જગતના કરોડો મહેનતકશોના મુક્તિદાતા અને યુગપ્રવર્તક મહામાનવ કાર્લ માર્કસના જન્મને આ પાંચમી મેના રોજ બસોએક વરસ થશે. એક સમયે જેમના વિચારોના પ્રભાવ તળે સ્થપાયેલી રાજવ્યવસ્થા હેઠળ દુનિયાની અડધોઅડધ માનવ વસ્તી શ્વસતી હતી, તે કાર્લ માર્કસે, જિંદગીના ત્રણ દાયકા પણ પૂરા કર્યા નહોતા, ત્યારે વિખ્યાત ‘કમ્યુનિસ્ટ મેનિફેસ્ટૉ’ ઘડીને ખળભળાટ મચાવી મૂક્યો હતો.
ઈ.સ. ૧૮૧૮ની પાંચમી મેના રોજ જન્મેલા કાર્લ માર્કસે શાળાંત અભ્યાસના અંતે “વ્યવસાયની પસંદગી અંગેના એક યુવાનના વિચારો” એ વિશેના નિબંધમાં “માનવજાતના કલ્યાણ માટે જાતને સમર્પિત કરવાની” ઈચ્છા પ્રદર્શિત કરીને, પોતાના ભાવિના એંધાણ આપ્યા હતા. ૧૭ વરસના કાર્લ માર્ક્સ બોન યુનિવર્સિટીમાં કાનૂનનો અભ્યાસ કરવા જોડાયા હતા. ૧૮૩૬માં માર્કસે બર્લિન યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ છોડીને તત્ત્વજ્ઞાન અને ઇતિહાસનો અભ્યાસ કર્યો. ન્યાયશાસ્ત્ર, સાહિત્ય અને કળાઓનો પણ અભ્યાસ કરી ચૂકેલો આ યુવાન ૧૮૩૭ સુધીમાં તો જર્મન વિચારક હેગેલના વિચારોથી પૂરેપૂરો આકર્ષાઈ ચૂક્યો હતો. મિત્રો પર એક સારા ચર્ચક તરીકેનો પ્રભાવ ઊભો કરનાર માર્કસને નાસ્તિકતાનો પણ પાશ લાગી ચૂક્યો હતો. હેગેલનું તત્ત્વજ્ઞાન એમને “અટકળિયા સ્વરૂપ”નું કે “વિચિત્ર બરછટ ગીત” જેવું લાગેલું. એમાંથી જ પ્રેરણા મેળવીને તત્ત્વજ્ઞાનના દરિયામાંથી સાચાં મોતી મેળવવા એ પ્રેરાયા હતા. “તત્ત્વજ્ઞાન વિના આગળ વધવાનો કોઈ જ માર્ગ નથી” એમ પિતા પરના પત્રમાં લખનાર માર્ક્સના, બે ગ્રીક તત્ત્વચિંતકો પર લખાયેલા – “નેચરલ ફિલોસોફી ઓફ ડેમોક્રિટસ એન્ડ એપિક્યુરસ” એ મહાનિબંધને, ૧૮૪૧માં જેના યુનિવર્સિટીમાંથી, ૨૩ વરસની વયે, ડોકટરેટ મળી હતી.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણાં નેતાઓને વાચન અને અભ્યાસની તક જેલવાસમાં મળેલી. માર્કસને એ તક લાંબી માંદગીમાં મળી હતી. માંદગી દરમિયાન એમણે હેગેલિયન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. “પ્રિયજનના વિયોગની અંગત પીડા કરતાં સમગ્ર માનવજાતના પીડનનું મૂળ શોધવા ગમે તે સહન કરવા” તત્પર, કાર્લ માર્કસ હેગેલના વિચારોથી પ્રભાવિત યંગ હેગિલિયનોના જૂથના નેતા પણ બન્યા હતા. ડોકટરેટ મેળવીને તેમણે અધ્યાપક થવાનું નક્કી કરેલું પણ પ્રુશિયન યુનિવર્સિટીઓમાં વાણી અને વિચાર સ્વાતંત્ર્ય પર એ જમાનામાં ભારે દાબ હતો. એટલે માર્કસ પત્રકારત્વ તરફ વળ્યા. આરંભના અખબારી કટારચી માર્કસ, ૨૪ વરસની વયે, અખબારના તંત્રી બન્યા. એમણે સામાજિક આર્થિક પ્રશ્નોની નિર્ભીકતાથી અને ક્રાંતિકારી દ્રષ્ટિકોણથી ચર્ચાઓ કરતાં લેખો લખવા માંડ્યા. માર્કસના તેજાબી લખાણોથી દાઝેલા પ્રુશિયન સત્તાવાળાઓની કરડી નજર આ અખબાર પર પડી, ને કડક સેન્સરશિપ લાદવામાં આવી. ડોકટરેટ મેળવી માદરે વતન પરત આવેલા માર્કસને પોતાની પ્યારી માતૃભૂમિ છોડવી પડી. ક્રુઝનાકમાં જેની સાથે લગ્નથી જોડાઈને રાજકીય હિજરતી તરીકે પેરિસ આવ્યા.
પેરિસમાં આવીને માર્કસે અભ્યાસમાં અને જર્મન કામદારોના સંગઠનમાં દિલ પરોવ્યું. “લીગ ઓફ જસ્ટ” નામની સંસ્થામાં જોડાયા.ઈ.સ. ૧૮૪૩માં, “જર્મન-ફ્રેન્ચ ઈયર બુક્સ’નું સંપાદન કર્યું. એ નિમિત્તે એન્જલ્સનો પરિચય થયો. માર્કસ-એન્જલ્સની દોસ્તી કાયમી અને ગાઢ બની. પેરિસનિવાસમાં જ એમના મનમાં ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન અને વર્ગ સિદ્ધાંતના બીજ વવાયાં – અંકુરિત થયાં. “ઈકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેન્યુસ્ક્રીપ્ટસ” અને એન્જલ્સ સાથે “જર્મન આઈડિયોલોજી” જેવા બે મહત્ત્વના ગ્રંથો લખ્યા. ઈયર બુક્ની નકલો પ્રુશિયન સરકારે જપ્ત કરી, માર્કસ સામે નોટિસ કાઢી ને આખરે પેરિસ છોડવું પડ્યું.
રઝળપાટનું એક વધુ ચરણ શરૂ થયું ને કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહિ લેવાની શરતે બ્રસેલ્સમાં આશ્રય લીધો. પણ ત્યાં ય માર્કસ પ્રવૃત્તિ વિના રહી શકે? “કમ્યુનિસ્ટ કોરસપોન્ડસ કમિટી” રચીને એમણે સંઘર્ષ ચાલુ રાખ્યો. “લીગ ઓફ જસ્ટ”ના સભ્યો સાથેનો નાતો ગાઢ બનતાં, ૧૮૪૭માં, લંડનમાં એનું પ્રથમ અધિવેશન મળ્યું. જ્યાં એન્જલ્સના મંત્રીપદે “કમ્યુનિસ્ટ લીગ’ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાના સિદ્ધાંતો અને ઉદ્દેશોનો મુસદ્દો ઘડવાનું કામ માર્કસ અને એન્જલ્સને સોંપવામાં આવ્યું. “કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો” તરીકે જાણીતો, ૪૦ પાનાંનો આ મહાન ઐતિહાસિક દસ્તાવેજ, ઈ.સ. ૧૮૪૮ના ફેબ્રુઆરીમાં લંડનથી પ્રગટ થયો. “બધી જ સત્તાઓ હવે સામ્યવાદને ખુદને એક સત્તા તરીકે સ્વીકારે છે. તેથી, તેને વિશેના કપોળકલ્પિત ગપાટાંઓને ખતમ કરવા અહીં તેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.” એવા શબ્દોથી શરૂ થતો આ મેનિફેસ્ટો આજે જગતની તમામ ભાષાઓમાં અનુદિત થઈ ચૂક્યો છે.
”સામ્યવાદી ક્રાંતિથી શાસક વર્ગો ભલે ધ્રૂજે – કામદારવર્ગોએ તો પોતાની જંજીરો સિવાય કશું જ ગુમાવવાનું નથી અને આખું જગત જીતવાનું છે.” એવી ઘોષણા કરતાં માર્ક્સવાદના પ્રથમ કાર્યક્રમ દસ્તાવેજ જેવા આ જાહેરનામાથી યુરોપભરમાં ખળભળાટ મચી ગયો. કામદારો અને શાસકો સામસામે આવી ગયા તથા ભારે ખૂનખરાબો થયો. જો કે ગણતરીના મહિનાઓમાં જ આ ક્રાંતિ નિષ્ફળ ગઈ હતી. માર્ક્સને દેશનિકાલની સજા થઈ એટલે તે રઝળપાટ કરતાં કરતાં ૧૮૪૯માં લંડન આવ્યા અને મૃત્યુ પર્યંત ત્યાં જ રહ્યા. માર્કસનો આ લંડનવાસ અત્યંત કારમી ગરીબીમાં વીત્યો.
માર્ક્સનો જીવનકાળ એટલે મૂડીવાદનો મધ્યાન્હ. જેમાં શ્રમિકોનું બે-રહેમ શોષણ થતું હતું. અને તેમનું મૂલ્ય પશુ જેવું હતું. ઔદ્યોગિક ક્રાંતિના એ આરંભકાળમાં મજૂરોનું શોષણ વધતું અને વકરતું રહ્યું. ગુલામો તથા વેઠિયાઓ વધતા રહ્યા અને અમીરોની અમીરી અને શોષણ હદ વટાવી ગયા. આ અસમાનતાના મૂળ શોધી, માર્ક્સે એનું નિદાન કર્યું હતું. “અમારે મન ખાનગી માલિકીને બદલવાનો નહીં પણ તેને મીટાવવાનો સવાલ છે. વર્ગ વિરોધોને ઢાંકી રાખવાનો નહીં, પણ વર્ગોને નાબૂદ કરવાનો સવાલ છે. આજની સમાજરચનાને સુધારવાનો નહીં પણ નવી સમાજરચના શોધવાનો સવાલ છે.” એમ કહેનાર માર્ક્સે પોતે શું નવું શોધ્યું છે તે વિશે કહ્યું છે, “ઉત્પાદન પ્રક્રિયાના વિકાસના અમુક ચોક્કસ તબક્કાઓ સાથે જ વર્ગવિગ્રહ અનિવાર્ય રીતે શ્રમજીવી વર્ગની રાજસત્તામાં પરિણમે છે અને આ રાજસત્તા પણ વર્ગોની નાબૂદી અને વર્ગવિહીન સમાજની રચના તરફના પ્રયાણમાં એક વચગાળાનો સંક્રાંતિકાળ જ છે, કાયમની નથી.”
મૂડીવાદને ઉથલાવી પાડવા માટે કામદાર વર્ગની સરમુખત્યારી ઝંખતા માર્કસનો મૂડીવાદી ઉત્પાદનનું આલોચનાત્મક વિષ્લેષણ કરતો મહાગ્રંથ “મૂડી”નો પ્રથમ ભાગ ૧૮૬૭માં પ્રસિદ્ધ થયો હતો. ઈ.સ. ૧૮૮૩ની ૧૪મી માર્ચે , ચોસઠ વરસની વયે, લંડનમાં માર્કસનું અવસાન થયું ત્યારે એમને અંજલિ આપતાં ફેડરિક એન્જલ્સે કહ્યું હતું, “માણસો રાજકારણ, વિજ્ઞાન, કલા, ધર્મ કે એવી બીજી બાબત પ્રત્યે ધ્યાન આપે તે પહેલાં તેમને ખાવાને ખોરાક, પીવાને પાણી, પહેરવાને વસ્ત્ર અને માથે છાપરું – આટલાં વાનાં તો હોવાં જ જોઈએ, એ હકીકત બહાર આણવાનું મહત્ત્વનું કાર્ય આ મહાપુરુષે કર્યું છે.” કાર્લ માર્કસ જગતના કામદારોના, શોષિતોના દુ:ખદર્દનું ખરું કારણ શોધનાર પ્રથમ સમાજવિજ્ઞાની હતા. જ્યાં સુધી જગતમાં ગરીબી, અભાવો, શોષણ અને અસમાનતા રહેશે અને તેની સામેનો આમ આદમીનો સંઘર્ષ જારી રહેશે ત્યાં સુધી માર્કસ અને તેમના વિચારો જીવંત રહેવાનાં જ.
e.mail : maheriyachandu@gmail.com
[તા.૦૧-૦૫-૨૦૧૯ ના “સંદેશ” દૈનિકની ‘ચોતરફ’ કોલમમાં પ્રકટ]