નડીઆદના અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયની સવા શતાબ્દી નિમિત્તે ‘ગુજરાતી પ્રકાશનમાં સૌંદર્યનિર્મિતિ’ એવા અ-પૂર્વ વિષય પર યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદમાં પુસ્તક નિર્માણના નવજાગૃતિ અને જ્ઞાનપ્રકાશ – renaissance and enlightenment – ના સમયમાં વિહરતા હોવાનો આનંદમય અહેસાસ થયો.
અમદાવાદના નવજીવન ટ્રસ્ટના સહયોગથી 24 ડિસેમ્બરના શનિવારે ખૂબ દૃષ્ટિસંપન્ન રીતે યોજાયેલા પૂરા દિવસના આ કાર્યક્રમમાં સામયિકો-પુસ્તકોની પડદા પર પ્રકાશતી આભાસી, અત્યારના જમાનામાં લગભગ જાદુઈ જણાતી દુનિયામાં દિવસ ક્યાં, પસાર થઈ ગયો એ ખબર જ ન પડી.
પુસ્તકોમાં સામાન્ય casualથી વિશેષ રસ ધરાવનાર માટે આ પરિસંવાદ કિતાબી દુનિયાના એક ઘણા મહત્ત્વના પાસા વિશે જાણવા-માણવા માટેની સોનામૂલી તક હતી.
મૂલ્યવાન હસ્તપ્રતો અને ઓગણીસમી સદીનાં દુર્લભ પુસ્તકો સાચવનાર ગ્રંથાલયની સવા શતાબ્દી વર્ષની સાર્થકતા જેમાં હોય તેવો આ ગ્રંથકેન્દ્રી ઉપક્રમ હતો
તેમાં વિષય પસંદગી, વક્તાઓની જાણકારી અને રજૂઆતનું ધોરણ તેમ જ આખા ય કાર્યક્રમની ગુણવત્તા ખૂબ ઊંચી હતી.પરિસંવાદના શ્રોતાઓમાંથી ઘણા ‘વક્તા પણ થઈ શકે તેવા’ હતા. કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા સહુને ધન્યવાદ આપવા ઘટે.
પરિસંવાદની વિશિષ્ટતાનો અંદાજ તેમાં રજૂ થયેલાં વ્યાખ્યાનોનાં વિરલ વિષયો અને તેના નિષ્ણાત વક્તાઓ પરથી આવી શકે.
‘મુદ્રણ : કળા અને કારીગરી’ વક્તા – મુરલી રંગનાથન્; ઓગણીસમી સદીની સંસ્કૃતિ ઉપરાંત મુદ્રણપ્રકાશન ઇતિહાસના અભ્યાસી, ઇતિહાસકાર
‘દાબપ્રેસથી શિલાછાપ : વલણો અને વળાંકો’; સુહાગ દવે – ભાષાવિજ્ઞાનના અભ્યાસી, અનુવાદક, સેઇજ પબ્લિકેશન્સમાં કૉપી એડિટર
‘મુદ્રણમાં ચિત્રો : પ્રવેશ અને પ્રભાવ’, વીરચંદ ધરમશી – પુરાતત્વ, ફિલ્મ ઇતિહાસ, કળા, સ્થાપત્ય જેવા અનેકવિધ વિષયોમાં ઊંડ ખેડાણ કરનાર સંશોધક
‘કાગળ-ઉપરણો : ઉપયોગિતા અને સૌંદર્ય’, નૌશિલ મહેતા – લેખક, દિગ્દર્શક, ગ્રાફિક ડિઝાઇનર, ચિત્રકળાના મરમી
‘પુસ્તકબાંધણી : સુશોભન અને વિજ્ઞાન’; મઝહર કંસારા, ખાનદાની વ્યવસાયમાં આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધતી ‘કંસારા બાઇન્ડરી’ના સંચાલક
‘આપણાં કેટલાંક નોંધપાત્ર પ્રકાશનગૃહો’; ઉર્વીશ કોઠારી, વિવિધ વિષયોમાં ઊંડો રસ ધરાવનાર લેખક, પત્રકાર-પ્રકાશક, અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના સંપાદક
‘અક્ષર-અક્ષરાંકન : પ્રયોગ અને પરંપરા’; મદુરાઈ શ્રીધર, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પબ્લિશિંગના નિષ્ણાત, ‘આકૃતિ’ ફૉન્ટના સહસર્જક
‘પૃષ્ઠવિન્યાસ અને ટેકનોલોજીની સંભાવનાઓ’; અપૂર્વ આશર, સંપાદકીય સૂઝ ધરાવતા ડિઝાઇનર, સોફ્ટવેર એન્જિનિયર, ડેસ્કટૉપ પબ્લિશિંગ તથા ઇ-બુક્સના નિષ્ણાત.
‘સમાપન’ વક્તવ્યમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ચિત્રકાર અતુલ ડોડિયાએ તેમના પુસ્તક પ્રેમ અને તેમણે દોરેલાં આવરણચિત્રોની લાંબા પટે સંદર્ભસમૃદ્ધ વિશે વાત કરી.
દરેક વક્તા માત્ર પાવરપૉઇન્ટ પ્રેઝેન્ટેશન જ નહીં, પણ તેની સાથે કહેવાની વાતની પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે સામયિકોનાં અને પુસ્તકોનાં પાનાં, મુખપૃષ્ઠો, પુસ્તક બાંધણી, પુસ્તકોની અંદરનાં ચિત્રો, ફૉન્ટસની ઇમેજીસ અને અન્ય વિવિધ, વિપુલ સામગ્રી પડદા પર બતાવી.
તેમાંથી ઘણી હવે એટલી દુર્લભ છે કે લેખકોના વારસદારો, પ્રકાશકો કે ગ્રંથાલયો પાસે પણ જવલ્લે જ હોય. તે વાસ્તવમાં તો મ્યુઝિયમ અને આર્કાઇવ્ઝના બરની સામગ્રી હતી, જે વ્યક્તિગત પૅશનથી સાચવવામાં આવી હોય. દરેક વક્તા અસલ પુસ્તકપ્રેમી હોવા ઉપરાંત ગ્રંથજ્ઞ પણ હતા.
પરિસંવાદની એક ખાસિયત એ હતી કે એમાં આયોજકો, વક્તાઓ કે શ્રોતાઓ કોઈના પક્ષે જાહેરમાં વ્યક્તિમહિમા ન હતો. પોતપોતાનાં ક્ષેત્રમાં જંગમ સંવર્ધન-સંશોધન કે નવપ્રવર્તન (ઇનૉવેશન) કરનાર વ્યક્તિઓ પોતાની વાત ખુદને લગભગ બાજુ પર રાખીને કરી રહી હતી. ટીકા અને વ્યંગ ક્યાંક ડોકાય,પણ મુખરતા કે કટુતા નહીં.
લગભગ બધા ઉપસ્થિતો એવા હતા કે જેમના માટે પ્રભાવિત કરવા કે થવા માટેનો અવકાશ ઓછો હોય. જ્ઞાનના ક્ષેત્રમાં એકંદરે નિરપેક્ષ રીતે, લગનથી કામ કરનારા અભ્યાસીઓની નમ્રતામાંથી આવતો સાદગી અને સમાનતાનો માહોલ આખા કાર્યક્રમમાં હતો. બીજું, આયોજકોને પક્ષે વાણી-વર્તનમાં ક્યાં ય કર્તાપણાનો ભાવ ન હતો, ઉમળકો હતો.
પ્રાર્થના, દીપપ્રાકટ્ય, પુષ્પગુચ્છ, પરિચય જેવી ઠાલી ઔપચારિકતા વિના, મિતભાષી સંચાલન સાથે, સમયની પૂરી સભાનતા સાથે, માત્ર રસ ધરાવતા શ્રોતાઓની સ્વયંશિસ્તથી સાચા અર્થમાં વિદ્યાકીય પરિસંવાદ કેવી રીતે યોજી શકાય તેનો પદાર્થપાઠ સંચાલકોએ પૂરો પાડ્યો. વક્તાઓનો પરિચય સભાગૃહની બહાર સરસ રીતે છાપીને મૂકવામાં આવ્યો હતો જે અત્યંત પ્રશંસનીય બાબત હતી.
મગજ ફરી જાય તેટલી રેઢિયાળ રીતે સંસ્થાકીય જરૂરિયાત તરીકે કાર્યક્રમો કરનાર કૉલેજો અને યુનિવર્સિટીઓએ આ સેમિનારમાંથી ઘણું બધું શીખવાનું રહે.
એક મુદ્દા પર ધ્યાન દોરવાનું થાય : વ્યાપક અર્થમાં કચાડાયેલા વર્ગો subalteran section તેમ જ મહિલા એ બે ક્ષેત્રોનો સમાવેશ આ પરિસંવાદની મહત્તામાં નોંધપાત્ર ઉમેરો કરી શકાયો હોત.
એક દુ:ખદ જોગાનુજોગ એ હતો કે પરિસંવાદના આગળના જ દિવસે ‘અઠંગ વાચક અને પુસ્તકનિર્માણની કલાના મરમી’ શિવજીભાઈ આશરનું 87 વર્ષની વયે અવસાન થયું. સચોટ અંજલિનોંધના વાચન અને મૌન પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
આવા ખૂબ વિશેષ highly specialized વિષય પરના કાર્યક્રમના આયોજનમાંથી આયોજકોને શું મળે ? જાણકારી અને જ્ઞાનમાંથી મળતો આનંદ પોતાના જેવા લોકોની વચ્ચે વહેંચવા માટેનું એક નિમિત્ત,એક મંચ પૂરું પાડવાનો સંતોષ. એક અમૂર્ત, સાપેક્ષ લાગણી. નક્કર રીતે કશું ન મળે, નહીં પદ-પ્રતિષ્ઠા-પૈસો. સામે પક્ષે ઉત્તમતાના આગ્રહ સાથે ઝીણવટભર્યું આયોજન, પુષ્કળ મહેનત, સમય-શક્તિ-સંસાધનો.
આચાર્ય હસિત મહેતા, ડૉ. ઉર્વીશ કોઠારી, બિરેન કોઠારી, ડૉ. પારુલબહેન પટેલ, મદદ માટે આવેલાં વિદ્યાર્થીઓ અને પરિસંવાદના આયોજન માટે મહેનત કરનાર દરેકનો ખૂબ આભાર.
(તસ્વીર સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર)
25 ડિસેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર