‘ફેસ ઓફ નેશન’ પોર્ટલના પત્રકાર ધવલ પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી બદલાવાની શક્યતા અંગેનો અહેવાલ લખતા, તેમની રાજદ્રોહના બિનજામીનપાત્ર ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત સોશિયલ વૉચના મહેશ પંડ્યા અને હેમંતકુમાર શાહે અખબારી યાદીમાં આ ધરપકડનો સખત વિરોધ કરતાં જણાવ્યું છે કે ‘ભારતના બંધારણમાં કલમ-૧૯(૧)(એ)માં દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. પત્રકાર ધવલ પટેલની તેમના પોર્ટલ પરના એક શુદ્ધ રાજકીય બાબત અંગેના લખાણ સબબ કરવામાં આવેલી ધરપકડ એ આ મૂળભૂત અને માનવ અધિકારના સરેઆમ ભંગ સમાન છે. તેમના લખાણથી જાહેર શાંતિ કોઈ પણ રીતે જોખમાતી નથી, તેથી અમે તેમની ધરપકડને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તેમની બિનશરતી મુક્તિની માગણી પણ કરીએ છીએ.
અત્યારે જ્યારે ગુજરાત અને સમગ્ર દેશ કોરોના મહામારીમાં ફસાયેલો છે ત્યારે સમગ્ર રાજ્ય તંત્રનું ધ્યાન આ મહામારીના સામના માટે કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. એવા વખતે ગુજરાત સરકાર આ રીતે પત્રકારોનો અવાજ દબાવીને લોકશાહીનું જ ખૂન કરી રહી હોય તેમ લાગે છે. અમે દૃઢપણે માનીએ છીએ કે સામાન્ય સંજોગોમાં લોકશાહી અધિકારોની જેટલી આવશ્યકતા હોય છે તેટલી જ તેમની જરૂર આપત્તિના માહોલમાં પણ હોય છે. સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓમાં માધ્યમોની સ્વતંત્રતા બરકરાર રહે તે લોકશાહીના જતન માટે અનિવાર્ય હોવાનું જણાવેલું છે ત્યારે આ ધરપકડ વાસ્તવમાં સત્તાધીશોનું સરમુખત્યારી માનસ છતું કરે છે.’
https://www.meranews.comમાં પ્રશાંત દયાળે લખ્યું છે કે પોલીસની ફરિયાદ પ્રમાણે ધવલ પટેલની આ સ્ટોરીને કારણે અરાજકતા ફેલાઈ છે. ખરેખર ધવલ પટેલ તો એક બહાનું છે. ભા.જ.પ. સરકાર ધવલ પટેલ સામે કેસ કરીને તમામ પત્રકારોને ડરાવવા માગે છે. પ્રશાંત દયાળે સંદેશના પત્રકાર રોનક શાહને કરવામાં આવેલી હેરાનગતિનો પણ ઉલ્લેખ કર્યો છે, અને લખ્યું છે કે ‘સંદેશ’ના માલિકે ગૃહવિભાગમાં ફોન કર્યા પછી એ હેરાનગતિ બંધ થઈ.
કપરા કાળમાં (પણ) પત્રકારો પાસેથી સરકારને અનુકૂળ અહેવાલોની અપેક્ષા રાખવાનું સરકારનું વલણ બદલાયું નથી, એ ખેદની વાત છે. પત્રકારનું કામ સરકારોને નહીં, નાગરિકોને-લોકોને ઉત્તરદાયી રહેવાનું છે અને તેમને સાચી સ્થિતિની શક્ય એટલી જાણકારી નિષ્પક્ષ રીતે આપતા રહેવાનું છે. હકારાત્મક અહેવાલોનું એક ચોક્કસ મૂલ્ય છે, પરંતુ પૉઝિટિવિટીની આડમાં વાસ્તવિકતા પ્રત્યે આંખો મીંચી દેવી, એ પત્રકારત્વનું જ નહીં, નાગરિકોનું પણ અપમાન છે. રાજદ્રોહ જેવા ગંભીર આરોપસર બિનજરૂરી અને ગેરવાજબી રીતે થયેલી ધરપકડમાંથી ધવલ પટેલનો વહેલાસર છૂટકારો થવો જોઈએ. એમાં જ ગુજરાત સરકારની અને ગુજરાતની શોભા છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020