ્ધાંતનું વધુ મૂલ્ય છે? 1998ના અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને કહેલું, “દરેક યુગમાં અને સમાજમાં કેટલીક માન્યતાઓ હોય છે જેના પ્રત્યે સહુ આદર અનુભવે છે જેમ કે કમ્પ્યુટર પ્રોગ્રામમાં ડિફોલ્ટ સિસ્ટમ હોય છે. આવી માન્યતાઓને સત્ય માનવામાં આવે છે સિવાય કે તેના એ દાવાને કોઈ પદ્ધતિસર ખોટો પુરવાર કરે. જો કે હજુ લોકશાહી સારાયે વિશ્વમાં અમલી નથી બની, કે નથી દરેક દેશમાં એકસરખી સ્વીકારાઈ, છતાં દુનિયાના મોટા ભાગના દેશોના સામાન્ય મતે લોકશાહી શાસન પદ્ધતિ એવા પદ પર પહોંચી છે કે તેને એક સાચી અને સારી વહીવટી પદ્ધતિ માનવામાં આવે છે. હવે બોલ એવા લોકોના કોર્ટમાં છે જેઓ લોકશાહીને બુરી હાલતમાં મૂકી દેવા માંગે છે જેથી લોકશાહીની અવગણનાને તેઓ ન્યાયી ઠેરવી શકે.” સેન આગળ જતાં નોંધે છે કે લોકશાહી શાસન પદ્ધતિ એ જગતના ઇતિહાસની દ્રષ્ટિએ આધુનિક ઘટના છે; વીસમી સદી અને તે પણ વીસમી સદીના ઉત્તરાર્ધમાં તેને હાલના સ્વરૂપની સ્વીકૃતિ સાંપડી છે.
જુદા જુદા વિચારો અને મતોનો અભ્યાસ અને વિવરણ કરતાં એટલું તો જરૂર પ્રતીત થાય છે કે અન્ય શાસન પદ્ધતિઓની સરખામણીમાં લોકશાહી શાસન પદ્ધતિ રાજ્ય કર્તાઓ અને પ્રજા બન્નેને માટે વધુ લાભદાયી છે. પરંતુ સોક્રેટીસે પ્રબોધેલું એ યાદ કરીએ કે લોકશાહીને સફળ બનાવવા દેશના એકે એક પ્રજાજનને પૂરેપૂરું શિક્ષણ આપવું જરૂરી છે. પણ તેના માટે એટલેથી વાત પતી નથી જતી, જનતાને પ્રશ્નો પૂછવાની, ચર્ચા વિચારણા અને વિચારોના આદાન-પ્રદાન દ્વારા પોતાના પ્રશ્નોના ઉત્તરો શોધવાની તાલીમ મેળવવી અને તેના પરિપાક રૂપે બંધાયેલ મત-અભિપ્રાય વ્યક્ત કરવાની મુક્તિ હોવી અનિવાર્ય છે.
આશા રાખીએ કે છેલ્લાં ચાર વર્ષો દરમ્યાન ભારતની પ્રજાની બધા પ્રકારની સ્વાયત્તતાઓનું જે રીતે ઉન્મૂલન થતું રહ્યું છે, જે રીતે કોમી તંગદિલી વધતી રહી છે, જે રીતે ગુનાખોરીને રાજ્યાશ્રય મળતો રહ્યો છે તે જોતાં પ્રજા લોકશાહીના સાચા અર્થની શોધમાં નીકળશે અને આગામી ચૂંટણી પહેલાં જાગૃત નાગરિકોને શોભે તેવો ફેંસલો સુણાવશે.
e.mail : 71abuch@gmail.com