સુરત મહાનગર છે અને મહાન નગર પણ છે. એની સાંઠ લાખથી વધારે વસતિ છે. ક્ષેત્રફળની ને વસતિની રીતે તે રાજકોટ, વડોદરા કરતાં વધારે અને ક્યાંક તો આડેધડ વિકસેલું શહેર છે, પણ કેન્દ્રનાં કે રાજ્યનાં પ્રધાનમંડળમાં તેનું પ્રતિનિધિત્વ સમ ખાવા પૂરતું પણ માંડ છે. સુરતને મેયર, પોલીસ કમિશનર, સાંસદો, ધારાસભ્યો છે, પણ આ શહેર અનાથ છે. આ તહેવારોનું, વહેવારોનું શહેર છે, પણ માથે આટલા સત્તાધીશો હોવા છતાં તેને સરાસર અન્યાય થતો રહ્યો છે. સુરત લહેરી છે એટલે અન્યાય વેઠીને પણ ધબકતું, મલકતું, રહ્યું છે.
કેન્દ્રમાં તો કોઈ મંત્રી સુરતનું નથી જ, રાજ્યમાં પણ એકાદ છે, પણ શહેરનું ભલું કરવામાં તે ખાસ સક્રિય નથી જ. સાંસદોમાં પણ એકાદ જ સજીવ છે, બાકીના કોઈ મંત્રી આવે ત્યારે ફોટા પડાવીને કે ખાતામાં પગાર પુરાવીને ખુશ છે. ધારાસભ્યોને પોતે ધારાસભ્ય છે એટલું યાદ હશે, બાકી પ્રજાને એમની જીવંતતાનો ખાસ અનુભવ નથી. મ્યુનિસિપલ કમિશનરે કોવિડ 19માં અંગત રસ લઈને, જે તે સ્થળે જઈને, માધ્યમો દ્વારા પ્રજાને અનેક રીતે સાવચેત કરી છે, પણ અપીલથી આગળ તો તેઓ પણ બહુ જઈ શક્યા નથી. આરોગ્યમંત્રી સુરતના છે, પણ તેમણે ઘરની બહાર ન નીકળીને, પોતાનું આરોગ્ય જાળવીને વગર રોગે પણ સેલ્ફ ક્વોરંટાઇનનો દાખલો બેસાડયો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધાંને ચૂંટણી સિવાય, પ્રજા અને તેના પ્રશ્નો બહુ યાદ આવતા નથી.
સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન આપવાની વાત હતી, એ દિશામાં કાગળ પર પ્રગતિ થઈ હોય તો પણ સુરતી પ્રજા રાજી થઈ જાય એવી છે. સુરત છેતરવા માટે અને છેતરાવા માટે જ છે, શું?
મુંબઈથી વડોદરા સુધીના રેલમાર્ગ પર દિલ્હી જતી રાજધાની એક્સ્પ્રેસ શરૂ થઈ ત્યારે વડોદરાને સ્ટોપેજ અપાયું, પણ સુરતને બાકાત રખાયું. જ્યારે આજની તારીખમાં પણ હકીકત એ છે કે એ રેલવે પટ્ટી પર સૌથી વધુ આવક રળી આપતું શહેર જ સુરત છે. એ પછી ઓગસ્ટક્રાંતિ ટ્રેન શરૂ કરવામાં આવી એમાં સુરતને સ્ટોપેજ અપાયું ને વડોદરાને તો અપાયું જ. એ ટ્રેન રાજધાની કરતાં વધારે સમય લે છે, એટલે આશ્વાસનથી વધારે એ કૈં નથી.
સુરતને એરપોર્ટ મળ્યું તે પણ આશ્વાસન જ છે. તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવાની જરૂર છે, પણ એમ થાય તો ટેક્સટાઇલના, હીરાના વેપારીઓ મુંબઈ સુધી લાંબા ન થાય ને મુંબઈનું મહત્ત્વ ઘટે. સુરત તો આગ-રેલની તકલીફો વેઠીને ટેવાઈ ગયેલું છે ને એનું આમ પણ કોઈ ધણીધોરી નથી તો સુરતને ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ ન મળે એ જ એની પાત્રતા છે, એવું નહીં? એમ તો સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ છે, પણ તે કદાચ ચેમ્બરમાં જ છે ને બીજા વેપારી મંડળો, સંઘો, ગ્રાહક સુરક્ષા જેવું પણ છે, પણ કદાચ એ બધાં એ પણ કૈં કહેવાનું નથી એટલે ચાલે છે.
સુરતનું દૂરદર્શન કેન્દ્ર દુખદર્શન જેટલું પણ મહત્ત્વ ધરાવતું નથી. એમ તો સ્થાનિક અને રાષ્ટ્રીય ચેનલોની સંખ્યા સુરતમાં ચાળીસથી વધારે છે, પણ તેમાંની બહુ ઓછી સ્વતંત્ર રીતે રાષ્ટ્રીય કે સ્થાનિક કક્ષાના કાર્યક્રમો કરી શકતી હશે. રાષ્ટ્રીય કે રાજકીય કક્ષાના સાહિત્યિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રોડ્યુસ કરવાની ક્ષમતા કદાચ કોઇની નથી. મોટે ભાગે તો પ્રતિનિધિઓથી જ કામ ચાલતું હશે. એવું જ છાપાંઓનું પણ છે. નાનાંમોટાં 60થી વધુ છાપાંઓ આ શહેરમાંથી નીકળે છે એમાં સુરતનું મહત્ત્વ આંકનારાં ઓછાં જ છે.
વારંવારની રજૂઆતો પછી સુરતને એફ.એમ. રેડિયો સ્ટેશન મળ્યું. એમાં એક તબક્કે સ્થાનિક સમાચારો પણ આવતા હતા. એ ઉપરાંત સ્થાનિક તેમ જ આસપાસના કવિઓ, લેખકો, નાટ્યકારો, સંગીતકારોના ઘણા કાર્યક્રમો આકાશવાણી, સુરત પરથી રજૂ થતા હતા, તેમાં વળાંક આવ્યો અને હવે સુરતને વિવિધભારતીની ચેનલ મળી છે. એમાં મોટે ભાગે મનોરંજક કાર્યક્રમો પ્રસારિત થાય છે ને તે લોકપ્રિય પણ છે, પણ એમાં લોકલ પ્રતિનિધિત્વ બહુ જ ઓછું છે. ફોન ઇન કે જયંતી કાર્યક્રમો પૂરતું સ્થાનિકોનું મહત્ત્વ છે, એ સ્થિતિમાં પણ “બોલતી ઇમારતો”, વાર્તા પ્રસ્તુતિના નોંધપાત્ર કાર્યક્રમો આકાશવાણીમાં થયા, પણ હવે લોકલ પ્રોડકશનની તકો ઓછી છે. રેડિયો નાટકો, સુગમ સંગીતના કાર્યક્રમો સ્થાનિક કક્ષાએ તૈયાર થઈ શકે એવી શક્યતાઓ નહિવત છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટને પ્રોડકશનની મુશ્કેલી નથી. તે એટલા માટે કે એને બે ચેનલો છે. પ્રાઇમરી અને વિવિધભારતી. સુરતને માત્ર વિવિધભારતી ચેનલ જ છે. પ્રાઇમરી ચેનલ ન હોવાને કારણે અહીં નાટકનો, સંગીતનો સ્ટુડિયો નથી. એ ન હોવાને કારણે નાટક કે સંગીતના કાર્યક્રમો થઈ શકતા નથી. પ્રશ્ન એ છે કે રાજકોટ, વડોદરા કરતાં સુરત નબળું શહેર છે? જો નહીં, તો એને પ્રાઈમરી ચેનલનો લાભ કેમ નહીં? સત્તાધીશો આ જોતા નથી. શું ન જોવું તે એ બરાબર જુએ છે. કોઈ પણ શહેરની બરાબરી કરી શકે એટલું કૌવત આ શહેરના કલાકારોમાં છે ને છતાં આ શહેરને જાણીજોઈને ડાબે હાથે ક્યાંક મૂકીને ભૂલી જવાયું છે. આ શહેરના કલાકારો પણ તૈયાર ભાણે બેસી આવે છે, પણ પ્રયત્ન કરીને હક માટે લડવાનું તેમણે ખાસ કર્યું નથી તે દુખદ છે.
સુરતમાં પોલીસ કમિશનર ઉપરાંત ટ્રાફિક અને ક્રાઈમના ખાસ પોલીસ કમિશનર પણ છે. આ ઉપરાંત પણ ઝોન પ્રમાણે કમિશનરો અને ઈન્સ્પેકટરો છે, છતાં સામાન્ય પ્રશ્નો માટે પણ રાહ જોવી પડે એ સ્થિતિ છે. ગોપીપરાથી નવસારી બજાર આવવું હોય કે નવસારી બજારથી ગોપીપરા જવું હોય તો સીધું જઈ શકાતું નથી. ગોપીપરાથી નવસારી બજાર જવું હોય તો પોલીસચોકીથી વળીને મઠ સુધી જવાનું ને ત્યાંથી યુ ટર્ન લઈને વળી નવસારી બજાર તરફ આવવાનું. આ કસરત કરાવવાનું કે હજારો લિટર પેટ્રોલ-ડીઝલ વાહનોમાં ફુંકાવવાનું કોઈ કારણ ખરું?
આવી જ તકલીફ અઠવાગેટ પાસે છે. ટી.એન્ડ ટી.વી. હાઈસ્કૂલથી ચોપાટી તરફ જવું હોય તો અઠવાગેટથી ડાબી તરફ ટર્ન લઈને રિંગરોડ તરફ “કંસાર” આગળથી જમણી બાજુ વળીને અઠવાગેટ આવવું પડે. આ એકાદ કિલોમીટરનો ચકરાવો જ આમ ત્રાસદાયક હતો અને હજારો લિટરનો ધુમાડો કરનારો હતો. તે ઓછો હોય તેમ અઠવાથી અઠવા જવા હવે છેક મજૂરા ગેટ સુધી જવાનું ને ત્યાંથી જમણી બાજુ વળીને ફરી અઠવા સુધી આવવાનું આયોજન સત્તાધીશોએ કર્યું છે. એમાં બુદ્ધિ સિવાય બધું જ છે. ખબર નથી પડતી કે આવું કરવાનો હેતુ શો છે? જો ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો હેતુ હોય તો પ્રદૂષણ વધે છે ને ઓઇલનો બગાડ થાય છે એનો વિચાર કરવાનો કે કેમ? નવસારી બજાર કે અઠવાની આ સમસ્યા ટ્રાફિક પોલીસ મૂકીને ઉકેલી શકાય એમ જ નથી કે ટ્રાફિક પોલીસ હવે ફક્ત મેમા ફાડવા પૂરતા જ ઉપયોગી છે તે નથી સમજાતું.
આટલી બધી તકલીફો થતી હોય ને તંત્રોને આંખ-કાન જ ન હોય એમ વર્તવાનું કેવી રીતે ફાવે છે?
આ શહેર વર્ષોથી અન્યાય સહન કરતું આવ્યું છે. રેવન્યૂ અને ટેક્સના રૂપમાં આ શહેર સરકારને ગૂંગળાઈ જાય એવી ધરખમ કમાણી કરાવે છે, પણ આ શહેરની સુવિધાની વાત આવે છે તો બધાં આંખ આડા કાન કરીને રહી જાય છે. આ શહેરને મેયર, કમિશનરો, સાંસદો, ધારાસભ્યો ને અનેક સેવાસંસ્થાઓની ભીડ છે, પણ એ બધાંને ચામડી જ ન હોય તેમ રૂંવાડું ય ન ફરકે ત્યારે પ્રશ્ન થાય કે આ શહેર નિર્જીવ છે કે એને ચલાવનારા તંત્રોમાં જીવ નથી? અનેક સંસ્કૃતિને આ શહેરે વિકસાવી છે, અનેક પ્રદેશના લોકોને આ શહેરે ઓટલો ને રોટલો આપ્યો છે, ગુજરાતનું એ આર્થિક અને સાહિત્યિક, કળાકીય કેન્દ્ર છે, એને ખાંજરે નાખતાં તમામ સત્તાધીશોનો જીવ કેવી રીતે ચાલે છે? કમસેકમ ખાઈએ તેનું ખોદવા જેવું ન થાય એટલું તો કરી શકાયને ! વફાદારી બહુ અઘરી બાબત છે,એવું નથી લાગતું?
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 નવેમ્બર 2020