કોરોનાસંકટ દરમિયાન સુપ્રીમ કોર્ટની કામ કરવાની રીત ભારે નિરાશાજનક છે. અદાલત પોતાનાં બંધારણીય કર્તવ્યો સાચી રીતે નિભાવી રહી નથી. ભારતની સર્વોચ્ચ અદાલત સારાં કામો માટે સક્ષમ છે, પરંતુ મને લાગે છે કે આજે તેણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તેણે વિચારમંથન કરીને એ શોધવાની જરૂર છે કે તે આગળ કઈ રીતે વધે. કોર્ટે વધુ સક્રિય થવું જોઈએ.
(પરપ્રાંતીય સ્થળાંતરિત કામદારોના જીવન જીવવાના અધિકાર સંબંધી મામલે કોર્ટે સરકારને ત્રણ અઠવાડિયાનો સમય આપીને) કામદારોને નિરાશ કર્યા. (સરકાર આ બાબતે તેને યોગ્ય લાગે તેવાં પગંલાં ભરે) એમ કહી દેવું કોર્ટ માટે પૂરતું નથી. તે આનાથી વધારે કરી શકતી હતી અને તે કરવું પણ જોઈતું હતું. હાલની પરિસ્થિતિને કારણે મૂળભૂત અધિકારો બહુ મહત્ત્વપૂર્ણ નથી, તેવું વલણ ખોટું છે. તમે એમ ન કહી શકો કે વર્તમાન સમયમાં જીવવાના અધિકારને ભૂલી જવો જોઈએ. જો કટોકટીના સમયે જીવનનો અધિકાર ન ભૂલી શકાય, તો મને એ નથી સમજાતું કે હાલના સમયે આપણે તે કેવી રીતે ભૂલી શકીએ. (પરપ્રાંતીય સ્થળાંતરિક કામદારો અને ‘મનરેગા’ મજૂરોને ચૂકવણીનો મામલો સુપ્રીમ કોર્ટે ટાળી દીધો અને રિપબ્લિક ટી.વી.ના એન્કર અર્ણવ ગોસ્વામીના કેસની તાત્કાલિક સુનાવણી કરી) અરજન્ટ મેટરની શ્રેણીમાં આ કેસ સામેલ ન હોવા છતાં કોર્ટે તેની તાત્કાલિક સુનાવણી કરી તે કોર્ટની બહુ મોટી ભૂલ છે.
પરપ્રાંતીય કામદારોના અધિકારોથી વધુ મહત્વપૂર્ણ બીજો કોઈ કેસ ન હોઈ શકે. આ કેસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અતિ આવશ્યક હતો. તેને બદલે કોર્ટે એક એવા કેસની ત્વરિત સુનાવણી હાથ ધરી, જેમાં કદાચ દસ એફ.આઇ.આર. થઈ હતી. તેમાં અતિ આવશ્યક શું હતું? પોલીસે આ એફ.આઇ.આર. પર કોઈ કાર્યવાહી કરી ન હતી અને તેમાં ધરપકડની સંભાવના લગભગ નહીંવત્ હતી. ગરીબો અને પરપ્રાંતીયોની મુશ્કેલીઓની સામે (અર્ણવના કેસની) તુલના પણ કરી ન શકાય. મારા માનવા મુજબ જે કેસ અરજન્ટની કૅટેગરીમાં આવી શકતો ન હતો તેની ત્વરિત સુનાવણી કરી તે ઘણું જ ખોટું થયું છે. સર્વોચ્ચ અદાલત તેનાં સંવૈધાનિક કામો સારી રીતે નથી કરી રહી. સુપ્રીમ કોર્ટના વલણથી હું ચોક્કસ જ બહુ નિરાશ છું.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ મદન લોકુર સાથેની કરણ થાપરની ‘ધ વાયર’માં પ્રગટ થયેલી મુલાકાતમાંથી સારવીને
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020