તાજેતરમાં મ્યાનમારના રહીશ રોહિંગ્યા મુસ્લિમોને પોતાનાં ઘરબાર છોડી, પડોશી બાંગ્લા દેશ અને અન્ય ઇસ્લામિક દેશોમાં શરણું શોધવા હિજરત કરવી પડી, એ સમાચારથી જેમનું હૃદય દ્રવી ઊઠ્યું, તેવા નિવૃત્ત આર્ચ બિશપ ડેસમંડ ટુટુએ બર્માના વિશ્વવિખ્યાત નેતા આન સાંગ સૂ કીને એક જાહેર પત્ર લખ્યો. માનવ અધિકારોના ખંડનથી ઉપજેલ કરુણ ઘટનાઓથી પીડાતા રોહિંગ્યા મુસ્લિમો માટેની અનુકંપા આ પત્રમાં નીતરે છે.
બર્માની સરકાર અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા આચરવામાં આવતી હિંસાને યુ.એન. દ્વારા ‘જેનોસાઇડ’ અને ‘એથનિક કલેન્સીંગ’ તરીકે ઓળખાવીને એક અમાનવીય કૃત્ય તરીકે વખોડવામાં આવી રહી છે. રોહિંગ્યા મુસ્લિમોએ પોતાનું વતન છોડવું પડે તેવી પરિસ્થિતિ સર્જાવાનું કારણ? મ્યાનમારમાં તેમને કદી એક અલગ જાતિ તરીકે સ્વીકારવામાં આવ્યા નહોતા કે તેમને મૂળભૂત નાગરિક અધિકારો અપાયા નહોતા, અને અંતે જ્યારે થાકી હારીને તેમણે આક્રમક પગલું ભર્યું, જેના ફળ સ્વરૂપ કેટલાક બર્મીઝ સૈનિકોના જાન લેવાયા, તેથી હવે દેશની લશ્કરી તાકાત તેઓ મુસ્લિમ છે એ મુદ્દે તેમને પોતાના જ દેશમાંથી તડીપાર કરવા માગે છે.
આમ જુઓ તો દુનિયાને ખૂણે ખૂણેથી કઇંક આવા જ મતલબના અવાજો ઊઠી રહ્યા સંભળાય છે. ક્યાંક ‘મેક્સિકનો પાછા જાય’ની ગર્જના સંભળાય છે, તો ક્યાંક વળી ‘મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા જાય’નું રટણ ચાલે છે. તો વળી અન્ય ઠેકાણેથી જ્યાં પહેલાં કોમનવેલ્થના નાગરિકો અળખામણાણ થયેલાં ત્યાં હવે યુરોપના ભાઈ-બહેનો માટે પ્રવેશના દ્વાર બંધ કરવાની પેરવી ચાલે છે. ભારતની વાત કરીએ તો હિંદુઓ મુસ્લિમોને દેશ છોડવા કહે છે, મહારાષ્ટ્રમાંથી ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી આવેલને વિદાય આપવાની હલચલ શરૂ થઇ છે, ગુજરાતમાંથી રાજસ્થાનીઓને તગડી મુકવા પેંતરા રચાઈ રહ્યાનું સાંભળ્યું છે.
આખર આ માણસ જાતને થયું છે શું?
અહીં મને ચીનના કેલેન્ડરમાં દરેક વર્ષને એક એક પ્રાણી સાથે જોડવામાં આવે છે, તે માટેની વાર્તા યાદ આવે છે. મૂળે તો એવી વાર્તા છે કે ચીનના એક સમ્રાટ જેઈડને હર સાલની નોંધ રાખવાની જરૂર જણાઈ, જેથી તેણે એક ઝોડિયાક કેલેન્ડર બનાવવાનું મુનાસીબ ધાર્યું. આથી સમ્રાટે 13 પ્રાણીઓને એક તરણ સ્પર્ધા કરવાનો આદેશ આપ્યો અને જે ક્રમમાં પ્રાણીઓ સામે કાંઠે પહોંચ્યા એ ક્રમમાં જે તે વર્ષને તે પ્રાણીનું નામ અપાયું (અહીં ઉંદરે બિલાડીને નદીમાં ધક્કો મારીને નાખી દીધેલ એટલે માત્ર બાર પ્રાણી જીત્યાં તેની નોંધ લેવી ઘટે). પરંતુ જેમ અન્ય પુરાણ કથાઓમાં બને છે તેમ આ વાર્તાને પણ એક જુદો વળાંક અપાયેલો. હું કામ કરતી એ શાળામાં ચાઈનીઝ નવા વર્ષ માટે વાત કરવા આવેલ એક બહેને કહ્યું કે સમ્રાટ જાતે દરેક વર્ષ માટે એક એક પ્રાણીને પસંદ કરવાની કોશિશ કરતા હતા, ત્યારે પ્રાણીઓ વચ્ચે ‘હું પહેલો’ એનો વિવાદ એટલો જોર શોરથી ચાલ્યો કે સ્વર્ગમાં રહેતા દેવોની શાન્તિમાં વિક્ષેપ થવાથી દેવો પ્રગટ થયા અને તેમણે નદી પાર કરવાની શરત લગાવવાનું સૂચવ્યું.
કદાચ અત્યારે પૃથ્વી પર ઉપર કહ્યા તેવા ‘પાછા જતા રહો’ અથવા ‘અમારા દેશમાં ન આવો’ના નારાઓનો એટલો તો શોર બકોર થાય છે કે કદાચ ભગવાન વિષ્ણુ, મોઝીઝ, જીસસ, બુદ્ધ, મહાવીર, મુહમ્મદ અને ગુરુ નાનક જરૂર પ્રગટ થશે અને કહેશે, “અરે બાળકો, શાંત થાઓ. જુઓ, આ પૃથ્વી મોટી છે. એક ખંડ હિંદુઓ માટે, બીજો યહૂદીઓનો, ત્રીજો ઈસાઈઓ ખાતે, ચોથો મુસ્લિમ કોમ માટે, પાંચમો બૌદ્ધ અને જૈન સાટુ અને છઠ્ઠો ખંડ સીખ લોકો માટે ફાળવી આપીએ છીએ. એક ખંડની સરહદમાં એક જ ધર્મ પાળતા લોકો રહેશે અને કોઈ એક બીજાના ખંડમાં આવ જા નહીં કરે એવો અમારો આદેશ છે.” બસ, પછી તો શાંતિ જ શાંતિ હશે. કેવી મજા? જો કે એક મુશ્કેલી છે, ઈસાઈઓ માટેના ખંડમાં પ્રોટેસ્ટન્ટ અને કેથલિક, મુસ્લિમો માટેના ખંડમાં શિયા અને સુન્ની અને હિંદુઓ માટેના ખંડમાં અલગ અલગ જ્ઞાતિઓ એકબીજા સાથે લડશે તો ક્યાં જશે? એવી જ રીતે જે લોકો માત્ર ‘માનવ’ છે તેઓ કયા ખંડમાં રહેશે? એક ઉપાય છે, પોતાના જ ધર્મના લોકો સાથે લડનારને પોતાની જાતને માત્ર માનવ ગણાવનાર સમૂહ સાથે જીવવાની શિક્ષા ફરમાવી શકાય.
રોહિંગ્યા મુસ્લિમોની વાત કરીએ તો તેમના અસ્તિત્વનાં મૂળિયાં ઈ.સ. પૂર્વે 3000 વર્ષની આસપાસ જે માનવ જાતિ આરાકાન વિસ્તારમાં જઇ વસી ત્યાં સુધી પહોંચે છે. હવે કાળના આવડા મોટા પટ પર ચાલતાં ચાલતાં એ પ્રજાના વંશજોએ ધર્મ પરિવર્તન કર્યું અને સ્થળાંતર પણ કર્યું. એક ન બદલી તેમની સંસ્કૃિત કે પોતાની ઓળખ. પણ વિધિની વક્રતા તો જુઓ, તેમને ‘રોહિંગ્યા મુસ્લિમો’ તરીકે માન્યતા આપીને મ્યાનમારમાં નાગરિક અધિકારો બક્ષવામાં ન આવ્યા. થોડા વર્ષો માટે એ કોમના પ્રતિનિધિઓ લોકશાહી સરકારમાં પદાર્પણ કરી શક્યા, પણ એ ભાગ્ય પણ અલ્પજીવી નીવડ્યું. જ્યારે દેશના એક સમૂહના માનવ અધિકારો ઝુંટવાઈ જાય, તેમને રોટી, કપડાં, મકાન જેવી પાયાની જરૂરિયાતો સંતોષવા સખત આજીજી કરવી પડે, ત્યારે અન્યાય અને શોષણથી પીડાતું હૃદય કાં તો અલગ દેશની માગણી કરે અથવા લોકોના હાથમાં હિંસક હાથિયાર પકડાવે. રોહિંગ્યા મુસ્લિમોના કિસ્સામાં આવું જ કઈંક બન્યું. આપણા દિલને વધુ આઘાત તો એ વાતનો લાગે છે કે બૌદ્ધ ધર્મને અનુસરનારા લોકોએ આવા ગુનાહિત કાર્ય કર્યા. બુદ્ધ તો અહિંસાના પરમ ઉપાસક અને પ્રચારક. શું થયું તેમની પ્રેમ અને કરુણાના ઉપદેશનું?
આજે નોબેલ પારિતોષિક વિજેતા આન સાંગ સુ કી, કે જે નેશનલ લીગ ફોર ડેમોક્રસીનાં નેતા છે અને સ્ટેટ કાઉન્સિલરનો હોદ્દો ધરાવતા હોવાને નાતે દેશના વડાપ્રધાન જેટલી સત્તા ધરાવે છે, તેમણે મ્યાનમારની સરકારના ઘૃણિત પગલાં વિષે સેવેલ મૌન અને રોહિંગ્યા મુસ્લિમો પર હિંસા આચરવાના મુકેલ આરોપ બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના પ્રત્યે વિરોધની લાગણી આકાર લઇ રહી છે. માનનીય ડેસમંડ ટુટુએ પોતાના પત્રમાં કહ્યું છે તે ખૂબ હૃદયસ્પર્શી છે. મ્યાનમારની જનતાને લોકશાહી મૂલ્યો પર આધારિત શાસન મળે અને માનવ અધિકારો જળવાય તે માટે અનેક કષ્ટ ઉઠાવનાર સુ કીને ટુટુએ પોતાની નાની બહેન સમાન ગણી, તેમની છબી પોતાના ડેસ્ક પાર રાખેલ. સત્યના આગ્રહી એવા સુ કીને નજરકૈદમાંથી મુક્તિ મળી અને વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં ત્યારે ટુટુને હરખ થયેલો. પરંતુ રોહિંગ્યા મુસ્લિમો પ્રત્યે આચરવામાં આવતી હિંસા વિશેનાં સુ કીના મૌન બદલ તેમને પારાવાર વેદના થઇ, જે તેમના જ શબ્દોમાં જોઈએ, “અમને ખબર છે કે તમે જાણો છો કે બધા માનવીઓ દેખાવમાં જુદા હોઈ શકે અને અલગ અલગ રીતે પ્રાર્થના કરતા હોઈ શકે – અને કોઈ પાસે વધુ સત્તા હોય કોઈ ઓછું શક્તિશાળી હોય, પણ કોઈ ચડિયાતું નથી કે કોઈ બીજાથી ઉતરતું નથી. તમે એ પણ જાણો છો કે ચામડીનું પડ ખસેડો તો આપણે બધા એક સમાન છીએ તે જોઈ શકાય. આપણે બધા એક જ – માનવ પરિવારના સભ્યો છીએ. કુદરતના દરબારમાં બુદ્ધિસ્ટ કે મુસ્લિમો વચ્ચે કોઈ ભેદ નથી. તમે એ પણ સમજો છો કે કોઈ જુઇશ હોય કે હિન્દુ, ક્રિશ્ચિયન હોય કે નાસ્તિક, આપણે સહુ પૂર્વગ્રહ વિના એકબીજાને પ્રેમ કરવા સર્જાયા છીએ. આપણા દિલમાં ભેદભાવ જન્મથી નથી મળતો, એ શીખવવામાં આવે છે.”
માનનીય ડેસમંડ ટુટુએ સનાતન સત્ય કેવા સરળ શબ્દોમાં આલેખ્યું! આ વાત દુનિયાના તમામ માનવીઓએ સમજવાની અને તે પ્રમાણે આચરણ કરવાની જરૂર છે. ઉમદા વિચારો વાળા, ઉદાર દિલના અનુભવવૃદ્ધ ડેસમંડ ટુટુએ જાહેર બાબતો વિષે મૌન ધારણ કરવાની લીધેલ પ્રતિજ્ઞાનો ભંગ કર્યો, કેમ કે મ્યાનમારની લઘુમતી કોમ રોહિંગ્યા મુસ્લિમ પર અત્યાચાર થઇ રહ્યો છે. તેમના દર્દની દવા મ્યાનમારની સરકાર, આંગ સાન સુ કી અને જગતના તમામ માનવતામાં શ્રદ્ધા ધરાવનાર નાગરિકો પાસે છે. આ દુનિયામાં જેનોસાઇડ અને એથનિક કલેન્સીંગ થતાં જ રહે છે.
હવે તો પેલા સાત ધર્મ પ્રવર્તકો સાત ખંડોમાં માનવ જાતને ધર્મને આધારે વહેંચી નાખે તેની જ રાહ જોવાની રહી કે શું?
e.mail : 71abuch@gmail.com