મોરારજીભાઈ દેસાઈને આપણે એક કડક અને કુશળ વહીવટકાર અને આખાબોલા રાજકારણી તરીકે ભૂલ્યા નથી, પરંતુ તેમના ૯૯ વર્ષના દીર્ઘ આયુષ્યકાળ પર નજર કરવા તેમની આત્મકથા અને અંબેલાલ જોશી કૃત દળદાર જીવનચરિત્રનાં પાનાં ફેરવતાં તેમના કેટલાંક એવા સ્વરૂપોની ઝાંખી મળે છે, જે તેમના વ્યકિતત્વના જુદાં જ પાસાં ઉજાગર કરે છે:
એક સશકત નાણાપ્રધાન
જવાહરલાલ નેહરુએ જુદી જુદી ચાર વ્યકિતને નાણાપ્રધાન તરીકે અજમાવ્યા પછી તેમને એક સશકત નાણાપ્રધાનની શોધ હતી. નેહરુ એવી બાહોશ વ્યકિતને આ હોદ્દો આપવા ઇચ્છતા હતા, જે પંચવર્ષીય યોજનાઓનું ચુસ્ત અમલીકરણ કરાવી શકે. આખરે તેમની નજર મોરારજીભાઈ પર ઠરી. મોરારજીભાઈએ ફકત છ મહિનાના ટૂંકા ગાળામાં જ પોતાની નાણામંત્રી તરીકેની કાબેલિયત પુરવાર કરી દીધેલી. મોરારજીભાઈએ રજૂ કરેલું પ્રથમ ૮૦૦ શબ્દોનું બજેટ ‘વિકાસ અંદાજપત્ર’ તરીકે પ્રસિદ્ધિ પામેલું. પંચવર્ષીય યોજનાઓ સફળ બનાવીને દેશભરમાં ગરીબી, રોજગારી, પાણી, કૃષિ, રસ્તા, વીજળી વગેરેની સમસ્યા ઉકેલવી, આંતરિક વિરોધ છતાં વિદેશી સહાય મેળવીને દેશના વિકાસમાં પ્રયોજવી, હૂંડિયામણની મુસીબતમાંથી દેશને ઉગારવો, કરવેરાનું સર્વસ્વીકૃત (સંતોષદાયક) માળખું રચવું વગેરે અનેક પડકારોને તેમણે ખૂબ સારી રીતે પાર પાડીને દેશનો આર્થિક ઢાંચો મજબૂત કર્યોહતો. દેશમાં સૌથી વધુ ૧૦ વખત બજેટ રજૂ કરનારા અને દેશને વિકાસના રસ્તે વેગવાન બનાવનારા મોરારજીભાઈ આજે મંદીના માહોલમાં વિશેષ યાદ આવે છે.
ક્રિકટના જબરા ફેન
મોરારજીભાઈ દેસાઈ યુવાન હતા ત્યારે તેમને નાટકો જોવાનો કે ફિલ્મો જોવાનો શોખ નહોતો, પરંતુ તેઓ ક્રિકેટના જબરા ફેન હતા. તે મુંબઈમાં કોલેજકાળમાં શહેરમાં જયાં જયાં મેચો થતી ત્યાં જોવા પહોંચી જતા. તેઓ આત્મકથામાં નોંધે છે કે ‘‘ક્રિકેટ મેચ જોવા જવામાં કંઈ પણ ખર્ચ થતું નહોતું. તે દિવસોમાં ટ્રામને બદલે હું ચાલતો જતો હતો…પરીક્ષાના દિવસો તદ્દન નજીક હતા ત્યારે પણ મેચો જોવાનું મેં છોડયું નહોતું’’
મારફાડ યુવાન
ગાંધીજીના ચુસ્ત અનુયાયી નહોતા બન્યા ત્યારનો ૧૯૧૬નો એક પ્રસંગ છે. એક વાર સગાની જાનમાં ગયેલા. અનાવિલોમાં જાનૈયા વરઘોડા સાથે કન્યાના માંડવે ‘વાડી’ લઈ જાય એવી પ્રથા હતી. તે ગામના સુધારાના ઉત્સાહી એવા તોફાની યુવાનોએ વાડીની પ્રથાના વિરોધમાં વાડીને માર્ગમાં જ લૂંટવાની ધમકી આપી. આવી ધમકીથી ડરી જાય એ મોરારજી નહિ. તેમણે તે દિવસે પેલા દાદાગીરી કરનારા યુવાનોને પોતાની શકિતનો પરચો આપી કન્યાવાળાને ત્યાં ‘વાડી’ હેમખેમ પહોંચાડી હતી.
૧૯૧૭માં પહેલા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યાં હતા ત્યારે ભણેલા હિંદીઓ સૈન્યમાં દાખલ થઈ શકે એ માટે અંગ્રેજોના દબાણથી મુંબઈમાં યુનિવર્સિટી ટ્રેનિંગ કોર(યુટીસી) શરૂ કરવામાં આવી. મોરારજીભાઈએ યુટીસીમાં જોડાઈને લશ્કરી તાલીમ મેળવેલી. તેઓ એક પ્લેટૂનના ઓફિસર પણ બનેલા. કદાચ આ સંસ્કારને કારણે જ તેમણે મુંબઈ રાજયમાં નાગરિકોને રક્ષણપ્રવૃત્તિમાં જોડવાના ખ્યાલથી ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળની સ્થાપના કરાવી હશે.
ગાંધીજીના દ્વારપાળ
ઇરવીન સાથેના શાંતિ કરાર બાદ થાકેલા ગાંધીજી આરામ લેવા બારડોલી આશ્રમ આવેલા. બાપુને મળવા આવતા મુલાકાતીઓનો પ્રવાહ અટકાવવા સરદાર પટેલને પોતાની વિવેકબુદ્ધિ પર કોને જવા દેવા ને કોને નહિનો સાચો નિર્ણય કરે એવી મજબૂત વ્યકિતની જરૂર હતી. એમણે મોરારજીભાઈમાં ગાંધીજીની ચોકી કરવા માટે આવશ્યક એવા સર્વ ગુણો જોયા. એક વખતના ડેપ્યુટી કલેકટર મોરારજીભાઈએ કોઈ પણ પ્રકારના ખચકાટ વિના ગાંધીજીના દ્વારપાળનું કામ ઉપાડી લીધેલું.
ચોકસાઈપૂર્વક ન્યાય તોળતા મેજિસ્ટ્રેટ
મોરારજીભાઈ ૧૯૧૮થી ૧૯૩૦ સુધી ડેપ્યુટી કલેકટર તરીકે નોકરી કરી હતી. તેમણે આ નોકરીના ભાગરૂપે મેજિસ્ટ્રેટની ભૂમિકા પણ ભજવવાનું થયું. ઇતિહાસ છે કે તેમણે આપેલા એક હજાર જેટલા ચુકાદામાંથી ત્રણ જ કિસ્સામાં વડી અદાલતે તેમના નિર્ણય બદલ્યા છે. આ વાત પરથી સ્પષ્ટ છે કે તેઓ કેટલી ચોકસાઈથી કોઈ ચુકાદો આપતા હતા. એક વાર તેમની સામે લૂંટનો કેસ આવ્યો. આરોપી ગુનેગાર હોય એવું લાગતું હતું, એટલે એ મુજબ ચુકાદો લખવા બેઠા પણ પછી વિચાર આવ્યો કે રાત્રે દોઢ વાગ્યે જેમણે આરોપીને જોયો એ લોકો કઈ રીતે ખાતરીપૂર્વક કહી શકે કે આ વ્યકિત જ હતી? તેમણે ચુકાદો મૂલતવી રાખ્યો. જે તિથિએ એ ગુનો બનેલો તેની રાહ જોઈ. તે તિથિની રાત્રે દોઢ વાગ્યે તેમણે બીજા લોકોને ઓળખવાનો પ્રયત્ન કરી જોયો. તેમને થયું કે આટલા અંધારામાં વ્યકિતને ઓળખી ન શકાય. આમ, તેમણે નિર્દોષને સજા ન થાય તેની ચોકસાઈ હંમેશાં રાખી હતી.
દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તથા ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશના સર્વોચ્ચ એવોર્ડ અનુક્રમે ભારત રત્ન અને નિશાને પાકિસ્તાન પ્રાપ્ત કરનારા મોરારજી દેસાઈની જન્મ તારીખ (૨૯ ફેબ્રુઆરી) એવી છે કે તેમની જન્મજયંતી ચાર વર્ષે આવે છે, પરંતુ ખરેખર તો તેઓ વર્ષમાં ચારથી વધુ વાર યાદ આવી જાય એવા નેતા છે.