ભાજપ એક અર્થમાં કટોકટીરાજનું સંતાન હોય તો પણ સ્વરાજસંસ્કારનું એનું ટાંચું બરકરાર છે
ખબર નથી, એને એકોતેરમે વરસે સ્વરાજશુકન કહેશું કે બીજું કાંક: આમ તો પ્રસાર ભારતીના સોયનાકામાંથી ઊંટનાં ઊંટ નીકળી જતાં હશે, પણ ત્રિપુરાના માર્ક્સવાદી મુખ્યમંત્રી માણિક સરકારનો ઝીણો (જો કે તારસ્વરે સંભળાય એવો) સૂતરતાંતણો ન નીકળી શક્યો! આ લખું છું ત્યારે સાંભરે છે કે કટોકટીકાળે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈના વક્તવ્યની આગોતરી નકલ આકાશવાણીએ સ્ક્રીનિંગ માટે માગી માગી હતી. એ દિવસોમાં દેશમાં ગુજરાતની પ્રતિષ્ઠા સ્વાધીનતાના ટાપુ તરીકે હતી, અને એ પ્રતિષ્ઠાને શોભે તેમ મુખ્યમંત્રીએ આકાશવાણીથી પરહેજ કરવામાં સ્વરાજધર્મ જોયો હતો. ભાઈ, ત્યારે તો કટોકટી હતી. આજે આ એકોતેરમા સ્વરાજશુકન વિશે શું કહેવું, સિવાય કે અઘોષિત કટોકટી.
માણિક સરકાર એમના અધિકાર(અને કર્તવ્ય)ની રૂએ શું કહેવા માગતા હતા એની તપસીલમાં આપણે નહીં જઈએ. લાલ કિલ્લેથી ચાલતા દાવાકારણની મર્યાદાઓ જેમાં જણાઈ આવે એવી કેટલીક પ્રજાસૂય વાતો એમાં જરૂર હતી. પણ આપણે જો સમવાયતંત્ર હોઈએ તો રાજ્ય સ્તરેથી યથા પ્રસંગ અલગ સૂરને પણ અવકાશ તો રહેવો જ જોઈએ ને. મે 2014માં વર્તમાન કેન્દ્ર સરકાર રચાઈ ત્યારથી શીર્ષ સત્તાસ્તરેથી સહકારી સમવાય(કો-ઓપરેટિવ ફેડરલિઝમ)ની વાત થતી રહી છે. આ સહકારનો અર્થ, બંધારણીય મર્યાદામાં અલગ વાતને અવકાશ નહીં એવો તો ન હોઈ શકે.
મુદ્દે, નમો ભાજપ હસ્તક દેશ ‘સ્વરાજ’ની પરિભાષા સંબંધે કંઈક કશ્મકશ, કંઈક મંથન તો કંઈક સત્તાકારણના આટાપાટામાં અટવાયેલ છે. સન બયાલીસની પંચોતેરી બાકી દેશમાં માનો કે જેમતેમ ઉજવાઈવણઉજવાઈ પસાર થઈ ગઈ. પણ કેન્દ્રમાં, લોકસભાની વિશેષ બેઠકપૂર્વક એ એક ‘ઈવેન્ટ’ તરીકે ચોક્કસ ગજાવાઈ. સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચાને અંતે સમગ્ર ગૃહની લાગણી પ્રગટ કરતું જે નિવેદન ‘રાષ્ટ્રપિતા’ ગાંધીજીના વિશેષ ઉલ્લેખ સાથે વાંચ્યું તે સંઘ-જનસંઘ-ભાજપના મંચ પરથી વર્ષો લગી જે બધું કહેવાતું રહ્યું હતું એના મેળમાં નહોતું. સ્વાતંત્ર્યસંગ્રામથી ચોક્કસ ધોરણે દૂરી બનાવ્યા પછી હવે પાછોતરી અસર સાથે એમાં જોડાયેલા જાહેર થવાની કોઈ તાકીદ બાવા-હિન્દી ન્યાયે વરતાતી હશે? ન જાને.
જ્યાં સુધી માણિક સરકારના પક્ષ(સીપીએમ)નો સવાલ છે, તે કટોકટીના વિરોધમાં હતો, અને સીપીઆઈ ઈંદિરાજીની સાથે હતી. 1942માં તો એક જ સામ્યવાદી પક્ષ હતો, અને એ 1942માં બ્રિટિશ સરકાર સાથે હતો. એક અર્થમાં એમ.એન. રોય અને આંબેડકર વિશે પણ તમે એવું જાડું વિધાન કરી શકો. પોતાની સમજને ધોરણે હિંદુ મહાસભા અને આર.એસ.એસ. પણ ‘ક્વિટ ઈન્ડિયા’ આંદોલન સાથે નહોતા. ત્યારે હિંદુ મહાસભાના અગ્રણી (અને પછીથી જનસંઘના સ્થાપક) શ્યામાપ્રસાદ મુખર્જી પણ બંગાળમાં ફઝલુલ હકના મંત્રીમંડળમાં સહભાગી હતા.
અલબત્ત, આ દરેકનાં કારણો અને ગણતરીઓ જુદાં જુદાં હતાં. બીજા વિશ્વયુદ્ધમાં હિટલર સામે બ્રિટન અને બીજા લોકશાહી દેશોની લડાઈમાં સામ્યવાદી રશિયા પણ સત્તાવાર જોડાયું એથી બ્રિટિશ સરકાર સાથે ભારતમાં આઝાદીની ચળવળ વાટે સરકારને નબળી નહીં પાડતાં યુદ્ધ-યત્નમાં મદદરૂપ થવું એવી સામ્યવાદીઓની ભૂમિકા હતી. ક્રાંતિકારી એમ.એન. રોય રૂસી સામ્યવાદથી ક્યારનાયે અલગ થઈ ગયેલા હતા, પણ યુરોપીય રાજનીતિના એક અભ્યાસી ખેલંદા તરીકે એમને હિટલર અને નાઝી પરિબળોનાં આસુરી વલણોની પાકી ખબર હતી એટલે એના વિરોધમાં બ્રિટિશ યુદ્ધ-યત્નને મજબૂત કરવાની એમની ભૂમિકા હતી.
જ્યાં સુધી, હિંદુ મહાસભા અને આર.એસ.એસ.નો સવાલ છે, તેમને લાંબા સમય લગી હિટલર અને નાઝી વિચારનું એક આકર્ષણ રહેલું છે. બીજી બાજુ, ઘરઆંગણે હિંદુ રાષ્ટ્રની એમની ભૂમિકાથી વિપરીત ગાંધીનેહરુપટેલની ‘સૌના રાષ્ટ્ર’ની ભૂમિકા એમને આઝાદીના આંદોલનથી એકંદરે અંતરે રાખતી રહી છે. આંબેડકરને સમજવાની કોશિશ કરીએ ત્યારે લક્ષમાં આવતો મુદ્દો એ છે કે અંગ્રેજો ન હોય અને સ્વરાજ સરકાર કહેતાં સવર્ણ હિંદુસમાજને હવાલે દલિતો રેઢા ન મુકાય તે એમની ચિંતા હતી. આંબેડકરે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર રહીને મજૂર કાયદા વગેરેમાં લીધેલો પ્રગતિશીલ માનવતા અધિષ્ઠિત રસ, સ્વરાજ સરકાર વખતે ઠીક ઉપયોગી પણ થઈ પડ્યો હતો. 1942ના ‘હિંદ છોડો’ દિવસોમાં આજની ભાષામાં કદાચ એક જ પેજ પર જણાયેલા આ સૌની કુંડળી વાંચવાનો આશય આપણી હાલની સ્વરાજ-મીમાંસામાં વિચારણીય મુદ્દાઓ ખયાલમાં રહે તે છે.
‘મોદીજી ‘સ્વચ્છ’ ભારતની વાત કરે છે જ્યારે અમે ‘સચ’ ભારતની વાત કરીએ છીએ’ – રાહુલ ગાંધીના આ વાગ્મિતાપ્રહારથી વધુ ખેંચાઈ ગયા વગર આપણે 1942ની અલગ અલગ ભૂમિકાઓથી ઉફરાટે જોઈએ તો વડાપ્રધાનના લાલ કિલ્લા વક્તવ્યમાંના ત્રણ ઉદ્ગારો નમૂના દાખલ તરત સામે આવે છે: (ક) સૌ સરખા છે. (ખ) જેમણે દેશને ન ગરીબોને લૂંટ્યા છે તે અમારા રાજમાં ચેનની નીંદ સૂઈ શકતા નથી. (ગ) અમે ‘ભારત જોડો’માં માનીએ છીએ. એક રીતે, સગવડ ખાતર, આ ત્રણ વાનાંને આપણે એમની સ્વરાજની વ્યાખ્યા તરીકે ય ઘટાવી શકીએ.
હવે, આ ત્રણ વાનાં સામે વાસ્તવિક્તા શું છે તે ઉતાવળે જોઈએ. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં, રાજ્યમાં 19 ટકા મુસ્લિમો છતાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહીં આપીને વિજય હાંસલ કરી ભાજપે દર્શાવી આપ્યું કે અમે મુસ્લિમો વગર ચલાવી શકીએ છીએ. એટલે બહુમતી હાંસલ કરીને એમણે સૌના નહીં પણ બહુમતી કહેતાં મેજોરિટેરિયન નેશનલિઝમ ઉર્ફે આકાશમાં વિકાસની ખેતી અને જમીન પર કોમી ફસલની ફોર્મ્યુલાએ કામ લેવાનું નક્કી રાખ્યું છે. જ્યાં સુધી અમીરી-ગરીબીની ચર્ચાનો સવાલ છે, 2012-13થી 2015-16 દરમ્યાન ભાજપને મળેલો કોર્પોરેટ ફાળો ખાસો 750 કરોડ રૂપિયાથી વધુ છે … કોંગ્રેસ અને ભાજપ સહિત સર્વ પક્ષોને મળેલ કુલ રકમ(956 કરોડ રૂપિયા)નો સિંહ હિસ્સો! કોંગ્રેસ 198 કરોડ રૂપિયા સાથે બીજા નંબરે (જો કે ઘણા દૂરના અંતરે) છે. કોમી ધ્રુવણીકરણની એની તાસીરને ‘ભારત જોડો’ કોણ કહી શકે?
આ સ્વરાજ-ચર્ચા જરી ઉતાવળે સમેટતાં એટલું જ કહીશું કે ભાજપ એક અર્થમાં બીજા સ્વરાજનું, કટોકટીરાજ સામેના જનતા પર્વનું, સંતાન હોય તો પણ સ્વરાજ સંસ્કારનું એનું ટાંચું બરકરાર છે. કદાચ, પહેલું સ્વરાજ એ બીજું સ્વરાજ, એવી ચર્ચામાં અટવાઈ નહીં જતાં સ્વરાજની ચાલુ લડાઈના પરિપ્રેક્ષ્યમાં સૌને, રિપીટ, સૌને તપાસવાપણું છે … એકોતેરમે આવી મળેલો એજન્ડા સ્તો!
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : ‘કથની વિરુદ્ધ કરણી’, “દિવ્ય ભાસ્કર”, 19 અૉગસ્ટ 2017