Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9330524
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂક્ષ્મ વિજ્ઞાન

મનુબહેન ગાંધી|Gandhiana|14 September 2024

તા. ૩-૧-૪૭, શુક્રવાર, ચંડીપુર.

આજે રાતે બાપુજી બહુ વહેલા ઊઠ્યા હતા. સવાત્રણ વાગે ઊઠ્યા. દાતણ કરતાં કરતાં અમુક પ્રસંગને આધારે મને કહે : 

“મારું માનસશાસ્ત્ર વિજ્ઞાન એ છે કે, કંઈ પણ કામ આપણે કરીએ અને તેનું પરિણામ આપણે ધારીએ એવું ન આવે એટલે સમજવું કે એ દોષ આપણો છે. એનો આપણે સૂક્ષ્મતાથી વિચાર કરવો કે આમ કેમ ન થયું ? એનો જવાબ તારા મન પાસે શાંત ચિત્તે માગ. તને જવાબ મળ્યા વગર નહીં રહે. જો આટલી વિચારક તું થઈ શકે તો મારું કામ કેટલું દીપે ? તારે માટે આ બધું કપરું કામ છે, પણ પ્રયત્ન કરીશ તો બહુ સહેલું છે. 

બાપુ નોઆખાલીમાં

આપણે સહુ આપણા દોષ જોતાં જે દિવસથી થઈ જઈશું તે દિવસે આપણને આમ લડાઈઝગડામાં – ખૂનામરકીમાં પડવાનું નહિ સૂઝે; કેવળ દુનિયાનું ભલું શામાં છે એ જ સૂઝશે. આજે આપણાં મગજ નવરાં પડયાં છે. એકબીજાનો વાંક એકબીજા પર ઢોળીએ છીએ, એમ કહેવાનો મારો આશય નથી; પણ એ સ્વાભાવિકતાથી થઈ જાય છે. જેમ અગ્નિને અજાણ્યે હાથ અડશે તો ફટ લઈ લેશું; એમાં વિચાર કરવાની જરૂર નથી પડતી કે લઉં કે નહિ. તેમ અત્યારે જે અમાનુષી કામ ચાલી રહ્યું છે તે તો હવે જાણે કે સ્વાભાવિક થઈ ગયું ન હોય, એવું બની ગયું છે. પણ આની પાછળ એ વિચારવું જોઇએ કે શા માટે એક પણ હિંદુ એક પણ મુસલમાનને મારે કે એક પણ મુસલમાન એક પણ હિંદુને મારે ? 

આ તોફાનની જવાબદારી મારી દૃષ્ટિએ આખા હિન્દુસ્તાનની છે. દરેક હિંદી વિચારતો થઈ જાય કે મારું હૃદય કઈ તરફ છે ? શુદ્ધ છે કે અશુદ્ધ? પ્રત્યેક હિંદીને મારો ભાઈ માનું છું કે નહિ? જો એક પણ હિંદુ એમ ઈચ્છે કે મુસલમાન મરે તો સારું ખરું, અથવા એક પણ મુસલમાન એમ ઇચ્છે કે હિંદુ મરે તો સારું ખરું – પછી ભલે પોતે પ્રત્યક્ષ છરીઓ ન ભોંકતો હોય ! – પણ મનમાં એકબીજા એકબીજાનું બૂરું ઈચ્છે, તો હું કહું છું કે છૂરા ભોંકીને જે મારનાર છે તેના કરતાં આવા હલકા વિચારના જે છે તે વધુ ક્રૂર અને ઘાતકી છે, કેમ કે તેનું મન ગંદું બને છે. અને એ ગંદકીના વાતાવરણમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે રજકણો હોય છે તેને ફેલાવે છે. જેમ એક ઘરમાં કોઈક જાતની ગંદકી હોય –

એક ટી.બી. થયેલ માણસ હોય, કોઈ જાણતું ન હોય કે આ માણસને ખરેખર ટી.બી. થયો છે, અને કદાચ શરૂઆતમાં એ માણસેય ન જાણતો હોય કે મને ક્ષય જેવો રોગ છે. એ ગમે ત્યાં થૂંકે અને ગંદકી કરે. ધીમે ધીમે એની ઉપર માખી બેસે અને બીજે જંતુઓ ફેલાય. તારા શરીરમાં રોગની સામે લડનારાં જે જંતુઓ છે તે ઓછાં હોય છતાં ય તું સાજીસારી હો, પણ તારા ભાણા પર આ માખીઓ ક્યારે આવીને બેસી ગઈ હોય અને આ ઝેરી જંતુઓ ફેલાઈ ગયાં હોય તે તું પણ ન જાણતી હોય. પરંતુ તારા નબળા શરીરમાં આ ઝેરી ખોરાક જાય એટલે ક્ષયની ભોગી તું બનવાની જ.

જેવું આ સૂક્ષ્મ વિજ્ઞાન છે તેવું જ મનનું વિજ્ઞાન મારી દૃષ્ટિએ છે. આપણમાં કહેવત છે કે ‘મન ચંગા તો ઘેર ગંગા.’ આ મનને, વિચારોને, તું બારીકાઈથી તપાસજે. આ હું ઠપકારૂપે નથી કહેતો, પણ આપણા વિચારો શું રૂપ લે છે તે બતાવવાનો મારો પ્રયત્ન છે.”

દાતણ કરતાં કરતાં બાપુજીએ એક નાનકડી વાત પરથી આખા દેશના વાતાવરણમાં પણ આપણું મન, ઈચ્છા, કેટલો ભાગ ભજવે છે અથવા પ્રત્યેક માણસની જેવી ઇચ્છા, તેવું તેનું કાર્ય બને છે, તે વિષેની પોતાની વિચારમાળા મને કહી. અત્યારે હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય આવી ગયું છે, તેમાં બાપુજી દેશના પ્રત્યેક માણસના મનને વધુ જવાબદાર ગણે છે, તે સહેલાઈથી સાવ ગળે ઊતરે તેવી વાતો દાખલા સહિત કહી. 

બાપુજી તો આવી નાનકડી ગણાતી ભૂલો-કદાચ સામાન્યતઃ એને ભૂલો પણ ન કહી શકીએ તેવા પ્રસંગને પહાડ જેવી બનાવે છે. બાપુજી હંમેશાં કહે છે કે માણસે આગળ વધવું હોય તો પોતાની નાનકડી સરખી ભૂલને પણ પહાડ જેવડી બનાવી તેને સુધારી લેવી, જેથી ફરી કદી ય એવી ભૂલો ન જ થાય, આ વાત સાવ સાચી છે.

એ જ રીતે હિંદુસ્તાન અત્યારે નબળું છે. તેમાં રોગોની સામે લડનારાં જંતુ – વિચારક, નિ:સ્વાર્થી, સેવાભાવી, કુસંપ ન થાય તેવું ઈચ્છનારા બહુ ઓછા થઈ ગયા છે. અને મનસા, વાચા, કર્મણા જેવું ઇચ્છીએ કે કરીએ તેવું થાય છે.

‘બાપુનાં સંભારણાં’
સૌજન્ય નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

14 September 2024 મનુબહેન ગાંધી
← બકવાસ એ જ મુખવાસ !
ચલ મન મુંબઈ નગરી—264 →

Search by

Opinion

  • પ્રેમને મારી નાખતી સંસ્કૃતિને જ મારી નાખો
  • ધૂલ કા ફૂલ : હિંદુ-મુસ્લિમ એકતામાં યશ ચોપરાનો નહેરુવાદી રોમાન્સ
  • મોંઘા ગુલાબના ઉપવનો
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક
  • પૂજ્ય બાપુની કચ્છ યાત્રાની શતાબ્દી 
  • ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું?

Poetry

  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…
  • એક ટીપું

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved