સરકારી ખાતાંએ સંકલન સાધીને મજદૂરોને પરેશાન કરવાનું બંધ કરવું જોઈએ
માનનીયશ્રી,
અમે આ ખુલ્લા પત્ર દ્વારા, ગુજરાતમાંથી વતન પરત ફરવા માગતા સ્થળાંતરિત મજદૂરો સાથે થઈ રહેલા સરકારના ભેદભાવયુક્ત અને અપમાનજનક વલણ તરફ આપનું ધ્યાન દોરવા માગીએ છીએ. વિવિધ રાજ્યોમાં કામનાં સ્થળે ફસાયેલા સ્થળાંતરિત મજદૂરોને પોતપોતાના વતન પરત ફરવા માટે શ્રમિક એક્સપ્રેસ ટ્રેન જે શરૂ કરવામાં આવી છે, તે માટે તેમની ઘણા વખતથી માગ હતી અને સરકારને એ ફરજ નિભાવવાની બાકી જ હતી. પોતાનાં વતન, ઘર, પરિવાર, સ્નેહીજનોથી દૂર રહેતા, લૉક ડાઉનની પરિસ્થિતિમાં કામ કે વેતન વગર લાચાર બનેલા મજદૂરોની સ્થિતિ જોઈને દેશના નાગરિકોએ અપેક્ષા રાખી હતી કે તેમના માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો નિઃશુલ્ક, વ્યવસ્થિત ગોઠવણી કરશે અને તે સરકારની ફરજના ભાગરૂપે જ છે. પરંતુ જ્યારે બીજી મેના રોજ સુરતથી ઓડીશા જતા મજદૂરો પાસેથી ટ્રેનભાડા પેઠે રૂ. ૭૨૦ થી ૮૦૦ ઉપરાંત રૂ. ૫૦ વધારાના વસૂલવામાં આવ્યા, ત્યારે અમે હતપ્રભ થઈ ગયાં. કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી પાસેથી ઉદારતાની અપેક્ષા હતી, પરંતુ તે ઠગારી નીવડી.
રેલવે તંત્રે તો ટ્રેન છૂટતાં પહેલાં જ સંપૂર્ણ ચૂકવણીની શરત રાખી. તેની પહેલાં રેલવે મંત્રાલયે આ ગરીબ મજદૂરો માટે ઑનલાઈન રજિસ્ટ્રેશનની શરત મૂકી. કેટલી વક્રતાની બાબત છે કે શાસકો એ પણ સમજવામાં નિષ્ફળ જઈ રહ્યા છે કે આ ગરીબ મજદૂરો લૉક ડાઉનમાં ઑનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરશે. દરેક પાસે કમ્પ્યુટર, ઈન્ટરનેટ કે મોબાઈલ હોતાં નથી. કંઈ બધા ઉચ્ચ શિક્ષિત અને કમ્પ્યુટર-સેવી હોતા નથી. તો સાઇબરકૅફે પણ ખુલ્લાં ન હોય અને સરકારી તંત્રની તો મદદ મળવાની જ નથી. સ્વાભાવિક છે કે આ મજદૂરો એવા તગડા પૈસા લઈને રજિસ્ટ્રેશન કરી આપતા દલાલો પાસે જવા મજબૂર થવાના. આમ, આ સમગ્ર પ્રક્રિયા તેમના માટે હેરાનગતિ સમાન બની ગઈ છે.
અગાઉ પણ દેશે દિલ્હીથી તેમ જ દેશના જુદા જુદા ભાગોમાંથી મોટા પ્રમાણમાં સ્થળાંતરિત મજદૂરોની હિજરત જોઈ છીએ, જેણે સમગ્ર દેશને ખળભળાવી દીધો હતો. તેમને મદદની વાત તો દૂર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો હેઠળ વિવિધ રાજ્યોની સરકારોએ ચેપ ફેલાવાના ભયનું બહાનું આગળ ધરીને પોતપોતાની સીમા સીલ કરી દીધી. આ હિજરાતા-હિજરાતા શ્રમજીવીઓ સાથેની ક્રૂરતા એટલી હદે વધી ગઈ હતી અને તેમની સ્થિતિ એટલી કરુણ બની ગઈ હતી કે આંતરરાષ્ટ્રીય માધ્યમોએ પણ તેની નોંધ લીધી. નોંધનીય બાબત તો એ છે કે દિલ્હી અને અન્ય જગ્યાઓના મજદૂરો પોતપોતાના વતન પરત ફરવા બેબાકળા થયા હતા, તે ગાળામાં સુરત, અમદાવાદ અને ગુજરાતના અન્ય મોટા શહેરોના મજદૂરો ધીરજપૂર્વક અહીં જ રોકાયા હતા. પરંતુ, હવે લૉક ડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, ત્યારે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. હવે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં કારખાનાં અને ઉદ્યોગો શરૂ થશે તો પણ તમામ મજદૂર ક્ષમતાને સમાવી શકશે નહીં. માલિકોએ સીધી કે આડકતરી રીતે તેમને વતન પરત ફરવા દોરવ્યા. સ્થળાંતરિત મજદૂરોને જાણે કે શહેર બહાર કરવાનું રીતસરનું કાવતરું ચાલ્યું. માલિકો, શાસક ભા.જ.પ., તંત્ર અને પોલીસ સહુએ સાથે મળીને એ લોકોને રીતસરના ભગાડ્યા. કદાચ ૩૦ ટકા સ્ટાફથી ઉદ્યોગ ચલાવવાની સરકારી સૂચના માટે તેઓ અત્યારથી તૈયારી કરી રહ્યા હોય.
હકીકત તો એ છે કે પ્રથમ હિજરતના પ્રમાણમાં અત્યારે કોરોનાનો રોગચાળો ગુજરાતમાં રોજેરોજ વધી રહ્યો છે અને હવે તે સામૂહિક ચેપના સ્તરે આવી ગયો છે. એવી પરિસ્થિતિમાં માલિકોએ આ મહિનાથી મજદૂરોને વેતન ચૂકવવાનું પણ બંધ કરી દીધું છે. સરકાર કે માલિકો તરફથી કોઈ જ મદદની ખાતરી મળી રહી નથી. તે સમયે મજદૂરોની રહીસહી બચત પણ ખતમ થઈ રહી છે. વક્રતા તો જુઓ કે પ્રધાનમંત્રી કે ગુજરાતના મુખ્ય મંત્રી ટી.વી. પર જે કંઈ વચન આપે છે, તે માત્ર લોકોની આંખોમાં ધૂળ નાંખવા સમાન અને માત્ર કોરી હૈયાધારણા જ પુરવાર થઈ રહ્યાં છે.
જે કંઈ વ્યવસ્થા થઈ છે તેમાં સરકારનો મજદૂરો પ્રત્યે માનવીય અભિગમનો સંપૂર્ણ અભાવ, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમ જ રેલવે મંત્રાલય, જિલ્લા પ્રશાસન અને તંત્ર વચ્ચે સંકલનનો સદંતર અભાવ, સરકારનાં વિવિધ ખાતાં વચ્ચે એકમતીનો અભાવ, આ બધાંનાં કારણે મજદૂરોની હેરાનગતિમાં અનેક ગણો વધારો થયો છે. દા.ત. સુરતના કલેક્ટરે જાહેરાત કરી કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને અન્ય બે રાજ્યોના મજદૂરોને જવાની મંજૂરી નથી. પરંતુ, તે જ મજદૂરો પાસે સરકારનો લેખિત પરવાનો હતો. તે જ કલેક્ટરની મંજૂરીથી ખાનગી બસોમાં મજદૂરો ગયા, તો ઉત્તર પ્રદેશમાં તેમને પ્રવેશ ન મળતાં પાછાં ફરવું પડ્યું. હવે અહીં પણ બમણું ભાડું ભરીને મજદૂરો પોતાનાં ભાડાનાં મકાન ખાલી કરીને આવેલા હતા. તો આ પરિસ્થિતિ સર્જાતા હવે જાય ક્યાં? રસ્તામાં તેમને ખાવાનું આપે, પાણીનું પૂછે, અન્ય મદદ કરે એવું કોઈ નહોતું. આવાં આશરે ૯,૦૦૦ ખાનગી વાહનોમાં આશરે ૧ લાખ મજદૂરો રસ્તા પર આવી ગયા. સૌથી ખરાબ પરિસ્થિતિ તો મહિલાઓ અને બાળકોની છે. રજિસ્ટ્રેશન માટે પણ સુરત અને અમદાવાદમાં તેમને ભર તડકામાં કલાકો સુધી લાંબી કતારોમાં ઊભાં રાખ્યાં. આ બધા પછી પણ બસ, ટ્રેન કે અન્ય વાહનોનું કોઈ ઠેકાણું નથી. દા.ત. અમદાવાદ જિલ્લા તંત્રે ૨૦૦ જેટલા મજદૂરોને એમ કહીને ઓઢવ પાસે બોલાવ્યા કે ત્યાંથી તેમને બસમાં બેસાડાશે. પરંતુ, મોડી રાત સુધી બસનો કોઈ પત્તો ન લાગ્યો. આટલી હેરાનગતિ વચ્ચે શાસક પક્ષ અને તેના ઘટકો રાજકીય લાભ ખાટવાની બેશરમ લાલચ રોકી નથી શકતા. આપને જાણ થઈ જ હશે કે નવસારીના સાંસદ સી.આર. પાટિલે સુરતથી ઓડીશા જતી શ્રમિક એક્સપ્રેસને ભા.જ.પ.ની ઝંડી બતાવી.
આ પરિસ્થિતિમાં સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ)—એસ.યુ.સી.આઈ.(સી)— આપની સમક્ષ માંગણી કરે છે કે
(૧) તમામ સ્થળાંતરિત મજદૂરોને નિઃશુલ્ક અને સરળ મુસાફરીની સુવિધા કરવામાં આવે અને તેને સરકારની જવાબદારી તરીકે ગણવામાં આવે
(૨) કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને વિવિધ ખાતાઓ વચ્ચે યોગ્ય સંકલન
(૩) કેન્દ્ર સરકારની જાહેરાત અંગે સમગ્ર દેશમાં એકરૂપતા
(૪) વતન પરત ફરી રહેલા મજદૂરોને મુસાફરી દરમ્યાન નિઃશુલ્ક ખાવાનું, પાણી તથા અન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં આવે.
(૫) મજદૂરોને એપ્રિલ અને મેનું વેતન ચૂકવવામાં આવે.
(૬) રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ અને સુગમ બનાવવામાં આવે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020