ખબર આવ્યા છે કે ભારતમાં મળી રહેલી ગ્રુપ ૨૦ની પરિષદમાં ચીનના વડા શી ઝિંગપીંગ હાજર રહેવાના નથી. તેમની જગ્યાએ ચીનના વડા પ્રધાન આવવાના છે અને ચીનના સત્તાકીય માળખામાં અધ્યક્ષ તેમ જ ચીની સામ્યવાદી પક્ષના મહામંત્રી સિવાય બીજા કોઈની ખાસ કિંમત નથી. શી ઝિંગપીંગ બન્ને છે. ચીને શી શા માટે હાજર રહેવાના નથી, એનું કોઈ કારણ આપ્યું નથી, માત્ર એટલું કહ્યું છે કે ભારત-ચીન સંબંધો વિષે ચીનના પ્રવક્તાએ કહ્યું હતું કે તે એકંદરે સ્થિર (stable on the whole) છે. ચીનના પ્રમુખ અત્યાર સુધી કોઈ બેઠકમાં ગેરહાજર રહ્યા હોય એવું બન્યું નથી. તેમની તબિયતનું કારણ પણ આપવામાં આવ્યું નથી અને અઠવાડિયા પહેલાં તેઓ બ્રિકસ દેશોની પરિષદમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા ગયા હતા.
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી દરેક વખતે ઘરણ ટાણે સાપ કાઢવાની ચીનની નીતિ છે. ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં તેઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એ જ વખતે ચીની સૈનિકોએ લદાખમાં પ્રવેશ કર્યો હતો. તેઓ અમદાવાદમાં હિંચકે બેસીને ઢોકળા ખાતા હતા અને ચીનાઓએ લદાખમાં ઘૂસીને કેટલોક પ્રદેશ કબજે કર્યો હતો. એ પછી દરેક વખતે બે નેતાઓને મળવાનું થાય ત્યારે ચીન ભારતને દબાવવા અને શરમમાં મૂકવા કાંઈકનું કાંઈક કરે છે. હજુ હમણાં દક્ષિણ આફ્રિકામાં બ્રિકસ નિમિત્તે મોદી-શી મળવાના હતા ત્યારે એ જ સમયે ચીને તેના નવા નકશા રિલીઝ કર્યા હતા અને તેમાં અરુણાચલ પ્રદેશ, લડાખ અને સિયા ચીનનો પ્રદેશ ચીનનો બતાવ્યો છે. આ બાબતે ભારતમાં જેટલો વિરોધ થવો જોઈએ, જેટલો ઊહાપોહ થવો જોઈએ એ નથી થઈ રહ્યો. ગોદી મીડિયાઓ અને દેશપ્રેમીઓ નજર ફેરવી લે છે. ચીન ગણતરીપૂર્વક જાણી જોઇને ભારતની આ અવસ્થાનો લાભ લઈ રહ્યું છે અને ભારતની ટિપીકલ અવસ્થા જગત સમક્ષ ઉજાગર કરી રહ્યું છે.
શી છે એ અવસ્થા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમ ઈચ્છે છે કે તેઓ પોતે અને તેમના વડપણ હેઠળ ભારત આ જગતમાં પાંચમાં પૂછાય. પણ એને માટે બે માર્ગ છે અને એ બન્ને માર્ગ અલગ અલગ છે અને એકબીજાથી વિરુદ્ધ દિશાના છે. કાં ચીન જેવા લોંઠકા બનો અને કાં અત્યાર સુધી ભારત જે પ્રતિષ્ઠા ધરાવતું આવ્યું છે એવા સભ્ય, સંસ્કારી, ડાહ્યાડમરા બનો. હજુ એક ત્રીજો માર્ગ પણ છે પરંતુ ભારત એ માર્ગ ચૂકી ગયું છે અને હવે પાછા ફરવામાં ઘણું મોડું થઈ ગયું છે. ભારતે કરેલી એ મોટામાં મોટી ભૂલ હતી.
૧૯૯૦માં ભારત અને ચીન આર્થિક મોરચે લગભગ એક સરખી સ્થિતિમાં હતા. આજે ચીન ભારત કરતાં છ ગણું આગળ છે. ચીન જેમ જેમ આર્થિક સરસાઈ મેળવતું ગયું તેમ તેમ તેણે લશ્કરી સરસાઈ મેળવવાનો પણ પ્રયાસ શરૂ કર્યો હતો. જેમ જેમ આર્થિક અને લશ્કરી સરસાઈ મેળવતું ગયું તેમ તેમ તેણે તેનો પ્રભાવ વિસ્તારવાનું પણ શરૂ કર્યું હતું. અમેરિકાને કે પશ્ચિમના દેશોને પડકારીને નહીં, પણ નાના નાના દેશોને આર્થિક, લશ્કરી અને મુખ્યત્વે માળખાંકીય વિકાસમાં મદદ કરીને. ભારતના દરેક પાડોશી દેશમાં ચીન હાજરી ધરાવે છે. બંગલાદેશમાં વિરાટ કદની પદ્મા નદી ઉપર પૂલ બાંધવાની તજવીજ બંગલાદેશ પૂર્વ પાકિસ્તાન હતું ત્યારથી ચાલતી હતી, પણ આર્થિક અને માળખાંકીય ઉણપને કારણે પૂલ બાંધી શકાતો નહોતો, ચીને બંગલાદેશમાં દાખલ થઈને પાંચ વરસમાં પૂલ બાંધી આપ્યો.
ચીને ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે સમજૂતી કરાવી અને વિસ્તારિત કરવામાં આવેલા બ્રિકસમાં એ બન્ને દેશોને પ્રવેશ અપાવ્યો. એક સમયે ઈરાન અને સાઉદી વચ્ચે સમજૂતી કરાવવાની અપેક્ષા ભારત પાસેથી રાખવામાં આવતી હતી, કારણ કે ભારત મોટી સંખ્યામાં શિયા અને સુન્ની મુસલમાનોની વસ્તી ધરાવે છે અને એ બન્ને દેશો સાથે સાંસ્કૃતિક સેતુ છે. એની જગ્યાએ ચીને સમજૂતી કરાવી! એ અણધાર્યી ઘટના હતી. આ સિવાય ઈજીપ્ત, આર્જેન્ટીના, ઇથોપિયા અને સંયુક્ત આરબ આમિરાતને પણ બ્રિકસમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને એ બધા દેશોમાં ચીન હાજરી ધરાવે છે. ચીન અમેરિકા અને બીજા પહેલી હરોળના દેશોને પડકાર્યા વિના બીજી હરોળના દેશોને આર્થિક, લશ્કરી અને માળખાંકીય મદદ કરીને પોતાની પાંખમાં લઈ રહ્યું છે. પહેલી હરોળના દેશોને પડકારવાની ભૂલ રશિયાએ કરી હતી અને હજુ કરી રહ્યું છે, ચીને સાવ અલગ જ માર્ગ અપનાવ્યો.
સવાલ એ છે કે શું ચીને આ બધું રાતોરાત કર્યું? ભારતને અને જગતના દેશોને ખબર નહોતી કે ચીન કયો માર્ગ અપનાવી રહ્યું છે અને કઈ દિશામાં આગળ વધી રહ્યું છે? આ લખનાર જેવા ટાંચી માહિતી ધરાવનારા અને વિદેશનીતિની સામાન્ય સમજ ધરાવનારાને આ વાતની બે દાયકાથી જાણ છે તો જગતમાં શું ચાલી રહ્યું છે તેની રજેરજ માહિતી ધરાવનારા વિદેશ મંત્રાલયને ચીન શું કરી રહ્યું છે તેની જાણ ન હોય એવું બને? આ સિવાય ભૌગોલિક રીતે ચીન ભારતનો પાડોશી દેશ છે, વણઉકલ્યા સરહદી પ્રશ્નો છે, એક વાર યુદ્ધ થઈ ચુક્યું છે એની આપણને જાણ નહોતી? એ વાતની પણ આપણા શાસકોને જાણ નહોતી કે જગત ૨૧મી સદીમાં ભારતને ચીનના સમકક્ષ દેશ તરીકે જોઈ રહ્યું છે, ખુલ્લો સમાજ અને લોકતાંત્રિક દેશ હોવાને કારણે તેઓ ભારતને વધારે ભરોસાપાત્ર દેશ તરીકે જોઈ રહ્યા છે અને ચીનના હરીફ તરીકે ભારતને દરેક રીતે મદદ કરવા આતુર છે? બધાને બધી જ ખબર હતી. ભારતને દરવાજે ભાગ્યે જ મળતો સુવર્ણ અવસર ઊભો છે એની પણ જાણ હતી.
પણ આજે એ એક હકીકત છે કે ભારત પાછળ રહી ગયું છે. મામુલી પ્રમાણમાં નહીં, જોજનો પાછળ રહી ગયું છે. આપણી નજર સામે ચીને લશ્કરી તાકાત વધારવા માંડી અને બીજી હરોળના દેશોમાં પ્રવેશ કરવા માંડ્યો.
શા માટે આમ બન્યું? ક્યાં થાપ ખાધી?
આનો પ્રામાણિક ઉત્તર એ છે કે રાષ્ટ્રીય ઈચ્છાશક્તિનો અભાવ હતો. ૧૯૯૧માં આર્થિક સુધારાઓ કર્યા પછી વહીવટી સુધારાઓ કરવા જોઈતા હતા, માળખાંકીય સુધારાઓ કરવા જોઈતા હતા, કાનૂની સુધારાઓ કરવા જોઈતા હતા, સંસદીય કામકાજમાં સુધારા કરવા જોઈતા હતા, રાજકીય અને ચૂંટણીકીય સુધારા કરવા જોઈતા હતા જે સમયસર થઈ શક્યા નહીં અથવા કરવામાં ન આવ્યા અથવા તમે એમ પણ કહી શકો કે સ્થાપિત હિતોએ કરવા નહીં દીધા. ૧૯૯૧ પછી માત્ર એક દાયકામાં કોર્પોરેટ કંપનીઓએ અને ક્રોની કેપિટાલિઝમે રાજકીય પક્ષો પર અને રાજ્ય પર કબજો જમાવી દીધો. ડૉ. મનમોહન સિંહ જેવા વિદ્વાન, સ્વચ્છ અને ભલા માણસ પણ એ કામ ન કરી શક્યા. માત્ર એક ઉદ્યોગપતિ કેટલી તાકાત ધરાવે છે એ તો તમારી નજર સામે છે.
યુ.પી.એ. હોય કે એન.ડી.એ. હોય, જે વિરોધ પક્ષમાં હોય એ સંસદ ચાલવા ન દે. કામકાજ કરે તો ચીનની બરાબરી કરી શકાય એવી સજ્જતા વિકસેને! કેટલીકવાર તો શાસક પક્ષ સંસદ ચાલવા ન દે જે આજે જોવા મળી રહ્યું છે. આની પાછળ ટૂંકો રાજકીય સ્વાર્થ હતો કે સ્થાપિત હિતો એ કહેવું મુશ્કેલ છે.
અને ત્રીજું કારણ હિંદુત્વનું રાજકારણ. ૧૯૯૧ પછી વૈશ્વિક રાજકારણે દિશા બદલી અને આપણે ત્યાં એ જ સમયે હિંદુ-મુસલમાન શરૂ થયું. ચીન ભલે સરહદે ચડી બેસે પણ ગરીબ બિચારા ગફુરનું નખોદ વળવું જોઈએ. હોવી જોઈતી બાહ્ય હરીફાઈની જગ્યા આંતરિક વિખવાદે લઇ લીધી.
ટૂંકમાં અત્યંત મૂલ્યવાન નિર્ણાયક સમય ભારતે ગુમાવી દીધો અને ૧૯૯૦માં સાવ લગોલગ હતા એ ભારત અને ચીનમાં ચીન ક્યાં ય આગળ નીકળી ગયું. આ રોકડું સત્ય છે.
ચીનને ખબર છે કે ભારતના વડા પ્રધાન મહત્ત્વાકાંક્ષી છે, તેઓ પોતે અને ભારત પાંચમા પૂછાય એવું ઈચ્છે છે અને માટે ચીન નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી દરેક વખતે ઘરણ ટાણે સાપ કાઢે છે. ચીન કબજે કરેલી ભારતની ભૂમિ ખાલી કરતું નથી. ક્યારેક ભારત વિરોધી વક્તવ્યો આપે, ક્યારેક નકશા રીલિઝ કરે, ક્યારેક સેટેલાઇટ ઇમેજીઝ રીલિઝ કરે અને એ બધું જાણીબૂઝીને ત્યારે જ કરે જ્યારે કોઈ મોટી ઘટના બનવાની હોય.
તો શું ચીનને આંબી જ ન શકાય? આંબી શકાય પણ એ માટે રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ, દેશહિત સામે પક્ષ અને સત્તા ગૌણ ગણવા જોઈએ અને દેશમાં સંપ હોવો જોઈએ. રાષ્ટ્રીય વિમર્શ અને એજન્ડાનાં કેન્દ્રમાં હિન્દુ-મુસ્લિમ નહીં, પણ ચીન અને વિકાસ હોવા જોઈએ.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2023