‘પુષ્પક’ વાર્તાસંગ્રહના લેખક ધર્મેન્દ્ર ત્રિવેદીને આજે ‘શ્રી અંજલિ ખાંડવાળા વાર્તાકાર પારિતોષિક’થી નવાજવામાં આવી રહ્યા છે.
‘પુષ્પક’ સંગ્રહની બાર તાજગીભરી વાર્તાઓમાંથી કેટલીક અવનવી છે, તો થોડીક અટપટી પણ છે. બે વાર્તાઓ એટલા માટે વધારે ગમી કે તેમાં પુસ્તકોને, પુસ્તકોના વાચનને, તેમાંથી મળતાં આનંદને ખાસ સ્થાન છે.
કોઈ લેખક આપણા લોકમાંથી લુપ્ત થતા વાચનરાગને આટલી સરસ રીતે સ્પર્શે એ જ મોટા હરખની વાત છે.
‘સમણાંનો ચોર’ વાંચતાં તો ‘just fantastic, બિલકુલ અદ્દભુત!’ એવા ઉદ્દગાર સરી પડે. માત્ર એટલા માટે જ નહીં કે સંગ્રહની બીજી પાંચેક વાર્તાઓની જેમ તેમાં fantasyનો ઉપયોગ થયો છે, વધુ સહજ લાગે તે રીતે થયો છે; વિશેષ એટલા માટે કે આ નવલિકા બાળકો માટેની ફૅન્ટસીભરી વાર્તાઓની ચોપડીઓ, અને બાળકોને વાર્તા કહેવાની લગભગ ખોવાઈ ગયેલી વૃત્તિ-પ્રવૃત્તિને રમણીય રીતે ઉજાગર કરે છે.
મોડી સાંજે વડલા નીચે ગામનાં ટાબરિયાને ભેગાં કરી વાર્તા સંભળાવનાર મણિમાની યાદમાં બનેલું વાર્તામંદિર, તેમાં દર રવિવારે સાંજે વાર્તા કહેવા-સાંભળવા માટે ભરાતો રસિયાઓનો મેળાવડો, મણિમાની પુણ્યતિથિએ ઉજવાતો વાર્ષિક વાર્તા-ઉત્સવ, મણિમાના દિમાગમાંથી વાર્તાઓને, અને સમણાં કહેતાં વાર્તા સર્જનારી કલ્પનાશક્તિને ચોરવાનો નિષ્ફળ પ્રયાસ કરીને પછી સુધરી જનારા ‘સમણાંના ચોર’, તેમાંથી એકે અમેરિકામાં કરેલી સ્કૂલ ઑફ સ્ટોરિ ટેલિન્ગ … આ બધું ખૂબ રોમાંચક છે.
મણિમા અને બાળકોની વચ્ચેનાં તેમના વાર્તાકથનનાં બે પાનાંનું વર્ણન એક કરતાં વધુ વખત વાંચવાનું ગમે તેવું છે. ચોરના પાત્રો, આવા ચોર બનવા પાછળના કારણો, તેમની ‘વાર્તા-અતૃપ્તિ વિદ્યા’, મણિમાના અંતરંગમાં પ્રવેશીને તેમણે કરેલી ઉચાપત જેવી બાબતો ઉચ્ચ સર્જનશીલ કલ્પના creative imaginationની ફલશ્રુતિ છે.
આ કલ્પનાસમૃદ્ધિના મૂળમાં બાળપણનું વાર્તાપોષણ છે. લેખક કેફિયતમાં નોંધે છે : ‘વાર્તા સાથેનો મારો નાતો ખોપરીની છાપ છોડી જતા ફૅન્ટમના મુક્કાની સાથે શરૂ થઈને જૂલે વર્નની કથાઓના નાયકો, ઇસપની બોધકથાઓનાં જાનવરો, અરેબિયન નાઈટસ તથા બત્રીસ પૂતળીની કથાઓ, તિલસ્મીઓ, વિક્ટર હ્યુગોના જ્યાં વાલજ્યાંની પીડાઓ સુધી બહુ નાની ઉંમરે વિસ્તર્યો.’
નાની ઉંમરે પુસ્તકો માટેનું ખેંચાણ અને તેને સંતોષી નહીં શકનાર પિતાની ખેંચતાણ ‘જેતલસર જંક્શન’માં મનભર રીતે વ્યક્ત થઈ છે. દીકરો બાપુની સાથે ઉપલેટાથી છેલ્લી ટ્વેન્ટિ સિક્સ ડાઉનમાં ઉપડ્યો છે. તેમણે એને ‘જેતલસર જંક્શનના બુકસ્ટૉલ પરથી ચોપડિયું લેવાની ટેવ પાડી છે’. પણ આ વખતે બાપુની પાસે નોકરી નથી એટલે એટલે પૈસાની ખેંચ છે. તેમને ‘સાંધાવાળાના હકો માટે લડતાં સસ્પેન્શન’ આવ્યું છે.
મા-બાપુની વાતમાં દીકરો સસ્પેન્શન વિશે સાંભળી ગયો છે પણ એનો મતલબ જાણતો નથી. રેલવેના ડબામાં બેઠાં પછી સ્ટેશન પર સ્ટેશન પસાર થતાં જાય છે. ચોપડીઓ માટેની દીકરાની તાલાવેલી વધતી જાય છે.
બાપુ ય વળી થેલામાંથી ચોપડી કાઢીને વાંચવાની ઠાલી કોશિશ કરે છે. ચોપડીઓનું રટણ કર્યાં કરતા છોકરાને આડે પાટે ચડાવા બાપુ તેને ‘મૃગજળ’ કહેતાં ઝાંઝવાની વાર્તા કહેવાની શરૂઆત કરે છે.
જેતલસર સ્ટેશને ઝગમગતા સ્ટૉલ દેખાય છે. દીકરાની નજરે ચોપડીઓનો સ્ટૉલ દેખાય છે : ‘જોવો ચોપડિ’યું દેખાય છે. જો ચાંદામામા, બુલબુલ, ચંપક લટકે.’ પણ ગાડી આગળ ચાલી. ‘બુક સ્ટૉલ તો વયો ય ગયો.’ ચોપડીઓ તે જાણે ઝાંઝવાં.
પણ સુખાન્ત વાર્તામાં દીકરાના ઘરના વાસ્તુવિધિમાં આવેલાં બાપુ થેલામાંથી રીડર્સ ડાયજેસ્ટનું મોંઘુંદાટ પુસ્તક ‘એનિમલ્સ ઑફ ધ વર્લ્ડ – એન એનસાયક્લોપિડિયા’ કાઢે છે.
દીકરો બાપને ભેટીને હિબકાં ભરવા લાગે છે અને બાપ બોલે છે, ‘ના દીકુ, શાંત થઈ જા શાંત, ઈ ઝાંઝવાં નહોતાં.’ બે-ત્રણ દાયકાના સમયપટ પરના બે પ્રસંગો પરની આખી વાર્તા ટ્રેનના કડકડાટ અને પાત્રોના દિલોદિમાગના તલસાટની વચ્ચે ખૂબ અસરકારક રીતે ચાલતી રહે છે અને ઉત્કટાથી પૂરી થાય છે.
‘રેલવે સૃષ્ટિની અઠ્ઠ્યાવીસ ટૂંકી વાર્તાઓ’નો વાર્તાઓનો સંગ્રહ ‘ટેબ્લેટ’ તાજેતરમાં પ્રસિદ્ધ થયો છે. ગાંધીનગરના યુવાન સાહિત્યપ્રેમી ધ્રુવ પ્રજાપતિએ કરેલો આ નોખો સંચય ‘જુમો ભીસ્તી’ વાર્તાથી શરૂ થાય છે અને તેમાં ‘જેતલસર જંક્શન’ વાર્તા પણ છે.
સાહિત્યક્ષેત્રે ધર્મેન્દ્ર ત્રિવેદી પાસે ઘડાઈ રહેલા ઉત્સાહી વાચક ધ્રુવને, ધર્મન્દ્રભાઈની જ ઉપરોક્ત બે વાર્તાઓને પગલે, ગુજરાતી ભાષાની પુસ્તકકેન્દ્રી વાર્તાઓના સંચયનું સૂચન કરવાનું મન થાય છે.
કંઈક વિષયફેરે તેમાં ‘શબ્દ વર્સિસ અક્ષર’ વાર્તા પણ સમાવી શકાય. કમ્પ્યુટર ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગના વસ્તુ થકી કહેવાયેલી આ એક વિજ્ઞાન કથા – સાયન્સ ફિક્શન છે. પણ તેનો વિષય સાહિત્યજગતનો સંઘર્ષ છે. તેનું અર્થઘટન ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીમાં સ્વાયત્તાતાના સિદ્ધાન્ત માટે ચાલતાં સંઘર્ષના સંદર્ભમાં થઈ શકે.
જેતલસર જંક્શનની જેમ ‘પુષ્પક’ પણ પિતા-પુત્રના સંબંધની વાર્તા છે. તેમાં પણ પુસ્તક કહેતાં સામયિક આવે છે અને તે ય દીકરાના છાત્રાલયના ઓરડામાં બાપાને હાથ લાગેલ ખૂબ કામુક તસ્વીરો માટે પંકાયેલું ‘ડેબોનેર’ માસિક.
આ બંને વાર્તાઓ અને પહેલી વાર્તા ‘ફરી વાર’ વાંચતાં, ધર્મેન્દ્રના પિતા જનક ત્રિવેદીએ અત્યંત બળકટ ભાષામાં લખેલો દીર્ઘ આત્મકથનાત્મક નિબંધોનો, જુદી દુનિયામાં લઈ જનાર, વાચક પર છવાઈ જનાર સંગ્રહ ‘મારો અસબાબ’ યાદ આવે.
ધર્મેન્દ્રભાઈને તો જનકભાઈ યાદ આવે જ, એટલે તેઓ ‘મનની બે વાત’ને આરંભે લખે છે : ‘આંગળીએ વળગીને ચાલતાં થયો ત્યારે સહેજ ઊંચું જોઉં તો જનકભાઈ દેખાતા. બહારની દુનિયા અને મારી વચ્ચે તેઓ કાયમ અડીખમ ઊભા રહેતા અને હું સુરક્ષિત છું એવો અહેસાસ કરાવતા.
‘મજાની વાત તો એ કે એક પિતા તરીકે એમણે મને કાયમ સુરક્ષાનો અનુભવ કરાવ્યો છે, પરંતુ એક સર્જક તરીકે તેઓએ મને હંમેશાં એમની ક્રૂર ટીકાઓના ઓથાર હેઠળ રાખેલો. એમ પણ થાય કે, શું મારે મારા મનની બે વાત કહેવી હોય તો પિતૃવંદના કરવાની જરૂર ખરી ? બિલકુલ નહીં, અને એ કારણોસર પણ મારે એમને યાદ તો જરૂર કરવા પડે ને ?’
લેખકે લાંબા સમયથી ચાલી રહેલી તેમની જે કથાસાધના વિશે પણ કેફિયતમાં લખ્યું છે. તેની પ્રતીતિ આ સંગ્રહની ઘણી વાર્તાઓમાંથી થાય છે.
સંગ્રહનું અર્પણ છે : ‘મને કાનથી વાર્તા વાંચવાનો ચહકો લગાડનારી મારી ‘બહેન’ માતા સરોજબહેનને … અને વાર્તામાં કળાતત્ત્વની સમજણ આપનારા મારા ‘બાજી’ પિતા જનકભાઈને’. આ દંપતી વિશે વળી ક્યારેક …. અત્યારે તો તેમના ‘દકા’ને અભિનંદન !
ધર્મેન્દ્ર ત્રિવેદીને 2021-22ના વર્ષનું અંજલિ ખાંડવાલા વાર્તાકાર પારિતોષિક તેમ જ દીપક શાહ (2020-21) અને પીયૂષ દવે(2021-22)ને અંજલિ ખાંડવાલા સ્વરકાર પારિતોષિક આપવાનો સમારંભ આજે સાંજે 5.30 વાગ્યે ગુજરાત વિશ્વકોશમાં યોજવામાં આવ્યો છે.
‘પુષ્પક’: પ્રકાશક – સ્પર્શ પ્રકાશન, સૂરત. • નવેમ્બર 2021, • રૂ. એકસો પચાસ • e.mail : info@sparshpublication.com • 09428012249
(850 શબ્દો)
07 ફેબ્રુઆરી 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર