સ્ત્રી સશક્તિકરણ :
અડધી વસતિ સ્ત્રીઓની છે, બાકીની વસતિ પુરુષોની છે, પણ પોણા ભાગની વસતિ સ્ત્રી પર શંકા કરતી હોય તો નવાઈ નહીં ! કહેવાનું તાત્પર્ય એ છે કે એ શંકા કરવામાં પુરુષો ઉપરાંત સ્ત્રીઓ પણ જોડાતી હોય છે. સ્ત્રી, સ્ત્રીની શંકાથી પણ પર નથી. કેમ થાય છે શંકાઓ ને શેની થાય છે? મોટા ભાગના સમાજો સ્ત્રીને કોઇની સાથે સંબંધ હશે, એ બાબતે શંકા કરતાં હોય છે. એમાં સ્ત્રી કુંવારી હોય કે પરણેલી કે વિધવા, શંકાથી પર નથી. સ્ત્રી કુંવારી હોય તો તેને કોઈ સાથે સંબંધ હશે કે પરણેલી હોય તો પતિ સિવાય કોઇની સાથે જોડાયેલી હશે કે વિધવા હોય તો કોઈ પુરુષને ચાહતી હશે – જેવું માની લેવામાં સમાજને બહુ વાંધો આવતો નથી ને એમ માની લેવામાં સ્ત્રીઓ પણ પાછળ નથી. જ્યારે વાસ્તવિકતા એ પણ છે કે નાની બાળકીથી માંડીને ડોશી સુધીની કોઈ પણ સ્ત્રી પુરુષના અત્યાચારનો ભોગ બનતી આવી છે ને પુરુષ ભાગ્યે જ એને માટે જવાબદાર ગણાતો હોય છે. સ્ત્રીનું જવું આવવું, તેનો પહેરવેશ, તેનો દેખાવ આ બધું જ પુરુષને આમંત્રણ આપે છે એવું મોટે ભાગે સમાજ માનતો હોય છે. એ વિચારીએ તો સ્ત્રીએ ઘરની બહાર જ ન નીકળવું એવો એનો અર્થ થાય, પણ ઘરની બહાર ન નીકળે તો સ્ત્રી સલામત છે એવું પણ નથી. આક્રમણ બહારથી જ થાય એવું ક્યાં છે? ઘરમાં પણ સ્ત્રીને સલામતીના પ્રશ્નો તો છે જ !
એ ખરું કે બધાં જ કુટુંબો આક્રમક છે એવું નથી. એ જ રીતે બહાર બધાં હુમલો કરવાની જ પેરવી કરે છે એવું પણ નથી. જેમ નબળું જગતમાં છે, એમ જ સબળું પણ આ જ જગતમાં છે. કોઈ હુમલો કરે છે તો કોઈ બચાવે પણ છે. એટલે આખું જગત નાહી નાખવા જેવું છે, એવું નથી. એ પણ છે કે સ્ત્રીનો પણ પુરુષ સાથેનો સહવાસ વધ્યો છે. તેને પણ પુરુષનો સાથ ગમે છે. તે પણ પુરુષને ઈચ્છે છે, જો કે, તેવી સ્ત્રીઓની ટકાવારી ઓછી છે. મોટે ભાગની સ્ત્રીઓ સંકોચશીલ, શરમાળ અને પુરુષથી દૂર ભાગનારી છે. નાનપણથી તેને પુરુષ જોખમી છે એવું ઠસાવાય છે. તેમાં ઘરની સ્ત્રીઓની હાલત તે જુએ જાણે છે. તે જાણે છે કે પિતા, ભાઈ કે જેઠ, દિયર … તેમની સ્ત્રીઓને શું વિતાડે છે ! ખૂણે રડતી સ્ત્રીઓથી તે અજાણ નથી. આ સ્થિતિ તેને પુરુષથી વધારે દૂર કરે છે. તે પુરુષની મૈત્રી કે પુરુષને ચાહવાનું વિચારી પણ શકતી નથી. પુરુષથી તે ડરતી, ગભરાતી રહે છે. પુરુષને માટે તેના પૂર્વગ્રહ વધતા આવે છે ને લગ્ન માત્રથી તેને નફરત થવા લાગે છે. જેમનાં લગ્ન થયાં છે તેમની હાલત તે ઘરમાં જ જોઈ ચૂકી છે. લગ્ન આનંદની નહીં, પણ દુ:ખદ ઘટના છે એવું તે માનવા લાગે છે. જો તે આર્થિક રીતે પગભર ન હોય તો નાછૂટકે પરણે છે. એ લગ્ન, પ્રેમલગ્ન હોય કે કુટુંબે ગોઠવેલાં હોય તો તે એમ માનીને પરણે છે કે તેણે પતિને માથે પડવાનું છે ને તેનાં સંતાનોને ઉછેરી આપવાનાં છે ને એના બદલામાં સાસરું તેને ઓટલો ને રોટલો પૂરું પાડવાનું છે. એમાં જો સાસરું સમજનારું મળ્યું તો આનંદ ને નહીં તો માથે હાથ દઈને જિંદગી કાઢી નાખવાની છે. એ પણ છે કે કેટલીક સ્ત્રીઓ ઈચ્છા છતાં પરણી શકતી નથી. મા ગુજરી ગઈ હોય ને પિતા બીજા લગ્ન કરી શકે એમ ન હોય એ સ્થિતિમાં, કુટુંબની મા, એ ઘરની મોટી દીકરી બનતી હોય છે. નાનાં ભાઈબહેનોને મોટાં કરવામાં તેની ઉંમર નીકળી જાય છે ને જો તે કમાતી હોય તો કોઈ ઇચ્છતું નથી કે તે પરણે. કુટુંબ એટલું સ્વાર્થી થઈ જતું હોય છે કે દીકરીની કમાણી ગુમાવવા તે તૈયાર નથી, ભલે એ નિમિત્તે દીકરી પરણ્યા વગર જ એકલી રહી જતી !
આ તો જે ઘરેલુ સ્ત્રીઓ છે તેની વાત થઈ, પણ જે આર્થિક રીતે પગભર છે ને શિક્ષિત અને સ્વમાની છે તે સ્ત્રીઓ કેવું વિચારે છે તે જોઈએ. આવી સ્ત્રીઓનો એક વર્ગ એવો છે જે નોકરિયાત છતાં પરણે છે ને આર્થિક રીતે તે ઘરને મદદરૂપ પણ થાય છે, તો ય તે સુખી નથી, કારણ પતિ અને સાસરું તેનાં પર થાય એટલાં જુલમો કરે છે. તેને કોઈ રીતે સાસરે રહેવા જેવું લાગતું નથી, છતાં તે સાસરું છોડતી નથી, કારણ તે જાણે છે કે જો તે એકલી રહેવા તૈયાર થઈ તો આ સમાજ તેને વધારે વીતાડશે. એટલે સાસરે રહેવા જેવું ન હોવા છતાં તે ઘર છોડતી નથી, કારણ એકલી રહેતાં તે સમાજથી ડરે છે. લોકો ટીકા કરે તેનાં કરતાં તે બધું વેઠીને સાસરે પડી રહે તે તેને વધુ ડહાપણ ભરેલું લાગે છે.
બીજી તરફ એવું પણ છે કે ઘરમાં જો તે પોતાની રીતે જીવી શકે એટલું કમાતી હોય તો તે લગ્નને એકાએક સ્વીકારવા રાજી થતી નથી. તે કોઈને ચાહતી હોય કે કુટુંબ સારું ઘર શોધી આપે તો પરણે છે, પણ જે સ્વતંત્ર રીતે કોઈ સંસ્થા ચલાવતી હોય ને સારું કમાતી હોય તો લગ્ન તેને પતિની ને સાસરાની ગુલામી કરવા જેવું લાગે છે. આવામાં તે પરણવા કરતાં એકલાં રહેવાનું વધારે પસંદ કરે છે. તેને પુરુષ સામે વાંધો છે એવું નથી. તેને લગ્ન નિમિત્તે ઊભી થતી જવાબદારી અને શોષણ સામે વાંધો છે. તે પુરુષ સાથે મૈત્રી રાખે છે, પણ પરણતી નથી. આ ગર્લ ફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો જમાનો છે. ઘણાંને એટલાથી જ ચાલી જાય છે. આ સગવડ હોય તો લગ્ન જરૂરી ન લાગે એમ બને. એ જ કારણે ઘણાં એકલાં રહેવાનું સ્વીકારે છે અથવા તો મોડેથી પરણે છે. આવું કૈં ન હોય તો પણ કેટલીક સ્ત્રીઓ એકલાં રહેવાનું પસંદ કરે છે. જો કે, સમાજને તો એકલી રહેતી સ્ત્રી, ઉપેક્ષા કે અપમાનનાં અનેક કારણો આપે છે. પુરુષ એકલો રહે તો તેની સામે ભાગ્યે જ આંગળી ચીંધાતી હશે, પણ સ્ત્રી એકલી રહે છે તો સમાજના ઠેકેદારોને સંભળાવવાનું બહાનું મળી જાય છે. સ્ત્રી પુરુષના છત્ર વગર જીવી જ કેવી રીતે શકે એ પ્રશ્ન સમાજને મૂંઝવે છે. આ બરાબર નથી. દરેકને પોતાની જિંદગી, પોતાની રીતે જીવવાની છૂટ હોય તો સ્ત્રી પણ તેમાંથી બાકાત ન હોવી જોઈએ. કોઈને પરણવાનું ગમે ને પરણે એમ જ કોઈને એકલાં રહેવાનું ગમે ને ન પરણે એ શક્ય છે. જો લગ્નની છૂટ છે તો એકલાં રહેવાની છૂટ પણ હોવી જોઈએ. સમાજમાં લગ્નોનાં પરિણામો જોયાં હોય ને કોઈને લગ્ન કરતાં એકલાં રહેવામાં વધારે સલામતી લાગતી હોય તો તેવી વ્યક્તિનાં એકલાં રહેવાનાં નિર્ણયનો વાંધો ન હોવો જોઈએ.
કેવી સ્ત્રીઓ એકલી રહે છે? જેનાં લગ્ન ન થયાં હોય, જેનાં છૂટાછેડા થયા હોય કે જે વિધવા હોય કે જેણે સંસાર છોડી સાધુત્વ સ્વીકાર્યું હોય, તેવી સ્ત્રીઓ ઘણુંખરું એકલી રહેતી હોય છે. સાધ્વીઓનું એકલાં રહેવું વગોવાતું હોય તો અન્ય સ્ત્રીઓનું એકલાં રહેવું ચર્ચાનો વિષય ન બને તો જ આશ્ચર્ય થાય. નોકરીને કારણે કે છૂટાછેડાને કારણે કે વૈધવ્યને કારણે કોઈ સ્ત્રી એકલી રહેતી હોય તો તેનાં તરફ માનથી બહુ જોવાતું નથી. તે કૈંક ખોટું કરતી હશે એવી નજરે જ તેને જોવાય છે. એની જિંદગીની અંગતતા જળવાતી નથી. એકલાં રહેવાનો નિર્ણય તેનો છે તો તે નિર્ણયને માન્ય રખાવો જોઈએ. તેને બદલે તે ખોટું કરે છે કે ખોટું કરશે તેવી આશંકાથી જોવાનું વલણ ફેરવિચારણાને પાત્ર છે. તેને માનની નજરે જોવાને બદલે, તેની એકલતાનો લાભ લેવાનું વિચારાતું હોય છે. આ ઠીક નથી. તેને એકલી ન રહેવા દેવી ને એકલી રહે તો તેનો લાભ લેવો એ માનસિકતા યોગ્ય નથી.
એકલી સ્ત્રી કોઈ ઉપદ્રવ ન કરતી હોય તો તેને એકલી રહેવાનો અધિકાર હોવો જોઈએ, પણ સમાજ એકલી સ્ત્રીથી ડરે છે. ડરે છે એટલે કે તેને ભય છે કે એકલી સ્ત્રી, કોઈનો પતિ છીનવીને તે પરિણીતાનો સંસાર ભાંગશે. કોઈ કાળે એવું બન્યું પણ હશે, પણ તેથી બધી એકલી સ્ત્રીઓ એમ જ કરશે એમ માનવું ભૂલ ભરેલું છે. હવેનો સમાજ વધુ જટિલ થયો છે. એકલી સ્ત્રી જ ઘર ભાંગે છે એવું નથી. પરિણીત સ્ત્રીઓ કુંવારા પુરુષોને કે પરિણીત પુરુષોને આકર્ષે તેની નવાઈ રહી નથી. વ્યવસાય કે નોકરીને કારણે સ્ત્રીઓ ઘરથી દૂર રહેતી થઈ છે. એ ગાળા દરમિયાન તે પરિણીત હોય કે કુંવારી, કુંવારા કે પરિણીત પુરુષોની નજીક આવતી હોય છે. એવે વખતે બંને અપરિણીત હોય તો, તો પરણવાથી ઉકેલ આવી શકે, પણ બંને પરિણીત કે બેમાંથી એક પરિણીત હોય તો મુશ્કેલીઓ વધે છે. એવે વખતે સ્ત્રી એકલી હોય કે બેકલી, સમસ્યા તો ઊભી થાય જ છે.
સ્ત્રી એકલી રહે તે ઘણાંને નથી ગમતું તો તે પરણે તો ય તેને શાંતિથી રહેવા નથી દેતાં. બનવું તો એવું જોઈએ કે સ્ત્રી પરણે કે એકલી રહે તે તેનો નિર્ણય છે ને એ નિર્ણય તેણે પૂરી સમજદારીથી, વિચારીને ને સ્વસ્થતાથી લીધો હોય તો તેને શંકાથી જોવાને બદલે, આવકારવો જોઈએ. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com