હાવર્ડ યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમિક્સ’ના એડવર્ડ ગ્લેસર અને ડેવિડ કટલરે ‘સર્વાઇવલ ઑફ ધ સિટી’ નામક પુસ્તક લખ્યું છે. પોસ્ટ-પેન્ડેમિક પછી આ બંને લેખકોએ અનેક બાબતો નોંધી છે જે શહેરોનાં ભવિષ્ય માટે અગત્યની છે. શહેરો પર તોળાતી ભવિષ્યની મહામારીનું જોખમ અટકાવવું હશે તો પૂરા વિશ્વનાં સ્વસ્થતાના માપદંડ એક રાખવા પડશે – એમ આ બંને લેખકોનું માનવું છે. સૌને સ્વસ્થતા પ્રદાન થવી જોઈએ. આ ઉપરાંત જવાબદાર – યોગ્ય સરકાર સાથે તેઓ જાગ્રત નાગરિકોની સહભાગિતાની પણ જરૂર જૂએ છે અને જાગ્રત નાગરિકોને પણ કેટલીક જવાબદારી સાથે સત્તા આપવાનું સૂચન કરે છે. સૌથી અગત્યનું કે નવેસરથી શીખવા માટેની તૈયારી રાખવાનું પણ તેઓ સૌને જણાવે છે.
આ પુસ્તક સંદર્ભે હાલમાં ‘હાવર્ડ કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ’માં માસ્ટર ઇન પબ્લિક પોલિસીમાં અભ્યાસ કરતાં આરન પટેલે પુસ્તકના લેખક એડવર્ડ ગ્લેસરની મુલાકાત લીધી છે. આ મુલાકાત ‘સ્ક્રોલ.કોમ’ પર મુકાઈ છે. મુલાકાતમાં આરન પટેલ ‘સર્વાઇવલ ઑફ ધ સિટી’ પુસ્તક વિશે ગ્લેસરને પૂછે છે કે, શહેરોની ગીચતા જ ચેપી રોગને આમંત્રે છે અને તે શહેરોનું સર્વવ્યાપી લક્ષણ છે; તો ભૂતકાળમાં શહેરોએ ગીચતાના દાવાનળથી બચવા શું કર્યું છે અને ભવિષ્યમાં શું કરવું જોઈએ? આ પ્રશ્નના સંદર્ભમાં એડવર્ડ ગ્લેસર કહે છે : “પુસ્તકમાં આ વિશે મેં ઓગણીસમી સદીનો આધાર લીધો છે. અઢારમી સદી સુધીમાં સરકાર લોકોને મૃત્યુનાં બારણે લાવીને મૂકવા અર્થે અગત્યનો ભાગ ભજવતી હતી. આ ગાળા દરમિયાન જ વિશ્વના કેટલાક ભાગોમાં લોકોનો જીવ સુરક્ષિત થવો જોઈએ તેવાં પ્રયાસો થયા. આ સુરક્ષિતતા માટે અગત્યનું રોકાણ પીવાલાયક પાણી, નહેરો અને ગટરનિર્માણ ક્ષેત્રે થયું. આ રોકાણ સરળ કે સસ્તુ નહોતું. આ માટે ઘણી જગ્યાએ સરકાર પર લોકોનું દબાણ થયું અને તે રીતે શહેરોનું ચિત્ર બદલાયું. જેમ કે, અમેરિકાના ડો. સ્ટિફન સ્મિથ, જેઓએ ન્યૂયોર્ક શહેરમાં ગરીબ લત્તાઓને સ્વચ્છ કરવા માટે સરકાર પર દબાણ કર્યું. તેમણે જ ન્યૂયોર્ક શહેરમાં મેટ્રોપોલિટીન બોર્ડ ઓફ હેલ્થ બનાવડાવ્યું અને તેની અધ્યક્ષતા કરી, જેથી શહેરી લોકોનું સરેરાશ સ્વાસ્થ સુધરે.”
એડવર્ડ ગ્લેસર જે શહેરી વ્યવસ્થા ઊભી થઈ છે તેને લઈને પાણી વિશેની વાત ટાંકે છે. તેઓ કહે છે કે, “મેં સ્વચ્છ પાણીને લઈને ઝામ્બિયામાં કામ કર્યું છે અને ત્યાં પાણી માટે ગરીબ વર્ગ પાસે નાણાં માંગવામાં આવતાં. આ સમસ્યા સર્વવ્યાપી છે. સમૃદ્ધ એજન્સી જેની પાસે પાણી છે તે ગરીબ-વંચિત વર્ગ પાસે નાણાં માંગે છે. આ સ્થિતિ નિર્માય છે ત્યારે જે વર્ગને પૈસા આપીને સગવડ પોસાતી નથી ત્યારે તે ઉપલબ્ધ ગુણવત્તા વિનાનાં વિકલ્પને અપનાવે છે.” એડવર્ડ ન્યૂયોર્ક શહેરની ઘટના ટાંકીને જણાવે છે કે, “ન્યૂયોર્કમાં ગરીબ વર્ગ પાસે પાણીના પૈસા માંગવામાં આવ્યા ત્યારે તેઓએ પીવા માટે નજીકના કૂવા અને ટાંકીનો ઉપયોગ કર્યો અને એ રીતે કોલેરોનો ભોગ બનતાં રહ્યા. આ માટે એડવર્ડ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરે છે. એ રીતે ભારતનો દાખલો આપીને એડવર્ડ જણાવે છે કે, “બ્રિટિશ કાળ દરમિયાન અસમાનતાનો અંધારપટ હિંદુસ્તાનમાં પણ હતો. જેમ તે વખતે કોલેરાથી ન્યૂયોર્ક, લંડન અને પેરીસમાં લાખો લોકોના જાન કોલેરાએ લીધા તે જ કોલેરા ગંગાના પટ પર પ્રસર્યો અને પછીથી હિંદુસ્તાન ભરમાં લાખો લોકો તેનાથી માર્યા ગયા. ઓગણીસમી સદીના અંત સુધીમાં એ રીતે હિંદુસ્તાનમાં પ્લેગ આવ્યો અને લાખો લોકો તેના ભોગ બન્યા. 1918-19માં બ્રિટિશ સામ્રાજ્ય અર્થે જે હિંદુસ્તાની સૈનિકો ફ્રાન્સમાં લડતા હતા અને તેઓ જ્યારે દેશમાં પાછા ફર્યા ત્યારે ઇન્ફ્લૂએન્ઝા લઈને આવ્યા. ત્યારે પણ લાખો લોકો મર્યા. મહામારી દરમિયાન ભારતમાં મૃત્યુ આંક સૌથી વધુ જોવા મળે છે. આનું અગત્યનું કારણ કે ભારતમાં સ્વચ્છતા અર્થે જે માળખાગત સુવિધા નિર્માણ પામવી જોઈએ તે ન થઈ. અંગ્રેજો જે વિસ્તારમાં રહ્યા ત્યાં તેની વ્યવસ્થા થઈ, પરંતુ જ્યાં તેઓ ન રહ્યાં ત્યાં લોકોને સગવડ મળી રહે તેને લઈને માળખાગત સુવિધામાં રોકાણ ન થયું.”
એડવર્ડ તે પછી ભારતમાં અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે તે વિશે પોતાનો મત જણાવે છે. તેઓ કહે છે કે, “ભારતમાં અત્યારે જે માસ અર્બનાઇઝેશન થઈ રહ્યું છે તે ભવિષ્યમાં વધુ બહેતર બનાવવાની સંભાવના છે. અને તે વિશે સૌથી પહેલું પગથિયું બ્રિટિશ ટાઉન પ્લાનિંગના અયોગ્ય કાયદાઓને રદ્દબાતલ કરવાનું છે. આમ કરવાનું કારણ એ જ કે જે બાબત લંડન માટે યોગ્ય હોય તે મુંબઈ શહેરને નયે લાગુ પડે. બીજી અગત્યની બાબત એ છે કે શહેરનું આયોજન એ રીતે થવું જોઈએ જેથી ઓફિસ અને રહેણાંક વિસ્તાર એકમેકથી જોડાયેલા હોય. લાખો લોકો માટે શહેર રહેવાલાયક બનાવવું હશે તો તે એ રીતે નિર્માણ થવું જોઈએ કે લોકો ડ્રાઈવ કરે તે કરતાં ચાલતાં જ પોતાના કાર્યસ્થળે પહોંચે. મહામારી દરમિયાન ચાલવા કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સફર વધુ જોખમી બની હતી.
શહેરીવ્યવસ્થા વિશે એડવર્ડ એક પ્રશ્નમાં વધુ ઊંડાણમાં સમજાવતાં કહે છે કે, “ભારત જેવા વિકાસશીલ દેશોમાં જ્યારે હાઉસિંગ વિશે વિચારવાનું આવે ત્યારે તેમાં પશ્ચિમના સમૃદ્ધ દેશોની ટેકનોલોજી સાથે ગરીબ દેશોના ટેક્નોલોજીનો પણ ઉપયોગ થવો જોઈએ. હાઉસિંગમાં આ રીતે સમૃદ્ધ-ગરીબ દેશોની ટેક્નોલોજીનો ઉપયોગ એક સાથે થઈ શકે. પરંતુ જો ગટર કે પાણીની વ્યવસ્થા ગોઠવવી હોય તો તેમાં અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તે સગવડ સૌને કેવી રીતે મળે તેનું પ્રાધાન્ય હોવું જોઈએ. એ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ જો બસનો વિકલ્પ હોય તો પછી મોંઘી ટ્રેઇન નિર્માણ ન કરવી. બસ રેપિડ ટ્રાન્સિસ્ટ સિસ્ટમ સસ્તી છે, ફ્લેક્સિબલ છે, જ્યારે તેના પ્રમાણમાં રેલ ખૂબ મોંઘી ટ્રાન્સપોર્ટેશન છે. એ રીતે જે ચાલીછાપરાંના વિસ્તાર કેવી રીતે વધુ સ્વસ્થ, વધુ કાર્યક્ષમ અને પગપાળા ચાલનારાંઓ વધુ સગડવદાયક બને તે જોવાનું છે.
શહેરના પર્યાવરણને લઈને પણ એડવર્ડ કેટલાક ઉપાયો આપ્યા છે. ભારતમાં આ મુદ્દો ખૂબ પ્રસ્તુત છે. દિલ્હીની સ્થિતિ આજે આપણે જોઈએ છીએ, જ્યાં પ્રદૂષણના કારણે અંશત લોકડાઉન કરવાની સ્થિતિ આવી છે. આ માટે પણ તેઓ પૂરતા ગ્રીન સ્પેસની હિમાયત કરે છે. એડવર્ડના નિરીક્ષણ મુજબ ભારતના શહેરોમાં ગ્રીન સ્પેસની ખૂબ કમી છે. તે કહે છે કે ભારતમાં પાર્ક કે ગ્રીન સ્પેસમાં રહેવા માટે લોકો વધુ નાણાં ચૂકવે છે. પરંતુ શહેરોમાં એ હંમેશાં કાળજી રાખવાની હોય છે કે આવી ઓપન સ્પેસ ઉકરડો ન બની જાય. એડવર્ડ એ માટે પોતાનો જ દાખલો ટાંકે છે. તેઓ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તેઓ ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્કની નજીક રહેતા હતા. 1972 સુધી સેન્ટ્રલ પાર્ક જવું તે તેમના માટે આકર્ષણ હતું પણ 1980 આવતાં સુધીમાં તો તે એક જોખમી જગ્યા બની ગઈ.
આ ઉપરાંત પણ એડવર્ડ અને ડેવિડ કટલરે પુસ્તકમાં શહેરીજીવન સુધારવા માટે અનેક ઉપયોગી સૂચનો કર્યા છે. તેમાં સૌથી અગત્યનું છે તે હેલ્થ સિસ્ટમ. કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનના સિલિન્ડર માટે જે રીતે લોકોએ રઝળપાટ કરવી પડી તે ચિત્ર આંખ સામેથી હટતું નથી. સરકારે આ બાબતે યોગ્ય સમયે પગલાં લીધાં હોત તો તે રઝળપાટ ન થઈ હોત અને લોકોના જીવ બચાવી શકાત.
e.mail : kirankapure@gmail.com