લૉક ડાઉનથી અસંગઠિત ક્ષેત્રના ૧.૬ અબજ કામદારો પર નોંધપાત્ર અસર : આઈ.એલ.ઓ.
ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (ILO), ‘કોવિડ-૧૯ અને વર્લ્ડ ઑફ વર્ક’ રિપોર્ટની ત્રીજી આવૃત્તિ બહાર પાડી રહ્યું છે અને તે અસંગઠિત ક્ષેત્રના કામદારોનું જે ચિત્ર રજૂ કરે છે તે નિરાશાજનક છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રમિકબજારમાં સૌથી અસરગ્રસ્ત લોકોમાં, અસંગઠિત ક્ષેત્રના અને/અથવા સૌથી વધુ માર સહન કરતાં ક્ષેત્રોમાં કામ કરતાં લગભગ ૧.૬ અબજ કામદારોને લોકડાઉનના પગલાંથી નોંધપાત્ર અસર થઈ છે … એક અંદાજ મુજબ મહામારીના પ્રથમ મહિના દરમિયાન વૈશ્વિક સ્તરે અસંગઠિત કામદારોની કમાણીમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે.” આઇ.એલ.ઓ. બંને ઘટકોને — ખાસ કરીને નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો ને સુરક્ષા પૂરી પાડવા તાત્કાલિક મહત્ત્વપૂર્ણ નીતિ ઘડી કાઢવાની સલાહ આપે છે.
અહેવાલમાં સાપેક્ષ ગરીબીના ખ્યાલને પણ ઉજાગર કરવામાં આવ્યો છે, “આ ઉપરાંત, સાપેક્ષ ગરીબીનો દર, જેને સરેરાશ ૫૦ ટકાથી ઓછી માસિક કમાણીવાળા કામદારોના પ્રમાણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તે અસંગઠિત કામદારોના કિસ્સામાં, વૈશ્વિક સ્તરે ૩૪ ટકા જેટલો, ઉચ્ચ-મધ્યમ-આવકવાળા દેશોમાં ૨૧ ટકા જેટલો જ્યારે નિમ્ન-મધ્યમ-આવકવાળા અર્થતંત્રમાં ૫૬ ટકા જેટલો વધવાનો અંદાજ છે.’ અહેવાલ એ પણ દર્શાવે છે કે આર્થિક પતનને કારણે મહિલા કામદારોએ અપ્રમાણસર સહન કરવાનો વારો આવશે. તેમાં જણાવાયું છે કે “કટોકટીથી નોંધપાત્ર અસર પામેલાં અસંગઠિત ક્ષેત્રમાં મહિલા કામદારોની સંખ્યા અતિ જોખમવાળાં ક્ષેત્રોમાં ઘણી વધારે છે. આ ક્ષેત્રમાં ૩૨ ટકા જેટલા પુરુષોની સરખામણીમાં ૪૨ ટકા જેટલી મહિલાઓ કામ કરે છે.”
અહેવાલની બીજી આવૃત્તિ ૭ એપ્રિલના રોજ બહાર પાડવામાં આવી ત્યારથી આઇ.એલ.ઓ.એ નોંધ્યું છે કે, “કોવિડ-૧૯નું વૈશ્વિક સંક્રમણ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૦ સુધીમાં ડબલ કરતાં પણ વધીને લગભગ ૨૬ લાખ લોકો સુધી પહોંચી ગયું છે, જ્યારે મૃત્યુની સંખ્યા ત્રણ ગણી કરતાં પણ વધુ થઈ ગઈ છે, લગભગ વિશ્વભરમાં ૧,૮૦,૦૦૦ સુધી.
અહેવાલમાં નાના ઉદ્યોગો અને સ્વનિર્ભર લોકોની દુર્દશા ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે: “રોજગારદાતાઓ અને સ્વનિર્ભર કામદારો બંનેને સાથે ગણીને, વિશ્વભરમાં સૌથી વધુ અસર થઈ હોય એવા લગભગ ૪૩.૬ કરોડ ઘટકોને હાલના ગંભીર ભંગાણને કારણે મોટા જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંથી અડધાથી વધુ — લગભગ ૨૩.૨ કરોડ — જથ્થાબંધ અને છૂટક વેપારમાં છે અને તે હાલમાં વૈશ્વિક સ્તરે સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. આ ક્ષેત્રમાં ૪૫ ટકા રોજગારીના હિસ્સેદાર સ્વનિર્ભર કામદારો છે. રિટેલ વેપારમાં વૈશ્વિક રોજગારના ૭૦ ટકાથી વધુ તથા આવાસ અને ખાદ્ય સેવાનાં ક્ષેત્રમાં આશરે ૬૦ ટકા જેટલો હિસ્સો સ્વનિર્ભર કામદારો અને નાના ઘટકોનો છે, જે હાલના આર્થિક સંકટમાં આ ક્ષેત્રોની ગંભીર નબળાઈનું પ્રતિબિંબ છે.”
આ બાબતે આઇ.એલ.ઓ. ચાર મુદ્દાનો ઉકેલ સૂચવે છેઃ
• અર્થતંત્ર અને રોજગારને પ્રોત્સાહન આપવું.
• સાહસો, નોકરીઓ અને આવકને ટેકો આપવો.
• કાર્યસ્થળમાં કામદારોનું રક્ષણ કરવું.
• ઉકેલ માટે સામાજિક સંવાદ પર આધાર રાખવો.
સબરંગ ઇન્ડિયા, ૦૧ મે, ૨૦૨૦, અનુવાદઃ દિલીપ સતાશિયા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 14 મે 2020