શિકાગો ખાતે 1884માં સંગઠિત વ્યાપાર સંઘ અને મજૂર મંડળની (Federation of Organised Trades and Labour Unions) પરિષદમાં ઠરાવાયું હતું કે પહેલી મે, 1886એ તેમ જ ત્યાર બાદ શ્રમિક માટે 8 કલાકનું કામ કાયદાકીય રીતે એક દિવસનું કામ ગણાશે. 135 વર્ષ બાદ મુંબઈમાં બાંધકામ કરતા કડિયા સાથે કામ કરતો એક શ્રમિક પહેલી મેના થોડા દિવસ પહેલાં 1,400 કિલોમીટરની પગપાળા મુસાફરી કરી ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં તેના વતન મથકન્વા ગામમાં પહોંચે છે. તેને અલગ રખાય છે અને ત્યાં જ તે મરણને શરણ થાય છે. ભાગ્ય તો જુઓ! માતા-પિતાએ તેનું નામ પાડ્યું હતું ઇન્સાફઅલી. અલીના અંદાજ અનુસાર, બાકી રહેલા પાંચ હજાર રૂપિયા તેને માયાનગરી મુંબઈમાં તાળાબંધી બાદના સપ્તાહો દરમિયાન ટકી રહેવા સારુ પૂરતા ન હતા. આ એક જ અલી સરકાર અને સમાજ પાસેથી ઇન્સાફ માગી રહ્યો નથી. એ તો તનતોડ મજૂરી કરીને પેટિયું રળતા લાખો મજૂરોની દર્દનાક હાલત અને તેમની યાતનાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
મે માસના પ્રારંભે બે પ્રશ્ન આપણી સહુની સમક્ષ વિકરાળ જડબાં ફાડીને ઊભાં છે : હિંદુસ્તાનમાં આજે શ્રમિક ક્યાં છે અને જાતમહેનતનું, બીજા શબ્દોમાં, શ્રમનું ગૌરવ ક્યાં અદૃશ્ય થયું છે? બીજો મુદ્દો, જાન સાથે જહાનનો. અર્થકારણનું શું કરીશું?
અમેરિકામાં 1884માં થયેલી ઐતિહાસિક ક્રાંતિ બાદ વ્યાપાર અને શ્રમિક સંઘો ફૂલ્યા-ફાલ્યા. હિંદુસ્તાનના વ્યાપાર અને મજૂર સંઘોના ઇતિહાસમાં ભરતી-ઓટ આવ્યાં છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનાં ઉત્પાદનમાં સંગઠિત શ્રમનો હિસ્સો 20 ટકાથી વધ્યો ન હોવાનું દર્શાવતા અર્થશાસ્ત્રીય અભ્યાસોથી અલમારીઓ ભરાઈ ગઈ છે. અસંગઠિત તથા સ્વ-રોજગાર કરતા શ્રમને ગતિશીલ કરવા અંગે અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે. આ સંદર્ભે કેટલાક પ્રશંસનીય પ્રયાસ પણ થયા છે. સ્વ-રોજગાર મહિલાઓનું મંડળ (SEWA) અને ગ્રામીણ બેન્ક જેવા પ્રયાસોની જગતે નોંધ લીધી છે. પરંતુ આઝાદ હિંદુસ્તાનમાં શારીરિક શ્રમ કરનારની ઓળખ વ્યક્તિ તરીકેની નહીં, માત્ર મજૂર તરીકેની છે. આ મજૂર માટે કોને નિસબત છે? જાણીતા કવિ દુષ્યંત કુમારના શબ્દોમાં, યે જિસમ બોજ સે ઝૂક કર દુહરા હુઆ હોગા / મૈં સજદેમેં નહીં થા, આપકો ધોકા હુઆ હોગા. (લદાયેલા ભારથી શરીર બેવડ નમી ગયું હતું; તમને ગેરસમજ થઈ હશે, પણ હું પ્રાર્થના કરતો ન હતો.)
બે દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ગયો, પણ તેની ઉજવણી કેવી? શહેરો અને નગરોમાં બાંધકામ, ઉત્પાદન પ્રક્રિયામાં વિના અવાજે કામ કરીને વસ્તીને જીવાડનારા અને સમૃદ્ધ કરી હિંદુસ્તાનને નંબર વન બનાવવા કુલ રાષ્ટ્રીય પેદાશમાં વધારા માટે ગૌરવ અપાવનારા કરોડો હાથ આજે ગલીઓ, ખખડી ગયેલાં ઝૂંપડાં, વણવપરાયેલાં મકાનોમાં સુસ્ત થઈ પડ્યા છે. સવારના છ અને બપોરના ચાર વાગ્યાની ધખતી ધરા પર કોઈ છત્ર કે છાયા વિના અન્ન માટે કતારમાં ઊભેલા શ્રમિકને આ ભોજન બપોરે બાર અને સાંજે સાત કલાકે પણ મળશે તેની કોઈ ખાતરી નથી.
આ સ્થિતિમાં સંડાસ અને નાવણિયાને યાદ કરવાની ધૃષ્ટતા કેવી રીતે કરી શકાય? પાણી અને સાબુથી વારંવાર હાથ ક્યાંથી ધોઈ શકાય, જ્યાં ન પાણી હોય કે ન સાબુ? મજૂર નામની આ પ્રજાતિ પર સમાજ અને સરકાર કોઈ ક્રૂર મજાક તો નથી કરી રહ્યાં ને? આવી નિરાશ પરિસ્થિતિમાં કેટલાક મજૂરો મરણિયા બનીને પોતાનો નહિવત્ અસબાબ અને બાકી બચેલાં નાણાં લઈને મહિલાઓ તથા બાળકો સાથે વતન ભણી પગપાળા નીકળી ચૂક્યા છે. દિલ્હીમાં સાઇકલરીક્ષા ચલાવનારા લાંબી મજલ સાઇકલ પર કાપીને બિહાર જઈ રહ્યા છે. અલબત્ત, કર્મશીલો ખડેપગે છે, પણ તેમાંથી કેટલાને અને ક્યારે તે મદદ પહોંચાડશે? આપણે ઈન્સાફ સારુ શું કરી શકીએ?
ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારોને 3 મે બાદ મજૂરોને તેમના વતનમાં પરત મોકલવા માટેની વ્યવસ્થા કરવા જણાવાયું છે. સર્વશક્તિશાળી કેન્દ્ર અને આટલા 'લોકપ્રિય અને પોલાદી' નેતાને તાળાબંધી જાહેર કરતાં પૂર્વે આ પગલાં લેતાં કોણે અટકાવ્યાં હશે? ત્વરિત અને દૃઢ નિર્ણયકર્તાની છબી બરકરાર રહેવી અનિવાર્ય હોવાથી, તેમાંથી પરિણમતો બોજો સહુએ સમાંતર ભોગવવાનો. પણ કોણ ભોગવશે? નેતાએ તો રૈયતને બજારમાં ધસી વસ્તુઓની સંગ્રહખોરી ન કરવાની જાહેરાત કરી છે, કારણ કે સઘળું પ્રાપ્ય છે! પણ કોના માટે? પૂરતી ખરીદશક્તિ ધરાવતા ધનિક અને મધ્યમ વર્ગ સારુ. મજૂર અને ખેડૂતે જીવવા માટે જાતે લડાઈ કરવાની. વચન પણ અપાયું કે જનધન ખાતામાં નાણાં જમા કરાશે. કેટલાં? કેટલા દિવસ ચાલશે?
નિષ્ણાતોના મતે રોગના પ્રારંભ અને તેના ફેલાવાની તારીખની જાણકારી આધારે કહી શકાય કે સમુદાય સુધી આ રોગનું સંક્રમણ નહોતું થયું. એપ્રિલમાં આ આંકડો ઝડપથી વધ્યો. વતન જવા ઇચ્છનારા વધારાની રેલવે અને બસની મદદથી વતન પહોંચી શક્યા હોત. રાજ્યોનો પણ હકારાત્મક પણ પ્રતિભાવ મળી શક્યો હોત. નાણાંનું હસ્તાંતરણ થઈ શક્યું હોત, પુરવઠા અને આંતરમાળખાકીય વ્યવસ્થા કરી શકાઈ હોત. આવાં આગોતરાં આયોજનમાં નાટકીયતા અને આંચકા ખરાં? ના. પરંતુ રૈયતને ભય અને રહસ્યના ઓથાર નીચે સતત રાખીને સર્વસત્તાધીશ બનવામાં માહેર નેતા રૈયતને આંચકો ન આપે તે કેવું? આંકડા બતાવે છે કે જો સમુદાય સંક્રમણ ન હતું, તો માત્ર ચાર કલાકમાં તાળાબંધીનો અમલ જરૂરી હતો? અલબત્ત, તેના તથાતથ્યમાં ન જઈએ. કારણ તેના વિષે ઘણું લખાઈ અને કહેવાઈ ચૂક્યું છે.
'હરેક મઝદૂર-કિસાન'ને હ્રદયમાં રાખનાર આપણા નેતા ભલે તાળાબંધીનો બોજો સૌને માટે કહે, પણ વાસ્તવમાં તો મજૂર અને કિસાનને જ બોજો વેંઢારવાનો આવશે. જો ગરીબ મજૂરને આજે ચેપ લાગ્યો હશે અને તે રોગનાં લક્ષણો ધરાવતો નહીં હોય; ને જો તે 3 મે પછી શારીરિક અંતર જાળવ્યા વિના મુસાફરી કરીને વતન જશે, ત્યારે તે ગામના વડીલો કે જે અન્ય શારીરિક સમસ્યાઓ પણ ધરાવતા હશે તેમને પણ ચેપગ્રસ્ત કરશે. આ પણ સ્વીકાર્ય સમાંતર નુકસાન ગણાશે.
પાટા પરથી ઊતરી ચૂકેલી અર્થરચનાને પુન: પાટે કેમ લાવવી, તે બીજો પ્રશ્ન. (જો કે ગાડી પાટા પરથી તો કોવીડ-19 પહેલાં જ ઊતરી ગઈ હતી. અલબત્ત, એ મુદ્દો આજે ચર્ચામાં નથી.) ચતુર અમલદારો, અર્થશાસ્ત્રીઓ અને બૌદ્ધિકોમાં આજકાલ તળિયેથી ટોચ (bottom-up) અભિગમ ચર્ચાનો મુદ્દો છે! ઔદ્યોગીકરણ અને શહેરીકરણ વડે આર્થિક વૃદ્ધિ અને રાષ્ટ્રીય પેદાશનો ઊંચો વૃદ્ધિ દર મેળવવાની ઘેલછામાંથી જન્મેલી કેટલીક બાહ્ય અસર સારુ પાછાં પગલાં શક્ય નથી. નુકસાન થઈ ચૂક્યું છે અને રહેશે.
ગાંધી 150ની ઉજવણી માટેની રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષે સફાઈ અભિયાન શરૂ કરી સારો દેખાવ કર્યો. પરંતુ શું આપણે આટલેથી અટકી જઈશું? સફાઈ મનની પણ જરૂરી. પશ્ચિમે આપેલા આર્થિક મૉડેલના સ્વીકારે હિંદુસ્તાનના અર્થકારણને કઈ સ્થિતિમાં મૂક્યું છે? માનવ અને કુદરતી સંસાધનોની સ્થિતિ કેવી છે? આ સંજોગોમાં સ્વાવલંબન ને સ્વદેશીના બે પાયા પર ગાંધીના સ્વપ્નનું ગ્રામ સ્વરાજ મેળવવું તે રાષ્ટ્રપિતાને યોગ્ય અંજલિ નથી? વિજ્ઞાન અને ટૅક્નોલૉજીની મદદ વડે સમુચિત શોધખોળ ને તે દ્વારા ગામ અથવા ગ્રામસમૂહના સ્તરે કરી શકાતા ઉત્પાદનનું વ્યવસ્થાપન પણ તે જ એકમ દ્વારા ચોક્કસ થઈ શકે. જળ, જમીન અને જંગલ જેવાં કુદરતી સંસાધનો પાછાં મેળવી શકાય. સ્થાનિક શાણપણ(જ્ઞાન)ની મદદથી ગામનું શ્રમદળ ગામમાં જ રહી ઉત્પાદન કરી શકે. શહેરોમાં સુલભ પાયાની સગવડ ગામને પણ પ્રાપ્ત થાય તો સ્થળાંતરનો દર ઘણો નીચો આવે. અલબત્ત, શરત એ કે માગમાં ઘટાડો થવો જોઈએ. દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના જાણીતા શિક્ષક પુલિન નાયકે આ દલીલ કરી છે! કોવીડ-19 આપણને રાજનીતિ અને અર્થનીતિમાં પરિવર્તન કરવાની તક પૂરી પાડે છે. જો ગ્રામસભાને રાજકીય સત્તા ને કુદરતી તથા અન્ય આર્થિક સંસાધનો પર માલિકી હક આપવામાં આવે તો કિસાન અને મજૂરનાં ગૌરવનું પુન:સ્થાપન થશે. શ્રમિકોને આથી ઉત્તમ શી ભેટ આપી શકાય?
આપણે સહુ રાહત અને પુન:વસનને ટોચથી તળિયે નહીં, પરંતુ તળિયેથી ટોચ તરફની પ્રક્રિયા ગણતા થયા છીએ, તો રાજ્યકર્તાઓ, અર્થશાસ્ત્રીઓ અને શુભચિંતકોને ગ્રામઅર્થરચનાને સફળ બનાવવા માટેના આયોજન અને અમલીકરણ માટે કોણે અટકાવ્યાં છે?
e.mail : sudarshan54@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 મે 2020
https://www.thebillionpress.org/articles/2020/05/01/questions-very-different-may-day