
રામચંદ્ર ગુહા
હું છેલ્લાં અનેક વર્ષોથી ઇતિહાસકાર તેમ જ ચરિત્રલેખક રાજમોહન ગાંધીનો પ્રશંસક રહ્યો છું. તેમના લખેલાં પુસ્તકો તેમ જ લોકશાહી અને બહુમતીવાદ વચ્ચે થાક્યા વિના તેમણે રજૂ કરેલ જોડાણ – આ બન્ને બાબતોને લીધે તેમને માટે મને ઘણો આદર છે. તેમના સંપાદન હેઠળ પ્રકાશિત થનારું ‘હિમ્મત’ સાપ્તાહિક કટોકટી કાળમાં પોતાની કરોડરજ્જુ સીધી રાખનાર જે ગણ્યાંગાંઠ્યાં મેગેઝિનો હતાં તેમાંનું એક હતું. ભયના વાતાવરણને એક પડકાર આપવાની નિર્ભયતા આ સાપ્તાહિકે બતાવી હતી (જેવી ‘ભૂમિપુત્ર’એ પણ બતાવી હતી). તે પછીના કાળમાં રાજમોહનજીએ આધુનિક ભારત વિશે ઊંડા સંશોધન સાથેનાં એવાં જ કેટલાંક પુસ્તકો પણ આપણને આપ્યાં. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને સી.રાજગોપાલાચારી ઉપરનાં અત્યંત પ્રમાણભૂત એવાં ચરિત્રોનો સમાવેશ થાય છે. આવાં ભારેખમ અને અભ્યાસપૂર્ણ પુસ્તકો લખવાની સાથેસાથે એમણે રોજના સમાચારપત્રોમાં પણ નિયમિત રૂપે કોલમો લખીને સાર્વજનિક ચર્ચાના વિશ્વમાં પોતાનું આગવું યોગદાન આપ્યું. તેમના આ લેખો દર વખતે નવી વિગતો આપનારા અને વિચારપૂર્વકનું લોજીક રજૂ કરનારા રહ્યા છે.
રાજમોહન ગાંધીના એકંદર કામનું પૂરતું અને સર્વાંગી આકલન મને છે એવું હું માનતો હતો. પરંતુ, એક વિદ્વાન મિત્રે હાલમાં જ રાજમોહનના એક વ્યાખ્યાન તરફ મારું ધ્યાન ખેંચ્યું, જે મેં અગાઉ ક્યારે ય વાંચ્યું ન હતું. રાજમોહન જ્યારે થોડા વખત માટે રાજ્ય સભાના સદસ્ય હતા ત્યારે સપ્ટેમ્બર ૧૯૯૧માં તેમણે આ વ્યાખ્યાન આપ્યું હતું. આજની ભારતીય પ્રજાસત્તાકની પરિસ્થિતિ જોતાં રાજમોહનજીના આ ભાષણના મુદ્દાઓ ખૂબ જ પ્રસ્તુત સાબિત થઈ શકે તેમ છે.
રાજ્ય સભામાં પ્રાર્થનાસ્થળ વિશેના ખરડાની પ્રસ્તુતિ સંદર્ભે થયેલી ચર્ચામાં રાજમોહનજીએ પોતાની વાત મૂકી હતી. કોઈ પણ પ્રાર્થનાસ્થળના ધર્માંતર પર પ્રતિબંધ હોવો જોઈએ અને કોઈ પણ પ્રાર્થનાસ્થળનું ધાર્મિક સ્વરૂપ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ને દિવસે જેવું હતું તેવું જ ટકાવી રાખવા માટે જરૂરી તજવીજ કરવી જોઈએ. આ માટે પ્રસ્તુત ખરડો રજૂ કરાયો હતો. પરંતુ, આ ખરડામાં અયોધ્યામાં બાબરી મસ્જિદ જ્યાં ઊભી હતી, તે સ્થળને અપવાદ માનવામાં આવ્યો હતો. એ જગ્યાને ભગવાન રામનું જન્મસ્થળ હોવાનું અનેક હિંદુઓ માને છે.
તે વખતે કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર સત્તામાં હતી. પ્રાર્થનાસ્થળ વિશેના બિલને લોકસભામાં મંજૂરી મળી હતી. ભા.જ.પે. આ વિધેયકનો વિરોધ કર્યો હતો. આ ખરડો સંઘ રાજ્ય પ્રણાલીનાં તત્ત્વોનું ઉલ્લંઘન કરનારો હોઈ રાજ્ય સરકારોને તેમના નેજા હેઠળમાં જે પ્રાર્થનાસ્થાનો છે તે બાબતે તેમની ઇચ્છા અનુસાર કાર્યવાહી કરવાનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ એવી દલીલ ભા.જ.પે. કરી હતી. તે પછી એ ખરડો ચર્ચા માટે રાજ્ય સભામાં આવ્યો હતો.

રાજમોહન ગાંધી
તે સમયે રાજમોહન ગાંધી જનતા દળના સભ્ય હતા. એમણે આ ખરડા અંગેની ચર્ચાની શરૂઆત રાજ્ય સભામાં કરી. જૂના જખમો પરના પોપડા ફરીથી ઉખાડવાથી કયાં કયાં જોખમ ઊભાં થઈ શકે તે અંગે ઇશારો કરીને તેમણે ભારતના ભૂતકાળ વિશે તેમનું જે ઊંડું આકલન હતું તે રજૂ કર્યું. બદલા અને દ્વેષની ભાવનાને કારણે લાખો લોકોએ જાન ગુમાવ્યાનો દાખલો આપણને મહાભારતમાં મળી આવે છે. તેવા વિનાશનો દાખલો રાજમોહનજીએ ભાષણની શરૂઆતમાં આપ્યો. “ઇતિહાસની ભૂલો દ્વેષ ભાવનાથી સુધારવા માંગતા લોકો માત્ર વિનાશ વિનાશ અને અધિકાધિક વિનાશ જ નોતરશે, મહાભારતમાંથી આટલાં વર્ષોથી આપણને શીખવા મળેલો આ પાઠ છે” એવું તેમણે કહ્યું હતું.
વિરોધ પક્ષમાં હોવા છતાં રાજમોહનજીએ પ્રાર્થનાસ્થળ અંગેના ખરડાને પોતાનું સમર્થન આપ્યું હતું. ભા.જ.પ.ના કેટલાક લોકોએ આ બિલને ‘હિંદુ વિરોધી’ કહ્યો હતો. પરંતુ, એમ કહેવું એટલે ‘આપણા દેશમાંનાં નવા અલગાવવાદીઓનો અવાજ છે’ એવી ટિપ્પણી તેમણે કરી હતી. આ લોકો અમે નવો રાષ્ટ્રવાદ દેશ સામે મૂકી રહ્યા છીએ એમ કહી રહ્યા હોય તો પણ હકીકતમાં એ નવો અલગાવવાદ છે. આ હિંદુ અલગાવવાદ એ હિંદુ ધર્મનો કમનસીબ અને વિકૃત અવતાર છે, આવું માનનારા લોકો હિંદુધર્મના તત્ત્વને સમર્પિત છે એની મને ખાતરી છે, પણ એમની આ તીવ્ર ભાવનાને લીધે તેમની દિશાભૂલ થઈ છે એવું હું માનું છું. તેઓ ભારતમાં હિંદુ પાકિસ્તાન, હિંદુ સાઉદી અરેબિયાનું નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભૂતકાળના (વાસ્તવિક કે કાલ્પનિક) ગુનાઓ પર આટલા ભ્રમિત થઈને ધ્યાન કેન્દ્રિત કરનારો આ ‘નવો અલગાવવાદી હિંદુત્વવાદ’ વર્તમાનકાળના પ્રશ્નો , જેમ કે ભૂખમરો, અંધત્વ, ભ્રષ્ટાચાર અને હિંસાચાર તરફ જાણી જોઈને દુર્લક્ષ કરે છે, એવું રાજમોહનજીએ કહ્યું હતું. હિંદુત્વવાદી શક્તિઓ હિંદુ સ્વાભિમાનની અને હિંદુ સન્માનની પુન:સ્થાપના અંગે વાત કરતી હતી. પોતાને મુસ્લિમ વિરોધી દેખાડીને પોતાનું હિંદુત્વ સાબિત કરી બતાવવું એ કેમ જાણે નવા હિંદુ અલગતાવાદના સમર્થકોની કસોટી બની ગઈ છે, એવું પણ તેમણે કહ્યું હતું.
આ ખરડાનો વિરોધ કરનારાઓ માટે જોખમ અંગેની ચેતવણી આપતાં રાજમોહનજીએ કહ્યું હતું કે, “ખૂબ જૂના ભૂતકાળમાંના મુદ્દાઓને લઈને આજે લડવા બેસવું એ કદાચ તમને નાના કે મોટા યશ પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં આવે ય ખરા, પરંતુ તેમાંથી નવી ભાવનાઓ ઉત્પન્ન થશે અને ભારતના પ્રાચીન કાળની નવી નવી ભૂલો શોધીને તે સુધારવાના પ્રયત્નો થશે અને તે સુધારવા માટે અનેક સંઘર્ષો પેદા થશે.” તેમણે માર્મિકપણે આગળ કહ્યું, “હિંદુ સ્વાભિમાનની ભાવનાનું અસ્તિત્ત્વ આપણે પૈસામાં, મતોમાં, ડરાવવા-ધમકાવવાની તાકાત દ્વારા અને બંદૂકમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ – આ એક હિંદુત્વને લાંછન લાગે એવું વર્તન આપણે કરીએ છીએ.
ભાષણના અંતે રાજમોહનજીએ ભારતીય જનતા પક્ષ અને તેના સમર્થકોને આ મુદ્દો યોગ્ય દૃષ્ટિકોણથી વિચારવા આહ્વાન કર્યું હતું, “પ્રસ્તુત ખરડો સભાગૃહમાં કઈ પ્રેરણાથી મુકાયો છે તેને સમજી લેવો જરૂરી છે. આ સમસ્યા અહીંથી આગળ ટકે જ નહીં એ માટે આપણે રાષ્ટ્રીય ધોરણે નિર્ધાર કરવો જોઈએ. વાદ-વિવાદ તો ચાલતા રહેશે પરંતુ હિંસક સંઘર્ષ ટાળવો જ જોઈએ. આપણે આજે ભૂતકાળને બદલે વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો વિચાર એકત્રિત થઈને કરવો જોઈશે.”
રાજમોહન ગાંધીનું આ સુજ્ઞ ભાષણ આજે ફરી સાંભળવા જેવું છે. હવે તો ખુદ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશોએ જ પ્રાર્થનાસ્થળ અંગેના ખરડાનું ગંભીર અવમૂલ્યન કર્યું છે. બનારસ સ્થિત જ્ઞાનવાપી મસ્જિદમાં ઘણા સમય પહેલાંથી હિંદુ મૂર્તિ હોવાના કારણે ત્યાં આપણને પ્રાર્થના કરવાનો અધિકાર મળવો જ જોઈએ એવો દાવો કેટલાક હિંદુઓએ વર્ષ ૨૦૨૧ના ઓગસ્ટ મહિનામાં કર્યો હતો. તે પહેલાં એક સ્થાનિક ન્યાયાલયે, પછી અલાહાબાદના ઉચ્ચ ન્યાયાલયે આ મસ્જિદ બાબતે સર્વેક્ષણ કરવાની લીલીઝંડી આપી હતી. તે ચુકાદાઓના વિરોધમાં ૨૦૨૨ના મે મહિનામાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી દાખલ કરવામાં આવી. તે વખતના ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડએ એવો દાવો કર્યો કે ૧૯૯૧ના ખરડા ‘પ્રાર્થનાસ્થળના ભૂતકાળના કોઈ પણ તબક્કે ધાર્મિક સ્વરૂપ નક્કી કરવા’ પર પ્રતિબંધ કરવામાં આવ્યો નથી. એટલે કે નીચલી અદાલતોને અને નીચેના ન્યાયાધીશોને (વાસ્તવિક કે કાલ્પનિક) ઇતિહાસમાં થયેલી ભૂલો સુધારવા માટે પ્રોત્સાહન આપવું હોય તો તેઓ તેમ કરી શકે છે, એવો સર્વોચ્ચ ન્યાયાધીશના વિધાનનો અર્થ હતો.
લેખક હર્ષ મંદરે નોંધ્યું છે તેમ, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના અવલોકનથી સંભલ (ઉત્તર પ્રદેશ) ખાતે દીવાની ન્યાયાધીશને સંબંધિત સર્વેક્ષણનો આદેશ આપવાની છૂટ મળી ગઈ. આ બાબતે આગળ ઘટેલા ઘટનાક્રમમાં છ માણસોનાં મૃત્યુ થયાં હતાં. જ્ઞાનવાપીની ભૂમિકાને આધારે ‘પ્રાર્થના સ્થાનોના ધાર્મિક સ્વરૂપ સામે ઘણા પડકાર’ ઊભા થયા અને તેમને આ વિધાનને કારણે પીઠબળ મળ્યું એવું ‘સુપ્રિમ કોર્ટ ઓબ્ઝર્વર’એ નિયતકાલીને નોંધ્યું હતું.
ભા.જ.પ. શાસિત રાજ્યોમાં નીચલી અદાલતોના ન્યાયાધીશોને હિંદુત્વવાદીઓથી ડરીને જીવવું પડે છે અને તેથી તેઓ કાયદાનું અર્થઘટન કરવાની બાબતે હંમેશાં વિશ્વાસપૂર્ણ રીતે વર્તે છે તેવું ન કહી શકાય. એટલું જ નહીં, તેઓ ડરથી અથવા તેમના પર સત્તાધીશોની કૃપાદૃષ્ટિ રહે તેવો (તે માટે) નિર્ણય લે તેવી શક્યતા વધુ હોય છે. આમ આવાં સ્થાનોએ પડકારો વધુ તીવ્ર બન્યા છે.
આ લેખ લખાઈ રહ્યો હતો ત્યારે એટલે કે ૧૨મી ડિસેમ્બર ૨૦૨૪એ સર્વોચ્ચ ન્યાયાલયે પ્રાર્થનાસ્થળના ખરડાને પડકાર આપતી એક નવી અરજી અંગેની સુનાવણીની શરૂઆત કરી છે. ન્યાયાલયની બહારનું આજનું વ્યાપક રાજકીય વાતાવરણ જોઈએ તો પણ રાજમોહનજીએ ૧૯૯૧માં આપેલી તોળાઈ રહેલા જોખમની ચેતવણી ફરી યાદ કરવી જરૂરી લાગે છે. સત્તાધારી પક્ષોએ આ વર્ષે (૨૦૨૪) વિવિધ ચૂંટણીઓમાં કરેલા પ્રચાર અંગે વિચારી જુઓ. આ પ્રચારઅભિયાનમાં ભારતીય મુસલમાનોને સાતત્યપૂર્વક વિલન રૂપે ચીતરવાનો પ્રયત્ન કરાયો છે.
રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર ૧૯૮૪થી ૨૦૦૪ દરમ્યાન પ્રથમ વાર સળંગ રીતે સત્તા પર આવી ત્યારે સત્તાપક્ષના ઉચ્ચ પદે બેઠેલા નેતાઓ ભાગ્યે જ કોઈ દ્વેષ કે કટ્ટરતા વિશે કશું ખુલ્લી રીતે બોલતા હતા. હા, લાલકૃષ્ણ અડવાણીએ ૧૯૯૦માં કાઢેલી રથયાત્રાને કારણે હિંસા થઈ અને લોહી રેડાયું એ એક હકીકત છે. (અલબત્ત, આ રથયાત્રા માટે આ લેખક અડવાણીને કદી પણ માફ કરી શકશે નહીં) પરંતુ જ્યારે તેઓ ૧૯૯૮થી ૨૦૦૪ દરમ્યાન કેન્દ્રના ગૃહ પ્રધાન હતા તે વખતે અડવાણીજીએ જાહેર નિવેદનોમાં સંયમિત ભાષાનો ઉપયોગ કર્યો હતો (રણનીતિના ભાગરૂપે અથવા અન્ય કારણોસર). આ સિવાય અન્ય કેબિનેટ મંત્રીઓ અને તત્કાલીન વડા પ્રધાન પણ સંયમિત ભાષામાં જ વાતો કરતા હતા.
અલબત્ત, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના પ્રથમ કાર્યકાળ દરમિયાન સંઘપરિવારના ઘણાં લોકો મુસ્લિમોનો વિરોધ કરીને પોતાનું હિંદુત્વ બતાવવાનો (સાબિત કરવાનો) પ્રયત્ન કરતા હતા. જેમાં કેટલાક સાંસદોનો પણ સમાવેશ થાય છે. પરંતુ, આજે પરિસ્થિતિ એવી છે કે દેશના સૌથી શક્તિશાળી રાજકીય નેતાઓ પણ હિંદુ ન હોય તેવા ભારતીયો પ્રત્યે નફરત વ્યક્ત કરીને પોતાના હિંદુત્વને સાબિત કરવા લાગ્યા છે. કેંદ્રીય મંત્રીઓ તેમ જ કેટલાંક રાજ્યોના મુખ્ય મંત્રીઓ પોતાનાં ભાષણોમાં નિયમિત રીતે ભારતીય મુસ્લિમોની નિંદા કરે છે. દેશના વડાએ પણ અનેક વખત આવા અર્થનાં નિવેદનો જાહેરમાં આપ્યાં છે.
હિંદુત્વમાંથી જન્મેલા આ દ્વેષના સત્તાકાંક્ષી સમર્થકો સુધરવાની હદને પાર કરી ગયા છે. પરંતુ હજુ પણ જે હિંદુઓ નિષ્પક્ષ અભિપ્રાય સાંભળીને કંઈક શીખવા માટે ખુલ્લા હોય તેમણે રાજમોહન ગાંધીના મહાભારત અંગેનાં અવલોકનો ધ્યાનમાં લેવાં જોઈએ – “ઇતિહાસમાં થયેલી ભૂલોને વેરની ભાવનાથી બીજાને બદલવા / સુધારવાનો પ્રયત્ન કરવાથી વિનાશ, વિનાશ અને વધુ વિનાશ જ થાય છે. આટલાં વર્ષોમાં મહાભારતમાંથી શીખવા મળતો આ પાઠ છે.”
(૨૮ ડિસેમ્બર ૨૦૨૪ના ‘સાધના’ના– રામચંદ્ર ગુહા, બેંગલુરુ અંકમાંથી સાભાર અનુવાદિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2025; પૃ. 09-10